નીતિવચનો 15 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 નમ્ર ઉત્તર ક્રોધને શાંત કરી દે છે; પણ કઠોર શબ્દો રીસ ચઢાવે છે; 2 જ્ઞાનીની જીભ ખરી સમજ ઊચરે છે; પણ મૂર્ખો પોતાને મુખે મૂર્ખાઈને વહેતી મૂકે છે. 3 યહોવાની દષ્ટિ સર્વ સ્થળે છે, તે ભલા અને ભૂંડા પર લક્ષ રાખે છે. 4 નિર્મળ જીભ જીવનનું ઝાડ છે; પણ તેની કુટિલતા મનને ભાંગી નાખે છે. 5 મૂર્ખ પોતાના પિતાની શિખામણને તુચ્છ ગણે છે; પણ ઠપકાને લક્ષમાં લેનાર શાણો થાય છે. 6 નેકીવાનના ઘરમાં ધનનો ભંડાર છે; પણ દુષ્ટની પેદાશમાં સંકટ છે. 7 જ્ઞાનીના હોઠો જ્ઞાનનો ફેલાવ કરે છે; પણ મૂર્ખનું હ્રદય એમ કરતું નથી. 8 દુષ્ટના યજ્ઞાર્પણથી યહોવાને કંટાળો આવે છે; પણ પ્રામાણિકની પ્રાર્થનાથી તેમને આનંદ થાય છે. 9 દુષ્ટના માર્ગથી યહોવા કંટાળે છે; પણ નેકીને અનુસરનાર પર તે પ્રેમ કરે છે. 10 માર્ગ તજનારને ભારે શિક્ષા થશે; અને ઠપકાને ધિક્કારનાર માર્યો જશે. 11 શેઓલ તથા અબદોન [વિનાશ] યહોવાની આગળ [ખુલ્લાં] છે; તો માણસોનાં હ્રદય કેટલાં વિશેષ [ખુલ્લાં હોવાં જોઈએ] ! 12 તિરસ્કાર કરનાર ઠપકો ખમવા ચાહતો નથી; તે જ્ઞાનીની પાસે પણ જવા ઇચ્છતો નથી; 13 અંત:કરણનો આનંદ ચહેરાને પ્રફુલ્લિત કરે છે; પણ હ્રદયના ખેદથી મન ભાંગી જાય છે. 14 બુદ્ધિમાનનું અંત:કરણ ડહાપણ શોધે છે; પણ મૂર્ખોનું મુખ મૂર્ખાઈનો આહાર કરે છે. 15 વિપત્તિવાનના સર્વ દિવસો ભૂંડા છે; પણ ખુશ અંત:કરણવાળાને સદા મિજબાની છે. 16 ઘણું ધન હોય પણ તે સાથે સંકટ હોય, તેના કરતાં, થોડું [ધન] હોય પણ તે સાથે યહોવાનું ભય હોય, તો તે ઉત્તમ છે. 17 વૈરીને ત્યાં પુષ્ટ બળદના ભોજન કરતાં પ્રેમી જનને ત્યાં ભાજીનું [ભોજન] ઉત્તમ છે. 18 ક્રોધી માણસ ઝઘડો ઊભો કરે છે; પણ રીસ કરવે ધીમો માણસ કજિયો સમાવી દે છે. 19 આળસુનો માર્ગ કાંટાની વાડ જેવો છે; પણ પ્રામાણિકનો પંથ સડક જેવો [સરળ] છે. 20 ડાહ્યો દીકરો પોતાના પિતાને સુખી કરે છે; પણ મૂર્ખ માણસ પોતાની માને તુચ્છ ગણે છે. 21 અજ્ઞાનીને મૂર્ખાઈ આનંદરૂપ લાગે છે; પણ બુદ્ધિમાન માણસ પોતાની વર્તણૂક સીધી રાખે છે. 22 સલાહ [લીધા] વગરના ઇરાદા રદ જાય છે; પણ પુષ્કળ સલાહકારીઓ હોય તો તેઓ પાર પડે છે. 23 પોતાને મુખે આપેલા [યોગ્ય] ઉત્તરથી માણસને આનંદ થાય છે; અને વખતસર [બોલેલો] શબ્દ કેવો સારો છે! 24 જ્ઞાનીને તેનો માર્ગ ઊંચો ચઢીને જીવનમાં પહોંચાડે છે, તે નીચેના શેઓલથી દૂર જાય છે. 25 યહોવા અભિમાનીનું ઘર સમૂળગું ઉખેડી નાખશે; પણ વિધવાની હદ તે કાયમ રાખશે. 26 દુષ્ટની યોજનાઓથી યહોવા કંટાળે છે; પણ પવિત્રોના બોલ તેને સુખદાયક છે. 27 દ્રવ્યલોભી પોતાના જ કુટુંબને હેરાન કરે છે; પણ લાંચને ધિક્કારનાર આબાદ થશે. 28 સદાચારી વિચાર કરીને ઉત્તર આપે છે; પણ દુષ્ટ પોતાને મુખે ભૂંડી વાતો વહેતી મૂકે છે. 29 યહોવા દુષ્ટથી દૂર છે; પણ તે સદાચારીની પ્રાર્થના સાંભળે છે. 30 આંખોના અજવાળાથી અંત:કરણને આનંદ થાય છે; અને સારા સમાચાર હાડકાંને પુષ્ટ કરે છે. 31 જે ઠપકાનું પરિણામ જીવન છે તે પર જે કાન ધરે છે તે જ્ઞાનીઓમાં ગણાશે. 32 શિખામણનો ત્યાગ કરનાર પોતે પોતાના જ આત્માને તુચ્છ ગણે છે; પણ ઠપકાને ગણકારનાર બુદ્ધિ પ્રાપ્ત કરે છે. 33 યહોવાનું ભય જ્ઞાનનું શિક્ષણ છે; પહેલી દીનતા છે ને પછી માન છે. |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India