નીતિવચનો 2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)જ્ઞાનનો પુરસ્કાર 1 મારા દીકરા, જો તું મારાં વચનોનો અંગીકાર કરશે, અને મારી આજ્ઞાઓને તારી પાસે સંઘરી રાખીને, 2 જ્ઞાન તરફ તારો કાન ધરશે, અને બુદ્ધિમાં તારું મન પરોવશે; 3 જો તું વિવેકબુદ્ધિને માટે ઘાંટો પાડશે, અને સમજણ મેળવવાને માટે ખંત રાખશે; 4 જો તું રૂપાની જેમ તેને ઢૂંઢશે, અને દાટેલા દ્રવ્યની જેમ તેની શોધ કરશે; 5 તો તને યહોવાના ભયની સમજણ પડશે, અને ઈશ્વરનું જ્ઞાન તારે હાથ લાગશે. 6 કેમ કે યહોવા જ્ઞાન આપે છે; તેમના મુખમાંથી ડહાપણ તથા બુદ્ધિ [નીકળે છે] ; 7 તે સત્યજનોને માટે ખરું જ્ઞાન સંગ્રહ કરી રાખે છે, પ્રામાણિકપણાથી વર્તનારને તે ઢાલરૂપ છે; 8 જેથી તે ન્યાયના રસ્તાની સંભાળ રાખે, અને પોતાના ભક્તોના માર્ગનું રક્ષણ કરે. 9 ત્યારે તું નેકી, ન્યાય તથા ઇનસાફને, હા, તું દરેક સત્યમાર્ગને સમજશે. 10 તારા હ્રદયમાં જ્ઞાન પ્રવેશ કરશે, અને સમજ તારા મનને ખુશકારક લાગશે. 11 વિવેકબુદ્ધિ તારા પર ચોકી કરશે, બુદ્ધિ તારું રક્ષણ કરશે; 12 [તેઓ] તને દુષ્ટ માણસોના માર્ગમાંથી, તથા આડું બોલનાર માણસો કે, 13 જેઓ સદાચારના રસ્તાઓ તજીને અંધકારના માર્ગોમાં ચાલે છે; 14 જેઓ દુષ્ટતા કરવામાં આનંદ માને છે, ને દુષ્ટ માણસોનાં વિપરીત આચરણોથી હરખાય છે; 15 જેઓનાં માર્ગો વાંકા, તથા જેમના રસ્તા અવળા છે, તેમનાથી તેઓ તને ઉગારશે; 16 [વળી તેઓ] તને પરનારીથી, એટલે પોતાના શબ્દોથી મોહ પમાડનાર પરસ્ત્રીથી ઉગારશે; 17 તે તો પોતાની યુવાવસ્થાના મિત્રને તજી દે છે, અને ઈશ્વરની આગળ કરેલો પોતાનો કરાર ભૂલી જાય છે; 18 કેમ કે તેનું ઘર મૃત્યુ તરફ અને તેના માર્ગ મૂએલા તરફ ઢળતા છે; 19 તેની પાસે જનારાઓમાંનો કોઈ પાછો આવતો નથી, તેઓ જીવનનો માર્ગ સંપાદન કરી શક્તા નથી. 20 તું સજ્જનોના માર્ગમાં ચાલશે, અને નેક લોકોનો રસ્તો પકડી રાખશે. 21 સદાચારીઓ દેશમાં વસશે, અને નીતિસંપન્ન લોક તેમાં જીવતા રહેશે. 22 પણ દુષ્ટો દેશ પરથી નાબૂદ થશે, અને કપટ કરનારાઓ તેમાંથી પૂરેપૂરા ઊખેડી નાખવામાં આવશે. |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India