માથ્થી 4 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)ઈસુનું પરીક્ષણ ( માર્ક ૧:૧૨-૧૩ ; લૂ. ૪:૧-૧૩ ) 1 ત્યાર પછી ઈસુનું પરીક્ષણ શેતાનથી થાય એ માટે આત્મા તેમને રાનમાં લઈ ગયો. 2 અને ચાળીસ રાતદિવસ સુધી ઉપવાસ કર્યા પછી તેમને ભૂખ લાગી. 3 અને પરીક્ષણ કરનારે તેમની પાસે આવીને કહ્યું, “જો તું ઈશ્વરનો દીકરો છે, તો આ પથ્થરને કહે કે, તેઓ રોટલી થઈ જાય.” 4 પણ તેમણે ઉત્તર દીધો, “એમ લખેલું છે કે, માણસ એકલી રોટલીથી નહિ, પણ દરેક શબ્દ જે ઈશ્વરના મોંમાંથી નીકળે છે તેથી જીવશે.” 5 ત્યારે શેતાન તેમને પવિત્ર નગરમાં લઈ જાય છે, ને મંદિરના બુરજ પર તેમને બેસાડે છે, 6 અને તેમને કહે છે, “જો તું ઈશ્વરનો દીકરો છે, તો પોતાને નીચે પાડી નાખ; કેમ કે એમ લખેલું છે કે, તે પોતાના દૂતોને તારા સંબંધી આજ્ઞા કરશે; અને તેઓ તને પોતાના હાથો પર ધરી લેશે, રખેને તારો પગ પથ્થર સાથે અફળાય.” 7 ઈસુએ તેને કહ્યું, “એમ પણ લખેલું છે કે, પ્રભુ તારા ઈશ્વરનું પરીક્ષણ તું ન કર.” 8 ફરીથી શેતાન તેમને ઘણા ઊંચા પહાડ ઉપર લઈ જાય છે, ને જગતનાં બધાં રાજ્ય તથા તેઓનો મહિમા તેમને દેખાડે છે. 9 અને તેમને કહે છે, “જો તું પગે પડીને મારું ભજન કરે, તો આ બધાં હું તને આપીશ.” 10 ત્યારે ઈસુ તેને કહે છે, “અરે શેતાન, આઘો જા; કેમ કે લખેલું છે કે, પ્રભુ તારા પરમેશ્વરનું ભજન કર ને તેમની એકલાની જ સેવા કર.” 11 ત્યારે શેતાન તેમને મૂકીને જાય છે; અને જુઓ દૂતોએ તેમની પાસે આવીને તેમની સેવા કરી. પ્રભુ ઈસુ ગાલીલમાં પોતાની સેવા શરૂ કરે છે ( માર્ક ૧:૧૪-૧૫ ; લૂ. ૪:૧૪-૧૫ ) 12 યોહાનને બંદીવાન કરવામાં આવ્યો છે, એવું સાંભળીને ઈસુ ગાલીલમાં પાછા ગયા. 13 અને નાઝરેથ મૂકીને ઝબૂલોનની તથા નફતાલીની સીમમાંના સમુદ્ર પાસેના કપરનાહૂમમાં તે આવીને રહ્યા : 14 એ માટે કે યશાયા પ્રબોધકે જે કહ્યું હતું તે પૂરું થાય, 15 “ઝબુલોનના પ્રાંતના તથા નફતાલીના પ્રાંતના, યર્દન પાસેના સમુદ્રના રસ્તાઓમાં, એટલે વિદેશીઓના ગાલીલમાંના 16 જે લોકો અંધારામાં બેઠેલા હતાં, તેઓએ મોટું અજવાળું જોયું, ને મરણસ્થાનમાં તથા મરણછાયામાં જેઓ બેઠેલા હતા, તેમના પર અજવાળું પ્રકાશ્યું.” 17 ત્યારથી ઈસુ પ્રગટ કરવા તથા કહેવા લાગ્યા, “પસ્તાવો કરો, કેમ કે આકાશનું રાજ્ય પાસે આવ્યું છે.” પ્રથમ શિષ્યોનું તેડું ( માર્ક ૧:૧૬-૨૦ ; લૂ. ૫:૧-૧૧ ) 18 અને ઈસુ ગાલીલના સમુદ્રને કાંઠે ચાલતા હતા, ત્યારે તેમણે બે ભાઈઓને, એટલે સિમોન જે પિતર કહેવાય છે તેને તથા તેના ભાઈ આન્દ્રિયાને સમુદ્રમાં જાળ નાખતા જોયા, કેમ કે તેઓ માછી હતા. 19 અને તે તેઓને કહે છે, “મારી પાછળ આવો ને હું તમને માણસોને પકડનારા કરીશ.” 20 અને તેઓ તરત જાળો મૂકીને તેમની પાછળ ગયા. 21 અને ત્યાંથી આગળ જતાં તેમણે બીજા બે ભાઈઓને, એટલે ઝબદીના દીકરા યાકૂબને તથા તેના ભાઈ યોહાનને, તેઓના પિતા ઝબદીની સાથે વહાણમાં પોતાની જાળો સાંધતા જોઈને, તેઓને પણ તેડ્યા. 22 ત્યારે તેઓ તરત વહાણને તથા પોતાના પિતાને મૂકીને તેમની પાછળ ગયા. ઈસુ શીખવે છે, પ્રચાર કરે છે, અને સાજાં કરે છે ( લૂ. ૬:૧૭-૧૯ ) 23 અને ઈસુ તેઓનાં સભાસ્થાનોમાં ઉપદેશ કરતા, ને રાજ્યની સુવાર્તા પ્રગટ કરતા, ને લોકોમાં દરેક પ્રકારનો રોગ તથા દુ:ખ મટાડતા, આખા ગાલીલમાં ફર્યા. 24 ત્યારે આખા સિરિયામાં તેમની કીર્તિ ફેલાઈ ગઈ, ને સર્વ માંદાઓને, એટલે અનેક જાતનાં રોગીઓને તથા પીડાતાઓને તથા ભૂતવળગેલાંઓને તથા ફેફરાંવાળાઓને તથા પક્ષઘાતીઓને તેઓ તેમની પાસે લાવ્યા, અને તેમણે તેઓને સાજાં કર્યાં. 25 અને ગાલીલથી તથા દશનગરથી તથા યરુશાલેમથી તથા યહૂદિયાથી તથા યર્દનને પેલે પારથી લોકોનાં ટોળેટોળાં તેમની પાછળ ગયાં. |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India