લેવીય 11 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019ખોરાક માટે યોગ્ય અને અયોગ્ય પ્રાણીઓ 1 યહોવાહે મૂસા તથા હારુનને કહ્યું, 2 “ઇઝરાયલી લોકોને કહે, ‘પૃથ્વી પરનાં સર્વ પશુઓમાંથી જે પશુઓ તમારે ખાવા માટે ઉપયોગમાં લેવા તે આ છે. 3 જે પશુઓની ખરી ફાટવાળી હોય અને જે વાગોળતું હોય તે પશુ તું ખાઈ શકે. 4 તોપણ, કેટલાક પશુઓની માત્ર ખરી ફાટવાળી હોય અથવા જે માત્ર વાગોળતાં હોય તે પશુઓ તમારે ખાવાં જોઈએ નહિ, જેમ કે ઊંટ, કેમ કે તે વાગોળે છે પણ તેની ખરી ફાટેલી નથી. તેથી ઊંટ તમારે માટે અશુદ્ધ છે. 5 સાફાન સસલું પણ: કેમ કે તે વાગોળે છે પણ તેની ખરી ફાટેલી નથી, તે પણ તમારે માટે અશુદ્ધ છે. 6 અને સસલું: કેમ કે તે વાગોળે છે, પણ તેની ખરી ફાટેલી નથી, તે તમારે માટે અશુદ્ધ છે. 7 અને ડુક્કર: જોકે તેની ખરી ફાટેલી છે, પણ તે વાગોળતું નથી, તેથી તે તમારે માટે અશુદ્ધ છે. 8 તમારે તેઓમાંના કોઈનું માંસ ખાવું નહિ કે તેઓના મૃતદેહનો સ્પર્શ કરવો નહિ. તેઓ તમારે માટે અશુદ્ધ છે. 9 જળચરોમાંથી તમે આટલાં ખાઈ શકો: પાણીમાં જે બધાંને પંખ તથા ભિંગડાં હોય તેઓને તમારે ખાવા, પછી તે સમુદ્રોમાંનાં હોય કે નદીઓમાંનાં હોય. 10 પણ સમુદ્રોમાંનાં કે નદીઓમાંનાં જે બધાં જળચરો પાણીમાં તરે છે તેમાંના તથા સર્વ જળચરોમાંનાં જે સર્વને પંખ તથા ભિંગડાં હોતા નથી, તેઓ તમને નિષેધાત્મક છે. 11 કારણ કે તેઓ ઘૃણાપાત્ર છે માટે, તમારે તેઓનું માંસ ખાવું જોઈએ નહિ; તેમના મૃત દેહ પણ ઘૃણાપાત્ર છે. 12 પાણીમાંનાં જેઓને પંખ કે ભિંગડાં નથી હોતા તેઓ તમને નિષેધાત્મક છે. 13 પક્ષીઓમાંથી તમારે આને નિષેધાત્મક ગણવા અને તમારે જે ન ખાવા જોઈએ તે આ છે: ગરુડ, ગીધ, 14 સમડી, દરેક પ્રકારના બાજ, 15 દરેક પ્રકારના કાગડા, 16 શાહમૃગ, ચીબરી, સીગલ અને કોઈ પણ પ્રકારનો શકરો. 17 ચીબરી, કરઢોક, ઘુવડ, 18 રાજહંસ, ઢીંચ, ગીધ, 19 બગલો, દરેક પ્રકારના હંસ, લક્કડખોદ તથા વાગોળ એમને પણ તમારે નિષેધાત્મક ગણવા. 20 સર્વ પાંખવાળાં જંતુઓ જેઓ પગ વડે ચાલતા હોય, તેઓ તારે માટે અમંગળ છે. 21 તોપણ પગે ચાલનાર પાંખવાળાં જંતુઓ, જેઓને પગ ઉપરાંત જમીન ઉપર કૂદવાને પગ હોય છે, તેઓમાંથી આ તમે ખાઈ શકો છો. 22 અને તમે કોઈ પણ પ્રકારના તીડ, બોડમથો તીડ, તમરી અથવા તીતીઘોડો ખાઈ શકો. 23 પણ સર્વ પાંખવાળાં જંતુઓ જેઓને ચાર પગ હોય તેઓ તમને અમંગળ છે. 24 તેઓના શબને પણ જો કોઈ સ્પર્શ કરે તો તે સાંજ સુધી અશુદ્ધ ગણાય. 25 અને જે કોઈ તેઓના મૃતદેહને ઉપાડી લે તેણે પોતાના વસ્ત્રો ધોઈ નાખવા અને તે સાંજ સુધી અશુદ્ધ ગણાય. 26 જે પશુઓની ખરી ફાટેલી હોય પણ તેના બરાબર બે સરખા ભાગ થતા ન હોય અથવા જે પશુઓ વાગોળતાં ના હોય, તે તમને અશુદ્ધ છે. જે કોઈ તેમનો સ્પર્શ કરે તે અશુદ્ધ ગણાય. 27 ચાર પગવાળાં જાનવરોમાંનું જે જે પંજા વડે ચાલતું હોય તે તમારે માટે અશુદ્ધ છે. જે કોઈ તેઓના મૃતદેહનો સ્પર્શ કરે તે સાંજ સુધી અશુદ્ધ ગણાય. 28 અને જે કોઈ તેમના મૃતદેહને ઉપાડે, તો તેણે પોતાના વસ્ત્રો ધોઈ નાખવાં અને તે સાંજ સુધી અશુદ્ધ ગણાય. આ પશુઓ તમારે માટે અશુદ્ધ છે. 29 જમીન પર પેટે ચાલનારા પ્રાણીઓમાંથી આ તમારા માટે અશુદ્ધ છે: નોળિયો, ઉંદર, દરેક પ્રકારની ગરોળી, 30 ચંદન ઘો, પાટલા ઘો, ગરોળી, સરડો તથા કાચીંડો. 31 સર્વ પેટે ચાલનારાં સર્પટિયાંઓમાં આટલાં તમારે માટે અશુદ્ધ છે. જે કોઈ તેઓના મૃતદેહનો સ્પર્શ કરે તો તે સાંજ સુધી અશુદ્ધ ગણાય. 32 અને જો તેઓમાંથી કોઈ પણ મરી જાય અને કોઈપણ વસ્તુ ઉપર તેમનું શબ પડે તો તે વસ્તુ અશુદ્ધ ગણાય, તે કોઈ પણ લાકડાની, વસ્ત્રોની, ચામડાની અથવા તાટની બનેલી હોય, કોઈપણ કામમાં વપરાતું વાસણ હોય, તો તેને પાણીમાં નાખવું; તે સાંજ સુધી અશુદ્ધ ગણાય. પછી તે શુદ્ધ ગણાશે. 33 જો આમાંનું કોઈ પણ સર્પટિયું કોઈપણ માટીનાં વાસણમાં પડે, તો તેમાં જે કંઈ ભરેલું હોય તે અશુદ્ધ ગણાય અને તેને તમારે ભાંગી નાંખવું. 34 જે કોઈએ ખાવાનાં પદાર્થ પર એવાં માટલામાંથી પાણી રેડ્યું હોય તો તે અશુદ્ધ ગણાય. અશુદ્ધ થયેલાં વાસણોમાં કોઈ પણ પીણું હોય તો તે અશુદ્ધ ગણાય. 35 જે કોઈ વસ્તુ પર તેઓનો મૃતદેહ પડે તો તે અશુદ્ધ ગણાય. તે ભઠ્ઠી કે ખાવા બનાવવાનું વાસણ હોય તો તેને ભાંગી નાખવું. તે અશુદ્ધ છે અને તે તમારે માટે અશુદ્ધ ગણાય. 36 જો તેઓ પાણીના ટાંકામાં, ઝરણાંમાં કે જ્યાં પીવાના પાણીનો સંગ્રહ થાય છે તેમાં પડે તો તે પાણી શુદ્ધ ગણાય. પણ જો કોઈ પાણીની અંદરના શબનો સ્પર્શ કરે તો તે અશુદ્ધ ગણાય. 37 જો તેઓના શબનો કોઈ ભાગ કોઈપણ વાવવાના બિયારણ પર પડે તો તે બિયારણ શુદ્ધ છે. 38 પણ જો તે બિયારણ પર પાણી છાટેલું હોય અને તેમના શબનો કોઈ ભાગ તેના પર પડે, તો તે તમારે માટે અશુદ્ધ છે. 39 જે પશુઓ ખાવાની તમને છૂટ આપવામાં આવી છે એવું પશુ જો મરી જાય, તો તેના મૃતદેહનો જે કોઈ સ્પર્શ કરે તો તે સાંજ સુધી અશુદ્ધ ગણાય. 40 અને જે કોઈ એ મૃતદેહમાંથી તેનું માંસ ખાય તો તે પોતાના વસ્ત્રોને ધોઈ નાખે અને તે સાંજ સુધી અશુદ્ધ ગણાય. અને જે કોઈ તેના મૃતદેહને ઊંચકે તો તે પોતાના વસ્ત્રો ધોઈ નાખે અને તે સાંજ સુધી અશુદ્ધ ગણાય. 41 જમીન પર પેટે ચાલતાં તમામ સર્પટિયાં નિષેધાત્મક છે; તે ખાવાં નહિ. 42 સર્વ પેટે ચાલનારાં અને ચાર પગે ચાલનારાં અથવા વધારે પગોવાળાં, જમીન પર પેટે ચાલનારાં સર્વ પણ તમારે ખાવા નહિ, કારણ કે તે નિષેધાત્મક છે. 43 કોઈ પણ પેટે ચાલનારાં સર્પટિયાંઓથી તમે પોતાને અશુદ્ધ ન કરો; તેઓથી પોતાને અશુદ્ધ કરીને અભડાઓ નહિ. 44 કેમ કે હું યહોવાહ તમારો ઈશ્વર છું. એ માટે તમે પોતાને શુદ્ધ કરો અને તમે પવિત્ર થાઓ કેમ કે હું પવિત્ર છું. જમીન પર પેટે ચાલનારાં કોઈ પણ સર્પટિયાંથી પોતાને અશુદ્ધ ન કરો. 45 કેમ કે હું યહોવાહ છું, તમારો ઈશ્વર થવા માટે જે તમને મિસર દેશમાંથી બહાર કાઢી લાવ્યો. માટે તમે પવિત્ર થાઓ, કેમ કે હું પવિત્ર છું. 46 આ પશુઓ, પક્ષીઓ, દરેક જીવજંતુઓ જે પાણીમાં તરે છે અને દરેક જે પેટે ચાલે છે, તેઓ સંબંધી આ નિયમ છે. 47 એ માટે કે શુદ્ધ તથા અશુદ્ધની વચ્ચે અને ખાવાનાં તથા નહિ ખાવાનાં વચ્ચે ભેદ રખાય.’” |
GUJ-IRV
Creative Commons License
Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Bridge Connectivity Solutions Pvt. Ltd.