Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

લૂકની લખેલી સુવાર્તા 8 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


ઈસુને સેવા આપતી સ્‍ત્રીઓ

1 થોડી મુદત પછી તે શહેરેશહેર તથા ગામેગામ ઉપદેશ કરતા તથા ઈશ્વરના રાજ્યની સુવાર્તા પ્રગટ કરતા ફર્યા, અને તેમની સાથે બાર શિષ્યો હતા.

2 કેટલીક સ્‍ત્રીઓ જેઓને ભૂંડા આત્માઓથી તથા મંદવાડમાંથી સાજી કરવામાં આવી હતી, એટલે મગ્દલાની મરિયમ જેનામાંથી સાત ભૂંડા આત્મા નીકળ્યા હતા તે,

3 હેરોદના કારભારી ખૂઝાની પત્ની યોહાન્‍ના, સુસાન્‍ના તથા બીજી ઘણી સ્‍ત્રીઓ જેઓ પોતાના પૈસામાંથી તેમની સેવા કરતી હતી તેઓ પણ [તેમની સાથે] હતી.


વાવનારનું દ્દષ્ટાંત
( માથ. ૧૩:૧-૯ ; માર્ક ૪:૧-૯ )

4 જ્યારે ઘણા લોકો એકઠા થયા, અને શહેરેશહેરના લોકો તેમની પાસે આવ્યા, ત્યારે તેમણે દ્દષ્ટાંત દ્વારા કહ્યું,

5 “વાવનાર બી વાવવા ગયો. તે વાવતો હતો ત્યારે કેટલાંક [બી] માર્ગની કોરે પડ્યાં. તે પગ નીચે ખૂંદાઈ ગયાં અને આકાશનાં પક્ષીઓ તે ખાઈ ગયાં.

6 બીજાં [બી] પથ્થર પર પડ્યાં; અને તેને ભીનાશ નહિ મળવાથી ઊગ્યાં તેવાં જ ચીમળાઈ ગયાં.

7 બીજાં કાંટાઓમાં પડ્યાં; કાંટાઓએ તેની સાથે ઊગીને તેને દાબી નાખ્યાં.

8 વળી બીજાં સારી જમીનમાં પડ્યાં, તે ઊગ્યાં, અને તેને સોગણું ફળ આવ્યું.” એ વાતો કહેતાં તેમણે મોટેથી કહ્યું, “જેને સાંભળવાને કાન છે તેણે સાંભળવું.”


દ્દષ્ટાંતનો હેતુ
( માથ. ૧૩:૧૦-૧૭ ; માર્ક ૪:૧૦-૧૨ )

9 તેમના શિષ્યોએ તેમને પૂછ્યું, “એ દ્દષ્ટાંત [નો અર્થ] શો છે?”

10 તેમણે તેઓને કહ્યું, “ઈશ્વરના રાજ્યના મર્મ જાણવાનું તમને આપેલું છે, પણ બીજાઓને તો દ્દષ્ટાંતોદ્વારે; એ માટે કે જોતાં તેઓ જુએ નહિ, ને સાંભળતાં તેઓ સમજે નહિ.


ઈસુ દ્દષ્ટાંતનો અર્થ સમજાવે છે
( માથ. ૧૩:૧૮-૨૩ ; માર્ક ૪:૧૩-૨૦ )

11 દ્દષ્ટાંત [નો અર્થ] આ છે: બી તો ઈશ્વરનું વચન છે.

12 માર્ગની કોરે પડેલાં તો સાંભળનારા છે; શેતાન આવીને તેઓના મનમાંથી વચન લઈ જાય છે, રખેને તેઓ વિશ્વાસ કરીને તારણ પામે.

13 પથ્થર પર પડેલાં તો એ છે કે, જેઓ વચન સાંભળીને હર્ષથી તેને માની લે છે, પણ તેઓને મૂળ ન હોવાથી તેઓ થોડીવાર સુધી વિશ્વાસ કરે છે, અને પરીક્ષણની વેળાએ પાછા હઠી જાય છે.

14 જે કાંટાઓમાં પડ્યાં તે એ છે કે, જેઓએ વચન સાંભળ્યું અને પોતાને માર્ગે ચાલતાં ચાલતાં સંસારની ચિંતા, દ્રવ્ય તથા વિલાસથી દબાઈ જાય છે, અને તેઓને પાકું ફળ આવતું નથી.

15 સારી જમીનમાં પડેલાં એ છે કે, જેઓ સાંભળીને ચોખ્ખા તથા રૂડા દિલથી વચન ગ્રહણ કરે છે, ને ધીરજથી ફળ આપે છે.


દીવો સળગાવીને ક્યાં મૂકવાનો?
( માર્ક ૪:૨૧-૨૫ )

16 વળી કોઈ માણસ દીવો સળગાવીને તેને વાસણ નીચે ઢાંકતો નથી, અથવા ખાટલા નીચે મૂકતો નથી, પણ અંદર આવનારાઓને અજવાળું મળે માટે દીવી પર મૂકે છે.

17 કેમ કે પ્રગટ નહિ કરાશે, એવું કંઈ છાનું નથી, અને જણાશે નહિ, તથા ઉઘાડું થશે નહિ, એવું કંઈ ગુપ્ત પણ નથી.

18 માટે તમે કેવી રીતે સાંભળો છો તે વિષે સાવધાન રહો; કેમ કે જેની પાસે છે તેને આપવામાં આવશે; અને જેની પાસે નથી તેની પાસેથી તેના ધારવા પ્રમાણે તેનું જે છે તે પણ લઈ લેવાશે.”


ઈસુનાં મા અને ભાઈઓ
( માથ. ૧૨:૪૬-૫૦ ; માર્ક 3:૩૧-૩૫ )

19 તેમની મા તથા તેમના ભાઈઓ તેમને મળવા આવ્યાં, પણ લોકોની ભીડને લીધે તેઓ તેમની નજીક જઈ શક્યાં નહિ.

20 તેમને [કોઈએ] ખબર આપી કે, તમારાં મા તથા તમારા ભાઈઓ બહાર ઊભાં રહ્યાં છે, તેઓ તમને મળવા ચાહે છે.

21 પણ તેમણે તેઓને ઉત્તર આપ્યો. “આ જેઓ ઈશ્વરની વાત સાંભળે છે, તથા પાળે છે તેઓ મારાં મા તથા મારા ભાઈઓ છે.”


ઈસુ તોફાન શાંત પાડે છે
( માથ. ૮:૨૩-૨૭ ; માર્ક ૪:૩૫-૪૧ )

22 એ અરસામાં એક દિવસ તે પોતાના શિષ્યોની સાથે હોડી પર‍ ચઢયા; ત્યારે તેમણે તેઓને કહ્યું, “આપણે સરોવરને પેલે પાર જઈએ.” અને તેઓ નીકળ્યા.

23 તેઓ હંકારતા હતા એટલામાં તે ઊંઘી ગયા; સરોવર પર પવનનું તોફાન થયું. જેથી હોડીમાં પાણી ભરાઈ જવા લાગ્યું, અને તેઓ જોખમમાં આવી પડ્યા.

24 તેઓએ તેમની પાસે આવીને તેમને જગાડીને કહ્યું, “ હે સ્વામી, સ્વામી, અમારો નાશ થાય છે.” પછી તેમણે ઊઠીને પવનને તથા પાણીનાં મોજાંને ધમકાવ્યાં, એટલે તેઓ બંધ પડ્યાં, ને શાંતિ થઈ.

25 તેમણે તેઓને પૂછ્યું, “તમારો વિશ્વાસ ક્યાં છે?” તેઓ બીને આશ્ચર્ય પામ્યા, અને અંદરોઅંદર કહ્યું, “આ તે કોણ છે કે પવનને તથા પાણીને પણ આજ્ઞા કરે છે, અને તેઓ તેમનું માને છે?”


ઈસુ દુષ્ટાત્મા વળગેલાને સાજો કરે છે
( માથ. ૮:૨૮-૩૪ ; માર્ક ૫:૧-૨૦ )

26 ગાલીલની સામેના ગેરાસીનીઓના દેશમાં તેઓ જઈ પહોંચ્યા.

27 તે કાંઠે ઊતર્યા, ત્યારે શહેરમાંથી એક માણસ તેમને મળ્યો, જેને દુષ્ટાત્માઓ વળગેલા હતા; તે ઘણી મુદતથી લૂગડાં પહેરતો ન હતો, ને ઘરમાં નહિ, પણ કબરોમાં રહેતો હતો.

28 તેણે ઈસુને જોયા ત્યારે તે બૂમ પાડીને તેમની આગળ પડ્યો, ને મોટેથી કહ્યું, “ઓ ઈસુ, પરાત્પર ઈશ્વરના દીકરા, મારે ને તમારે શું છે? હું તમને વિનંતી કરું છું કે, મને પીડા ન દો.”

29 કારણ કે તેમણે તે માણસમાંથી અશુદ્ધ આત્માને નીકળવાનો હુકમ કર્યો હતો, કેમ કે તે વારે વારે તેને વળગતો હતો:અને સાંકળોથી તથા બેડીઓથી તેઓ તેને બાંધી રાખતા હતા, પણ બંધનો તોડી નાખીને તે દુષ્ટાત્મા તેને રાનમાં હાંકી જતો હતો.

30 ઈસુએ તેને પૂછ્યું, “તારું નામ શું છે?” તેણે કહ્યું, “સેના;” (કેમ કે તેમાં ઘણા દુષ્ટાત્માઓ પેઠા હતા.)

31 [દુષ્ટાત્માઓએ] તેમને વિનંતી કરી, “અમને નીકળીને ઊંડાણમાં જવાનો હુકમ ન કરો.”

32 હવે ત્યાં ઘણાં ભૂંડોનું એક ટોળું પહાડ પર ચરતું હતું. તેઓએ તેમને વિનંતી કરી, “અમને તેઓમાં પેસવાની રજા આપો.” ઈસુએ તેઓને રજા આપી.

33 દુષ્ટાત્માઓ તે માણસમાંથી નીકળીને ભૂંડોમાં પેઠા. તે ટોળું ભેખડ પરથી સરોવરમાં ધસી પડીને ડૂબી ગયું.

34 જે થયું તે જોઈને ચરાવનારા નાસી ગયા, અને શહેરમાં તથા ગામડામાં તે જાહેર કર્યું.

35 જે થયું તે જોવા માટે લોકો નીકળ્યા, અને ઈસુની પાસે આવ્યા. ત્યારે જે માણસમાંથી દુષ્ટાત્મા નીકળ્યા હતા તેને તેઓએ [વસ્‍ત્ર] પહેરેલો તથા શુદ્ધિમાં આવેલો ઈસુના પગ આગળ બેઠેલો જોયો. અને તેઓ બીધા.

36 દુષ્ટાત્મા વળગેલો માણસ શી રીતે સાજો થયો, તે જેઓએ જોયું હતું તેઓએ તેમને કહ્યું.

37 ગેરાસીનીઓનાં આસપાસના દેશમાંના સર્વ લોકોએ તેમને વિનંતી કરી કે, અમારી પાસેથી ચાલ્યા જાઓ; કેમ કે તેઓ ઘણા ગભરાઈ ગયા હતા. પછી હોડી પર‍ ચઢીને તે પાછા ગયા.

38 પણ જે માણસમાંથી દુષ્ટાત્માઓ નીકળ્યા હતા તેણે [ઈસુની] સાથે રહેવાની વિનંતી કરી. પણ તેમણે તેને વિદાય કરીને કહ્યું,

39 “તારે ઘેર પાછો જા, અને ઈશ્વરે તારે માટે કેવાં મોટાં કામ કર્યાં છે તે કહી જણાવ.” તેણે જઈને ઈસુએ કેવાં મોટાં કામ તેને માટે કર્યાં હતાં, તે આખા શહેરમાં પ્રગટ કર્યું.


યાઈરસની દીકરી તેમ જ લોહીવાવાળી સ્‍ત્રી
( માથ. ૯:૧૮-૨૬ ; માર્ક ૫:૨૧-૪૩ )

40 ઈસુ પાછા આવ્યા, ત્યારે લોકોએ તેમનો આવકાર કર્યો; કેમ કે બધા તેમની રાહ જોતા હતા.

41 જુઓ, યાઈરસ નામે એક માણસ આવ્યો, તે સભાસ્થાનનો અધિકારી હતો. તેણે ઈસુને પગે પડીને તેમને વિનંતી કરી, “મારે ઘેર આવો;”

42 કેમ કે તેને આશરે બાર વરસની એકની એક દીકરી હતી, તે મરવા પડી હતી. તે જતા હતા તે દરમિયાન ઘણા લોકોએ તેમના પર પડાપડી કરી.

43 એક સ્‍ત્રીને બાર વરસથી લોહીવા હતો, તેણે પોતાનો બધો પૈસો વૈદો પાછળ ખરચી નાખ્યો હતો, પણ કોઈ તેને સાજી કરી શક્યું નહોતું.

44 તે તેમની પાછળ આવીને તેમના વસ્‍ત્રની કોરને અડકી, અને તરત તેનો લોહીવા બંધ થયો.

45 ત્યારે ઈસુએ પૂછ્યું, “મને કોણ અડક્યું?” બધાએ ના પાડી, ત્યારે પિતર તથા જેઓ તેમની સાથે હતા તેઓએ તેમને કહ્યું, ” સ્વામી, તમારા ઉપર ઘણા લોકો પડાપડી કરે છે, અને [તમને] ચગદી નાખે છે!”

46 પણ ઈસુએ તેઓને કહ્યું, “કોઈ મને અડક્યું ખરું; કેમ કે મારામાંથી પરાક્રમ નીકળ્યું એવી મને ખબર પડી.”

47 જ્યારે તે સ્‍ત્રીએ જાણ્યું, ‘હું ગુપ્ત રહી નથી, ’ ત્યારે તે ધ્રૂજતી ધ્રૂજતી આવી, અને તેમના પગ આગળ પડીને શા કારણથી તે તેમને અડકી હતી, અને શી રીતે તરત સાજી થઈ હતી, તે તેણે બધા લોકોની આગળ તેમને કહી સંભળાવ્યું.

48 તેમણે તેને કહ્યું, “દીકરી, તારા વિશ્વાસે તને સાજી કરી છે; શાંતિથી જા.”

49 તે હજી બોલતા હતા એટલામાં સભાસ્થાનના અધિકારીને ત્યાંથી એક જણે આવીને તેને કહ્યું, “તારી દીકરી મરી ગઈ; [હવે] ઉપદેશકને તસ્દી ન આપ.”

50 પણ તે સાંભળીને ઈસુએ તેને ઉત્તર આપ્યો, “ગભરાઈશ નહિ. માત્ર વિશ્વાસ કર, એટલે તે સાજી થશે.”

51 તે ઘરમાં આવ્યા, ત્યારે પિતર, યાકૂબ, યોહાન તથા છોકરીનાં માતાપિતા સિવાય તેમણે કોઈને પોતાની સાથે અંદર આવવા દીધું નહિ.

52 છોકરીને માટે બધાં રડતાં તથા વિલાપ કરતાં હતાં. પણ તેમણે તેઓને કહ્યું, “રડો નહિ; કેમ કે તે મરી ગઈ નથી, પણ ઊંઘે છે.”

53 તે મરી ગઈ છે એમ જાણીને તેઓએ તેમને હસી કાઢ્યા.

54 પણ તેમણે તેનો હાથ પકડીને મોટે અવાજે કહ્યું, “હે છોકરી, ઊઠ.”

55 તેનો આત્મા પાછો આવ્યો, ને તે તરત ઊઠી. અને તેમણે તેને ખાવાનું આપવાનો હુકમ કર્યો.

56 તેનાં માબાપ તો આભાં જ થઈ ગયાં! પણ તેમણે તેઓને આજ્ઞા આપી, “જે થયું તે કોઈને કહેતા ના.”

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan