માથ્થી 5 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)ગિરિપ્રવચન 1 ત્યારે ઘણા લોકને જોઈને ઈસુ પહાડ પર ચઢી ગયા, અને તેમના બેઠા પછી તેમના શિષ્યો તેમની પાસે આવ્યા. 2 અને તેમણે પોતાનું મોં ઉઘાડીને તેઓને ઉપદેશ કરતાં કહ્યું, પરમસુખ ( લૂ. ૬:૨૦-૨૩ ) 3 “આત્મામાં જેઓ રાંક છે તેઓને ધન્ય છે, કેમ કે આકાશનું રાજ્ય તેઓનું છે. 4 જેઓ શોક કરે છે તેઓને ધન્ય છે, કેમ કે તેઓ દિલાસો પામશે. 5 જેઓ નમ્ર છે તેઓને ધન્ય છે, કેમ કે તેઓ પૃથ્વીનું વતન પામશે. 6 જેઓને ન્યાયીપણાની ભૂખ તથા તરસ છે તેઓને ધન્ય છે, કેમ કે તેઓ ધરાશે. 7 દયાળુઓને ધન્ય છે કેમ કે તેઓ દયા પામશે. 8 મનમાં જેઓ શુદ્ધ છે તેઓને ધન્ય છે, કેમ કે તેઓ ઈશ્વરને જોશે. 9 સલાહ કરાવનારાઓને ધન્ય છે, કેમ કે તેઓ ઈશ્વરના દીકરા કહેવાશે. 10 ન્યાયીપણાને લીધે જેઓની સતાવણી કરવામાં આવી છે તેઓને ધન્ય છે, કેમ કે આકાશનું રાજ્ય તેઓનું છે. 11 જ્યારે લોકો તમારી નિંદા કરશે, ને પાછળ લાગશે, ને મારે લીધે તમારી વિરુદ્ધ તરેહતરેહની ભૂંડી વાત અસત્યતાથી કહેશે, ત્યારે તમને ધન્ય છે. 12 તમે આનંદ કરો તથા ઘણા હરખાઓ, કેમ કે આકાશમાં તમારો બદલો મોટો છે, કેમ કે તમારી અગાઉના પ્રબોધકોની પાછળ તેઓ એમ જ લાગ્યા હતા. જગતનું મીઠું અને દુનિયાના દીવા ( માર્ક ૯:૫૦ ; લૂ. ૧૪:૩૪-૩૫ ) 13 તમે જગતનું મીઠું છો, પણ જો મીઠું બેસ્વાદ થયું હોય તો તે શાથી ખારું કરાશે? બહાર ફેંકાવા તથા માણસોના પગ નીચે છુંદાવા વગર તે બીજા કંઈ કામનું નથી. 14 તમે જગતનું અજવાળું છો. પહાડ પર વસાવેલું નગર સંતાઈ રહી શકતું નથી. 15 અને દીવો કરીને તેને માપ નીચે નહિ, પણ દીવી પર મૂકવામાં આવે છે, ત્યારે ઘરમાંનાં બધાંને તે અજવાળું આપે છે. 16 તેમ જ તમે તમારું અજવાળું લોકોની આગળ એવું પ્રકાશવા દો કે તેઓ તમારી સારી કરણીઓ જોઈને આકાશમાંના તમારા પિતાની સ્તુતિ કરે. નિયમશાસ્ર સંબંધી શિક્ષણ 17 નિયમશાસ્ર અથવા પ્રબોધકોની વાતોનો નાશ કરવાને હું આવ્યો છું, એમ ન ધારો. હું નાશ કરવા તો નહિ, પણ પૂર્ણ કરવા આવ્યો છું. 18 કેમ કે હું તમને ખચીત કહું છું કે, આકાશ તથા પૃથ્વી જતાં રહે ત્યાં સુધી બધાં પૂરાં થયા વગર નિયમશાસ્ત્રમાંથી એક કાનો અથવા એક માત્રા જતી રહેશે નહિ. 19 એ માટે આ સૌથી નાની આજ્ઞાઓમાંની એક જો કોઈ તોડશે, ને માણસોને એવું કરતાં શીખવશે, તો તે આકાશના રાજ્યમાં સૌથી નાનો કહેવાશે. પણ જે કોઈ તે પાળશે ને શીખવશે તે આકાશના રાજ્યમાં મોટો કહેવાશે. 20 કેમ કે હું તમને કહું છું કે શાસ્ત્રીઓના તથા ફરોશીઓના ન્યાયીપણા કરતાં જો તમારું ન્યાયીપણું વધારે ન હોય, તો આકાશના રાજ્યમાં તમે નહિ જ પેસશો. ક્રોધ સંબંધી શિક્ષણ 21 ‘હત્યા ન કર, ને જે કોઈ હત્યા કરે તે અપરાધી ઠરવાના જોખમમાં આવશે’ એમ પુરાતન કાળમાં લોકોને કહેવામાં આવ્યું હતું, એ તમે સાંભળ્યું છે. 22 પણ હું તમને કહું છું કે, જે કોઈ પોતાના ભાઈ પર અમથો ક્રોધ કરે છે, તે અપરાધી ઠરવાના જોખમમાં આવશે. અને જે પોતાના ભાઈને ‘પાજી’ કહેશે તે ન્યાયસભાથી અપરાધી ઠરવાના જોખમમાં આવશે. અને જે તેને કહેશે કે, ‘તું મૂર્ખ છે, ’ તે અગ્નિની ગેહેન્નાના જોખમમાં આવશે. 23 એ માટે જો તું તારું અર્પણ વેદી પાસે લાવે, ને ત્યાં તને યાદ આવે કે, ‘મારા ભાઈને મારી વિરુદ્ધ કંઈ છે.’ 24 તો ત્યાં વેદી આગળ તારું અર્પણ મૂકીને જા, પહેલાં તારા ભાઈની સાથે સલાહ કર, ને ત્યાર પછી આવીને તારું અર્પણ ચઢાવ. 25 જ્યાં સુધી તું તારા વાદીની સાથે માર્ગમાં છે, ત્યાં સુધી તેની સાથે વહેલો મળી જા. રખેને વાદી તને ન્યાયાધીશને સોંપે, ને ન્યાયાધીશ તને સિપાઈને સોંપે, ને તું કેદખાનામાં નંખાય. 26 હું તને ખચીત કહું છું કે તું પાઈએ પાઈ ચૂકવીશ નહિ, ત્યાં સુધી તું ત્યાંથી બહાર નીકળનાર જ નથી. વ્યભિચાર અંગે શિક્ષણ 27 ‘વ્યભિચાર ન કર’ એમ કહેલું હતું, એ તમે સાંભળ્યું છે. 28 પણ હું તમને કહું છું કે, સ્ત્રી ઉપર જે કોઈ ખોટી નજર કરે છે, તેણે એટલામાં જ પોતાના મનમાં તેની સાથે વ્યભિચાર કર્યો છે. 29 અને જો તારી જમણી આંખ તને ઠોકર ખવડાવે, તો તેને કાઢી નાખીને તારી પાસેથી ફેંકી દે, કેમ કે તારા અવયવોમાંના એકનો નાશ થાય, ને તારું આખું શરીર નરકમાં ન નંખાય, એ તને ગુણકારક છે. 30 અને જો તારો જમણો હાથ તને ઠોકર ખવડાવે, તો તેને કાપી નાખીને તારી પાસેથી ફેંકી દે, કેમ કે તારા અવયવોમાંના એકનો નાશ થાય, ને તારું આખું શરીર નરકમાં ન નંખાય, એ તને ગુણકારક છે. ફારગતી વિષે શિક્ષણ ( માથ. ૧૯:૯ ; માર્ક ૧૦:૧૧-૧૨ ; લૂ. ૧૬:૧૮ ) 31 ‘જે કોઈ પોતાની સ્ત્રીને મૂકી દે તે તેને ફારગતી લખી આપે’, એમ પણ કહેવામાં આવ્યું હતું. 32 પણ હું તમને કહું છું કે, વ્યભિચારના કારણ વગર જે કોઈ પોતાની સ્ત્રીને મૂકી દે, તે તેની પાસે વ્યભિચાર કરાવે છે. અને જે કોઈ તે મૂકી દીધેલી સ્ત્રી સાથે લગ્ન કરે છે તે પણ વ્યભિચાર કરે છે. સમ ખાવા વિષે શિક્ષણ 33 ‘વળી, તું જૂઠા સમ ન ખા, પણ પ્રભુ પ્રત્યે તારા સમ પૂરા કર, ’ એમ પુરાતન સમયમાં લોકોને કહેવામાં આવ્યું હતું, એ તમે સાંભળ્યું છે. 34 પણ હું તમને કહું છું કે, કંઈ જ સમ ન ખાઓ; આકાશના નહિ, કેમ કે તે ઈશ્વરનું રાજ્યાસન છે; 35 અને પૃથ્વીના નહિ, કેમ કે તે તેમનું પાયાસન છે. અને યરુશાલેમના નહિ, કેમ કે તે મોટા રાજાનું નગર છે. 36 અને તું તારા માથાના પણ સમ ન ખા, કેમ કે તારાથી એક વાળ પણ ધોળો અથવા કાળો કરી શકાતો નથી. 37 પણ તમારું બોલવું તે ‘હા તે હા, ને ‘ના તે ના’ હોય, કેમ કે એ કરતાં અધિક જે કંઈ છે તે ભૂંડાથી છે. બદલો લેવા વિષે ( લૂ. ૬:૨૯-૩૦ ) 38 ‘આંખને બદલે આંખ, ને દાંતને બદલે દાંત’ એમ કહેવામાં આવ્યું હતું, એ તમે સાંભળ્યું છે. 39 પણ હું તમને કહું છું કે જે ભૂંડો હોય તેની સામા ન થાઓ:પણ જે કોઈ તારા જમણા ગાલ પર તમાચો મારે, તેની તરફ બીજો પણ ફેરવ. 40 અને જે તારો કોટ લેવા માટે તારા પર દાવો કરે, તેને તારું પહેરણ પણ લેવા દે. 41 અને જે કોઈ બળજબરીથી તને એક માઇલ લઈ જાય, તેની સાથે બે માઇલ જા. 42 જે કોઈ તારી પાસે માગે છે તેને તું આપ, ને તારી પાસે જે ઉછીનું લેવા ઇચ્છે છે, તેનાથી મોં ન ફેરવ. વૈરીઓ પર પ્રેમ રાખો ( લૂ. ૬:૨૭-૨૮ , ૩૨-૩૬ ) 43 ‘તું તારા પડોશી પર પ્રેમ કર, ને તારા વૈરી ઉપર દ્વેષ કર, ’ એમ કહેવામાં આવ્યું હતું, એ તમે સાંભળ્યું છે: 44 પણ હું તમને કહું છું કે તમે તમારા વૈરીઓ પર પ્રેમ કરો, ને જેઓ તમારી પાછળ પડે છે તેઓને માટે પ્રાર્થના કરો. 45 એ માટે કે તમે આકાશમાંના તમારા પિતાના દીકરા થાઓ; કારણ કે તે પોતાના સૂરજને ભૂંડા તથા ભલા પર ઉગાવે છે, ને ધર્મી તથા અધર્મી પર વરસાદ વરસાવે છે. 46 કેમ કે જેઓ તમારા પર પ્રેમ કરે છે, તેઓ પર જો તમે પ્રેમ કરો છો, તો તમને શું ફળ છે? જકાતદારો પણ શું એમ નથી કરતા? 47 અને જો તમે કેવળ તમારા ભાઈઓને સલામ કરો છો, તો તેમાં તમે વિશેષ શું કરો છો? વિદેશીઓ પણ શું એમ નથી કરતા? 48 એ માટે જેવા તમારા આકાશમાંના પિતા સંપૂર્ણ છે તેવા તમે સંપૂર્ણ થશો. |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India