Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

પ્રે.કૃ. 26 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019


આગ્રીપા આગળ પોતાનો બચાવ

1 આગ્રીપાએ પાઉલને કહ્યું કે, તને તારી હકીકત જણાવવાની રજા છે; ત્યારે પાઉલે હાથ લંબાવીને પ્રત્યુત્તર આપ્યો કે

2 ઓ આગ્રીપા રાજા, યહૂદીઓ જે સંબંધી મારા પર આરોપ મૂકે છે, તે બધી બાબતો વિષે મારે આજે આપની આગળ પ્રત્યુત્તર આપવાનો છે તેથી હું પોતાને આશીર્વાદિત ગણું છું;

3 વિશેષે કરીને જે રિવાજો તથા મતો યહૂદીઓમાં ચાલે છે, તે સર્વ વિષે તમે પરિચિત છો, માટે હું આપને વિનંતી કરું છું કે, ધીરજથી મારું સાંભળો.

4 બાળપણથી લઈને જે વર્તન મારા પોતાના લોકમાં તથા યરુશાલેમમાં હું કરતો આવ્યો છું, તે બધા યહૂદીઓ જાણે છે.

5 જો તેઓ સાક્ષી આપવા માગે, તો તેઓ મારે વિષે પહેલાંથી જાણે છે કે અમારા ધર્મના સર્વથી ચુસ્ત પંથના નિયમ પ્રમાણે હું ફરોશી હતો.

6 હવે ઈશ્વરે જે વચન અમારા પૂર્વજોને આપ્યું હતું તે (વચન) ની આશાને લીધે હું મારો ન્યાય કરાવવાને અહીં ઊભો છું;

7 અમારાં બારે કુળો પણ (ઈશ્વરની) સેવા આતુરતાથી રાત દિવસ કરતાં તે (વચન) ની પૂર્ણતાની આશા રાખે છે; અને હે રાજા, એ જ આશાને લઈને યહૂદીઓ મારા પર આરોપ મૂકે છે!

8 ઈશ્વર મરણ પામેલાઓને પાછાં ઉઠાડે, એ આપને કેમ અશક્ય લાગે છે?

9 હું તો (પ્રથમ) મારા મનમાં એવું વિચારતો હતો કે, ઈસુ નાઝારીના નામની વિરુદ્ધ મારે ઘણું કરવું જોઈએ.

10 મેં યરુશાલેમમાં પણ તેમ જ કર્યું; મુખ્ય યાજકોથી અધિકાર પ્રાપ્ત કરીને સંતોમાંના ઘણાને મેં જેલમાં પુરાવ્યા, અને તેઓને મારી નખાતા હતા ત્યારે મેં તેઓની વિરુદ્ધ મત આપ્યો.

11 સર્વ સભાસ્થાનોમાં મેં ઘણી વાર તેઓને શિક્ષા કરીને તેઓની પાસે દુર્ભાષણ કરાવવા પ્રયત્ન કર્યા; તેઓ પર અત્યંત ક્રોધાયમાન થઈને પરદેશી શહેરોમાં જઈને પણ તેઓને સતાવ્યા.


પાઉલ પોતાના બદલાણ વિષે જણાવે છે
પ્રે.કૃ. 9:1-19 ; 22:6-16

12 એ કામ માટે મુખ્ય યાજકો પાસેથી અધિકાર તથા પરવાનો મેળવીને હું દમસ્કસ જતો હતો.

13 ત્યારે, હે રાજા, બપોરના સમયે માર્ગમાં સૂર્યના તેજ કરતા વધારે પ્રકાશિત એવો પ્રકાશ આકાશથી મારી તથા મારી સાથે ચાલનારાંઓની આસપાસ ચમકતો મેં જોયો.

14 ત્યારે અમે બધા જમીન પર પડી ગયા, પછી એક વાણી મેં સાંભળી, તેણે હિબ્રૂ ભાષામાં મને કહ્યું કે, ‘શાઉલ, શાઉલ, તું મને કેમ સતાવે છે?’ આરને લાત મારવી તને કઠણ છે.

15 ત્યારે મેં કહ્યું કે, ‘પ્રભુ, તમે કોણ છો?’ અને પ્રભુએ કહ્યું કે, હું ઈસુ છું, જેને તું સતાવે છે.’”

16 પણ ઊઠ, ઊભો થા, કેમ કે હું તને મારો સેવક ઠરાવું, અને મારા વિષે જે જે તે જોયું છે તથા જે દર્શન હું હવે પછી તને આપીશ, તે વિષે તને સાક્ષી ઠરાવું, એ હેતુથી મેં તને દર્શન આપ્યું છે.

17 આ લોકો તથા બિનયહૂદીઓ કે જેઓની પાસે હું તને મોકલું છું તેઓથી હું તારું રક્ષણ કરીશ,

18 કે તું તેઓની આંખો ખોલે, તેઓને અંધકારમાંથી અજવાળામાં તથા શેતાનના અધિકાર નીચેથી ઈશ્વરની તરફ ફેરવે, એ સારું કે તેઓ પાપની માફી તથા જેઓ મારા પરના વિશ્વાસથી પવિત્ર થયા છે, તેઓમાં વારસો પામે.’”


પાઉલ પોતાના સેવાકાર્ય વિષે કહે છે

19 તે માટે, ઓ આગ્રીપા રાજા, એ આકાશી દર્શનને હું આધીન થયો.

20 પણ પહેલાં દમસ્કસના, યરુશાલેમના, તથા યહૂદિયાના બધા પ્રાંતોના લોકોને તથા બિનયહૂદીઓને પણ ઉપદેશ આપ્યો કે તમે પસ્તાવો કરીને તથા ઈશ્વરની તરફ ફરીને પસ્તાવો કરનારને શોભે એવાં સુકૃત્યો કરો.

21 એ કારણ માટે યહૂદીઓએ ભક્તિસ્થાનમાં મને પકડીને મારી નાખવાની કોશિશ કરી.

22 પરંતુ ઈશ્વરના સામર્થ્યથી હું આજ સુધી ટકી રહ્યો છું, અને નાના મોટાને સાક્ષી આપું છું, પ્રબોધકો તથા મૂસા જે જે બનવાની બીનાઓ વિષે બોલ્યા હતા તે સિવાય હું બીજું કંઈ કહેતો નથી;

23 એટલે કે ખ્રિસ્ત (મરણની) વેદના સહે અને તે પ્રથમ મરણમાંથી પાછા ઊઠ્યાંથી લોકોને તથા બિનયહૂદીઓને પ્રકાશ આપે.

24 પાઉલ આ પ્રમાણે પ્રત્યુત્તર આપતો હતો, ત્યારે ફેસ્તસે મોટે અવાજે કહ્યું કે, ‘પાઉલ તું પાગલ છે, પુષ્કળ ડહાપણને કારણે તુ પાગલ થઈ ગયો છે.’”

25 પણ પાઉલે કહ્યું કે, ‘ઓ નેકનામદાર ફેસ્તસ, હું પાગલ નથી, પણ સત્યની તથા જ્ઞાનની વાતો કહું છું.

26 કેમ કે આ રાજા કે જેમની આગળ પણ હું મુક્ત રીતે બોલું છું તે એ વિષે જાણે છે, કેમ કે મને ખાતરી છે કે તેઓમાંની કોઈ વાત તેમનાથી ગુપ્ત નથી; કારણ કે એમાંનું કશું ખૂણામાં બન્યું નથી.

27 હે આગ્રીપા રાજા, ‘શું આપ પ્રબોધકો (ની વાતો) પર વિશ્વાસ કરો છો?’ હા, હું જાણું છું કે આપ વિશ્વાસ કરો છો.’”

28 ત્યારે આગ્રીપાએ પાઉલને કહ્યું કે, ‘તું તો થોડા જ પ્રયાસથી તું મને ખ્રિસ્તી બનાવવા માગે છે.’”

29 પાઉલે કહ્યું કે, ‘ઈશ્વર કરે કે ગમે તો થોડા પ્રયાસથી કે વધારેથી, એકલા આપ જ નહિ પણ જેઓ આજ મારું સાંભળે છે તેઓ સર્વ પણ આ બેડીઓ સિવાય, મારા જેવો થાય.’”

30 પછી રાજા, રાજ્યપાલ, બેરનીકે તથા તેઓની સાથે બેઠેલા સર્વ ઊઠ્યાં;

31 તેઓએ એકાંતમાં જઈને પરસ્પર વાત કરી કે, ‘એ માણસે મરણની શિક્ષા અથવા કેદની સજાને યોગ્ય કંઈ જ ગુનો કર્યો નથી.’”

32 ત્યારે આગ્રીપાએ ફેસ્તસને કહ્યું કે, ‘જો એ માણસે કાઈસારની પાસે દાદ માગી ન હોત તો એને છોડી દેવામાં આવત.’”

GUJ-IRV

Creative Commons License

Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.

Bridge Connectivity Solutions Pvt. Ltd.
Lean sinn:



Sanasan