Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

માથ્થી 9 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


ઈસુએ પક્ષઘાતીને સાજો કર્યો
( માર્ક ૨:૧-૧૨ ; લૂ. ૫:૧૭-૨૦ )

1 ત્યારે હોડીમાં બેસીને તે સામે પાર ગયા, ને પોતાના નગરમાં આવ્યા,

2 અને જુઓ, ખાટલે પડેલા એક પક્ષઘાતીને લોકો તેમની પાસે લાવ્યા, ને ઈસુએ તેઓનો વિશ્વાસ જોઈને પક્ષઘાતીને કહ્યું, “દીકરા, હિમ્મત રાખ, તારાં પાપ તને માફ થયાં છે.”

3 ત્યારે જુઓ, શાસ્‍ત્રીઓમાંના કેટલાએકે પોતાના મનમાં કહ્યું, ‘એ દુર્ભાષણ કરે છે.”

4 ત્યારે ઈસુએ તેઓના વિચાર જાણીને કહ્યું, “તમે તમારા મનમાં શા માટે ભૂંડા વિચાર કરો છો?

5 કેમ કે એ બેમાંનું વધારે સહેલું કયું છે, એમ કહેવું કે તારાં પાપ તને માફ થયાં છે.’ અથવા એમ કહેવું કે ‘ઊઠીને‍ ચાલ્યો જા?’

6 પણ માણસના દીકરાને પૃથ્વી પર પાપોની માફી આપવાનો અધિકાર છે, એ તમે જાણો માટે (ત્યારે તે પક્ષઘાતીને કહે છે કે) ‘ઊઠ, તારો ખાટલો ઊંચકીને તારે ઘેર ‍ચાલ્યો જા.’”

7 અને તે ઊઠીને પોતાને ઘેર ગયો.

8 અને તે જોઈને લોકો ભયભીત થયા, ને ઈશ્વરે માણસોને એવો અધિકાર આપ્યો માટે તેઓએ તેમની સ્તુતિ કરી.


માથ્થીનું શિષ્ય તરીકે તેડું
( માર્ક ૨:૧૩-૧૭ ; લૂ. ૫:૨૭-૩૨ )

9 અને ઈસુએ ત્યાં થઈને જતાં માથ્થી નામે એક માણસને દાણ લેવાની ચોકી પર બેઠેલો જોયો. અને તેમણે તેને કહ્યું, “તું મારી પાછળ આવ.”‍ત્યારે માથ્થી ઊઠીને તેમની પાછળ ગયો.

10 અને એમ થયું કે, ઘરમાં તે જમવા બેઠા ‍ત્યારે જુઓ, ઘણા દાણીઓ તથા પાપીઓ આવીને ઈસુની તથા તેમના શિષ્યોની સાથે બેઠા.

11 અને ફરોશીઓએ એ જોઈને તેમના શિષ્યોને કહ્યું, “તમારો ઉપદેશક દાણીઓની તથા પાપીઓની સાથે શા માટે ખાય છે?”

12 અને ઈસુએ એ સાંભળીને તેઓને કહ્યું, “જેઓ સાજા છે તેઓને વૈદની જરૂર નથી, પણ જેઓ માંદા છે તેઓને છે.

13 પણ યજ્ઞ કરતાં હું દયા‍ ચાહું છું, ’ એનો શો અર્થ છે, તે જઈને શીખો; કેમ કે ન્યાયીઓને નહિ, પણ પાપીઓને તેડવા હું આવ્યો છું.”


ઉપવાસ સંબંધી પ્રશ્ન
( માર્ક ૨:૧૮-૨૨ ; લૂ. ૫:૩૩-૩૯ )

14 ત્યારે યોહાનના શિષ્યો તેમની પાસે આવીને કહે છે, “અમે તથા ફરોશીઓ ઘણીવાર ઉપવાસ કરીએ છીએ, પણ તમારા શિષ્યો ઉપવાસ નથી કરતા, એનું કારણ શું?”

15 ત્યારે ઈસુએ તેઓને કહ્યું, “જ્યાં સુધી વર જાનૈયાઓની સાથે છે, ત્યાં સુધી શું તેઓ શોક કરી શકે છે? પણ એવા દિવસ આવશે કે વર તેઓની પાસેથી લઈ લેવાશે, ત્યારે તેઓ ઉપવાસ કરશે.

16 વળી કોરા કાપડનું થીંગડું જૂના વસ્‍ત્રમાં કોઈ નથી લગાવતું, કેમ કે તે થીંગડાથી તે વસ્‍ત્ર ખેંચાય છે, ને તે વધારે ફાટી જાય છે.

17 વળી નવો દ્રાક્ષારસ જૂની મશકોમાં કોઈ નથી ભરતું. જો ભરે તો મશકો ફાટી જાય, ને દ્રાક્ષારસ વહી જાય ને મશકોનો નાશ થાય. પણ નવો દ્રાક્ષારસ નવી મશકોમાં ભરવામાં આવે છે જેથી બન્‍નેનું રક્ષણ થાય છે.”


અધિકારીની દીકરી સાજી કરાઈ, ઈસુના ઝભ્ભાની કોરને અડકનાર સાજી થઈ
( માર્ક ૫:૨૧-૪૩ ; લૂ. ૮:૪૦-૫૬ )

18 તે તેઓને આ વાત કહેતા હતા, તેવામાં જુઓ, એક અધિકારી આવીને તેમને પગે લાગીને કહે છે, “મારી દીકરી હવે તો મરી ગઈ હશે, પણ તમે આવીને તમારા હાથ તેના પર મૂકો, એટલે તે જીવતી થશે.”

19 ત્યારે ઈસુ ઊઠીને પોતાના શિષ્યો સહિત તેની પાછળ ગયા.

20 અને જુઓ, એક સ્‍ત્રીને બાર વરસથી લોહીવા હતો, તે ઈસુની પાછળ આવીને તેમના વસ્‍ત્રની કોરને અડકી.

21 કેમ કે તેણે પોતાના મનમાં ધાર્યું કે, જો હું માત્ર એમના વસ્‍ત્રને અડકું તો હું સાજી થઈ જઈશ.

22 ત્યારે ઈસુએ પાછા ફરીને તથા તેને જોઈને કહ્યું, “દીકરી, હિમ્મત રાખ, તારા વિશ્વાસે તને સાજી કરી છે, ” અને તે સ્‍ત્રી તે જ ઘડીથી સાજી થઈ.

23 પછી જ્યારે ઈસુએ તે અધિકારીના ઘરમાં આવીને વાંસળી વગાડનારાઓને તથા લોકોને કકળાટ કરતા જોયા,

24 ત્યારે તેમણે કહ્યું, “આઘા ખસો, કેમ કે છોકરી મરી નથી ગઈ, પણ ઊંઘે છે.” અને તેઓએ તેમને હસી કાઢયા.

25 અને લોકોને બહાર કાઢવામાં આવ્યા ત્યારે ઈસુએ અંદર જઈને તેનો હાથ પકડ્યો, અને તે છોકરી ઊઠી.

26 અને એ વાતની‍ ચર્ચા તે આખા દેશમાં ફેલાઈ ગઈ.


ઈસુ બે આંધળાઓને દ્રષ્ટિ આપે છે

27 અને ઈસુ ત્યાંથી જતા હતા, તેવામાં બે આંધળા તેમની પાછળ જઈને બૂમ પાડવા લાગ્યા, “ઓ દાઉદના દીકરા, અમારા પર દયા કરો.”

28 અને ઘરમાં તે આવ્યા, ત્યારે તે આંધળાઓ તેમની પાસે આવ્યા. અને ઈસુ તેઓને કહે છે, “હું એ કરી શકું છું. એવો તમને વિશ્વાસ છે શું?” તેઓ તેમને કહે છે “હા, પ્રભુ.”

29 ત્યારે તે તેઓની આંખોને સ્પર્શ કરીને કહે છે, “તમારા વિશ્વાસ પ્રમાણે તમને થાઓ.”

30 અને તેઓની આંખો ઊઘડી ગઈ. પછી ઈસુએ તેઓને સખત આજ્ઞા આપી, “જોજો, કોઈ જાણે નહિ.”

31 પણ તેઓએ બહાર જઈને તે આખા દેશમાં તેમની કીર્તિ ફેલાવી.


ઈસુ એક મૂંગાને સાજો કરે છે

32 અને તેઓ બહાર ગયા ત્યારે જુઓ, અશુદ્ધ આત્મા વળગેલા એક મૂંગા માણસને ઈસુની પાસે લાવવામાં આવ્યો.

33 અને અશુદ્ધ આત્માને કાઢવામાં આવ્યો, ત્યારે તે મૂંગો બોલ્યો, ને લોકોએ અચરત પામીને કહ્યું, “ઇઝરાયેલમાં આવું કદી જોવામાં આવ્યું નથી.”

34 પણ ફરોશીઓએ કહ્યું, “તે દુષ્ટ આત્માઓના સરદારથી દુષ્ટ આત્માઓને કાઢે છે.”


ઈસુને લોકો પર દયા આવી

35 અને ઈસુ તેઓનાં સભાસ્થાનોમાં બોધ કરતા, ને રાજ્યની સુવાર્તા પ્રગટ કરતા, ને દરેક [પ્રકારનો] રોગ તથા દરેક [પ્રકારની] બીમારી દૂર કરતા બધાં નગરોમાં તથા ગામોમાં ફરતા ગયા.

36 અને લોકોને જોઈને તેમને તેઓ પર દયા આવી. કેમ કે તેઓ પાળક વગરનાં ઘેટાંના જેવા હેરાન થયેલા તથા વેરાઈ ગયેલા હતા.

37 ત્યારે તે પોતાના શિષ્યોને કહે છે, “ફસલ પુષ્કળ છે ખરી, પણ મજૂરો થોડા છે.

38 એ માટે તમે ફસલના ધણીની પ્રાર્થના કરો કે તે પોતાની ફસલને માટે મજૂરો મોકલે.”

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan