લૂકની લખેલી સુવાર્તા 20 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)ઈસુના અધિકાર વિશે પ્રશ્ન ( માથ. ૨૧:૨૩-૩૭ ; માર્ક ૧૧:૨૭-૩૩ ) 1 તે અરસામાં એક દિવસે તે મંદિરમાં લોકોને બોધ કરતા અને સુવાર્તા પ્રગટ કરતા હતા, ત્યારે મુખ્ય યાજકો તથા શાસ્ત્રીઓ, વડીલો સહિત, પાસે આવીને ઊભા રહ્યા. 2 તેમની સાથે વાત કરતાં તેઓએ પૂછ્યું, “અમને કહો કેમ ક્યા અધિકારથી તમે આ કામો કરો છો? અથવા આ અધિકાર તમને કોણે આપ્યો છે?” 3 તેમણે તેઓને ઉત્તર આપ્યો, “હું પણ તમને એક વાત પૂછું છું; તે મને કહો. 4 યોહાનનું બાપ્તિસ્મા આકાશથી હતું કે માણસોથી?” 5 તેઓ અંદરોઅંદર વિચાર કરવા લાગ્યા કે, “જો આકાશથી કહીએ; તો તે કહેશે, તો તમે તેનું કેમ માન્યું નહિ? 6 પણ જો ‘માણસોથી’ કહીએ; તો બધા લોક આપણને પથ્થરે મારશે, કેમ કે તેઓને ખાતરી છે કે યોહાન પ્રબોધક હતો.” 7 તેઓએ ઉત્તર આપ્યો કે, “તે ક્યાંથી હતું તે અમે જાણતા નથી.” 8 ત્યારે ઈસુએ તેઓને કહ્યું, “હું પણ તમને કહેતો નથી કે ક્યા અધિકારથી હું આ કામો કરું છું.” દ્રાક્ષાવાડીના ખેડૂતોનું દ્દષ્ટાંત ( માથ. ૨૧:૩૩-૪૬ ; માર્ક ૧૨:૧-૧૨ ) 9 તે લોકોને એક દ્દષ્ટાંત કહેવા લાગ્યા, “એક માણસે દ્રાક્ષાવાડી રોપી, ને તે ખેડૂતોને ઇજારે આપી, અને લાંબી મુદત સુધી પરદેશ જઈ રહ્યો. 10 મોસમે તેણે ખેડૂતોની પાસે એક ચાકર મોકલ્યો કે, તેઓ દ્રાક્ષાવાડીનાં ફળનો [ભાગ] તેને આપે. પણ ખેડૂતોએ તેને મારીને ખાલી હાથે પાછો મોકલ્યો. 11 વળી તેણે બીજા એક ચાકરને મોકલ્યો તેને પણ તેઓએ મારીને તથા અપમાન કરીને ખાલી હાથે પાછો મોકલ્યો. 12 તેણે વળી ત્રીજાને મોકલ્યો; તેને પણ તેઓએ ઘાયલ કરીને બહાર કાઢ્યો. 13 દ્રાક્ષાવાડીના ધણીએ કહ્યું કે, ‘હું શું કરું? હું મારા વહાલા દીકરાને મોકલીશ. તેને જોઈને કદાચ તેઓ તેની અદબ રાખશે.’ 14 પણ ખેડૂતોએ જ્યારે તેને જોયો ત્યારે તેઓએ અંદરોઅંદર નક્કી કરીને કહ્યું, ‘આ વારસ છે; ચાલો આપણે તેને મારી નાખીએ કે, વારસો આપણને મળે.’ 15 તેઓએ તેને વાડીમાંથી બહાર કાઢીને મારી નાખ્યો. માટે દ્રાક્ષાવાડીનો ધણી તેઓને શું કરશે? 16 તે આવીને તે ખેડૂતોનો નાશ કરીને દ્રાક્ષાવાડી બીજાઓને આપશે.” એ સાંભળીને તેઓએ કહ્યું, “એવું ન થાઓ.” 17 પણ તેમણે તેઓની તરફ જોઈને કહ્યું, “તો આ જે લખેલું છે તે શું છે? એટલે, ‘જે પથ્થરનો બાંધનારાઓએ નકાર કર્યો, તે જ ખૂણાનું મથાળું થયો; 18 તે ૫થ્થર પર જે કોઈ પડશે તેના ટુકડેટુકડા થઈ જશે; પણ જેના પર તે પડશે તેનો તે ભૂકો કરી નાખશે.” કાઈસારને કર ભરવો કે નહિ? ( માથ. ૨૨:૧૫-૨૨ ; માર્ક ૧૨:૧૩-૧૭ ) 19 શાસ્ત્રીઓએ તથા મુખ્ય યાજકોએ તે જ ઘડીએ તેમના પર હાથ નાખવાનો પ્રયત્ન કર્યો; પણ તેઓ લોકોથી બીધા; કેમ કે તેઓએ જાણ્યું કે, “તેમણે આ દ્દષ્ટાંત અમારા પર કહ્યું છે.” 20 તેમના પર નજર રાખીને તેઓએ ન્યાયી હોવાનું ડોળ રાખનારા જાસૂસોને મોકલ્યા, એ માટે કે તેઓ તેમને વાતમાં પકડીને તેમને હાકેમના કબજામાં તથા અધિકારમાં સોંપી દે. 21 તેઓએ તેમને પૂછ્યું, “ઉપદેશક, અમે જાણીએ છીએ કે તમારું કહેવું અને શીખવવું સત્ય છે, અને તમે કોઈનું મોં રાખતા નથી, પણ સાચાઈથી ઈશ્વરનો માર્ગ શીખવો છો; 22 તો આપણે કાઈસારનો કર આપવો ઉચિત છે કે નહિ?” 23 પણ તેમણે તેઓનું કપટ જાણીને તેઓને કહ્યું, 24 “મને એક દીનાર દેખાડો. એના પર કોની છાપ તથા કોનો લેખ છે?” તેઓએ કહ્યું, “કાઈસારનાં.” 25 ત્યારે તેમણે તેઓને કહ્યું, “તો જે કાઈસારનાં છે તે કાઈસારને અને જે ઈશ્વરના છે તે ઈશ્વરને ભરી આપો.” 26 તેઓ આ વાતમાં તેમને પકડી શક્યા નહિ. અને તેમના ઉત્તરથી આશ્ચર્ય પામીને તેઓ છાના રહ્યા. પુનરુત્થાન વિષે પ્રશ્ન ( માથ. ૨૨:૨૩-૩૩ ; માર્ક ૧૨:૧૮-૨૭ ) 27 સાદૂકીઓ જેઓ કહે છે કે પુનરુત્થાન નથી, તેઓમાંના કેટલાકે તેમની પાસે આવીને તેમને પૂછયું, 28 “ઉપદેશક, મૂસાએ અમારે માટે લખ્યું છે કે, ‘જો કોઈનો ભાઈ, પત્ની [જીવતી] છતા. નિ:સંતાન મરણ પામે, તો તેનો ભાઈ તેની પત્નીને લઈને પોતાના ભાઈને માટે સંતાન ઉપજાવે. 29 વારુ, સાત ભાઈ હતા; પહેલો સ્ત્રી પરણીને નિ:સંતાન મરણ પામ્યો; 30 પછી બીજાએ [તેની લીધી]. 31 અને ત્રીજાએ પણ તેને લીધી. આ પ્રમાણે સાતે સંતાન મૂક્યાં વગર મરી ગયા. 32 પછી સ્ત્રી પણ મરી ગઈ. 33 તો પુનરુત્થાનમાં તે તેઓમાંથી કોની પત્ની થશે? કેમ કે સાતેની તે પત્ની થઈ હતી.” 34 ઈસુએ તેઓને કહ્યું, “આ જગતના છોકરા પરણે છે તથા પરણાવાય છે. 35 પણ જેઓ તે જગતને તથા મૂએલાંમાંથી પુનરુત્થાન પામવાને યોગ્ય ગણાય છે, તેઓ પરણતાં નથી અને પરણાવતાં નથી. 36 કેમ કે તેઓને ફરીથી મરવાનું નથી. કારણ કે તેઓ દેવદૂતોના સરખાં છે. અને પુનરુત્થાનના દીકરા હોવાથી તેઓ ઈશ્વરના દીકરા છે. 37 વળી ઝાડવાં [નામના પ્રકરણ] માં મૂસા પ્રભુને ઇબ્રાહિમનો ઈશ્વર, ઇસહાકનો ઈશ્વર તથા યાકૂબનો ઈશ્વર કહે છે, ત્યારે તે પણ એવું જણાવે છે કે મૃત્યુ પામેલાં ઉઠાડાય છે. 38 હવે તે મૃત્યુ પામેલાંના ઈશ્વર નથી, પણ જીવતાંના છે; કેમ કે સર્વ તેમને અર્થે જીવે છે.” 39 શાસ્ત્રીઓમાંના કેટલાકે ઉત્તર આપ્યો, “ઉપદેશક તમે ઠીક કહ્યું.” 40 અને એ પછી તેમને કંઈ પૂછવાને તેઓની હિંમત ચાલી નહિ. મસીહ-દાઉદપુત્ર ( માથ. ૨૨:૪૧-૪૬ ; માર્ક ૧૨:૩૫-૩૭ ) 41 તેમણે તેઓને કહ્યું, “ખ્રિસ્ત દાઉદનો પુત્ર છે. એમ લોકો કેમ કહે છે? 42 કેમ કે ગીતશાસ્ત્રમાં દાઉદ પોતે કહે છે કે, ‘પ્રભુએ મારા પ્રભુને કહ્યું કે, 43 હું તારા શત્રુઓને તારું પાયાસન કરું ત્યાં સુધી તું મારે જમણે હાથે બેસ. 44 દાઉદ તો તેને પ્રભુ કહે છે, માટે તે તેનો દીકરો કેમ હોય?” શાસ્ત્રીઓ વિષે સાવધાન રહેવા સંબંધી ( માથ. ૨૩:૧-૩૬ ; માર્ક ૧૨:૩૮-૪૦ ) 45 સર્વ લોકોના સાંભળતા તેમણે પોતાના શિષ્યોને કહ્યું, 46 “શાસ્ત્રીઓથી સાવધાન રહો, કેમ કે તેઓ જામા પહેરીને ફરવાનું, ચૌટાઓમાં સલામો, તથા સભાસ્થાનોમાં મુખ્ય આસનો તથા જમણવારમાં મુખ્ય જગાઓ ચાહે છે. 47 તેઓ વિધવાઓનાં ઘર ખાઈ જાય છે, અને ઢોંગથી લાંબી લાંબી પ્રાર્થનાઓ કરે છે; તેઓ વિશેષ શિક્ષા ભોગવશે.” |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India