માર્ક 9 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 અને તેમણે તેઓને કહ્યું, “હું તમને ખરેખર કહું છું કે, અહીં ઊભા રહેનારાઓમાંના કેટલાક એવા છે કે જેઓ પરાક્રમે આવેલું ઈશ્વરનું રાજ્ય જોયા પહેલાં મરણ પામશે જ નહિ.” ઈસુનું રૂપાંતર ( માથ. ૧૭:૧-૧૩ ; લૂ. ૯:૨૮-૩૬ ) 2 અને છ દિવસ પછી ઈસુ પિતરને તથા યાકૂબને તથા યોહાનને સાથે લઈને તેઓને ઊંચા પહાડ ઉપર એકાંતમાં લઈ જાય છે; અને તેઓની આગળ તેમનું રૂપાંતર થયું. 3 અને તેમનાં વસ્ત્ર ઊજળાં, બહુ જ સફેદ થયાં, એવાં કે પૃથ્વીમાં કોઈ પણ ધોબી તેવાં સફેદ કરી ન શકે. 4 અને એલિયા મૂસાની સંઘાતે તેઓને દેખાયો, ને તેઓ ઈસુની સાથે વાત કરતા હતા. 5 અને પિતર ઈસુને કહે છે, રાબ્બી, અહીં રહેવું આપણે માટે સારું છે! તો અમે ત્રણ માંડવા બાંધીએ! એક તમારે માટે, ને એક મૂસાને માટે, ને એક એલિયાને માટે.” 6 કેમ કે શું બોલવું એ તેને સૂઝ્યું નહિ, કેમ કે તેઓ બહુ બીધા હતા. 7 અને એક વાદળું આવ્યું ને તેઓ પર છાયા કરી. અને વાદળામાંથી એવી વાણી થઈ, “આ મારો વહાલો દીકરો છે, તેનું સાંભળો.” 8 અને તત્કાળ ચોતરફ જોઈને તેઓએ પછી પોતાની સાથે એકલા ઈસુ વિના કોઈને જોયા નહિ. 9 અને પહાડ પરથી તેઓ ઊતરતા હતા, ત્યારે તેમણે તેઓને ફરમાવ્યું, “તમે જે જોયું છે તે માણસનો દીકરો મૂએલાંઓમાંથી પાછો ન ઊઠે ત્યાં સુધી કોઈને કહેતા ના.” 10 અને તેઓએ તે વાત મનમાં રાખી, ને ‘મૂએલાંમાંથી પાછા ઊઠવું’ એ શુ હશે તે વિષે અંદરોઅંદર વિવાદ કરતા હતા. 11 અને તેઓએ તેમને પૂછ્યું, “શાસ્ત્રીઓ કેમ કહે છે કે, પહેલાં એલિયાએ આવવું જોઈએ?” 12 અને તેમણે તેઓને કહ્યું, “એલિયા પહેલાં આવીને સર્વને સુધારે છે ખરો; અને માણસના દીકરા વિષે એમ કેમ લખેલું છે કે તેણે ઘણું દુ:ખ સહેવું ને તુચ્છકાર પામવો? 13 પણ હું તમને કહું છું કે એલિયા ખરેખર આવ્યો છે. અને તેના વિષે લખેલું છે તે પ્રમાણે જેમ તેઓએ ચાહ્યું તેમ તેને કર્યું.” ઈસુ અશુદ્ધ આત્મા વળગેલા છોકરાને સાજો કરે છે ( માથ. ૧૭:૧૪-૨૧ ; લૂ. ૯:૩૭-૪૩ ) 14 અને તેઓએ શિષ્યોની પાસે આવીને તેઓની આસપાસ અતિ ઘણા લોકોને તથા તેઓની સાથે વાદવિવાદ કરતા શાસ્ત્રીઓને જોયા. 15 અને તરત તે બધા લોકો તેમને જોઈને બહુ નવાઈ પામ્યા, ને દોડીને તેમને સલામ કરી. 16 અને તેમણે તેઓને પૂછ્યું, “તેઓની સાથે તમે શો વિવાદ કરો છો?” 17 અને લોકોમાંથી એકે તેમને ઉત્તર આપ્યો, “ઉપદેશક, હું મારા દીકરાને તમારી પાસે લાવ્યો, તેને મૂંગો આત્મા વળગેલો છે! 18 અને જ્યાં કંઈ તે તેને પકડે છે, ત્યાં તે તેને પાડી નાખે છે! અને તે ફીણ કાઢે છે, ને દાંત પીસે છે, ને તે તવાતો જાય છે, અને મેં તમારા શિષ્યોને તેને કાઢવાનું કહ્યું; પણ તેઓ કાઢી શક્યા નહિ.” 19 પણ તેમણે ક્હ્યું, “ઓ અવિશ્વાસી પેઢી, હું ક્યાં સુધી તમારી સાથે રહીશ? ક્યાં સુધી હું તમારું ખમીશ? તેને મારી પાસે લાવો.” 20 અને તેઓ તેને તેમની પાસે લાવ્યા, ને એમને જોઈને આત્માએ તરત છોકરાને મરડ્યો; અને જમીન પર પડીને તે ફીણ કાઢતો તરફડવા લાગ્યો. 21 અને તેમણે એના પિતાને પૂછ્યું, “એને આ થયાને કેટલો સમય થયો?” અને તેણે કહ્યું, “બાળપણથી.” 22 અને તેનો નાશ કરવા માટે તેણે ઘણી વખતે તેને આગમાં તથા પાણીમાં પણ નાખી દીધો છે! પણ જો તમે કંઈ કરી શકો તો અમારા પર કરુણા રાખીને અમને મદદ કરો.” 23 પણ ઈસુએ તેને કહ્યું, “જો તું કરી શકે! વિશ્વાસ રાખનારને તો સર્વ શક્ય છે.” 24 અને તરત બાળકના પિતાએ ઘાંટો પાડતાં કહ્યું, “હું વિશ્વાસ કરું છું. મારા અવિશ્વાસ વિષે મને મદદ કરો.” 25 પણ ઘણા લોકો દોડતા આવે છે, એ જોઈને ઈસુએ અશુદ્ધ આત્માને ધમકાવીને કહ્યું, “મૂંગા તથા બહેરા આત્મા, હું તને હુકમ કરું છું કે, તેમાંથી નીકળ, ને ફરી તેમાં ન પેસ.” 26 અને ચીસ પાડીને ને તેને બહુ મરડીને તે નીકળ્યો; અને તે મૂઆ જેવો થઈ ગયો, એવો કે ઘણાખરાએ કહ્યું, “તે મરી ગયો છે.” 27 પણ ઈસુએ તેનો હાથ પકડીને તેને ઉઠાડ્યો; અને તે ઊભો થયો. 28 અને તે ઘરમાં આવ્યા ત્યારે તેમના શિષ્યોએ તેમને એકાંતમાં પૂછ્યું, “અમે કેમ તે કાઢી ન શક્યા?” 29 અને તેમણે તેઓને કહ્યું, “પ્રાર્થના સિવાય બીજો કોઈ ઉપાયથી એ જાત નીકળી શકે એમ નથી.” ઈસુ બીજીવાર પોતાના મૃત્યુની આગાહી કરે છે ( માથ. ૧૭:૨૨-૨૩ ; લૂ. ૯:૪૩-૪૫ ) 30 અને ત્યાંથી નીકળીને તેઓ ગાલીલમાં થઈને ગયા; અને તે કોઈ ન જાણે, એવી તેમની ઇચ્છા હતી. 31 કેમ કે તે પોતાના શિષ્યોને શીખવતા, ને તેઓને કહેતા, “માણસનો દીકરો માણસોના હાથમાં સોંપાયો છે, ને તેઓ તેને મારી નાખશે; અને મારી નંખાયા પછી તે ત્રીજે દિવસે પાછો ઊઠશે.” 32 અને તેઓ આ વાત સમજ્યા નહિ, ને તેમને પૂછતાં બીધા. સૌથી મોટું કોણ? ( માથ. ૧૮:૧-૫ ; લૂ. ૯:૪૬-૪૮ ) 33 અને તેઓ કપર-નાહૂમમાં આવ્યા. અને તે ઘરમાં હતા ત્યારે તેમણે તેઓને પૂછ્યું, “તમે માર્ગમાં શો વિવાદ કરતા હતા?” 34 પણ તેઓ છાના રહ્યા. કેમ કે માર્ગમાં તેઓ અંદરોઅંદર વિવાદ કરતા હતા, “મુખ્ય કોણ છે?” 35 અને તે બેઠા ને બારેને તેડીને તેઓને કહે છે, “જો કોઈ પહેલો થવા ચાહે, તો તે સહુથી છેલ્લો તથા સહુનો સેવક થાય.” 36 અને તેમણે એક બાળક લઈને તેઓની વચમાં ઊભું રાખ્યું; અને તેને ખોળામાં લઈને તેઓને કહ્યું, 37 “જે કોઈ મારે નામે એવાં બાળકોમાંના એકનો સ્વીકાર કરે તે મારો સ્વીકાર કરે છે; અને જે કોઈ મારો સ્વીકાર કરે છે તે કેવળ મારો જ નહિ, પણ જેમણે મને મોકલ્યો છે તેમનો સ્વીકાર કરે છે.” જે આપણી વિરુદ્ધ નથી તે આપણા પક્ષનો છે ( લૂ. ૯:૪૯-૫૦ ) 38 યોહાને તેમને કહ્યું, “ઉપદેશક, અમે કોઈ એકને તમારે નામે દુષ્ટાત્મા કાઢતાં જોયો, અને અમે તેને મના કરી, કારણ કે તે આપણી સાથે ચાલતો નથી.” 39 પણ ઈસુએ તેને કહ્યું, “તેને મના કરો નહિ; કેમ કે એવો કોઈ નથી કે જે મારે નામે ચમત્કાર કરે, ને સહેજ મારી નિંદા કરી શકે. 40 કેમ કે જે આપણી વિરુદ્ધ નથી, તે આપણા પક્ષનો છે. 41 કેમ કે, હું તમને ખચીત કહું છું કે, તમે ખ્રિસ્તના છો એ કારણથી જે કોઈ તમને પ્યાલું પાણી પીવડાવશે, તે પોતાનું ફળ નહિ ખોશે. ઠોકર ખવડાવનારને અફસોસ ( માથ. ૮:૬-૯ ; લૂ. ૧૭:૧-૨ ) 42 અને જે નાનાઓ મારા પર વિશ્વાસ કરે છે, તેઓમાંના એકને જે કોઈ ઠોકર ખવડાવે, તેને માટે તે કરતાં એ સારું છે કે તેને ગળે ઘંટીનું પડ બંધાય ને તે સમુદ્રમાં નંખાય. 43 અને જો તારો હાથ તને ઠોકર ખવડાવે, તો તેને કાપી નાખ. તને બે હાથ છતાં નરકમાં ન હોલવાનાર અગ્નિમાં જવું, 44 તેના કરતાં ઠૂંઠો થઈને જીવનમાં પેસવું એ તારે માટે સારું છે. 45 અને જો તારો પગ તને ઠોકર ખવડાવે, તો તેને કાપી નાખ. તને બે પગ છતાં નરકાગ્નિમાં નખાવું, 46 તેના કરતાં લંગડો થઈને જીવનમાં પેસવું એ તારે માટે સારું છે. 47 અને જો તારી આંખ તને ઠોકર ખવડાવે તો તેને કાઢી નાખ; તને બે આંખ છતાં નરકાગ્નિમાં નંખાવું 48 કે, જ્યાં તેઓનો કીડો મરતો નથી, ને અગ્નિ હોલવાતો નથી, તેનાં કરતાં કાણો થઈને ઈશ્વરના રાજ્યમાં પેસવું એ તારે માટે સારું છે. 49 કેમ કે અગ્નિથી હરેક સલૂણૂં કરાશે [અને હરેક યજ્ઞ મીઠાથી સલૂણો કરાશે.] 50 મીઠું તો સારું છે, પણ જો મીઠું સ્વાદ વગરનું થયું હોય, તો તેને શાથી ખારું કરશો? પોતામાં મીઠું રાખો, ને અંદરોઅંદર સલાહ રાખો.” |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India