Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

માથ્થી 13 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


બી વાવનારનું દ્દષ્ટાંત
( માર્ક ૪:૧-૯ ; લૂ. ૮:૪-૮ )

1 તે જ દિવસે ઈસુ ઘરમાંથી નીકળીને સમુદ્રને કિનારે બેઠા.

2 અને અતિ ઘણા લોકો તેમની પાસે એકત્ર થયા, માટે હોડી પર તે ચઢી બેઠા; અને સર્વ લોકો કિનારે ઊભા રહ્યા.

3 અને દ્દષ્ટાંતોમાં તેમણે તેઓને ઘણી વાતો કહી : “જુઓ, વાવનાર વાવવાને બહાર ગયો.

4 અને તે વાવતો હતો ત્યારે કેટલાંક [બી] રસ્તાની કોરે પડયાં, એટલે પક્ષીઓ આવીને તે ખાઈ ગયાં.

5 અને કેટલાંક પથ્થરવાળી જમીન પર પડ્યાં, જ્યાં ઘણી માટી ન હતી, અને તેને માટીનું ઊંડાણ ન હતું માટે તે વહેલાં ઊગી નીકળ્યાં.

6 પણ જ્યારે સૂરજ ઊગ્યો ત્યારે તે ચીમળાઈ ગયાં. અને જડ નહિ હોવાથી તે સુકાઈ ગયાં.

7 અને કેટલાંક કાંટાનાં જાળામાં પડ્યાં, ને કાંટાનાં જાળાએ વધીને તેને દાબી નાંખ્યાં.

8 અને બીજાં સારી જમીન પર પડ્યાં, ને તેઓએ ફળ આપ્યાં. કેટલાંકે સોગણાં, ને કેટલાંકે સાઠગણાં, ને કેટલાંકે ત્રીસગણાં.

9 જેને સાંભળવાને કાન છે તે સાંભળે.”


દ્દષ્ટાંતો વાપરવાનો હેતુ
( માર્ક ૪:૧૦-૧૨ ; લૂ. ૮:૯-૧૦ )

10 પછી ‍શિષ્યોએ પાસે આવીને તેમને કહ્યું, “તમે તેઓની સાથે દ્દષ્ટાંતોમાં શા માટે બોલો છો?”

11 ત્યારે તેમણે તેઓને ઉત્તર આપ્યો, “આકાશના રાજ્યના મર્મો જાણવાનું તમને આપેલું છે, પણ તેઓને નથી આપેલું.

12 કેમ કે જેની પાસે છે તેને અપાશે, ને તેની પાસે પુષ્કળ થશે. પણ જેની પાસે નથી તેની પાસે જે છે, તે પણ તેની પાસેથી લઈ લેવાશે.

13 એ માટે હું તેઓની સાથે દ્દષ્ટાંતોમાં બોલું છું; કેમ કે જોતાં તેઓ જોતા નથી, ને સાંભળતાં તેઓ સાંભળતા નથી, ને સમજતા પણ નથી.

14 અને યશાયાની વાત તેઓના સંબંધમાં પૂરી થઈ છે, જે કહે છે, તમે સાંભળતાં સાંભળશો, પણ સમજશો નહિ; ને જોતાં જોશો, પણ તમને સૂઝશે નહિ.’

15 કેમ કે એ લોકોનાં મન જડ થઈ ગયાં છે, ને તેઓના કાન બહેર મારી ગયા છે; ને તેઓએ પોતાની આંખો મીંચેલી છે; રખેને તેઓને આંખે સૂઝે, ને તેઓ કાને સાંભળે, ને મનથી સમજે, ને ફરે; અને હું તેઓને સાજા કરું.

16 પણ તમારી આંખોને ધન્ય છે, કેમ કે તેઓ જુએ છે; અને તમારા કાનોને [ધન્ય છે] કેમ કે તેઓ સાંભળે છે.

17 કારણ કે હું તમને ખચીત કહું છું કે, તમે જે જે જુઓ છો તે તે ઘણા પ્રબોધકોએ તથા ન્યાયીઓએ જોવા ઇચ્છયાં, પણ જોયાં નહિ, અને તમે જે જે સાંભળો છો તે સાંભળવા તેઓએ ઇચ્છ્યાં, પણ સાંભળ્યાં નહિ.’”


ઈસુ બી વાવનારનું દ્દષ્ટાંત સમજાવે છે
( માર્ક ૪:૧૩-૨૦ ; લૂ. ૮:૧૧-૧૫ )

18 હવે વાવનારનું દ્દષ્ટાંત સાંભળો.

19 “જ્યારે રાજ્યનું વચન કોઈ સાંભળે છે, ને નથી સમજતો, ત્યારે શેતાન આવીને તેના મનમાં જે વાવેલું છે તે છીનવી લઈ જાય છે. રસ્તાની કોરે જે બી વાવેલું છે તે એ જ છે.

20 અને પથ્થરવાળી જમીન પર જે બી વાવેલું તે એ છે કે, તે વચન સાંભળીને તરત હર્ષથી તેને માની લે છે.

21 તોપણ તેના પોતામાં જડ નહિ હોવાથી તે થોડી જ વાર ટકે છે, અને જ્યારે વચનને લીધે વિપત્તિ અથવા સતાવણી આવે છે, ત્યારે તરત તે ઠોકર ખાય છે.

22 અને કાંટાનાં જાળાંમાં જે બી વાવેલું તે એ છે કે, તે વચન સાંભળે છે, પણ આ જગતની ચિંતા તથા દ્રવ્યની માયા વચનને દાબી નાખે છે, ને તે નિષ્ફળ થઈ જાય છે.

23 અને સારી જમીન પર જે બી વાવેલું તે એ છે કે, તે વચન સાંભળે છે, સમજે છે, ને તેને નક્કી ફળ લાગે છે, એટલે કોઈને સોગણાં, તો કોઈને સાઠગણાં, અને કોઈને ત્રીસગણાં લાગે છે.”


ઘઉં અને કડવા દાણા

24 ઈસુએ તેઓની આગળ બીજું દ્દષ્ટાંત કહ્યું, “આકાશનું રાજ્ય પોતાના ખેતરમાં સારું બી વાવનાર માણસના જેવું છે.

25 પણ માણસો ઊંઘતા હતા તેવામાં તેનો વૈરી આવીને ઘઉંમાં કડવા દાણા વાવીને ચાલ્યો ગયો.

26 પણ જ્યારે છોડવા ઊગ્યા, ને તેમને ઉંબીઓ આવી, ત્યારે કડવા દાણા પણ દેખાયા.

27 ત્યારે તે ઘરધણીના ‍ચાકરોએ પાસે આવીને તેને કહ્યું, ‘સાહેબ, તમે શું તમારા ખેતરમાં સારું બી વાવ્યું નહોતું? તો તેમાં કડવા દાણા ક્યાંથી આવ્યા?’

28 અને તેણે તેઓને કહ્યું, કોઈ વૈરીએ એ કર્યું છે.’ ત્યારે ચાકરોએ તેને કહ્યું, ‘તમારી મરજી હોય તો અમે જઈને તેને એકઠા કરીએ.’

29 પણ તેણે કહ્યું, ‘ના, રખેને તમે કડવા દાણા એકઠા કરતાં ઘઉંને પણ તેની સાથે ઉખેડો.

30 કાપણી સુધી બન્‍નેને સાથે વધવા દો. અને કાપણીની મોસમમાં હું કાપનારાઓને કહીશ કે, તમે પહેલા કડવા દાણાને એકઠા કરો, ને બાળવા માટે તેના ભારા બાંધો, પણ ઘઉં મારી વખારમાં ભરો.’”


રાઈના બીનું દ્દષ્ટાંત
( માર્ક ૪:૩૦-૩૨ ; લૂ. ૧૩:૧૮-૧૯ )

31 તેમણે તેઓની આગળ બીજું એક દ્દષ્ટાંત કહ્યું, “આકાશનું રાજ્ય રાઈના બી જેવું છે, જેને એક જણે લઈને પોતાના ખેતરમાં વાવ્યું

32 સર્વ બી કરતાં તે નાનું છે, પણ વધ્યા પછી છોડવા કરતાં તે મોટું થાય છે, ને તે એવું ઝાડ પણ થાય છે કે આકાશનાં પક્ષીઓ આવીને તેની ડાળીઓ પર વાસો કરે છે.”


ખમીરનું દ્દષ્ટાંત
( લૂ. ૧૩:૨૦-૨૧ )

33 તેમણે તેઓને બીજું દ્દષ્ટાંત કહ્યું, “આકાશનું રાજ્ય ખમીર જેવું છે, જેને એક સ્‍ત્રીએ લઈને ત્રણ માપ લોટમાં મેળવી દીધું, એટલે સુધી કે તે બધો ખમીરવાળો થઈ ગયો.”


દ્દષ્ટાંતોનો ઉપયોગ
( માર્ક ૪:૩૩-૩૪ )

34 એ બધી વાતો ઈસુએ લોકોને દ્દષ્ટાંતોમાં કહી. અને દ્દષ્ટાંત વગર તેમણે તેઓને કંઈ કહ્યું નહિ.

35 જેથી કે પ્રબોધકે જે કહ્યું હતું તે પૂરું થાય, “હું મારું મોં ઉઘાડીને દ્દષ્ટાંતો કહીશ, ને જગતનો પાયો નાખ્યાના વખતથી જે છાનાં રખાયાં છે તે હું પ્રગટ કરીશ.”


ઈસુ કડવા દાણાનું દ્દષ્ટાંત સમજાવે છે

36 ત્યાર પછી લોકોને મૂકીને તે ઘરમાં ગયા. અને તેમના શિષ્યોએ તેમની પાસે આવીને કહ્યું, ખેતરના કડવા દાણાના દ્દષ્ટાંતનો અર્થ અમને કહો.”

37 ત્યારે તેમણે તેઓને ઉત્તર આપ્યો, “સારું બી જે વાવે છે તે માણસનો દીકરો છે.

38 અને ખેતર જગત છે અને સારાં બી રાજ્યનાં સંતાન છે. પણ કડવા દાણા શેતાનનાં સંતાન છે.

39 અને જે વૈરીએ તે વાવ્યાં તે શેતાન છે. અને કાપણી જગતનો અંત છે. અને કાપનારા દૂતો છે.

40 એ માટે જેમ કડવા દાણા એકત્ર કરવામાં આવે છે, અને અગ્નિમાં બાળી નંખાય છે, તેમ આ જગતને અંતે પણ થશે.

41 માણસનો દીકરો પોતાના દૂતોને મોકલશે, ને તેઓ ઠોકર ખવડાવનારી બધી વસ્તુઓને તથા ભૂંડું કરનારાંઓને તેના રાજ્યમાંથી એકત્ર કરશે,

42 અને તેઓને બળતી ભઠ્ઠીમાં નાખી દેશે. જ્યાં રડવું ને દાંત પીસવું થશે.

43 ત્યારે ન્યાયીઓ પોતાના પિતાના રાજ્યમાં સૂરજની જેમ પ્રકાશશે. જેને સાંભળવાને કાન છે તે સાંભળે.


સંતાડેલા દ્રવ્યનું દ્દષ્ટાંત

44 વળી આકાશનું રાજ્ય ખેતરમાં સંતાડેલા દ્રવ્ય જેવું છે, જે એક માણસને જડ્યું. પછી તેણે તે છાનું રાખ્યું, ને તેના હર્ષને લીધે જઈને પોતાનું સર્વસ્વ વેચી નાખીને તેણે તે ખેતર વેચાતું લીધું.


મોતીનું દ્દષ્ટાંત

45 વળી આકાશનું રાજ્ય સારાં મોતી શોધનાર કોઈ એક વેપારીના જેવું છે.

46 તેને એક અતિ મૂલ્યવાન મોતી મળી આવ્યું, ત્યાર પછી તેણે જઈને પોતાનું સર્વસ્વ વેચી નાખીને તે વેચાતું લીધું.


જાળનું દ્દષ્ટાંત

47 વળી આકાશનું રાજ્ય જાળના જેવું છે, જેને લોકોએ સમુદ્રમાં નાખી, ને દરેક જાતનું તેમાં સમેટાયું.

48 અને જ્યારે તે ભરાઈ ગઈ ત્યારે તેઓ તેને કિનારે ખેંચી લાવ્યા, ને બેસીને જે સારું હતું તે તેઓએ વાસણોમાં એકત્ર કર્યું, પણ નઠારું ફેંકી દીધું.

49 એમ જ જગતને અંતે પણ થશે. દૂતો આવીને ન્યાયીઓમાંથી ભૂંડાઓને જુદા પાડશે,

50 અને તેઓને બળતી ભઠ્ઠીમાં ફેંકી દેશે; જ્યાં રડવું ને દાંત પીસવું થશે.”


જૂનાં અને નવાં સત્યો

51 “શું તમે એ બધી વાતો સમજ્યા?” તેઓ તેને કહે છે, “હા”.

52 ત્યારે તેમણે તેઓને કહ્યું, “દરેક શાસ્‍ત્રી જે આકાશના રાજ્યનો શિષ્ય થયો છે તે એક ઘરધણી કે જે પોતાના ભંડારમાંથી નવી તથા જૂની વસ્તુઓ કાઢે છે તેના જેવો છે.”


નાઝરેથમાં ઈસુનો નકાર
( માર્ક ૬:૧-૬ ; લૂ. ૪:૧૬-૩૦ )

53 અને એમ થયું કે ઈસુ એ દ્દષ્ટાંતો કહી રહ્યા, ત્યારે તે ત્યાંથી ‍ચાલ્યા ગયા.

54 અને પોતાના દેશમાં આવીને તેમણે તેઓનાં સભાસ્થાનોમાં તેઓને એવો બોધ કર્યો કે તેઓ અચરત થઈને બોલ્યા, “આ માણસની પાસે આવું જ્ઞાન તથા આવાં પરાક્રમી કામો ક્યાંથી?

55 શું એ સુથારનો દીકરો નથી? એની માનું નામ મરિયમ નથી શું? અને શું યાકૂબ તથા યૂસફ તથા સિમોન તથા યહૂદા તેના ભાઈઓ નથી?

56 અને શું એની બધી બહેનો આપણી પાસે નથી? તો આ માણસની પાસે આ બધું ક્યાંથી?”

57 અને તેઓએ તેમના સંબંધી ઠોકર ખાધી. પણ ઈસુએ તેઓને કહ્યું, “પ્રબોધક પોતાના દેશ તથા પોતાના ઘર સિવાય [બીજે સ્થળે] માન વગરનો નથી.”

58 અને તેઓના અવિશ્વાસને કારણે ઈસુએ ત્યાં ઘણાં પરાક્રમી કામ કર્યાં નહિ.

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan