લૂકની લખેલી સુવાર્તા 10 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)ઈસુ સિત્તેરને મોકલે છે 1 આ બિનાઓ બન્યા પછી પ્રભુએ બીજા સિત્તેર શિષ્યોને ઠરાવ્યા, અને જે પ્રત્યેક શહેર તથા જગામાં તે પોતે જવાના હતા, ત્યાં તેઓમાંના બબ્બેને પોતાની આગળ મોકલ્યા. 2 તેમણે તેઓને કહ્યું, “ફસલ પુષ્કળ છે ખરી, પણ મજૂરો થોડા છે; માટે તમે ફસલના ધણીની પ્રાર્થના કરો કે તે પોતાની ફસલને માટે મજૂરો મોકલે. 3 ચાલ્યા જાઓ; જુઓ, હું તમને વરુઓમાં ઘેટાંનાં બચ્ચાં જેવા મોકલું છું. 4 થેલી કે જોડા લેતા ના; અને માર્ગે કોઈને પણ સલામ કરતા ના. 5 વળી જે કોઈ ઘરમાં તમે પેસો ત્યાં પ્રથમ એમ કહો કે, ‘આ ઘરનાંને શાંતિ થાઓ.’ 6 જો કોઈ શાંતિનો પુત્ર ત્યાં હોય તો તમારી શાંતિ તેના પર રહેશે; પણ જો નહિ હોય, તો તે તમારી પાસે પાછી વળશે. 7 તે ને તે જ ઘરમાં રહો અને તેઓની પાસે જે હોય તે ખાતાપીતા રહો. કેમ કે મજૂર પોતાના પગારને યોગ્ય છે. ઘેરઘેર જતા ના. 8 જે કોઈ શહેરમાં તમે જાઓ, અને તેઓ તમારો આવકાર કરે, તો તેઓ તમારી આગળ જે કંઈ મૂકે તે ખાઓ. 9 તેમાંનાં માંદાઓને સાજાં કરો, અને તેઓને કહો કે, ઈશ્વરનું રાજ્ય તમારી પાસે આવ્યું છે. 10 પણ જે કોઈ શહેરમાં તમે જાઓ, અને તેઓ તમારો આવકાર ન કરે, તો તેના રસ્તાઓમાંથી નીકળી જઈને એમ કહો કે, 11 તમારા શહેરની જે ધૂળ અમારા પગને લાગેલી છે તે પણ અમે તમારી સામે ખંખેરી નાખીએ છીએ. તોપણ એટલું જાણજો કે ઈશ્વરનું રાજ્ય પાસે આવ્યું છે. 12 હું તમને કહું છું કે, તે દિવસે તે શહેરના કરતાં સદોમના હાલ સહેલ થશે.” નઠોર ગામોને શ્રાપ ( માથ. ૧૧:૨૦-૨૪ ) 13 ઓ ખોરાજીન, તને હાયહાય! ઓ બેથસાઈદા, તને હાયહાય! કેમ કે તમારામાં જે પરાક્રમી કામો થયાં છે, તે જો તૂર તથા સિદોનમાં થયાં હોત, તો તેઓએ ક્યારનોયે ટાટમાં તથા રાખમાં બેસીને પસ્તાવો કર્યો હોત. 14 તોપણ ન્યાયકાળે તમારા કરતાં તૂર તથા સિદોનને સહેલું પડશે. 15 વળી, ઓ કપર-નાહૂમ, તું આકાશ સુધી ઊંચું કરાશે શું? તું તો હાદેસ સુધી નીચું નંખાશે. 16 જે કોઈ તમારું સાંભળે છે તે મારું સાંભળે છે. અને જે કોઈ તમારો નકાર કરે છે તે મારો નકાર કરે છે; અને જે કોઈ મારો નકાર કરે છે તે મારા મોકલનારનો નકાર કરે છે.” આનંદ કરતાં પાછા ફરેલા સિત્તેર શિષ્યો 17 તે સિત્તેર હરખાતા હરખાતા પાછા આવ્યા, અને તેઓએ કહ્યું, “પ્રભુ, તમારા નામથી દુષ્ટાત્માઓ પણ અમારે તાબે થયા છે.” 18 તેમણે તેઓને કહ્યું, “મેં શેતાનને વીજળીની જેમ આકાશમાંથી પડેલો જોયો. 19 જુઓ, મેં તમને સર્પો તથા વીંછીઓ પર પગ મૂકવાનો, તથા શત્રુના બધા પરાક્રમ પર અધિકાર આપ્યો છે. અને તમને કશાથી પણ ઈજા થશે નહિ. 20 પરંતુ આત્માઓ તમારે તાબે થયા, તેને લીધે હરખાઓ નહિ, પણ તમારાં નામ આકાશમાં લખેલાં છે, તેને લીધે હરખાઓ.” ઈસુ હરખાય છે ( માથ. ૧૧:૨૫-૨૭ ; ૧૩:૧૬-૧૭ ) 21 તે જ સમયે પવિત્ર આત્માથી હરખાઈને તે બોલ્યા, “ઓ પિતા, આકાશ તથા પૃથ્વીના ધણી, હું તમારી સ્તુતિ કરું છું કે, જ્ઞાનીઓથી તથા બુદ્ધિમાનોથી તમે એ વાત ગુપ્ત રાખીને બાળકોને પ્રગટ કરી છે. હા, પિતા, કેમ કે એ તમને સારું લાગ્યું. 22 મારા પિતાએ મને બધું સોપ્યું છે; અને દીકરો કોણ છે, એ પિતા વિના બીજો કોઈ જાણતો નથી; તેમ જ પિતા કોણ છે, એ દીકરા વિના તથા જેને દીકરો પ્રગટ કરવા ચાહે તે વિના બીજો કોઈ જાણતો નથી.” 23 તેમણે શિષ્યો તરફ ફરીને તેઓને એકાંતમાં કહ્યું, “તમે જે જુઓ છો, તે જેઓની આંખો જુએ તેઓને ધન્ય છે! 24 કેમ કે હું તમને કહું છું કે, તમે જે જુઓ છો તે ઘણા પ્રબોધકો તથા રાજાઓ જોવા ચાહતા હતા, પણ તેઓ તે જોવા પામ્યા નહિ! અને તમે જે સાંભળો છો તે તેઓ સાંભળવા ચાહતા હતા, પણ તેઓ તે સાંભળવા પામ્યા નહિ!” ભલા સમરૂનીનું દ્દષ્ટાંત 25 જુઓ, એક પંડિતે ઊભા થઈને તેમનું પરીક્ષણ કરતાં કહ્યું, “ઉપદેશક, અનંતજીવનનો વારસો પામવા માટે મારે શું કરવું?” 26 તેમણે તેને પૂછ્યું, “નિયમશાસ્ત્રમાં શું લખેલું છે? તું શું વાંચે છે?” 27 તેણે ઉત્તર આપ્યો, “તારા ઈશ્વર પ્રભુ પર તારા ખરા હ્રદયથી તથા તારા ખરા જીવથી તથા તારા પૂરા સામર્થ્યથી તથા તારા ખરા મનથી પ્રેમ રાખવો. અને જેવો પોતાના પર તેવો તારા પડોશી પર [પ્રેમ રાખવો].” 28 તેમણે તેને કહ્યું, “તેં ઠીક ઉત્તર આપ્યો છે. એમ કર, એટલે તું જીવશે.” 29 પણ તેણે પોતાને ન્યાયી ઠરાવવાની ઇચ્છા રાખીને ઈસુને કહ્યું, “મારો પડોશી કોણ છે?” 30 ઈસુએ ઉત્તર આપ્યો, “એક પુરુષ યરુશાલેમથી યરીખો જતો હતો; અને તે લૂંટારાના હાથમાં પડ્યો, અને તેઓ તેનાં વસ્ત્ર ઉતારી લઈને તથા તેને મારીને તેને અધમૂઓ મૂકીને ચાલ્યા ગયા. 31 સંજોગવશાત એક યાજક તે માર્ગે થઈને જતો હતો. અને તે તેને જોઈને બીજી બાજુએ ચાલ્યો ગયો. 32 એમ જ એક લેવી પણ તે સ્થળે આવ્યો, ત્યારે તેને જોઈને તે પણ બીજી બાજુએ ચાલ્યો ગયો. 33 પણ એક સમરૂની માર્ગે ચાલતાં ચાલતાં જ્યાં તે પડ્યો હતો ત્યાં આવ્યો; અને તેને જોઈને તેને કરુણા આવી. 34 તે તેની પાસે ગયો, તેના ઘા પર તેલ તથા દ્રાક્ષારસ રેડીને પાટા બાંધ્યા, અને તેને પોતાના જાનવર પર બેસાડીને ઉતારામાં લઈ ગયો, અને તેની સારવાર કરી. 35 બીજે દિવસે તેણે બે દીનાર કાઢીને ઉતારાવાળાને આપીને કહ્યું, ‘એની સારવાર કરજે; અને એ કરતાં જે કંઈ વધારે ખરચ લાગશે તે હું પાછો આવીશ ત્યારે તને આપીશ.’ 36 હવે તું શું ધારે છે, લૂંટારાના હાથમાં પડેલા માણસનો પડોશી એ ત્રણમાંનો કોણ ઠર્યો?” 37 તેણે તેમને કહ્યું, “જેણે તેના પર દયા કરી તે.” ઈસુએ તેને કહ્યું, “તું જઈને એ પ્રમાણે કર.” ઈસુ માર્થા અને મરિયમના ઘેર 38 તેઓ માર્ગે ચાલતા હતા તે દરમિયાન તે એક ગામમાં પેઠા; અને માર્થા નામે એક સ્ત્રીએ પોતાને ઘેર તેમને પરોણા રાખ્યા. 39 મરિયમ નામે તેની એક બહેન હતી, તે ઈસુના ચરણ આગળ બેસીને તેમની વાત સાંભળતી હતી. 40 પણ માર્થા કામ ઘણું હોવાથી ગભરાઈ, તેથી તેણે તેમની પાસે આવીને કહ્યું, “પ્રભુ, મારી બહેને મને કામ કરવાને એકલી મૂકી છે, તેની શું તમને ચિંતા નથી? તેથી તેને કહો કે તે મને સહાય કરે.” 41 પણ પ્રભુએ તેને કહ્યું, “માર્થા, માર્થા, તું ઘણી વાતો વિષે ચિંતા કરે છે અને ગભરાય છે! 42 પણ એક વાતની જરૂર છે; અને મરિયમે સારો ભાગ પસંદ કર્યો છે કે, જે તેની પાસેથી લઈ લેવાશે નહિ. |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India