નીતિવચનો 11 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 ખોટાં ત્રાજવાં યહોવાને કંટાળારૂપ છે; પણ અદલ વજનિયાંથી તે રાજી થાય છે. 2 અહંકાર આવે છે, ત્યારે ફજેતી પણ આવે છે; પણ નમ્રજનો પાસે જ્ઞાન હોય છે. 3 પ્રામાણિક માણસોની નેકી તેઓને દોરશે; પણ ધુતારાઓ પોતાના કપટથી નાશ પામશે. 4 કોપને દિવસે દ્રવ્ય કંઈ કામ આવતું નથી; પણ નેકી મોતથી ઉગારે છે. 5 યથાર્થીની નેકી તેનો માર્ગ સીધો કરે છે; પણ દુષ્ટ પોતાની જ દુષ્ટતાથી પાયમાલ થશે. 6 પ્રામાણિક માણસો પોતાની નેકીથી બચી જશે; પણ કપટ કરનારાઓ તેમની પોતાની જ [યોજનામાં] સપડાઈ જશે. 7 દુષ્ટ માણસની અપેક્ષા તેના મૃત્યુસમયે નાશ પામશે; અને અન્યાયીની આશા નાશ પામે છે. 8 સદાચારીને સંકટમાંથી છૂટો કરવામાં આવે છે, અને તેને સ્થાને દુષ્ટ આવે છે. 9 અધર્મી પોતાને મોઢેથી પોતાના પડોશીનો નાશ કરે છે; પણ સમજદારીથી સદાચારીનો બચાવ થશે. 10 નેક માણસોની આબાદીમાં નગર હરખાય છે; અને દુષ્ટોનો નાશ થાય છે ત્યારે હર્ષના નાદ સંભળાય છે. 11 પ્રામાણિકની આશિષથી નગરની ઉન્નતિ થાય છે; પણ દુષ્ટના મોઢાથી તો તે પાયમાલ થાય છે. 12 પોતાના પડોશીને તુચ્છ માનનાર અજ્ઞાન છે; પણ બુદ્ધિમાન માણસ છાનો રહે છે. 13 સ્થળે સ્થળે ફરીને ચાડી કરનાર માણસ છાની વાતોને ઉઘાડી કરે છે; પણ વિશ્વાસુ મનનો માણસ એવી વાત છાની રાખે છે. 14 જ્યાં આગેવાન અજ્ઞાન હોય, ત્યાં લોકો [ખાડામાં] પડે છે; પણ પુષ્કળ સલાહકારો હોય ત્યાં સલામતી છે. 15 પારકાનો જામીન થનારને ખેદ થશે; પણ જામીનગીરીને ધિક્કારનાર નિર્ભય છે. 16 સુશીલ સ્ત્રી આબરૂને સાચવી રાખે છે; અને જુલમી માણસો દ્રવ્ય સાચવી રાખે છે. 17 દયાળુ માણસ પોતાના આત્માનું હિત કરે છે; પણ ઘાતકી માણસ પોતાના દેહને દુ:ખમાં નાખે છે. 18 દુષ્ટની કમાણી ઠગારી છે; પણ નેકીનું બીજ વાવનારને ખચીત બદલો [મળે છે]. 19 જે માણસ નેકીમાં સુદઢ છે તે જીવન [સંપાદન કરે છે] ; પણ ભૂંડું શોધનાર પોતાનું જ મોત [લાવે છે]. 20 વિપરીત અંત:કરણવાળા માણસોથી યહોવા કંટાળે છે; પણ જેઓ પોતાની વર્તણૂકમાં પૂર્ણ છે તેઓ તેને આનંદરૂપ છે. 21 ખાતરીથી [કહું છું] કે દુષ્ટ માણસ શિક્ષા પામ્યા વગર નહિ રહેશે; પણ સદાચારીઓના સંતાનનો બચાવ થશે. 22 જેમ ભૂંડના નાકમાં સોનાની નથણી હોય છે, તેમ વિવેકહીન સ્ત્રીની સુંદરતા છે. 23 નેક માણસની ઇચ્છા ફક્ત શુભ હોય છે; પણ દુષ્ટની અપેક્ષા કોપરૂપ છે. 24 એવા માણસો છે કે જેઓ વેરી નાખે છે તેમ છતાં વૃદ્ધિ કરે છે; વળી એવા પણ છે કે જેઓ ઘટે તે કરતાં વધારે સંઘરી રાખે છે, તોપણ તેઓ માત્ર કંગલાવસ્થામાં આવે છે. 25 ઉદાર જીભ પુષ્ટ થશે; અને પાણી પાનાર પોતે પણ પીશે. 26 અનાજ સંઘરી રાખનારને લોક શાપ આપશે; પણ તે વેચનારના માથા પર આશીર્વાદ રહેશે. 27 ખંતથી હિત શોધનારને [ઇશ્વરની] કૃપા મળે છે; પણ જે નુકસાન શોધે છે, તેના પર તે જ આવી પડશે. 28 પોતાના દ્રવ્ય પર ભરોસો રાખનાર પડી જશે; પણ નેકીવાનો લીલા પાનની માફક ખીલશે. 29 જે પોતાના જ ઘરનાંને દુ:ખ આપે છે, તેને પવનનો વારસો મળશે; અને મૂર્ખ માણસ જ્ઞાનીનો ચાકર થશે. 30 નેકીવાનનું ફળ તે જીવનનું ઝાડ છે; અને જે જ્ઞાની છે તે [બીજા] આત્માઓને બચાવે છે. 31 નેકીવાનોને પૃથ્વી પર બદલો મળશે; તો દુષ્ટ તથા પાપીને બદલો [મળશે] તે કેટલું બધું [ખાતરીભરેલું છે] ! |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India