માથ્થી 22 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)લગ્નજમણનું દ્દષ્ટાંત ( લૂ. ૧૪:૧૫-૨૪ ) 1 અને ઈસુએ ફરીથી તેઓને દ્દષ્ટાંતમાં કહ્યું, 2 “આકાશનું રાજ્ય એક રાજાના જેવું છે, જેણે પોતાના દીકરાના લગ્નનું જમણ કર્યું. 3 અને લગ્નમાં નોતરેલાઓને તેડવા માટે તેણે પોતાના ચાકરોને મોકલ્યા, પણ તેઓએ આવવા ચાહ્યું નહિ. 4 ફરી તેણે બીજા ચાકરોને મોકલીને કહ્યું, “નોતરેલાઓને કહો, જુઓ, મેં મારું જમણ તૈયાર કર્યું છે; મારા બળદ તથા પુષ્ટ જનાવરો કાપ્યાં છે, ને સર્વ વાનાં તૈયાર છે; લગ્નમાં આવો.” 5 પણ તેઓએ એ ગણકાર્યું નહિ, અને તેઓ પોતપોતાને માર્ગે ચાલ્યા ગયા, કોઈ તેના ખેતરમાં, ને કોઈ તેના વેપાર પર ગયો. 6 અને બાકીનાઓએ તેના ચાકરોને પકડ્યા, ને તેમનું અપમાન કરીને તેમને મારી નાખ્યા. 7 એથી રાજા ગુસ્સે થયો, ને તેણે પોતાનું લશ્કર મોકલીને તે ખૂનીઓનો નાશ કર્યો, ને તેઓનું નગર બાળી નાખ્યું. 8 પછી તે પોતાના ચાકરોને કહે છે, “લગ્નનું જમણ તૈયાર છે ખરું, પણ નોતરેલા યોગ્ય ન હતા. 9 એ માટે તમે રસ્તાઓનાં નાકાં પર જાઓ, ને જેટલા તમને મળે તેટલાને લગ્નમાં બોલાવો.” 10 અને તે ચાકરોએ બહાર રસ્તાઓમાં જઈને ભલાંભૂડાં જેટલા તેઓને મળ્યા તે સર્વને એકત્ર કર્યા, એટલે મહેમાનોથી લગ્નની ભરતી થઈ. 11 અને મહેમાનોને જોવા માટે રાજા અંદર આવ્યો, ત્યારે તેણે ત્યાં લગ્નનો પોશાક પહેર્યા વગરના એક જણને જોયો. 12 ત્યારે તે તેને કહે છે, “ઓ મિત્ર, તું લગ્નનો પોશાક પહેર્યા વિના અહીં કેમ આવ્યો?” અને તે અણબોલ્યો રહ્યો. 13 ત્યારે રાજાએ ચાકરોને કહ્યું, “એના હાથપગ બાંધીને એને બહારના અંધકારમાં ફેંકી દો; ત્યાં રડવું ને દાંત પીસવું થશે. 14 કેમ કે તેડેલા ઘણા છે, પણ પસંદ કરેલા થોડા [છે].” કાઈસારને કર ભરવો કે નહિ? ( માર્ક ૧૨:૧૩-૧૭ ; લૂ. ૨૦:૨૦-૨૬ ) 15 હવે તેમને શી રીતે વાતમાં સપડાવીએ એ સંબંધી ફરોશીઓએ જઈને યોજના ઘડી. 16 પછી તેઓએ પોતાના શિષ્યોને હેરોદીઓ સહિત તેમની પાસે મોકલીને કહેવડાવ્યું, “ઉપદેશક, અમે જાણીએ છીએ કે, તું સાચો છે, ને સાચાઈથી ઈશ્વરનો માર્ગ શીખવે છે, ને તું કોઈની દરકાર નથી કરતો, કેમ કે માણસનું મોં તું નથી રાખતો. 17 માટે તું શું ધારે છે? કાઈસારને કર આપવો ઉચિત છે કે નહિ? તે અમને કહે.” 18 પણ ઈસુએ તેઓની ભૂંડાઈ જાણીને કહ્યું, “ઓ ઢોંગીઓ, તમે મારું પરીક્ષણ કેમ કરો છો? 19 કરનું નાણું મને બતાવો." ત્યારે તેઓ એક દીનાર તેમની પાસે લાવ્યા. 20 ત્યારે તે તેઓને કહે છે, “આ સૂરત તથા લેખ કોનાં છે?” 21 તેઓ તેને કહે છે કે, “કાઈસારનાં.” ત્યારે તે તેઓને કહે છે, “જે કાઈસારનાં તે કાઈસારને, તથા જે ઈશ્વરના તે ઈશ્વરને ભરી આપો.” 22 અને એ સાંભળીને તેઓ નવાઈ પામ્યા, ને તેમને મૂકીને ચાલ્યા ગયા. પુનરુત્થાન વિષે પ્રશ્ન ( માર્ક ૧૨:૧૮-૨૭ ; લૂ. ૨૦:૨૭-૪૦ ) 23 તે જ દિવસે સાદૂકીઓ જેઓ કહે છે કે પુનરુત્થાન નથી, તેઓએ તેમની પાસે આવીને તેમને પૂછ્યું, 24 “ઉપદેશક, મૂસાએ કહ્યું છે કે, જો કોઈ સંતાન વગર મરી જાય, તો તેનો ભાઈ તેની પત્નીને પરણીને પોતાના ભાઈને માટે વંશ ઉપજાવે. 25 તો અમારામાં સાત ભાઈ હતા, ને પહેલો પરણીને મરી ગયો. અને તે સંતાન વગરનો હોઈને પોતાના ભાઈને માટે પોતાની પત્ની મૂકી ગયો. 26 તે પ્રમાણે બીજો તથા ત્રીજો એમ સાતમા સુધી તેઓ મરી ગયા. 27 અને સહુથી છેલ્લે તે સ્ત્રી પણ મરી ગઈ. 28 હવે પુનરુત્થાનમાં પેલા સાતમાંથી તે કોની પત્ની થશે? કેમ કે તે સહુની થઈ હતી.” 29 ત્યારે ઈસુએ તેઓને કહ્યું “ધર્મલેખો તથા ઈશ્વરનું પરાક્રમ નહિ જાણ્યાને લીધે તમે ભૂલ ખાઓ છો. 30 કેમ કે પુનરુત્થાનમાં તેઓ પરણતા નથી, ને પરણાવતા નથી, પણ આકાશમાંનાં દૂતો જેવા હોય છે. 31 પણ મૂએલાંઓના પુનરુત્થાન સંબંધી, ઈશ્વરે જે તમને કહ્યું તે શું તમે નથી વાંચ્યું 32 કે, હું ઇબ્રાહિમનો ઈશ્વર તથા ઇસહાકનો ઈશ્વર તથા યાકૂબનો ઈશ્વર છું?’ તે મૂએલાંઓનો ઈશ્વર નથી, પણ જીવતાંઓનો છે.” 33 ત્યારે લોકો એ સાંભળીને તેમના બોધથી નવાઈ પામ્યા. સૌથી મોટી આજ્ઞા ( માર્ક ૧૨:૨૮-૩૪ ; લૂ. ૧૦:૨૫-૨૮ ) 34 પણ જ્યારે ફરોશીઓએ સાંભળ્યું કે તેમણે સાદૂકીઓનાં મોં બંધ કર્યાં ત્યારે તેઓ એકત્ર થયા. 35 અને તેઓમાંથી એક પંડિતે તેમનું પરીક્ષણ કરવા માટે તેમને પૂછ્યું, 36 “ઓ ઉપદેશક, નિયમશાસ્ત્રમાં સહુથી મોટી આજ્ઞા કયી છે?” 37 ત્યારે તેમણે તેને કહ્યું, “પ્રભુ તારા ઈશ્વર પર તું તારા પૂરા હૃદયથી, ને તારા પૂરા જીવથી, ને તારા પૂરા મનથી પ્રેમ કર. 38 પહેલી ને મોટી આજ્ઞા એ છે. 39 અને બીજી આજ્ઞા એના જેવી જ છે, એટલે જેવો પોતા પર તેવો તારા પડોશી પર તું પ્રેમ કર. 40 આ બે આજ્ઞા આખા નિયમશાસ્ત્ર તથા પ્રબોધકોનો પાયો છે.” “મસીહ સંબંધી તમે શું ધારો છો?” ( માર્ક ૧૨:૩૫-૩૭ ; લૂ. ૨૦:૪૧-૪૪ ) 41 હવે ફરોશીઓ એકત્ર મળેલા હતા, ત્યારે ઈસુએ તેઓને એવું પૂછ્યું, 42 “મસીહ સંબંધી તમે શું ધારો છો? તે કોનો દીકરો છે?” તેઓ તેમને કહે છે, “દાઉદનો, ” 43 તે તેઓને કહે છે, “તો આત્મા વડે દાઉદ તેને પ્રભુ કેમ કહે છે? 44 [જેમ કે] ‘પ્રભુએ મારા પ્રભુને કહ્યું કે, તારા શત્રુઓને હું તારું પાયાસન કરું, ત્યાં સુધી તું મારે જમણે હાથ બેસ.’ 45 હવે જો દાઉદ તેને પ્રભુ કહે છે, તો તે શી રીતે તેનો દીકરો કહેવાય?” 46 અને એક પણ શબ્દનો ઉત્તર કોઈ તેમને આપી શક્યો નહિ, તેમ જ તે દિવસથી તેમને કંઈ પૂછવાને કોઈએ હિંમત કરી નહિ. |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India