લૂકની લખેલી સુવાર્તા 24 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)ઈસુ સજીવન કરાયા ( માથ. ૨૮:૧-૧૦ ; માર્ક ૧૬:૧-૮ ; યોહ. ૨૦:૧-૧૦ ) 1 અઠવાડિયાને પહેલે દિવસે પ્રભાતે, જે સુગંધી દ્રવ્યો તેઓએ તૈયાર કર્યાં હતાં, તે લઈને તેઓ કબરે આવી. 2 તેઓએ કબર પરથી પથ્થર ગબડાવી દીધેલો જોયો. 3 તેઓ અંદર પેઠી, પણ પ્રભુ ઈસુનું શબ તેઓએ જોયું નહિ. 4 એ સંબંધી તેઓ ગૂંચવણમાં પડી હતી, ત્યારે ચળકતાં વસ્ત્ર પહેરેલા બે પુરુષો તેઓની પાસે ઉભા રહ્યા. 5 તેઓએ બીહીને જમીન સુધી પોતાનાં માથાં નમાવ્યાં, ત્યારે તેઓએ તેઓને કહ્યું, “મૂએલાંઓમાં તમે જીવતાને કેમ શોધો છે? 6 તે અહીં નથી, પણ ઊઠયા છે; તે ગાલીલમાં હતા, 7 ત્યારે તેમણે તમને કહ્યું હતું કે, ‘પાપી માણસોના હાથમાં માણસનો દીકરો પરસ્વાધીન કરાય, તથા વધસ્તંભે જડાય, તથા ત્રીજે દિવસે પાછો ઊઠે, એ અવશ્યનું છે’ તે યાદ કરો.” 8 તેમણે કહેલી વાત તેઓને યાદ આવી, 9 અને કબર આગળથી પાછી આવીને તેઓએ અગિયાર [શિષ્યો] ને તથા બીજા સર્વને એ બધી વાતો કહી સંભળાવી. 10 હવે જેઓએ આ વાતો પ્રેરિતોને કહી તે મગ્દલાની મરિયમ, યોહાન્ના, યાકૂબની [મા] મરિયમ તથા તેમની સાથેની બીજી બાઈઓ હતી. 11 એ વાતો તેઓને પોકળ લાગી; અને તેઓએ તેઓનું માન્યું નહિ. 12 પણ પિતર ઊઠીને કબરે દોડી ગયો; અને નીચા વળીને અંદર જોયું તો તેણે વસ્ત્ર એકલાં પડેલાં જોયાં. અને જે થયું હતું તે સંબંધી પોતાના મનમાં આશ્ચર્ય પામતો તે પોતાને ઘેર ગયો. એમ્મૌસને રસ્તે જતાં ( માર્ક ૧૬:૧૨-૧૩ ) 13 તે જ દિવસે તેઓમાંના બે એમ્મૌસ નામનું એક ગામ યરુશાલેમથી ચારેક ગાઉ દૂર છે, ત્યાં જતા હતા. 14 આ બધી બનેલી બિનાઓ વિષે તેઓ એકબીજાની સાથે વાત કરતા હતા. 15 તેઓ એકબીજાની સાથે વાત કરતા તથા અંદરોઅંદર સવાલ પૂછતાં હતા, એટલામાં ઈસુ પોતે તેઓની પાસે આવીને તેઓની સાથે ચાલવા લાગ્યા. 16 પણ તેઓની આંખો બંધાઈ ગયેલી હોવાથી તેઓ તેમને ઓળખી શક્યા નહિ. 17 તેમણે તેઓને પૂછ્યું, “તમે ચાલતાં ચાલતાં એકબીજાની સાથે શી વાત કરો છો?” તેઓ ઉદાસ થઈને ઊભા રહ્યા. 18 કલીઓપાસ નામે એકે ઉત્તર આપ્યો, “શું યરુશાલેમમાં રહેનારાઓમાં એકલો તું જ આ દિવસોમાં બનેલી બિનાઓ નથી જાણતો?” 19 તેમણે તેઓને પૂછ્યું, “કઈ બિનાઓ?” તેઓએ તેમને કહ્યું, “ઈસુ નાઝારી, જે ઈશ્વરની આગળ તથા બધા લોકોની આગળ કામમાં તથા વચનમાં પરાક્રમી પ્રબોધક હતા. 20 વળી કેવી રીતે મુખ્ય યાજકોએ તથા અમારા અધિકારીઓએ તેમને મરણદંડ ભોગવવા માટે પરસ્વાધીન કર્યા, અને તેમને વધસ્તંભે જડાવ્યા તે સંબંધી [સર્વ] બિનાઓ. 21 પણ અમે આશા રાખતા હતા કે, જે ઇઝરાયેલને ઉદ્ધાર આપવાના હતા તે એ જ છે! વળી એ સર્વ ઉપરાંત, આ બનાવ બન્યાને આજે ત્રીજો દિવસ થયો. 22 વળી અમારામાંની કેટલીક સ્ત્રીઓ કબર આગળ વહેલી ગઈ હતી, તેઓએ અમને આશ્ચર્ય પમાડ્યું; 23 એટલે તેઓએ તેમનું શબ જોયું નહિ, ત્યારે તેઓએ આવીને કહ્યું કે, ‘અમને દૂતોનું દર્શન પણ થયું હતું કે, જેઓએ કહ્યું કે તે જીવતા છે.’ 24 અમારી સાથેના કેટલાક કબર આગળ ગયા ત્યારે જેમ સ્ત્રીઓએ કહ્યું હતું, તેમ જ તેઓને માલૂમ પડયું. પણ તેમને તેઓએ જોયા નહિ.” 25 તેમણે તેઓને કહ્યું, “ઓ અણસમજુઓ, તથા પ્રબોધકોએ જે કહ્યું છે, તે સર્વ પર વિશ્વાસ કરવામાં મંદબુદ્ધિનાઓ! 26 શું ખ્રિસ્તે એ બધું સહેવું અને પોતાના મહિમામાં પેસવું જોઈતું નહોતું?” 27 પછી મૂસાથી તથા બધા પ્રબોધકોથી માંડીને તેમણે બધા ધર્મલેખોમાંથી પોતાના સંબંધની વાતોનો ખુલાસો કરી બતાવ્યો. 28 જે ગામ તેઓ જતા હતા તેની નજીક તેઓ પહોંચ્યા, ત્યારે તેમણે જાણે કે આગળ જવાનું નક્કી કર્યું. 29 તેઓએ તેમને આગ્રહ કર્યો, “અમારી સાથે રહો. કેમ કે સાંજ થવા આવી છે, અને દિવસ નમી ગયો છે.” તેઓની સાથે રહેવા માટે તે અંદર ગયા. 30 તે તેઓની સાથે જમવા બેઠા ત્યારે તેમણે રોટલી લઈને સ્તુતિ કરીને ભાંગી, અને તેઓને આપી. 31 ત્યારે તેઓની આંખો ઊઘડી, અને તેઓએ તેમને ઓળખ્યા. પણ તે તેઓની દષ્ટિમાંથી અદશ્ય થઈ ગયા. 32 તેઓએ એકબીજાને કહ્યું, “જ્યારે તે માર્ગે આપણી સાથે વાત કરતા હતા, અને ધર્મલેખોનો ખુલાસો આપણને કરી બતાવતા હતા, ત્યારે આપણાં મન આપણામાં ઉલ્લાસી નહોતાં થતાં શું?” 33 તે જ ઘડીએ તેઓ ઊઠીને યરુશાલેમ તરફ પાછા વળ્યા, અને અગિયાર [શિષ્યો] ને તથા તેઓની સાથેના માણસોને ત્યાં એકત્ર થયેલા જોયા 34 કે, જેઓ કહેતા હતા, “પ્રભુ ખરેખર ઊઠ્યા છે, અને સિમોનને દર્શન આપ્યું છે.” 35 ત્યારે પેલાઓએ માર્ગમાં બનેલી બિના તથા રોટલી ભાંગતાં તેઓ તેમને કેવી રીતે ઓળખી શક્યા હતા તે કહી બતાવ્યું. ઈસુએ શિષ્યોને દર્શન આપ્યું ( માથ. ૨૮:૧૬-૨૦ ; માર્ક ૧૬:૧૪-૧૮ ; યોહ. ૨૦:૧૯-૨૩ ; પ્રે.કૃ. ૧:૬-૮ ) 36 એ વાતો તેઓ કહેતા હતા એટલામાં [ઈસુ] પોતે તેઓની વચમાં ઊભા રહીને તેઓને કહે છે, “તમને શાંતિ થાઓ.” 37 પણ તેઓએ ગભરાઈને તથા ભયભીત થઈને એમ ધાર્યું કે અમારા જોવામાં કોઈ આત્મા આવે છે. 38 તેમણે તેઓને પૂછ્યું, “તમે કેમ ગભરાઓ છો? અને તમારા મનમાં તર્કવિતર્ક કેમ થાય છે? 39 મારા હાથ તથા પગ જુઓ કે, એ હું પોતે છું! મને હાથ અડકાડીને જુઓ; કેમ કે જેમ તમે જુઓ છો કે મને માંસ તથા હાડકાં છે તેમ આત્માને હોતાં નથી.” 40 એ કહ્યા પછી તેમણે પોતાના હાથ તથા પોતાના પગ તેઓને બતાવ્યા. 41 તેઓ હર્ષને લીધે હજી વિશ્વાસ કરતા નહોતા, અને આશ્ચર્ય પામતા હતા, ત્યારે તેમણે તેઓને પૂછ્યું, “તમારી પાસે અહીં કંઈ ખાવાનું છે?” 42 તેઓએ તેમને શેકેલી માછલીનો એક કકડો આપ્યો. 43 તે લઈને તેમણે તેઓની આગળ ખાધો. 44 તેમણે તેઓને કહ્યું, “હું તમારી સાથે હતો ત્યારે મેં એ વાતો તમને કહી હતી કે, મૂસાના નિયમશાસ્ત્રમાં તથા પ્રબોધકો [નાં પુસ્તકો] માં તથા ગીતશાસ્ત્રમાં મારાં સંબંધી જે લખેલું છે તે બધું પૂરું થવું જોઈએ.” 45 ત્યારે ધર્મલેખો સમજવા માટે તેમણે તેઓનાં મન ખોલ્યાં. 46 તેમણે તેઓને કહ્યું, “એમ લખેલું છે કે, ખ્રિસ્તે દુ:ખ સહન કરવું, અને ત્રીજે દિવસે મૂએલાંઓમાંથી પાછા ઊઠવું જોઈએ. 47 અને યરુશાલેમથી માંડીને બધી પ્રજાઓને તેમના નામમાં પસ્તાવો તથા પાપનિવારણ પ્રગટ કરાવાં જોઈએ. 48 એ વાતના સાક્ષીઓ તમે છો. 49 હું મારા પિતાનું વચન તમારા પર મોકલું છું. પણ તમે ઉપરથી પરાક્રમે વેષ્ટિત થાઓ, ત્યાં સુધી શહેરમાં રહેજો.” ઈસુનું સ્વર્ગારોહણ ( માર્ક ૧૬:૧૯-૨૦ ; પ્રે.કૃ. ૧:૯-૧૧ ) 50 બેથાનિયાની સામે તેઓને બહાર લઈ જઈને તેમણે પોતાના હાથ પ્રસારીને તેઓને આશીર્વાદ આપ્યો. 51 તે તેઓને આશીર્વાદ આપતા હતા, એટલામાં તે તેઓથી છૂટા પડ્યા, અને આકાશમાં લઈ જવામાં આવ્યા. 52 તેમનું ભજન કરીને તેઓ બહુ આનંદ કરતા યરુશાલેમમાં પાછા વળ્યા. 53 અને તેઓ નિત્ય મંદિરમાં ઈશ્વરની સ્તુતિ કરતા હતા. ?? ?? ?? ?? 1 |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India