લૂકની લખેલી સુવાર્તા 12 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)દંભ સામે ચેતવણી ( માથ. ૧૦:૨૬-૨૭ ) 1 એટલામાં હજારો લોકો એકત્ર થયા, તે એટલે સુધી કે તેઓ એકબીજા પર પડાપડી કરતા હતા, ત્યારે સૌથી પહેલાં તે પોતાના શિષ્યોને કહેવા લાગ્યા, “ફરોશીઓના ખમીરથી સાવધાન રહો; તે તો ઢોંગ છે. 2 પણ પ્રગટ નહિ કરાશે એવું કંઈ ઢંકાયેલું નથી; અને જેની જાણ નહિ થાય એવું કંઈ ગુપ્ત નથી. 3 માટે જે કંઈ તમે અધિકારમાં કહ્યું છે તે અજવાળામાં સંભળાશે; અને ઓરડીમાં જે કંઈ તમે કાનમાં કહ્યું હશે તે ધાબા પર પ્રગટ કરાશે. કોનાથી બીવું? ( માથ. ૧૦:૨૮-૪૧ ) 4 મારા મિત્રો, હું તમને કહું છું કે, જેઓ શરીરને મારી નાખે, અને તે પછી બીજું કંઈ કરી ન શકે, તેઓથી બીશો નહિ. 5 પણ તમારે કોનાથી બીવું તે વિષે હું તમને ચેતવું છું. મારી નાખ્યા પછી નરકમાં નાખી દેવાનો જેને અધિકાર છે તેનાથી બીહો; હા હું તમને કહું છું કે, તેનાથી બીહો. 6 શું પાંચ ચકલી બે પૈસે વેચાતી નથી? તોપણ ઈશ્વરની દષ્ટિમાં તેઓમાંની એકે વિસારેલી નથી. 7 પરંતુ તમારા માથાના વાળ પણ બધા ગણાયેલા છે. બીહો નહિ, ઘણી ચકલીઓ કરતાં તમે મૂલ્યવાન છો, ઈસુ બાબતે એકરાર કે ઇન્કાર ( માથ. ૧૦:૩૨-૩૩ ; ૧૨:૩૨ ; ૧૦:૧૯-૨૦ ) 8 હું તમને કહું છું કે, માણસોની આગળ જે કોઈ મને કબૂલ કરશે તેને ઈશ્વરના દૂતોની આગળ માણસનો દીકરો કબૂલ કરશે. 9 પણ માણસોની આગળ જે કોઈ મારો નકાર કરશે તેનો નકાર ઈશ્વરના દૂતોની આગળ કરવામાં આવશે. 10 જે કોઈ માણસના દીકરાની વિરુદ્ધમાં વાત બોલશે, તેને તે માફ કરવામાં આવશે; પણ પવિત્ર આત્માની વિરુદ્ધ જે કોઈ દુર્ભાષણ કરે તેને તે માફ કરવામાં આવશે નહિ. 11 જ્યારે તેઓ તમને સભાસ્થાનોમાં અને અધિપતિઓ તથા અધિકારીઓની આગળ લઈ જશે, ત્યારે અમારે કેવી રીતે અથવા શો ઉત્તર આપવો, અથવા અમારે શું કહેવું, તે વિષે ચિંતા ન કરશો. 12 કેમ કે તમારે જે કહેવું જોઈએ તે તે જ ઘડીએ પવિત્ર આત્મા તમને શીખવશે.” મૂર્ખ ધનવાનનું દ્દષ્ટાંત 13 લોકોમાંથી એક જણે તેમને કહ્યું “ગુરુજી, મારા ભાઈને કહો કે તે વારસાનો ભાગ મને આપે.” 14 તેમણે તેને કહ્યું, “ઓ માણસ, મને તમારા પર ન્યાયાધીશ કે વહેંચી આપનાર કોણે ઠારાવ્યો?” 15 તેમણે તેઓને કહ્યું, “સાવધાન રહો, અને સર્વ [પ્રકારના] લોભથી દૂર રહો, કેમ કે કોઈનું જીવન તેની પુષ્કળ મિલકતમાં રહેલું નથી.” 16 તેમણે તેઓને એવું એક દ્દષ્ટાંત કહ્યું, “એક ધનવાન માણસની જમીનમાં ઘણી ઊપજ થઈ. 17 તેણે મનમાં એવો વિચાર કર્યો કે, ‘હું શું કરું? કેમ કે મારી ઊપજ ભરી મૂકવાને મારી પાસે જગા નથી.’ 18 તેણે કહ્યું કે, ‘હું આમ કરીશ:મારી વખારોને પાડી નાખીને હું તે કરતાં મોટી બંધાવીશ; અને ત્યાં મારું બધું અનાજ તથા મારી માલમિલકત ભરી મૂકીશ. 19 હું મારા જીવને કહીશ કે, ઓ જીવ, ઘણાં વરસને માટે ઘણી માલમિલકત તારે માટે રાખી મૂકેલી છે; આરામ લે, ખા, પી, આનંદ કર.’ 20 પણ ઈશ્વરે તેને કહ્યું, “ઓ મૂર્ખ, આજે રાત્રે તારો જીવ તારી પાસેથી માગી લેવામાં આવે છે; ત્યારે જે વસ્તુઓ તેં તૈયાર કરી છે તે કોની થશે?’ 21 જે પોતાને માટે દ્રવ્યનો સંગ્રહ કરે છે, અને ઈશ્વર પ્રત્યે ધનવાન નથી, તે તેવો જ છે.” ચિંતા ના કરો ( માથ. ૬:૨૫-૩૪ ) 22 તેમણે પોતાના શિષ્યોને કહ્યું, “એ માટે હું તમને કહું છું કે, [તમારા] જીવને માટે ચિંતા ન કરો કે, અમે શું ખાઈશું; તેમ તમારા શરીરને માટે પણ ન કરો કે, અમે શું પહેરીશું. 23 કેમ કે ખોરાક કરતાં જીવ, અને વસ્ત્ર કરતાં શરીર, અધિક છે. 24 કાગડાઓનો વિચાર કરો! તેઓ તેઓ વાવતા નથી અને કાપતા નથી, તેઓની પાસે વખાર કે કોઠાર નથી; તોપણ ઈશ્વર તેઓનું પોષણ કરે છે: પક્ષીઓ કરતાં તમે કેટલા વિશેષ મૂલ્યવાન છો! 25 ચિંતા કરવાથી તમારામાંનો કોણ પોતાના કદને એક હાથભર વધારી શકે છે? 26 માટે જે સૌથી નાનું કામ તે જો તમે કરી નથી શકતા તો બીજા વિષે તમે કેમ ચિંતા કરો છો? 27 ફૂલઝાડોનો વિચાર કરો, તેઓ કેવાં વધે છે: તેઓ મહેનત કરતાં નથી, તેઓ કાંતતા પણ નથી, તોપણ હું તમને કહું છું કે, સુલેમાન પણ પોતાના સર્વ વૈભવમાં તેઓમાંના એકના જેવો પહેરેલો ન હતો. 28 એ માટે ખેતરનું ઘાસ જે આજે છે અને કાલે ભઠ્ઠીમાં ફેંકાય છે, તેને જો ઈશ્વર એવું પહેરાવે છે, તો ઓ અલ્પવિશ્વાસીઓ, તેઓ તમને પહેરાવશે એ કેટલું વિશેષ ખાતરીપૂર્વક છે? 29 અમે શું ખાઈશું તથા શું પીશું, એની ચિંતા ન કરો, અને મનમાં સંદેહ ન રાખો. 30 કેમ કે જગતના લોકો એ બધાં વાના શોધે છે; પણ તમારા પિતા જાણે છે કે એ વાનાંની તમને અગત્ય છે. 31 પરંતુ તમે તેમનું રાજ્ય શોધો, અને એ વાનાં પણ તમને આપવામાં આવશે. આકાશમાં અખૂટ દ્રવ્ય ( માથ. ૬:૧૯-૨૧ ) 32 ઓ નાની ટોળી, ગભરાશો નહિ; કેમ કે તમને રાજ્ય આપવાની તમારા પિતાની ખુશી છે. 33 તમારી પાસે જે છે તે વેચીને દાનધર્મ કરો; જીર્ણ નહિ થાય એવી થેલીઓ, એટલે આકાશમાં અખૂટ દ્રવ્ય, પોતાને માટે મેળવો; ત્યાં ચોર આવતો નથી, અને કીડો ખાઈ જતો નથી. 34 કેમ કે જ્યાં તમારું દ્રવ્ય છે ત્યાં જ તમારું ચિત્ત રહેશે. જાગતા રહો 35 તમારી કમરો બાંધેલી તથા તમારા દીવા સળગેલા રાખો. 36 અને જે માણસો પોતાનો ધણી લગ્નમાંથી ક્યારે પાછો આવે તેની વાટ જુએ છે કે, તે આવીને ખટખટાવે કે તત્કાળ તેઓ તેને માટે દ્વાર ઉઘાડે, તેઓના જેવા તમે થાઓ. 37 જે દાસોને ધણી આવીને જાગતા જોશે તેઓને ધન્ય છે; હું તમને ખચીત કહું છું કે, તે પોતાની કમર બાંધીને તેઓને જમવા બેસાડશે, અને આવીને તેઓની સેવા કરશે. 38 જો તે બીજે પહોરે આવે કે, ત્રીજે પહોરે આવે, અને તેઓને એમ [કરતાં] જુએ, તો તે દાસોને ધન્ય છે! 39 પણ આટલું સમજો કે ઘરધણી જાણતો હોત કે, કઈ ઘડીએ ચોર આવશે, તો તે જાગતો રહીને પોતાના ઘરમાં ખાતર પડવા ન દેત. 40 તમે પણ તૈયાર રહો; કેમ કે તમારા ધારવામાં નહિ હોય એવી ઘડીએ માણસનો દીકરો આવશે.” વિશ્વાસુ અને અવિશ્વાસુ ચાકર ( માથ. ૨૪:૪૫-૫૧ ) 41 પિતરે પૂછ્યું, “પ્રભુ, તમે આ દ્દષ્ટાંત અમને, કે સર્વને કહો છો?” 42 પ્રભુએ કહ્યું, “જેને તેનો ધણી પોતાનાં ઘરનાંઓને યોગ્ય સમયે અન્ન આપવા માટે પોતાના ઘર પર ઠરાવશે એવો વિશ્વાસુ તથા શાણો કારભારી કોણ છે? 43 જે દાસને તેનો ધણી આવીને એમ કરતો જોશે તેને ધન્ય છે! 44 હું તમને સાચું કહું છું કે, તે પોતાની સર્વ માલમિલકત પર તેને [કારભારી] ઠરાવશે, 45 પણ જો તે દાસ પોતાના મનમાં કહેશે કે મારો ધણી આવતાં વાર લગાડે છે; અને દાસોને તથા દાસીઓને મારવા [માંડશે] , અને ખાવાપીવા તથા છાકટો થવા માંડશે; 46 તો જે દિવસે તે રાહ જોતો નથી, ને જે ઘડી તે જાણતો નથી, [તે ઘડીએ] તે દાસનો ધણી આવશે, ને તેને કાપી નાખીને, તેનો ભાગ અવિશ્વાસીઓની સાથે ઠરાવશે. 47 જે દાસ પોતાના ધણીની ઇચ્છા જાણ્યા છતાં પોતે તૈયાર રહ્યો નહિ હોય, અને તેની ઇચ્છા પ્રમાણે વર્ત્યો નહિ હોય, તે ઘણો માર ખાશે. 48 પણ જેણે અજાણતાં ફટકા યોગ્ય કામ કર્યું હશે, તે થોડો જ માર ખાશે. જે કોઈને ઘણું આપેલું છે, તેની પાસેથી ઘણું માગવામાં આવશે. અને જેને ઘણું સોપેલું છે, તેની પાસેથી વધારે માગવામાં આવશે. ભાગલાનું કારણ ઈસુ ( માથ. ૧૦:૩૫-૩૬ ) 49 હું પૃથ્વી પર આગ નાખવા આવ્યો છું; અને જો તે સળગી ચૂકી હોય તો હું [બીજું] શું ચાહું? 50 પણ મારે એક બાપ્તિસ્મા પામવાનું છે! અને તે પૂરું થાય ત્યાં સુધી હું કેવો સંકોચમાં આવેલો છું! 51 શું તમે ધારો છો કે પૃથ્વી ઉપર શાંતિ કરાવવા હું આવ્યો છું? હું તમને કહું છું કે, ના; પણ તેથી ઊલટું ભાગલા પાડવા [આવ્યો છું]. 52 કેમ કે હવે એક ઘરમાં પાંચમાં ભાગલા પડશે, એટલે ત્રણ બેની સામા, અને બે ત્રણની સામા થશે. 53 પિતા દીકરાની સામો, તથા દીકરો પિતાની સામો થશે; મા દીકરીની સામી, તથા દીકરી પોતાની માની સામી થશે! સાસુ પોતાની વહુની સામી, અને વહુ પોતાની સાસુની સામી થશે. એમ તેઓમાં ભાગલા પડશે!” સમયની પારખ ( માથ. ૧૬:૨-૩ ) 54 તેમણે લોકોને પણ કહ્યું, “તમે પશ્ચિમથી વાદળી ચઢતી જુઓ છો કે, તરત તમે કહો છો કે, ઝાપટું આવશે; અને એમ જ થાય છે. 55 જ્યારે દક્ષિણનો વા વાય છે, ત્યારે તમે કહો છો કે લૂ વાશે; અને એમ જ થાય છે. 56 ઓ ઢોંગીઓ, પૃથ્વીનું તથા આકાશનું રૂપ તમે પારખી જાણો છો; તો આ સમય કેમ પારખી નથી જાણતા? તમારા વિરોધી સાથે સુમેળ કરી લો ( માથ. ૫:૨૫-૨૬ ) 57 અને વાજબી શું છે તે તમે પોતાની મેળે કેમ પારખતા નથી? 58 તું તારા વાદીની સાથે અધિકારીની આગળ જતો હોય ત્યારે માર્ગમાં તેનાથી છૂટકો પામવા માટે યત્ન કર; રખેને તે તને ન્યાયાધીશ આગળ ઘસડી લઈ જાય, અને ન્યાયાધીશ તને સિપાઈને સ્વાધીન કરે, અને સિપાઈ તને બંદીખાનામાં નાખે. 59 હું તને કહું છું કે, તું છેલ્લી દમડી ચૂકવશે, ત્યાં સુધી તું ત્યાંથી નીકળવાનો નથી.” |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India