નીતિવચનો 17 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 જે ઘર મિજબાનીથી ભરપૂર હોય પણ કજિયાકંકાસવાળું હોય તેના કરતાં શાંતિ સહિત રોટલીનો સૂકો ટુકડો સારો છે. 2 ડહાપણથી વર્તનાર ચાકર બદનામી કરાવનાર દીકરા પર અધિકાર ચલાવશે. અને એ ચાકરને દીકરાના ભાઈઓમાં વારસાનો ભાગ મળશે. 3 રૂપાને ગાળવા માટે કુલડી હોય છે, અને સોનાને માટે ભઠ્ઠી હોય છે; પણ અંત:કરણને પારખનાર યહોવા છે. 4 દુષ્કર્મી દુષ્ટ હોઠો પર લક્ષ આપે છે; અને જૂઠો નુકસાનકારક જીભ તરફ કાન ધરે છે. 5 જે ગરીબની મશ્કરી કરે છે તે તેના સરજનહારની નિંદા કરે છે; જે કોઈ વિપત્તિને દેખીને રાજી થાય છે તે શિક્ષા પામ્યા વગર રહેશે નહિ. 6 છોકરાંનાં છોકરાં વૃદ્ધ પુરુષનો મુગટ છે; અને છોકરાંનો મહિમા તેઓના પિતાઓ છે. 7 ઉત્તમ ભાષણ મૂર્ખને ઘટતું નથી; તેમ સરદારોને જૂઠા હોઠો વિશેષ અઘટિત છે. 8 જેને બક્ષિસ મળે છે, તેની નજરમાં તે મૂલ્યવાન મણિ જેવી છે; જ્યાં જ્યાં તે જાય છે, ત્યાં ત્યાં તે ઉદય પામે છે 9 દોષને ઢાંકનાર પ્રેમ શોધે છે; પણ અમુક બાબત વિષે બોલ્યા કરનાર ઇષ્ટ મિત્રોમાં અંતર પાડે છે. 10 મૂર્ખને સો ફટકાના કરતાં, બુદ્ધિમાનને ઠપકાનો ઘા વધારે ઊંડી અસર કરે છે. 11 ભૂંડો માણસ ફક્ત બળવો શોધે છે; તે માટે તેની સામે ક્રૂર સંદેશિયો મોકલવામાં આવશે. 12 જેનાં બચ્ચાં છીનવી લીધાં હોય એવી રીંછણ કોઈને મળજો, પણ મૂર્ખાઈ કરતો મૂર્ખ કોઈને ન મળો. 13 જે કોઈ ભલાઈનો બદલો ભૂંડાઈથી વાળે છે, તેના ઘરમાંથી હાનિ દૂર થશે નહિ. 14 કોઈ પાણીને નીકળવાનું [બાકું] કરી આપે, તે માફક જ ઝઘડાનો આરંભ છે; માટે ઝઘડો થયા પહેલાં તકરાર મૂકી દો. 15 જે કોઈ દુષ્ટને નિર્દોષ ઠરાવે છે, ને જે કોઈ નેકીવાનને દોષપાત્ર ઠરાવે છે, તેઓ બંનેથી સરખી રીતે યહોવા કંટાળે છે. 16 જ્યારે મૂર્ખને બુદ્ધિ નથી ત્યારે જ્ઞાન ખરીદવા તેના હાથમાં મૂલ્ય ક્યાંથી હોય? 17 મિત્ર સર્વ સમયે પ્રેમ રાખે છે, અને ભાઈ પડતી દશાને માટે જન્મ્યો છે. 18 બુદ્ધિહીન માણસ વચન આપીને પોતાના પડોશીનો જામીન થાય છે. 19 કજિયો ચાહનાર ગુનો ચાહે છે; જે પોતાનો દરવાજો ઊંચો કરે છે તે પોતાનો નાશ શોધે છે. 20 વિપરીત મનવાળા માણસનું હિત થતું નથી; અને આડી જીભવાળો હાનિમાં આવી પડે છે. 21 જેને પેટે મૂર્ખ પડે છે તેને ખેદ થાય છે; અને મૂર્ખના પિતાને આનંદ નથી. 22 આનંદી હ્રદય એ ઉત્તમ ઔષધ છે; પણ ઘાયલ થયેલું મન હાડકાંને સૂકવી નાખે છે. 23 દુષ્ટ માણસ છાની રીતે લાંચ લઈને ઇનસાફના માર્ગ ઊંઘા વાળે છે. 24 બુદ્ધિમાન પુરુષની દષ્ટિ જ્ઞાન ઉપર જ હોય છે; પણ મૂર્ખની આંખો પૃથ્વીના છેડા પર ચોંટેલી હોય છે. 25 મૂર્ખ દીકરો પોતાના પિતાને ખેદરૂપ છે, તે પોતાની માતાને દુ:ખરૂપ છે. 26 વળી નેકીવાનને દંડ કરવો, તથા પ્રામાણિકપણાને લીધે સજ્જનોને મારવા એ યોગ્ય નથી. 27 થોડાબોલો માણસ શાણો છે; અને ઠંડા મિજાજનો માણસ બુદ્ધિમાન હોય છે. 28 મૂર્ખ છાનો રહે ત્યાં સુધી તે ડાહ્યો ગણાય છે; હોઠ બંધ રાખે ત્યાં સુધી તે શાણો [લેખાય] છે. |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India