માર્ક 8 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)ઈસુ ચાર હજારને જમાડે છે ( માથ. ૧૫:૩૨-૩૯ ) 1 તે દિવસોમાં જ્યારે ફરી અતિ ઘણા લોકો હતા, ને તેઓની પાસે કંઈ ખાવાનું ન હતું, ત્યારે તે પોતાના શિષ્યોને પાસે બોલાવીને તેઓને કહે છે, 2 “લોકો પર મને દયા આવે છે, કેમ કે હમણાં ત્રણ દિવસથી તેઓ મારી સાથે રહ્યા છે, ને તેઓની પાસે કંઈ ખાવાનું નથી! 3 અને જો હું તેઓને ભૂખ્યા ઘેર મોકલું તો વાટમાં તેઓ નિર્ગત થઈ જશે! વળી તેઓમાંના કેટલાક દૂરથી આવ્યા છે.” 4 તેમના શિષ્યોએ તેમને ઉત્તર આપ્યો, “અહીં અરણ્યમાં ક્યાંથી કોઈ એટલા બધાને રોટલીથી તૃપ્ત કરી શકે?” 5 અને તેમણે તેઓને પૂછ્યું, “તમારી પાસે કેટલી રોટલી છે?” અને તેઓએ તેમને કહ્યું, “સાત”. 6 ને તેમણે લોકોને જમીન પર બેસવાનો હુકમ આપ્યો. અને સાત રોટલી લઈને તેમણે સ્તુતિ કરીને ભાંગી, ને પીરસવા માટે પોતાના શિષ્યોને આપી. અને તેઓએ લોકોને પીરસી. 7 અને તેઓની પાસે થોડી નાની માછલી પણ હતી. અને તેમણે તે પર આશીર્વાદ માગીને તે પણ લોકોને પીરસવાનું કહ્યું. 8 અને તેઓ ખાઈને ધરાયા. અને તેઓએ બાકી રહેલા કકડાઓની સાત ટોપલી ઉઠાવી. 9 અને [ખાનારા] આશરે ચાર હજાર હતા. અને તેમણે તેઓને વિદાય કર્યા. 10 અને તરત પોતાના શિષ્યોની સાથે હોડીમાં બેસીને તે દલમાનુથાના પ્રદેશોમાં આવ્યા. ફરોશીઓ નિશાની માગે છે ( માથ. ૧૬:૧-૪ ) 11 અને ફરોશીઓ નીકળી આવ્યા, ને તેમનું પરીક્ષણ કરતાં તેમની પાસે આકાશમાંથી નિશાની માગીને તેમની સાથે વિવાદ કરવા લાગ્યા. 12 અને પોતાના આત્મામાં ઊંડો નિસાસો મૂકીને તે કહે છે, “આ પેઢી નિશાની કેમ માગે છે? હું તમને ખરેખર કહું છું કે, આ પેઢીને કંઈ જ નિશાની અપાશે નહિ.” 13 અને તેઓને મૂક્યા પછી તે પાછા હોડીમાં બેસીને પેલે પાર ગયા. ફરોશીઓ અને હેરોદીઓનું ખમીર ( માથ. ૧૬:૫-૧૨ ) 14 અને તેઓ રોટલી લાવવાને ભૂલી ગયા હતા, અને તેઓની પાસે હોડીમાં એક કરતાં વધારે રોટલી નહોતી. 15 અને તેમણે તેઓને આજ્ઞા આપી, “જો જો, ફરોશીઓના ખમીરથી તથા હેરોદના ખમીરથી સાવધાન રહો.” 16 અને તેઓએ અંદરોઅંદર સંવાદ કરીને કહ્યું, “આપણી પાસે રોટલી નથી.” 17 અને ઈસુ એ જાણીને તેઓને કહે છે, “તમારી પાસે રોટલી નથી એ માટે તમે કેમ સંવાદ કરો છો? હજી સુધી શું તમે નથી જાણતા, ને નથી સમજતા? શું તમારાં હ્રદય કઠણ થયાં છે? 18 તમને આંખો છતાં શું તમે નથી જોતા? અને કાનો છતાં શું તમે નથી સાંભળતા? અને શું યાદ નથી રાખતા? 19 જ્યારે પાંચ હજારને માટે પાંચ રોટલી મેં ભાંગી, ત્યારે તમે કકડાઓની ભરેલી કેટલી ટોપલી ઉઠાવી?” તેઓ તેમને કહે છે, “બાર.” 20 અને જ્યારે ચાર હજારને માટે સાત, ત્યારે તમે કકડાથી ભરેલી કેટલી ટોપલી ઉઠાવી?” અને તેઓએ કહ્યું, “સાત.” 21 અને તેમણે તેઓને કહ્યું, “શું તમે હજી નથી સમજતા?” બેથસાઈદામાં આંધળાને સાજો કરે છે 22 અને તે બેથસાઈદામાં આવે છે. અને તેઓ તેમની પાસે એક આંધળાને લાવે છે, ને તેને અડકવા માટે તેઓ તેમને વિનંતી કરે છે. 23 અને આંધળાનો હાથ પકડીને તે તેને ગામમાંથી બહાર લઈ ગયા, ને તેની આંખોમાં થૂંકીને તેના પર હાથ મૂકીને તેને પૂછ્યું, “તું કંઈ જુએ છે?” 24 અને ઊંચું જોઈને તેણે કહ્યું, “હું માણસોને જોઉં છું, કેમ કે તેઓને વૃક્ષોના જેવા ચાલતાં જોઉં છું.” 25 ત્યારે તેમણે ફરી તેની આંખો પર હાથ મૂક્યા; અને તેણે તાકીને જોયું, ને સાજો થયો, ને બધું સ્પષ્ટ રીતે જોયું. 26 અને તેમણે તેને ઘરે મોકલતાં કહ્યું, “ગામમાં પણ પેસતો ના.” ઈસુ વિષે પિતરનો એકરાર ( માથ. ૧૬:૧૩-૨૦ ; લૂ. ૯:૧૮-૨૧ ) 27 અને ઈસુ તથા તેમના શિષ્યો કાઈસારિયા ફિલિપીનાં ગામોમાં ગયા. અને માર્ગમાં તેમણે પોતાના શિષ્યોને પૂછ્યું, ‘હું કોણ છું, એ વિષે માણસો શું કહે છે?” 28 અને તેઓએ તેમને કહ્યું, “ [કોઈ કહે છે કે] તમે યોહાન બાપ્તિસ્ત છો; અને કોઈ [કહે છે] કે તમે એલિયા છો; અને કોઈ [કહે છે] કે તમે પ્રબોધકોમાંના એક છો.” 29 અને તેમણે તેઓને પૂછ્યું, “પણ હું કોણ છું, એ વિષે તમે શું કહો છો?” પિતરે તેમને ઉત્તર આપ્યો, “તમે તો ખ્રિસ્ત છો.” 30 અને તેમણે તેઓને તાકીદ કરી, “મારા વિષે તમારે કોઈને કહેવું નહિ.” ઈસુ પોતાના મૃત્યુની પ્રથમ આગાહી કરે છે ( માથ. ૧૬:૨૧-૨૮ ; લૂ. ૯:૨૨-૨૭ ) 31 અને તે તેઓને શીખવવા લાગ્યા, “માણસના દીકરાએ ઘણું સહેવું, ને વડીલોથી તથા મુખ્ય યાજકોથી તથા શાસ્ત્રીઓથી નાપસંદ થવું, ને માર્યા જવું, ને ત્રણ દિવસ પછી પાછા ઊઠવું, એ જરૂરનું છે.” 32 અને તે એ વાત ઉઘાડી રીતે બોલ્યા. અને પિતર તેમને એક બાજુએ લઈ જઈને તેમને ઠપકો આપવા લાગ્યો. 33 પણ તેમણે પાછળ ફરીને તથા પોતાના શિષ્યોને જોઈને પિતરને ઠપકો આપ્યો, “શેતાન, મારી પાછળ જા; કેમ કે તું ઈશ્વરની વાતો પર નહિ, પણ માણસોની વાતો પર ચિત્ત લગાડે છે.” 34 અને તેમણે પોતાના શિષ્યો સહિત લોકોને પાસે બોલાવીને તેઓને કહ્યું, “જો કોઈ મારી પાછળ આવવા ચાહે તો તેણે પોતાનો નકાર કરવો, ને પોતાનો વધસ્તંભ ઊંચકીને મારી પાછળ ચાલવું. 35 કેમ કે જે કોઈ પોતાનો જીવ બચાવવા ચાહે છે, તે તેને ખોશે; અને જે કોઈ મારે લીધે તથા સુવાર્તાને લીધે પોતાનો જીવ ખોશે તે તેને બચાવશે. 36 કેમ કે જો માણસ આખું જગત મેળવે, ને પોતાના જીવની હાનિ પામે, તો તેને શો લાભ થાય? 37 વળી માણસ પોતાનો જીવનો શો બદલો આપશે? 38 કેમ કે આ વ્યભિચારી તથા પાપી પેઢીમાં જે કોઈ મારે લીધે તથા મારી વાતોને લીધે શરમાશે, તેને લીધે માણસનો દીકરો પણ જ્યારે પોતાના પિતાના મહિમામાં પવિત્ર દૂતોની સાથે આવશે, ત્યારે તે શરમાશે.” |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India