ગીતશાસ્ત્ર 53 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)મુખ્ય ગવૈયાને માટે; રાગ માહલાથ. દાઉદનું માસ્કીલ. ( ગી.શા. ૧૪ ) માણસોની દુષ્ટતા 1 મૂર્ખે પોતાના મનમાં માન્યું છે, “ઈશ્વર છે જ નહિ.” તેઓએ ભ્રષ્ટ થઈને ધિક્કારવા લાયક ભૂંડાઈ કરી છે. ભલું કરનાર કોઈ નથી. 2 સમજણો કે ઈશ્વરને શોધનાર કોઈ માણસ છે કે નહિ, તે જોવાને ઈશ્વરે આકાશથી મનુષ્યજાત પર દષ્ટિ કરી. 3 તેઓમાંનો દરેક માર્ગભ્રષ્ટ થયો છે; તેઓ સર્વ અશુદ્ધ થયા છે; ભલું કરનાર કોઈ રહ્યો નથી, એક પણ નથી. 4 શું ભૂંડું કરનારા કંઈ સમજતાં નથી? તેઓ રોટલા ખાતા હોય તેમ મારા લોકને ખાઈ જાય છે, વળી તેઓ ઈશ્વરને વિનંતી કરતા નથી. 5 જ્યાં ભય ન હતો ત્યાં તેઓ ઘણા ભયભીત થયા; કેમ કે જે તમારી સામે છાવણી નાખે છે તેઓનાં હાડકાં ઈશ્વરે વિખેરી નાખ્યાં છે; તમે તેઓને ફજેત કર્યા છે, કેમ કે ઈશ્વરે તેઓને ધિક્કાર્યા હતા. 6 સિયોનમાંથી ઇઝરાયલનું તારણ વહેલું આવે [તો કેવું સારું] ! ઈશ્વર પોતાના લોકને બંધનમાંથી છોડાવીને [આબાદ કરશે] , ત્યારે યાકૂબ હરખાશે, [ને] ઇઝરાયલ આનંદ કરશે. |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India