Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

માથ્થી 26 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


ઈસુની વિરુદ્ધ કાવતરું
( માર્ક ૧૪:૧-૨ ; લૂ. ૨૨:૧-૨ ; યોહ. ૧૧:૪૫-૫૩ )

1 અને ઈસુએ એ સર્વ વાતો પૂરી કરી ત્યારે એમ થયું કે તેમણે પોતાના શિષ્યોને કહ્યું,

2 “તમે જાણો છો કે બે દિવસ પછી પાસ્ખાપર્વ છે; અને માણસનો દીકરો વધસ્તંભે જડાવા માટે પરસ્વાધીન કરાય છે.”

3 ત્યારે મુખ્ય યાજકો તથા લોકોના વડીલો કાયાફા નામે પ્રમુખ યાજકની કચેરીમાં એકઠા થયા.

4 અને ઈસુને કપટથી પકડીને મારી નાખવા માટે તેઓએ યોજના કરી.

5 પણ તેઓએ કહ્યું, “પર્વમાં નહિ, રખેને લોકોમાં ગડબડ થાય.”


બેથાનિયામાં ઈસુનો અભિષેક
( માર્ક ૧૪:૩-૯ ; યોહ. ૧૨:૧-૮ )

6 અને ઈસુ બેથાનિયામાં સિમોન કોઢિયાના ઘરમાં હતા,

7 ત્યારે અતિ મૂલ્યવાન અત્તરની સંગેમરમરની ડબ્બી લઈને એક સ્‍ત્રી તેમની પાસે આવી, ને તે જમવા બેઠા હતા ત્યારે તેમના માથા પર તેણે તે રેડ્યું.

8 પણ તેમના શિષ્યોએ તે જોયું ત્યારે તેઓએ ગુસ્સે થઈને કહ્યું, “એ નુકસાન શા માટે?

9 કેમ કે એ અત્તર ઘણે મૂલ્યે વેચાત, ને દરિદ્રીઓને અપાત.”

10 ત્યારે ઈસુએ એ જાણીને તેઓને કહ્યું, “એ સ્‍ત્રીને તમે કેમ સતાવો છો? કેમ કે એણે તો મારા પ્રત્યે ઉત્તમ કામ કર્યું છે.

11 કેમ કે દરિદ્રીઓ સદા તમારી સાથે છે, પણ હું સદા તમારી સાથે નથી.

12 તેણે એ અત્તર મારા શરીર પર રેડ્યું એ તો મારા દટાવાની તૈયારીને માટે તેણે કર્યું.

13 હું તમને ખચીત કહું છું કે, આખા જગતમાં જ્યાં કહીં આ સુવાર્તા પ્રસિદ્ધ કરવામાં આવશે ત્યાં એણે જે કર્યું છે તે પણ એની યાદગીરીને અર્થે કહેવામાં આવશે.”


ઈસુને પકડાવી દેવા યહૂદાની સંમતિ
( માર્ક ૧૪:૧૦-૧૧ ; લૂ. ૨૨:૩-૬ )

14 ત્યારે યહૂદા ઈશકારિયોત નામે તે બારમાંના એકે મુખ્ય યાજકોની પાસે જઈને

15 કહ્યું, “હું ઈસુને તમારે સ્વાધીન કરું તો તમે મને શું આપવા રાજી છો?” અને તેઓએ તેને ત્રીસ રૂપિયા તોળી આપ્યા.

16 અને ત્યારથી તેણે તેમને પરસ્વાધીન કરવાનો લાગ શોધ્યા કર્યો.


પોતાના શિષ્યો સાથે પાસ્ખા-ભોજન
( માર્ક ૧૪:૧૨-૨૧ ; લૂ. ૨૨:૭-૧૩ , ૨૧-૨૩ ; યોહ. ૧૩:૨૧-૩૦ )

17 અને બેખમીર રોટલીના [પર્વને] પહેલે દિવસે શિષ્યોએ ઈસુની પાસે આવીને કહ્યું, “તમારે માટે પાસ્ખા ખાવાની અમે ક્યાં તૈયારી કરીએ? તમારી શી ઇચ્છા છે?”

18 ત્યારે તેમણે કહ્યું. “નગરમાં ફલાણાની પાસે જઈને તેને કહો, ઉપદેશક કહે છે, મારો સમય પાસે આવ્યો છે; હું મારા શિષ્યો સહિત તારે ઘેર પાસ્ખા પાળવાનો છું.’”

19 અને ઈસુએ જેમ શિષ્યોને આજ્ઞા આપી હતી, તેમ તેઓએ કર્યું, ને પાસ્ખા તૈયાર કર્યું.

20 અને સાંજ પડી ત્યારે બાર શિષ્યોની સાથે તે જમવા બેઠા.

21 અને તેઓ જમતા હતા ત્યારે તેમણે તેઓને કહ્યું, “હું તમને ખચીત કહું છું કે, તમારામાંનો એક મને પરસ્વાધીન કરશે.”

22 ત્યારે તેઓ ઘણા શોકાતુર થયા, ને તેઓમાંનો દરેક તેમને પૂછવા લાગ્યો, “પ્રભુ, શું તે હું છું?”

23 અને તેમણે ઉત્તર દીધો, “જેણે મારી સાથે થાળીમાં હાથ નાખ્યો છે તે જ મને પરસ્વાધીન કરશે.

24 માણસના દીકરા સંબંધી જેમ લખેલું છે તેમ તે જાય છે ખરો; પણ જે માણસથી માણસનો દીકરો પરસ્વાધીન કરાય છે, તેને અફસોસ છે. જો તે માણસ જન્મ્યો ન હોત, તો તે તેને માટે સારું હોત.”

25 ત્યારે તેને પરસ્વાધીન કરનાર યહૂદાએ પૂછ્યું, “રાબ્બી, શું તે હું છું?” તે તેને કહે છે, “તેં પોતે જ કહ્યું.”


પ્રભુભોજનની સ્થાપના
( માર્ક ૧૪:૨૨-૨૬ ; લૂ. ૨૨:૧૪-૨૦ ; ૧ કોરીં. ૧૧:૨૩-૨૫ )

26 અને તેઓ ભોજન કરતા હતા ત્યારે ઈસુએ રોટલી લઈને, તથા આશીર્વાદ માંગીને ભાંગી અને શિષ્યોને તે આપીને કહ્યું, “લો, ખાઓ; એ મારું શરીર છે.”

27 અને તેમણે પ્યાલો લઈને તથા સ્તુતિ કરીને તેઓને આપીને ક્હ્યું, “તમે સહુ એમાંનું પીઓ.

28 કેમ કે [નવા] કરારનું એ મારું લોહી છે, જે પાપોની માફીને અર્થે ઘણાઓને માટે વહેવડાવવામાં આવે છે.

29 અને હું તમને કહું છું કે, હું મારા પિતાના રાજ્યમાં તમારી સાથે નવો દ્રાક્ષારસ નહિ પીઉં, તે દિવસ સુધી હું હવેથી તે પીનાર જ નથી.”

30 અને ગીત ગાયા પછી તેઓ જૈતુનના પહાડ ઉપર ગયા.


પિતરના નકાર વિષે ઈસુની આગાહી
( માર્ક ૧૪:૨૭-૩૧ ; લૂ. ૨૨:૩૧-૩૪ ; યોહ. ૧૩:૩૬-૩૮ )

31 ત્યારે ઈસુ તેઓને કહે છે, “તમે સહુ આજે રાત્રે મારા સંબંધી ઠોકર ખાશો, કેમ કે એમ લખેલું છે કે, હું ઘેટાપાળકને મારીશ, ને ટોળાંનાં ઘેટાં વિખેરાઈ જશે.’

32 પણ મારા ઊઠયા પછી હું તમારી અગાઉ ગાલીલમાં જઈશ.”

33 ત્યારે પિતરે તેમને ઉત્તર આપ્યો “જો કે બધા તમારા સંબંધી ઠોકર ખાય, તોપણ હું કદી ઠોકર નહિ ખાઈશ.”

34 ઈસુએ તેને કહ્યું, હું તને સાચે જ કહું છું કે, આજ રાત્રે મરઘો બોલ્યા અગાઉ તું ત્રણ વાર મારો નકાર કરીશ.”

35 પિત્તર તેમને કહે છે, “જો કે તમારી સાથે મારે મરવું પડે તોપણ હું તમારો નકાર નહિ જ કરીશ.” બધા શિષ્યોએ પણ એમ જ કહ્યું.


ગેથસેમાનેમાં ઈસુની પ્રાર્થના
( માર્ક ૧૪:૩૨-૪૨ ; લૂ. ૨૨:૩૯-૪૬ )

36 ત્યારે ઈસુ તેઓની સાથે ગેથસેમાને નામે એક સ્થળે આવે છે, ને શિષ્યોને કહે છે, “હું પણે જઈને પ્રાર્થના કરું ત્યાં સુધી તમે અહીં બેસો.”

37 અને પિતરને તથા ઝબદીના બન્‍ને દીકરાને સાથે લઈને પોતે શોકાતુર તથા ઉદાસ થવા લાગ્યા.

38 તે તેઓને કહે છે, “મારો જીવ મરવા જેવો ઘણો શોકાતુર છે. તમે અહીં રહીને મારી સાથે જાગતા રહો.”

39 પછી તેમણે થોડે આઘે જઈને ઊંધે મોઢે પડીને એવી પ્રાર્થના કરી, “ઓ મારા પિતા, જો બની શકે તો આ પ્યાલો મારાથી દૂર કરો; તોપણ મારી ઇચ્છા પ્રમાણે નહિ, પણ તમારી ઇચ્છા પ્રમાણે થાઓ.”

40 પછી શિષ્યોની પાસે તે આવે છે, ને તેઓને ઊંઘતા જોઈને પિતરને કહે છે, “શું તમે એક ઘડી પણ મારી સાથે જાગતા રહી નથી શકતા?

41 જાગતા રહો ને પ્રાર્થના કરો કે તમે પરીક્ષણમાં ન આવો! આત્મા તત્પર છે ખરો, પણ શરીર અબળ છે.”

42 વળી બીજી વાર તેમણે જઈને પ્રાર્થના કરી, “ઓ મારા પિતા, જો આ પ્યાલો મારા પીધા વગર મારી પાસેથી દૂર કરી ન શકાય તો તમારી ઇચ્છા પ્રમાણે થાય.”

43 ત્યારે તેમણે બીજી વાર આવીને તેઓને ઊંઘતા જોયા; કેમ કે તેઓની આંખો [ઊંઘથી] ભારે થઈ હતી.

44 અને તે ફરીથી તેઓને મૂકીને ગયા, ને ત્રીજી વાર તેની તે જ વાત કહેતાં તેમણે પ્રાર્થના કરી.

45 ત્યારે તે પોતાના શિષ્યોની પાસે આવીને તેઓને કહે છે, “હવે ઊંઘ્યા કરો, ને આરામ લો; જુઓ, તે ઘડી પાસે આવી છે, ને માણસનો દીકરો પાપીઓના હાથમાં પરસ્વાધીન કરાય છે.

46 ઊઠો, આપણે જઈએ, જુઓ મને જે પરસ્વાધીન કરે છે તે આવી પહોંચ્યો છે.”


ઈસુની ધરપકડ
( માર્ક ૧૪:૪૩-૫૦ ; લૂ. ૨૨:૪૭-૫૩ ; યોહ. ૧૮:૩-૧૨ )

47 અને તે હજી બોલતા હતા એટલામાં જુઓ, બારમાંનો એક, એટલે યહૂદા, આવ્યો. અને તેની સાથે મુખ્ય યાજકોની તથા લોકોના વડીલોની પાસેથી ઘણા લોકો તરવારો તથા લાકડીઓ લઈને આવ્યા.

48 હવે તેમને પરસ્વાધીન કરનારે તેઓને એવી નિશાની આપી હતી, “હું જેને ચૂમીશ તે જ તે છે; તેને પકડી લેજો.”

49 અને તરત તેણે ઈસુની પાસે આવીને કહ્યું, “રાબ્બી, સલામ”; અને તે તેમને ચૂમ્યો.

50 અને ઈસુએ તેને કહ્યું, “મિત્ર, જે કરવાને તું આવ્યો છે તે કર.” ત્યારે તેઓએ પાસે આવીને ઈસુ પર હાથ નાખીને તેમને પકડી લીધા.

51 પછી જુઓ, ઈસુના સાથીઓમાંના એકે હાથ લાંબો કરીને પોતાની તરવાર કાઢી, ને પ્રમુખ યાજકના ચાકરને મારીને તેનો કાન કાપી નાખ્યો.

52 ત્યારે ઈસુ તેને કહે છે, “તારી તરવાર તેના મ્યાનમાં પાછી મૂક; કેમ કે જેટલા તરવાર પકડે છે તેઓ સર્વ તરવારથી નાશ પામશે.

53 શું તું એવું ધારે છે કે હું એવો શક્તિમાન નથી કે જો મારા પિતાની પાસે માગું, તો તે હમણાં જ દૂતોની બાર ફોજ કરતાં વધારે મારી પાસે નહિ મોકલી દે?

54 તો ધર્મલેખો [માં જે લખેલું છે] કે એવું થવું જ જોઈએ, તે કેવી રીતે પૂરું થશે?”

55 તે જ સમયે ઈસુએ લોકોને કહ્યું, “તમે તરવારો તથા લાકડીઓ લઈને જેમ ચોરને તેમ મને પકડવા નીકળી આવ્યા છો શું? હું રોજ મંદિરમાં બેસીને બોધ કરતો હતો તોપણ તમે મને પકડ્યો નહોતો;

56 પણ પ્રબોધકોના લેખો પૂરા થાય માટે આ બધું થયું છે.” ત્યારે બધા શિષ્યો તેમને મૂકીને નાસી ગયા.


ન્યાયસભા સમક્ષ ઈસુ
( માર્ક ૧૪:૫૩-૬૫ ; લૂ. ૨૨:૫૪-૫૫ , ૬૩-૭૧ ; યોહ. ૧૮:૧૩-૧૪ , ૧૯-૨૪ )

57 પછી જેઓએ ઈસુને પકડ્યા હતા, તેઓ જ્યાં શાસ્‍ત્રીઓ તથા વડીલો એકઠા થયા હતા, ત્યાં કાયાફા પ્રમુખ યાજકની પાસે તેમને લઈ ગયા.

58 અને પિતર દૂર રહીને તેમની પાછળ પાછળ પ્રમુખ યાજકની કચેરી સુધી આવ્યો, ને અંદર જઈને પરિણામ જોવાને ભાલદારોની પાસે બેઠો.

59 અને ઈસુને મારી નાખવાને મુખ્ય યાજકોએ તથા આખી ન્યાયસભાએ તેમની વિરુદ્ધ જૂઠી સાક્ષી શોધી;

60 અને જો કે ઘણા જૂઠા સાક્ષી આવ્યા, તોપણ તે ન જડી; પણ પાછળથી બે જણ આવીને

61 બોલ્યા, “એણે એમ કહ્યું કે, હું ઈશ્વરનું મંદિર પાડી નાખવાને તથા તેને ત્રણ દિવસમાં પાછું બાંધવાને સમર્થ છું”

62 ત્યારે પ્રમુખ યાજકે ઊભા થઈને તેને કહ્યું, “શું તું કંઈ જ ઉત્તર નથી આપતો? તેઓ તારી વિરુદ્ધ કેવી સાક્ષી આપે છે?”

63 પણ ઈસુ છાના રહ્યા. ત્યારે પ્રમુખ યાજકે તેમને કહ્યું, “હું તને જીવતા ઈશ્વરના સમ દઉં છું કે, ઈશ્વરનો દીકરો જે ખ્રિસ્ત તે જ તું છે કે નહિ, એ અમને કહે.”

64 ઈસુ તેને કહે છે, “તેં પોતે જ કહ્યું; પરંતુ હું તમને કહું છું કે, હવે પછી માણસના દીકરાને પરાક્રમના જમણા હાથ પર બેઠેલો તથા આકાશના મેઘો પર આવતો તમે જોશો.”

65 ત્યારે પ્રમુખ યાજકે પોતાનાં વસ્‍ત્ર ફાડીને કહ્યું, “એણે દુર્ભાષણ કર્યું છે; હવે આપણને બીજા સાક્ષીઓની શી જરૂર છે? જુઓ, તમે એ દુર્ભાષણ સાંભળ્યું છે.

66 તમે શું ધારો છો?” અને તેઓએ ઉત્તર આપ્યો, “એ મરણજોગ છે.”

67 ત્યારે તેઓએ તેમના મોં પર થૂંકીને તેમને મુક્કીઓ મારી; અને બીજાઓએ તેમને થબડાકો મારીને

68 કહ્યું, “ઓ ખ્રિસ્ત, તને કોણે માર્યો એ અમને કહી બતાવ.”


પિતરે કરેલો નકાર
( માર્ક ૧૪:૬૬-૭૨ ; લૂ. ૨૨:૫૬-૬૨ ; યોહ. ૧૮:૧૫-૧૮ , ૨૫-૨૭ )

69 પિતર બહાર ચોકમાં બેઠો હતો ત્યારે એક દાસીએ તેની પાસે આવીને કહ્યું, “તું પણ ગાલીલના ઈસુ સાથે હતો.”

70 પણ તેણે સહુની આગળ નકાર કરીને કહ્યું, “તું શું કહે છે તે હું જાણતો નથી.”

71 અને તે બહાર પરસાળમાં ગયો ત્યારે બીજીએ તેને જોઈને જેઓ ત્યાં હતા તેઓને કહ્યું, “એ પણ ઈસુ નાઝારીની જોડે હતો.”

72 પણ તેણે સમ ખાઈને ફરીથી નકાર કર્યો કે, ‘તે માણસને હું ઓળખતો નથી.’

73 અને થોડી વાર પછી પાસે ઊભેલાઓએ આવીને પિતરને કહ્યું, “ખરેખર તું પણ તેઓમાંનો છે, કેમ કે તારી બોલીથી તું ઓળખાઈ આવે છે.”

74 ત્યારે તે શાપ દેવા તથા સમ ખાવા લાગ્યો, ‘હું તે માણસને ઓળખતો નથી.’ અને તરત જ મરઘો બોલ્યો.

75 અને જે વાત ઈસુએ પિતરને કહી હતી, “મરઘો બોલ્યા અગાઉ તું ત્રણ વાર મારો નકાર કરીશ, ” તે તેને યાદ આવી; અને બહાર જઈને તે બહુ રડ્યો.

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan