માર્ક 11 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)યરુશાલેમમાં વિજયપ્રવેશ ( માથ. ૨૧:૧-૧૧ ; લૂ. ૧૯:૨૮-૪૦ ; યોહ. ૧૨:૧૨-૧૯ ) 1 અને તેઓ યરુશાલેમની નજદીક જૈતુનના પહાડ આગળ બેથફાગે તથા બેથાનિયાની પાસે આવે છે, ત્યારે તે પોતાના શિષ્યોમાંના બેને આગળ મોકલે છે, 2 ને તેઓને કહે છે, “સામેના ગામમાં જાઓ; અને તેમાં તમે પેસશો કે તરત એક ગધેડાનો વછેરો જેના પર કોઈ માણસ કદી બેઠું નથી, એવો તમને બાંધેલો મળશે; તેને છોડી લાવો. 3 અને જો કોઈ તમને પૂછે, ‘તમે શા માટે એમ કરો છો?’ તો એમ કહેજો કે, ‘પ્રભુને તેની જરૂર છે;’ અને તરત તે એને અહીં મોકલશે.” 4 અને તેઓ ગયા, ને બારણાની બહાર ખુલ્લા રસ્તામાં બાંધેલો વછેરો તેઓને મળ્યો; અને તેઓ તેને છોડે છે. 5 અને જેઓ ત્યાં ઊભા હતા તેઓમાંના કેટલાકે તેઓને પૂછ્યું, “વછેરાને તમે શું કરવા છોડો છો?” 6 અને જેમ ઈસુએ તેઓને ફરમાવ્યું હતું તેમ તેઓએ તેઓને કહ્યું, અને તેઓએ તેમને જવા દીધા. 7 અને તેઓ વછેરાને ઈસુની પાસે લાવ્યા, ને તેના પર પોતાનાં વસ્ત્ર નાખ્યાં; અને તેના પર તે બેઠા. 8 અને ઘણાઓએ પોતાનાં વસ્ત્ર રસ્તામાં પાથર્યાં; અને બીજાઓએ ખેતરમાંથી ડાળીઓ કાપીને [રસ્તામાં પાથરી]. 9 અને આગળ તથા પાછળ ચાલનારાઓએ બૂમ પાડતાં કહ્યું, “હોસાન્ના! પ્રભુને નામે જે આવે છે, તેને ધન્ય! 10 આપણા પિતા દાઉદનું રાજ્ય જે પ્રભુને નામે આવે છે, તે આશીર્વાદિત છે; પરમ ઊંચામાં હોસાન્ના!” 11 અને ઈસુ યરુશાલેમ જઈને મંદિરમાં ગયા. અને ચોતરફ બધું જોઈને સાંજ પડ્યા પછી બારે [શિષ્યો] સહિત નીકળીને તે બેથાનિયામાં ગયા. ઈસુ અંજીરીને શ્રાપ આપે છે ( માથ. ૨૧:૧૮-૧૯ ) 12 અને બીજે દિવસે તેઓ બેથાનિયામાંથી નીકળીને આવતાં તે ભૂખ્યા થયા; 13 અને એક અંજીરી જેને પાંદડાં આવ્યાં હતાં તેને દૂરથી જોઈને તે તેની પાસે ગયા કે કદાચ તેમને તે પરથી કંઈ મળે; અને તે તેની પાસે આવ્યા ત્યારે પાંદડાં વિના તેમને કંઈ મળ્યું નહિ; કેમ કે અંજીરોની ૠતુ ન હતી. 14 અને ઈસુએ તેને કહ્યું, “હવેથી કોઈ તારા પરથી કદી ફળ ન ખાઓ.” અને તેમના શિષ્યોએ એ સાંભળ્યું. ઈસુ મંદિરને શુદ્ધ કરે છે ( માથ. ૨૧:૧૨-૧૭ ; લૂ. ૧૯:૪૫-૪૮ ; યોહ. ૨:૧૩-૨૨ ) 15 અને તેઓ યરુશાલેમ આવે છે. અને તે મંદિરમાં ગયા ને મંદિરમાં વેચનારાઓને તથા ખરીદનારાઓને કાઢી મૂકવા લાગ્યા, ને નાણાવટીઓનાં બાજઠ તથા કબૂતર વેચનારાઓનાં આસનો ઊંધાં વાળ્યાં. 16 અને કોઈને મંદિરમાં થઈને કંઈ વાસણ લઈ જવા દીધું નહિ. 17 અને તેઓને બોધ કરતાં તેમણે કહ્યું, “શું એમ લખેલું નથી કે, મારું ઘર સર્વ દેશનાઓને માટે પ્રાર્થનાનું ઘર કહેવાશે? પણ તમે તેને લૂંટારાઓનું કોતર કર્યું છે.” 18 અને મુખ્ય યાજકોએ તથા શાસ્ત્રીઓએ તે સાંભળ્યું, ને તેમનો નાશ શી રીતે કરવો તે વિષે શોધ કરી; કેમ કે તેઓ તેમનાથી બીધા, કારણ કે સર્વ લોકો તેમના ઉપદેશથી નવાઈ પામતા. 19 અને દર સાંજે ઈસુ શહેર બહાર જતા. અંજીરી પરથી મળતો બોધ ( માથ. ૨૧:૨૦-૨૨ ) 20 અને તેઓએ સવારે અંજીરીની પાસે થઈને જતાં તેને જડથી સુકાઈ ગયેલી જોઈ. 21 અને પિતર સંભારીને તેમને કહે છે, “સ્વામી, જુઓ, જે અંજીરીને તમે શાપ દીધો હતો તે સુકાઈ ગઈ છે.” 22 અને ઈસુ તેઓને કહે છે, “ઈશ્વર પર વિશ્વાસ રાખો. 23 કેમ કે હું તમને ખચીત કહું છું કે, જે કોઈ આ પર્વતને એમ કહે કે ખસી જા, ને સમુદ્રમાં નંખા! અને પોતાના હ્રદયમાં; સંદેહ ન લાવતાં વિશ્વાસ રાખશે કે, જે હું કહું છું કે, તે થશે; તો તે તેને માટે થશે. 24 એ માટે હું તમને કહું છું કે, પ્રાર્થના કરતાં જે સર્વ તમે માગો છો, તે અમે પામ્યા છીએ, એવો વિશ્વાસ રાખો, તો તે તમને મળશે. 25 અને જ્યારે જ્યારે તમે ઊભા રહીને પ્રાર્થના કરો છો, ત્યારે ત્યારે જો કોઈ તમારો અપરાધી હોય, તો તેને માફ કરો; એ માટે કે તમારા પિતા જે આકાશમાં છે, તે પણ તમારા અપરાધો તમને માફ કરે. 26 પણ જો તમે તેને માફ નહિ કરો, તો તમારા પિતા જે આકાશમાં છે તે પણ તમારા અપરાધ તમને માફ કરશે નહિ.” ઈસુના અધિકાર અંગે પ્રશ્ન ( માથ. ૨૧:૨૩-૨૭ ; લૂ. ૨૦:૧-૮ ) 27 અને ફરી તેઓ યરુશાલેમમાં આવ્યા. અને ઈસુ મંદિરમાં ફરતા હતા, ત્યારે મુખ્ય યાજકોએ તથા શાસ્ત્રીઓએ તથા વડીલોએ તેમની પાસે આવીને 28 તેમને કહ્યું, “કયા અધિકારથી તમે આ કામો કરો છો? અથવા આ કામો કરવાનો તમને કોણે અધિકાર આપ્યો? 29 અને ઈસુએ તેઓને કહ્યું, “હું એક વાત તમને પૂછીશ, અને તેનો તમે મને જવાબ આપશો, તો હું કયા અધિકારથી આ કામો કરું છું તે હું તમને કહીશ. 30 યોહાનનું બાપ્તિસ્મા આકાશથી હતું કે માણસોથી? મને જવાબ આપો.” 31 અને તેઓએ અંદરોઅંદર વિચાર કરીને કહ્યું, “જો કહીએ કે, ‘આકાશથી’; તો તે કહેશે કે, ત્યારે તમે તેના પર વિશ્વાસ કેમ નહિ કર્યો? 32 પણ જો કહીએ કે, ‘માણસથી’-તો તેઓ લોકોથી બીધા, કેમ કે બધા લોકો યોહાનને નિશ્ચે પ્રબોધક માનતા હતા. 33 અને તેઓએ ઈસુને કહ્યું, “અમે જાણતા નથી.” અને ઈસુ તેઓને કહે છે, “હું કયા અધિકારથી આ કામો કરું છું તે હું પણ તમને કહેતો નથી.” |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India