Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

માર્ક 4 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


વાવનારનું દ્દષ્ટાંત
( માથ. ૧૩:૧-૯ ; લૂ. ૮:૪-૮ )

1 અને તે સમુદ્રને કાંઠે ફરી બોધ કરવા લાગ્યા. અને અતિ ઘણા લોકો એકત્ર થયા હતા, માટે તે સમુદ્રમાં હોડી પર‍‍ ચઢીને બેઠા; અને બધા લોકો સમુદ્રની પાસે જમીન પર હતા.

2 અને દ્દષ્ટાંતોમાં તેમણે તેઓને ઘણો બોધ કર્યો; અને તેમના બોધમાં તેમણે તેઓને ક્હ્યું,

3 “સાંભળો; જુઓ, વાવનાર વાવવાને બહાર ગયો.

4 અને એમ થયું કે, તે વાવતો હતો‍ ત્યારે કેટલાંક [બી] રસ્તાની કોરે પડ્યાં, ને પક્ષીઓ આવીને તે ખાઈ ગયાં.

5 અને બીજાં પથ્થરવાળી જમીનમાં પડ્યાં, જ્યાં ઘણી માટી ન હતી, અને જમીન ઊંડી ન હતી, માટે તે તરત ઊગી નીકળ્યાં!

6 અને સૂરજ ઊગ્યો ત્યારે તે ચીમળાઈ ગયાં; અને તેને જડ ન હતી માટે તે સુકાઈ ગયાં.

7 અને બીજાં કાંટાનાં જાળામાં પડ્યાં! અને કાંટાના જાળાએ વધીને તેને દાબી નાખ્યાં! અને તેણે ફળ ન આપ્યું.

8 અને બીજાં સારી જમીનમાં પડ્યાં; અને તેણે ઊગનારું તથા વધનારું ફળ આપ્યું; ત્રીસગણાં તથા સાઠગણાં તથા સોગણાં ફળ આપ્યાં.”

9 અને તેમણે તેઓને કહ્યું, “જેને સાંભળવાને કાન હોય તે સાંભળે.”


દ્દષ્ટાંતનો હેતુ
( માથ. ૧૩:૧૦-૧૭ ; લૂ. ૮:૯-૧૦ )

10 અને જ્યારે તે એકાંતમાં હતા ત્યારે બાર [શિષ્યો] સહિત જેઓ તેમની પાસે હતા તેઓએ તેમને એ દ્દષ્ટાંતો વિષે પૂછ્યું.

11 અને તેમણે તેઓને કહ્યું, “ઈશ્વરના રાજ્યનો મર્મ તમને આપવામાં આવ્યો છે. પણ જેઓ બહારના છે તેઓને સર્વ વાતો દ્દષ્ટાંતોમાં અપાય છે;

12 એ માટે કે તેઓ જોતાં જુએ, પણ જાણે નહિ; અને સાંભળતાં સાંભળે, પણ સમજે નહિ! રખેને તેઓ ફરે, ને તેઓને [પાપની] માફી મળે.”


વાવનારના દ્દષ્ટાંતનો ખુલાસો
( માથ. ૧૩:૧૮-૨૩ ; લૂ. ૮:૧૧-૧૫ )

13 અને તે તેઓને કહે છે, “શું તમે આ દ્દષ્ટાંત સમજતા નથી? તો સર્વ દ્દષ્ટાંતો શી રીતે સમજશો?

14 વાવનાર વચન વાવે છે.

15 રસ્તાની કોર પરનાં એ છે કે જ્યાં વચન વવાય છે, ને તેઓ સાંભળે છે કે તરત શેતાન આવીને તેઓમાં જે વચન વવાયેલું હતું તે લઈ જાય છે.

16 અને એમ જ જેઓ પથ્થરવાળી જમીનમાં વવાયેલાં તેઓ એ છે કે, જેઓ વચન સાંભળીને તરત હર્ખથી તે માની લે છે.

17 અને તેમના પોતામાં જડ હોતી નથી, પણ તેઓ થોડી વાર ટકે છે. પછી વચનને લીધે દુ:ખ અથવા સતાવણી થાય છે ત્યારે તેઓ તરત ઠોકર ખાય છે.

18 અને બીજાં જે કાંટાઓમાં વવાયેલાં છે તે એ છે કે જેઓએ વચન સાંભળ્યું!

19 પણ આ કાળની ચિંતાઓ તથા દોલતનો આનંદ તથા બીજી વસ્તુઓનો લોભ તેઓમાં પ્રવેશ પામીને વાતને દાબી નાખે છે, ને તે નિષ્ફળ થાય છે.

20 અને જેઓ સારી જમીનમાં વવાયેલાં તેઓ એ છે કે, જેઓ વચન સાંભળે છે ને તેને ગ્રહણ કરે છે, ને ત્રીસગણાં તથા સાઠગણાં તથા સોગણાં ફળ આપે છે.”


માપ નીચે દીવો?
( લૂ. ૮:૧૬-૧૮ )

21 અને તેમણે તેઓને કહ્યું, “શું માપ નીચે અથવા ખાટલા નીચે મૂકવા માટે કોઈ દીવો લાવે છે? શું દીવી પર મૂકવા માટે નહિ?

22 કેમ કે જે કંઈ છાનું છે તે એ માટે છે કે તે પ્રગટ કરાય, અને જે ગુપ્ત રાખેલું તે એ માટે છે કે તે પ્રગટમાં આવે.

23 જો કોઈને સાંભળવાને કાન હોય તો તેણે સાંભળવું.”

24 અને તેમણે તેઓને કહ્યું, “તમે શું સાંભળો છો તે વિષે સાવધાન રહો. જે માપથી તમે માપો છો તેથી જ તમને પાછું માપી અપાશે; અને તમને વધતું અપાશે.

25 કેમ કે જેની પાસે છે તેને આપવામાં આવશે, ને જેની પાસે નથી તેનું જે છે તે પણ તેની પાસેથી લઈ લેવામાં આવશે.”


વૃદ્ધિ પામતાં બીનું દ્દષ્ટાંત

26 અને તેમણે કહ્યું, “ઈશ્વરનું રાજ્ય એવું છે કે જાણે કોઈ માણસ જમીનમાં બી નાખે; અને રાતદિન ઊંઘે તથા જાગે, અને તે બી ઊગે ને વધે,

27 પણ તે શી રીતે એ તે જાણતો નથી.

28 જમીન તો પોતાની મેળે ફળ આપે છે. પહેલાં અંકુર, પછી કણસલું, પછી કણસલામાં પૂરાં દાણા.

29 પણ દાણા પાક્યા પછી તરત તે દાતરડું લગાડે છે, કેમ કે કાપણીનો વખત થયો છે.”


રાઈના દાણાનું દ્દષ્ટાંત
( માથ. ૧૩:૩૧-૩૨ , ૩૪ ; લૂ. ૧૩:૧૮-૧૯ )

30 અને તેમણે કહ્યું, “ઈશ્વરના રાજ્યને શાની સાથે સરખાવીએ? અથવા તેને શાની ઉપમા આપીએ?

31 તે તો રાઈના દાણા જેવું છે! જમીનમાં તે વવાય છે ત્યારે પૃથ્વી પરનાં સર્વ બી કરતાં તે નાનું હોય છે!

32 પણ વાવ્યા પછી તે ઊગી નીકળે છે, ને સર્વ છોડવા કરતાં મોટું થાય છે, ને તેને એવી મોટી ડાળી પણ થાય છે કે આકાશનાં પક્ષીઓ તેની છાયા નીચે વાસો કરી શકે છે.”

33 અને એવાં ઘણાં દ્દષ્ટાંતોમાં જેમ તેઓ સાંભળી શકતા હતા તેમ તે તેઓને વચન કહેતા હતા.

34 અને દ્દષ્ટાંત વિના તે તેઓને કંઈ કહેતા નહોતા; પણ તે પોતાના શિષ્યોને એકાંતમાં સર્વ વાતોનો ખુલાસો કરતા.


ઈસુ તોફાન શાંત પાડે છે
( માથ. ૮:૨૩-૨૭ ; લૂ. ૮:૨૨-૨૫ )

35 અને તે દિવસે સાંજ પડી ત્યારે તે તેઓને કહે છે, “આપણે પેલે પાર જઈએ.”

36 અને લોકોને મૂકીને તે હતા એમ ને એમ તેઓ તેમને પોતાની સાથે હોડીમાં લઈ જાય છે. બીજી હોડીઓ પણ તેમની સાથે હતી.

37 અને પવનનું મોટું તોફાન થયું, ને હોડીમાં મોજાંઓ એવાં ઊછળી આવ્યાં કે તે ભરાઈ જવા લાગી.

38 અને ડબૂસાએ ઓશીકાં પર [માથું ટેકવીને] , તે ઊંઘતા હતા, અને તેઓ તેમને જગાડીને કહે છે, ઉપદેશક, અમે નાશ પામીએ છીએ, તેની તમને શું કંઈ ચિંતા નથી?”

39 અને તેમણે ઊઠીને પવનને ધમકાવ્યો તથા સમુદ્રને કહ્યું, “છાનો રહે, શાંત થા.” અને પવન બંધ થયો, ને મહા શાંતિ થઈ.

40 અને તેમણે તેઓને કહ્યું, “તમે કેમ ભયભીત થયા છો? શું તમને હજુયે વિશ્વાસ નથી?”

41 અને તેઓ બહુ બીધા, તથા અંદરોઅંદર બોલ્યા, “આ તે કોણ છે કે પવન તથા સમુદ્ર પણ તેમનું માને છે?”

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan