Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

નિર્ગમન 21 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019


દાસ-દાસીઓ અને ચાકરો પ્રત્યેના નિયમ
પુન. 15:12-18

1 પછી યહોવાહે મૂસાને કહ્યું, હવે તારે જે કાનૂનો લોકોની આગળ રજૂ કરવાના છે તે આ છે.

2 “જો તમે કોઈ હિબ્રૂ ગુલામ ખરીદો, તો તે છ વરસ પર્યંત તમારી સેવા કરે અને સાતમે વર્ષે તે છૂટો થઈ જાય અને કશું ચૂકવ્યા વિના છૂટો થઈ શકે.

3 ગુલામ થતાં અગાઉ જો તે કુંવારો હોય, તો તે એવી જ અવસ્થામાં એકલો છૂટો થઈ જાય. પરંતુ જો ગુલામ થતાં અગાઉ જો તેનાં લગ્ન થયેલાં હોય, તો છૂટો થતી વખતે તેની સાથે તેની પત્ની પણ મુક્ત થશે.

4 જો કદાચ અગાઉ તેનાં લગ્ન થયેલાં ના હોય અને ગુલામી અવસ્થા દરમિયાન જો તેનો માલિક તેનાં લગ્ન કરાવી આપે અને તેની સાથે પત્ની, પુત્ર અને પુત્રીઓનો વધારો થાય તો પણ તે એકલો જ છૂટો થાય. પરંતુ સ્ત્રી તથા બાળકો તો માલિકનાં થાય.”

5 “પરંતુ જો તે ગુલામ સ્પષ્ટ રીતે એવું કહે કે; ‘હું તો મારા માલિકને તથા મારી પત્નીને તથા મારાં બાળકોને પ્રેમ કરું છું; મારે છૂટવું નથી.’

6 જો આવું બને તો ગુલામના માલિકે તેને ઈશ્વરના સમક્ષ લાવવો અને બારસાખ આગળ ઊભો રાખીને સોયથી તેનો કાન વીંધવો; એટલે તે કાયમને માટે તેના માલિકનો ગુલામ બની રહેશે.

7 “અને જો કોઈ માણસ પોતાની દીકરીને દાસી થવા માટે વેચે, તો ગુલામ પુરુષોની માફક તે છૂટે નહિ.

8 જેણે તેને ખરીદી હોય તેને જો તે ન ગમે, તો તે તેના પિતાને પાછી વેચી શકે, જો માલિકે તેની સાથે લગ્ન કરવાનું વચન આપ્યું હોય, તો પારકા લોકોને તેને વેચવાની તેની સત્તા રહેતી નથી, કેમ કે તેણે તેની પ્રત્યે ઠગાઈ કરી છે.

9 પરંતુ જો તેણે તેના પોતાના પુત્ર માટે તેને રાખવી હોય તો તેની સાથે તેણે પુત્રી જેવો વ્યવહાર રાખવો.

10 “જો તે બીજી પત્ની સાથે લગ્ન કરે, તો તેણે તેની પ્રથમ પત્નીના અન્ન, વસ્ત્ર અને તેના પત્ની તરીકેના હક્કમાં કશો ઘટાડો કરવો નહિ.

11 અને જો તે તેની પત્ની પ્રત્યે આ ત્રણ ફરજો અદા કરે નહિ તો તે વિના મૂલ્યે છૂટી થાય.


આવેશી હુમલાનાં કાર્યો માટે નિયમો

12 “જે કોઈ અન્ય માણસને મારીને તેની હત્યા કરે તો તેને મોતની સજા થાય.

13 પરંતુ જો કોઈ માણસ ખૂન કરવાના ઇરાદાથી છુપાઈ રહ્યો ના હોય પણ ઈશ્વર તેના હાથમાં કોઈને સોંપે અને હત્યા કરાય તો તેને નાસી જવા માટે હું આશ્રયસ્થાન નિયત કરીશ, ત્યાં તે નાસી જશે.”

14 “પરંતુ જો કોઈ ક્રોધે ભરાઈને જાણી જોઈને બીજાની હત્યા કરે, પોતાના પડોશી પર ઘસી જઈને તેને દગાથી મારી નાખે; તો તેને મારી વેદી આગળથી લઈ જઈને પણ શિક્ષારૂપે તેને મારી નાખવો.”

15 અને જો કોઈ પોતાના પિતાને કે માતાને મારે, તો તેને નક્કી મૃત્યુની સજા થાય.

16 જો કોઈ ચોરીછૂપીથી માનવહરણ કરે અને તેને વેચે, અથવા તો તેને પોતાના તાબામાં રાખે, તો તેને નક્કી મૃત્યુની સજા થાય.

17 અને જો કોઈ પોતાના પિતાને કે માતાને શાપ આપે તો પણ તેને મૃત્યુની સજા થાય.

18 અને જો કોઈ બે માણસો એક બીજા સાથે ઝઘડો કરતા હોય, અને તેમાંનો એક જણ બીજાને પથ્થરથી કે મુઠ્ઠીથી એવો મારે કે તે મરી ન જાય પરંતુ પથારીવશ થાય.

19 પછી જ્યારે તે સાજો થઈને લાકડી લઈને હરતો-ફરતો થઈ જાય, તો જે માણસે તેને માર્યો હોય તે છૂટી જાય ખરો, પરંતુ તેણે પેલા માણસને સમય અને કામની નુકસાની ભરપાઈ કરવી અને સંપૂર્ણ સાજો થાય ત્યાં સુધીની સારવારની તથા અન્ય જવાબદારી મારનારની રહે.

20 અને જો કોઈ માણસ પોતાના ગુલામ કે દાસીને લાકડી વડે મારે અને તેનું મૃત્યુ થાય, તો મારનાર ગુનેગાર ગણાય અને સજાપાત્ર બને.

21 પરંતુ જો તે ગુલામ કે દાસી એક કે બે દિવસ જીવતું રહે, તો તેના માલિકને સજા થાય નહિ. કારણ એ ગુલામ કે દાસી તેની પોતાની સંપત છે.

22 જો કોઈ માણસો લડતા-ઝઘડતા હોય ત્યારે તેમાંનો કોઈ ગર્ભવતી સ્ત્રીને ઈજા પહોંચાડે અને તે સ્ત્રી તેના બાળકને પૂરા સમય પહેલાં જન્મ આપે પણ ગંભીર ઈજા ના થાય તો તે સ્ત્રીનો પતિ માગે તેટલો દંડ ન્યાયાધીશના ચુકાદા પ્રમાણે ઈજા પહોંચાડનારે આપવો.

23 પણ જો ઈજા પછી બીજું કંઈ નુકસાન થાય, તો તેની શિક્ષા જીવને બદલે જીવ.

24 આંખને બદલે આંખ, દાંતને બદલે દાંત, હાથને બદલે હાથ, પગને બદલે પગ.

25 દઝાડવાને બદલે દઝાડવું, ઘાને બદલે ઘા, ચીરાના બદલે ચીરો એ પ્રમાણે બદલો લેવો.

26 અને જો કોઈ માણસ પોતાના ગુલામ કે દાસીને આંખ પર મારીને તેને ફોડી નાખે, તો તેણે આંખની નુકસાનીના બદલામાં તેઓને છૂટાં કરી દેવાં.

27 અને જો તે પોતાના ગુલામનો કે દાસીનો દાંત તોડી નાખે, તો તેના દાંતની નુકસાનીના બદલામાં તેઓને મુક્ત કરી દેવા.


મિલકત વિષે નિયમ

28 વળી જો કોઈ બળદ સ્ત્રી કે પુરુષને શિંગડું મારે, તેથી તેનું મૃત્યુ થાય, તો તે બળદને પથ્થરા મારીને મારી નાખવો. અને તેનું માંસ ખાવું નહિ, બળદનો માલિક ગુનેગાર ગણાય નહિ.

29 પણ જો તે બળદને પહેલેથી જ શિંગડું મારવાની ટેવ હોય અને તે વિષે તેનો માલિક જાણતો હોય, તેમ છતાં તેણે તેને કાબૂમાં રાખ્યો ના હોય અને તે બળદ કોઈ પુરુષ કે સ્ત્રીને મારી નાખે, તો તે બળદને પથ્થરો મારીને મારી નાખવો અને તેના માલિકને પણ મોતની સજા કરવી.

30 પરંતુ મૃત્યુની સજાને બદલે જો તેનો દંડ કરવામાં આવ્યો હોય, તો બળદના જીવના બદલામાં જે કાંઈ મૂલ્ય ઠરાવવામાં આવે તે તેણે ચૂકવવું.

31 અને જો બળદે કોઈના પુત્ર કે પુત્રીને શિંગડું માર્યું હોય, તો પણ આ જ કાનૂન લાગુ પડે.

32 જો એ બળદ કોઈ ગુલામ કે દાસીને શિંગડું મારે તો તેના માલિકે ગુલામ કે દાસીને ત્રીસ તોલા ચાંદી આપવી અને બળદને પથ્થરો મારીને મારી નાખવો.

33 જો કોઈ માણસ ખાડો ખોદે અને તેને ઢાંકે નહિ અને જો તેમાં કોઈનો બળદ કે કોઈનું ગધેડું પડે,

34 તો ખાડાના ખોદનારે નુકસાન ભરપાઈ કરવું. તેણે એ પશુના માલિકને તેની કિંમત જેટલાં નાણાં ભરપાઈ કરવાં. અને મરેલું પશુ પોતે લઈ જવું.

35 અને જો કોઈ માણસનો બળદ બીજાના બળદને શિંગડું મારે અને તે મરી જાય, તો તે બન્ને જીવતા બળદને વેચી નાખે અને તેની કિંમત વહેંચી લે તથા મરેલું પશુ પણ વહેંચી લે.

36 અથવા બળદના માલિકને જો પહેલેથી જ ખબર હોય કે એ બળદને કેટલાક સમયથી મારવાની ટેવ છે અને એના માલિકે એને કાબૂમાં રાખ્યો ન હોય, તો તેનું નુકસાન ભરપાઈ કરી આપવું. બળદને બદલે બળદ આપવો, અને એ મૃત પશુ પણ તેનું થાય.

GUJ-IRV

Creative Commons License

Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.

Bridge Connectivity Solutions Pvt. Ltd.
Lean sinn:



Sanasan