લેવીય 21 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019યાજકોની પવિત્રતા અને શુદ્ધતા અંગે 1 યહોવાહે મૂસાને કહ્યું, “યાજકોને, હારુનના પુત્રોને કહે કે, ‘પોતાના લોકોમાંથી કોઈપણ મૃત્યુ પામે તો તેને લીધે કોઈપણ યાજકે પોતે અભડાવું નહિ. 2 પોતાના નજીકના સગાંઓને લીધે એટલે પોતાની માતાને લીધે, પોતાના પિતાને લીધે પોતાના પુત્ર, પુત્રી કે પોતાના ભાઈને લીધે તે અભડાય, 3 અથવા પોતાની સગી બહેન જે કુંવારી એટલે જેના લગ્ન ન થયા હોય તેને લીધે તે અભડાય. 4 પણ તેણે જે લોકો તેના નજીકના સગા નથી, તેઓના મૃતદેહને અડીને પોતાની જાતને અશુદ્ધ કરવી નહિ. 5 યાજકોએ શોક કરવા માટે પોતાના માથાના વાળ મૂંડાવવા નહિ, તેમ જ દાઢીની કિનાર પણ મૂંડાવવી નહિ અને પોતાના શરીર પર કોઈ ઘા પણ કરવો નહિ. 6 તેઓ પોતાના ઈશ્વરના પવિત્ર લોક થાય અને તેઓના ઈશ્વરના નામને અપમાનિત ન કરે, કેમ કે યાજકો યહોવાહના હોમયજ્ઞો એટલે પોતાના ઈશ્વરની રોટલી અર્પણ કરે છે. એ માટે તેઓ પવિત્ર થાય. 7 તેઓ ગણિકા કે કોઈ અશુદ્ધ સ્ત્રીની સાથે અને જે સ્ત્રીના તેના પતિથી છૂટાછેડા થયા હોય તેની સાથે લગ્ન ન કરે. કેમ કે તેઓ ઈશ્વર માટે અલગ કરાયેલા છે. 8 તમારે યાજકને પવિત્ર ગણવો જોઈએ, કારણ કે તે મને અર્પણ ચઢાવે છે. તમારે તેને પવિત્ર ગણવો જોઈએ, કારણ તમને પવિત્ર કરનાર યહોવાહ હું પવિત્ર છું. 9 જો કોઈ યાજકની પુત્રી ગણિકા થઈને પોતાને અશુદ્ધ કરે તો તે પોતાના પિતાને કલંકિત કરે છે, તેથી તેને આગથી બાળી નાખવી. 10 જે પોતાના ભાઈઓ વચ્ચે પ્રમુખ યાજક હોય, જેને તેલથી અભિષેક કરાયો હોય અને વસ્ત્રો પહેરવા માટે શુદ્ધિકરણ કરાયું હોય તેણે પોતાના વાળ છૂટા મૂકવા નહિ તથા પોતાના વસ્ત્રો ફાડવા નહિ. 11 જે જગ્યાએ માણસનો મૃતદેહ પડ્યો હોય ત્યાં તેણે જવું નહિ અને અશુદ્ધ થવું નહિ, પછી ભલે તે મૃતદેહ પોતાના પિતા કે માતાનો હોય. 12 તે પવિત્રસ્થાનની બહાર જાય નહિ અને પોતાના ઈશ્વરના પવિત્રસ્થાનને અશુદ્ધ કરે નહિ. કેમ કે પોતાના ઈશ્વરના અભિષેકના તેલ વડે તેને પ્રમુખ યાજક તરીકે પવિત્ર કરાયો છે. હું યહોવાહ છું. 13 પ્રમુખ યાજકે કુંવારી સ્ત્રી સાથે લગ્ન કરવું. 14 તેણે કોઈ વિધવા, ગણિકા કે છૂટાછેડા લીધેલી સ્ત્રીની સાથે લગ્ન કરવું નહિ. તેણે આ બધામાંથી કોઈ સાથે લગ્ન ન કરવું. પણ પોતાના લોકમાંની જ કોઈ કુમારિકા સાથે લગ્ન કરવું. 15 તેણે બધા નિયમોનું પાલન કરવું, કે જેથી પોતાના લોકો મધ્યે પોતાના સંતાનને અશુદ્ધ ન કરે. કેમ કે તેને શુદ્ધ કરનાર યહોવાહ હું છું.’” 16 યહોવાહે મૂસાને કહ્યું, 17 “તું હારુનને કહે કે, શારીરિક ખામી ધરાવનાર તારા કોઈપણ વંશજે ઈશ્વરને અર્પણ ચઢાવવું નહિ. 18 શારીરિક ખામી ધરાવનાર કોઈ પણ માણસ પછી તે અંધ હોય, અપંગ હોય કે જેના અંગ વિકૃતિ વાળા હોય, 19 અથવા સુકાઈ ગયેલા હાથ વાળો હોય કે પગ વાળો હોય, 20 ખૂંધો હોય કે ઠીંગણો હોય, નેત્રનો રોગ કે ચામડીનો રોગ થયેલો હોય કે વ્યંઢળ હોય તેઓએ અર્પણ ચઢાવવું નહિ. 21 હારુન યાજકના શારીરિક ખામી વાળા કોઈ પણ વંશજ મને હોમયજ્ઞો ચઢાવવા મારી પાસે આવે નહિ, જો તેનામાં કોઈ ખોડ હોય તો તેણે ઈશ્વરની ‘રોટલી’ ચઢાવવા પાસે જવું નહિ. 22 તેમ છતાં ઈશ્વર સમક્ષ ચઢાવેલ પવિત્ર તેમ જ પરમપવિત્ર અર્પણોમાંથી યાજકોનો જે ભાગ છે તેમાંથી તે જમી શકે. 23 પરંતુ તેણે પડદાની નજીક કે પડદાની પાછળ અગ્નિની વેદીની નજીક જવું નહિ કારણ તેનામાં શારીરિક ખોડ છે અને તેણે મારી પવિત્ર જગ્યાઓને અશુદ્ધ કરવી નહિ. કેમ કે મેં યહોવાહે તેને પવિત્ર કરેલી છે.’ 24 અને મૂસાએ હારુનને અને તેના પુત્રોને અને સર્વ ઇઝરાયલીઓને આ પ્રમાણે કહી સંભળાવ્યું. |
GUJ-IRV
Creative Commons License
Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Bridge Connectivity Solutions Pvt. Ltd.