નીતિવચનો 13 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 ડાહ્યો દીકરો પોતાના પિતાની શિખામણ [માને છે] ; પણ તિરસ્કાર કરનાર માણસ ઠપકાને કાન દેતો નથી. 2 માણસ પોતાના શબ્દોથી હિતકારક ફળ ખાશે; પણ કપટીનો જીવ જુલમ [વેઠશે]. 3 પોતાનું મુખ સાચવીને બોલનાર પોતાના જીવનું રક્ષણ કરે છે; પણ પહોળા મુખથી બોલનારનો વિનાશ થશે. 4 આળસુનો જીવ ઇચ્છા કરે છે, પણ તેને કંઈ મળતું નથી; પણ ઉદ્યોગીના જીવને પુષ્ટ કરવામાં આવશે. 5 સદાચારી માણસ જૂઠનો ધિક્કાર કરે છે; પણ દુષ્ટ માણસ કંટાળો આપે છે, અને બદનામ થાય છે. 6 સદાચારી યથાર્થી માણસોનું રક્ષણ કરે છે; પણ દુષ્ટતા પાપીને ઉથલાવી નાખે છે. 7 એવા [લોકો] છે કે જે દ્રવ્ય પ્રાપ્ત કરવા છતાં છેક કંગાલ હોય છે; એવા પણ છે કે જે પોતાને દરિદ્રી બનાવી દેવા છતાં ધનાઢ્ય હોય છે. 8 દ્રવ્યવાનના જીવનો બદલો તેનું દ્રવ્ય છે; પણ દરિદ્રીને ધમકી સાંભળવી પડતી નથી. 9 નેકીવાનોનો પ્રકાશ આનંદ છે; પણ દુષ્ટોનો દીવો હોલવી નાખવામાં આવશે. 10 અભિમાનથી તો કેવળ તકરાર ઉત્પન્ન થાય છે. પણ સારી સલાહ માનનારાઓ પાસે જ્ઞાન છે. 11 ખોટે રસ્તે મેળવેલું દ્રવ્ય ઘટી જશે; પણ મહેનતથી સંગ્રહ કરનારની પાસે તેનો વધારો થશે. 12 આશા [નું ફળ મળવામાં] વિલંબ થયાથી અંત:કરણ ઝૂરે છે; પણ ઇચ્છાનું ફળ મળે છે ત્યારે તે જીવનવૃક્ષ છે. 13 વચનને તુચ્છ ગણનારનો નાશ થાય છે; પણ આજ્ઞાનું ભય રાખનારને બદલો મળશે. 14 મોતના ફાંદાઓમાંથી છૂટી જવાને માટે, જ્ઞાનીનું શિક્ષણ જીવનનો ઝરો છે. 15 સારી સમજણવાળાને કૃપા મળે છે; પણ કપટીનો માર્ગ ખરબચડો છે. 16 પ્રત્યેક ડાહ્યો માણસ બુદ્ધિથી કામ કરે છે; પણ મૂર્ખ [પોતાની] મૂર્ખાઈ ફેલાવે છે. 17 દુષ્ટ સંદેશિયો હાનિમાં પડે છે; પણ વિશ્વાસુ એલચી આરોગ્યરૂપ છે. 18 જે શિખામણનો ત્યાગ કરે છે તેને દરિદ્રતા તથા બદનામી [મળશે] ; પણ જે ઠપકાને ગણકારશે તે માન પામશે. 19 ઇચ્છાની તૃપ્તિ આત્માને મીઠી લાગે છે; પણ દુષ્ટતાથી દૂર થવું એ મૂર્ખોને કંટાળારૂપ છે. 20 જો તું જ્ઞાની પુરુષોની સંગત કરશે, તો તું જ્ઞાની થશે, પણ જે મૂર્ખનો સાથી છે તેને નુકસાન થશે. 21 પાપીઓની પાછળ નુકસાન લાગેલું રહે છે; પણ નેકીવાનોને હિતકારક બદલો મળશે. 22 સારો માણસ પોતાનાં છોકરાંનાં છોકરાંને માટે વારસો મૂકી જાય છે; અને પાપીનું ધન નેકીવાનને માટે ભરી મૂકવામાં આવે છે. 23 ગરીબોની ખેતીમાં ઘણું અન્ન [નીપજે છે] ; પરંતુ અન્યાયના કારણથી નાશ પામનારા [માણસો] પણ છે. 24 જે સોટી મારતો નથી, તે પોતાના દીકરાનો વૈરી છે; પણ તેના પર પ્રેમ કરનાર તેને વેળાસર શિક્ષા કરે છે. 25 નેકીવાન પોતાને સંતોષ થતાં સુધી ખાય છે; પણ દુષ્ટનું પેટ ભૂખ્યું ને ભૂખ્યું રહેશે. |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India