યર્મિયા 12 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019યર્મિયાની યહોવાહને ફરિયાદ 1 “હે યહોવાહ, જ્યારે હું તમારી સાથે વાદવિવાદ કરું છું ત્યારે તમે ન્યાયી ઠરો છો. તેમ છતાં તમારી આગળ મારી ફરિયાદ રજૂ કરીશ; “દુષ્ટ માણસો કેમ સમૃદ્ધિ પામે છે? વિશ્વાસઘાતીઓ કેમ સુખી હોય છે? 2 તમે તેઓને રોપો છો અને તેઓનાં મૂળ ઊંડાં જાય છે. વળી તેઓ ફળ આપે છે. તમે તેઓના મોમાં છો. પણ તેઓના હૃદયથી તમે દૂર છો. 3 પણ હે યહોવાહ, તમે મને જાણો છો અને મને જુઓ છો અને તમે મારા અંત:કરણને પારખો છો. તેઓને ઘેટાંની પેઠે કાપવા માટે કાઢો. તથા હિંસાના દિવસને સારુ તૈયાર કરો. 4 ક્યાં સુધી ભૂમિ શોક કરશે અને ખેતરમાંની વનસ્પતિ કરમાઈ જશે? દેશના રહેવાસીઓની દુષ્ટતાને કારણે, પશુ તથા પક્ષી નષ્ટ થયાં છે. તેમ છતાં, લોકો કહે છે, “આપણને શું થાય છે તે ઈશ્વર જાણતા નથી.’ 5 માટે જો તું પાયદળો સાથે દોડયો અને તેઓએ તને થકવ્યો, પછી તું ઘોડાઓ સાથે શી રીતે હોડમાં ઊતરશે? જો કે તું સલામત પ્રદેશમાં નિર્ભય છે, તોપણ યર્દનના જંગલમાં તારું શું થશે? 6 કેમ કે તારા પોતાના ભાઈઓ અને તારા પિતાના કુટુંબે પણ તને દગો દીધો છે. તેઓ તારી પીઠ પાછળ મોટી બૂમો પાડે છે. તેઓ ગમે તેટલાં મીઠા શબ્દોથી તારી સાથે વાત કરે, છતાં પણ તેઓનો વિશ્વાસ કરીશ નહિ. યહોવાહનો પોતાની પ્રજા માટે અફસોસ 7 મેં મારું ઘર છોડ્યું છે; મારા વારસાનો મેં ત્યાગ કર્યો છે. મારી પ્રાણપ્રિયાને મેં શત્રુઓને સ્વાધીન કરી છે. 8 મને તો મારો વારસો જંગલમાંના સિંહની જેમ થઈ પડ્યો છે; તે મારી સામે ભયંકર ગર્જનાઓ કરે છે, તેથી મેં તેનો તિરસ્કાર કર્યો છે. 9 શું મારો વારસો કાબરચીતરાં બાજ જેવો છે કે જેની ચારેબાજુએ શિકારી પક્ષીઓ ફરી વળ્યાં છે? ચાલો, સર્વ વન પશુઓને એકઠા કરો અને ખાવાને લાવો. 10 ઘણા ભરવાડોએ મારી દ્રાક્ષવાડીનો નાશ કર્યો છે અને મારો ભાગ પગ તળે ખૂંદી નાખ્યો છે. તેઓએ મારો રળિયામણો ભાગ ખેદાનમેદાન બનાવી દીધો છે. 11 તેઓએ આખી ભૂમિને વેરાન કરી નાખી છે, આખો દેશ ઉજ્જડ થયો છે; માટે હું શોક કરું છું. બધા દેશોએ તેને ઉજ્જડ કરી નાખ્યો છે, તેની દરકાર કોઈ રાખતું નથી. 12 જંગલમાની સર્વ ઉજ્જડ ટેકરીઓ પર નાશ કરનારા ચઢી આવ્યા છે. કેમ કે યહોવાહની તલવાર દેશના એક છેડાથી બીજા છેડા સુધી ખાઈ જાય છે. પ્રાણી માત્રને શાંતિ નથી. 13 તેઓએ ઘઉં વાવ્યા છે અને કાંટા લણ્યા છે. તેઓએ મહેનત તો ઘણી કરી છે, પણ કશું પ્રાપ્ત થયું નથી. પણ યહોવાહના ઉગ્ર રોષને લીધે તેઓ પોતાના ખેતરની ફસલથી લજ્જિત થશે. 14 જે વારસો મેં મારી પ્રજાને, એટલે કે ઇઝરાયલને આપ્યો છે, તેને જે મારા દુષ્ટ પડોશીઓ આંચકી લેવા માંગે છે, તેઓ સર્વ વિષે યહોવાહ કહે છે, જુઓ, હું તેઓની ભૂમિમાંથી તેઓને ઉખેડી નાખીશ. અને હું તેઓના હાથમાંથી યહૂદિયાને ખૂંચવી લઈશ. 15 વળી તેઓને ઉખેડ્યા બાદ, હું તેઓના પર દયા દર્શાવીશ તથા તેઓમાંના દરેકને તેઓના પોતાના વારસામાં અને પોતાના દેશમાં પાછા લાવીશ. 16 જેવી રીતે તેઓએ મારી પ્રજાને બઆલના સમ ખાતા શીખવ્યું, “તેમ યહોવાહ જીવંત છે,” એવા મારા નામના સમ ખાતા તેઓ શીખશે. અને મારા લોકના માર્ગો તેઓ ખરેખર શીખશે, તો તેઓ મારા લોકો વચ્ચે ફરીથી સ્થપાશે. 17 પરંતુ જો તેઓ સાંભળશે નહિ, તો હું તે પ્રજાને જડમૂળથી ઉખેડી નાખીશ. અને તેનો નાશ કરીશ. એમ યહોવાહ કહે છે.” |
GUJ-IRV
Creative Commons License
Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Bridge Connectivity Solutions Pvt. Ltd.