Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

લૂકની લખેલી સુવાર્તા 1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


પ્રસ્તાવના

1 આરંભથી જેઓ નજરે જોનારા તથા વચનના સેવકો હતા, તેમણે આપણને કહ્યું છે તે પ્રમાણે,

2 આપણામાં બની ગયેલા બનાવોનું વર્ણન કરવાને ઘણાએ હાથમાં લીધું છે.

3 માટે, ઓ નેકનામદાર થિયોફિલ, મેં પણ શરૂઆતથી બધી વાતોની શોધ ચોકસાઈથી કરીને તમારા પર વિગતવાર લખવાનો ઠરાવ કર્યો;

4 એ માટે કે જે વાતો તમને શીખવવામાં આવી છે, તેઓની સત્યતા તમે જાણો.


યોહાન બાપ્તિસ્તના જન્મની આગાહી

5 યહૂદિયાના રાજા હેરોદની કારકિર્દીમાં અબિયાના વર્ગમાંનો ઝખાર્યા નામે એક યાજક હતો. તેની પત્ની હારુનની દીકરીઓમાંની હતી, ને તેનું નામ એલિસાબેત હતું.

6 તેઓ બન્‍ને ઈશ્વરની આગળ ન્યાયી હતાં, ને પ્રભુની સર્વ આજ્ઞાઓ તથા વિધિઓ પ્રમાણે નિર્દોષ રીતે ચાલતાં હતાં.

7 તેઓને સંતાન નહોતું, કારણ કે એલિસાબેત નિસંતાન હતી; અને તેઓ બન્‍ને ઘણાં ઘરડાં હતાં.

8 હવે તે પોતાના વર્ગના વારા પ્રમાણે યાજકનું કામ ઈશ્વરની આગળ કરતો હતો,

9 એવામાં યાજકપદના રિવાજ પ્રમાણે પ્રભુના મંદિરમાં જઈને ધૂપ ચઢાવવાનો તેનો વારો આવ્યો.

10 ધૂપ કરતી વેળાએ લોકોની આખી સભા બહાર પ્રાર્થના કરતી હતી.

11 એવામાં ધૂપવેદીની જમણી બાજુએ પ્રભુનો એક દૂત ઊભેલો તેને દેખાયો.

12 તેને જોઈને ઝખાર્યા ગભરાઈ ગયો, અને તેને બીક લાગી.

13 પણ દૂતે તેને કહ્યું, “ગભરાઈશ નહિ ઝખાર્યા, કેમ કે તારી વિનંતી સાંભળવામાં આવી છે, ને તારી પત્ની એલિસાબેતને દીકરો થશે. તેનું નામ તું યોહાન પાડશે.

14 તને હર્ષ તથા આનંદ પ્રાપ્ત થશે, ને તેના જન્મને લીધે ઘણાં હરખાશે

15 કેમ કે તે પ્રભુની આગળ મોટો થશે, ને દ્રાક્ષારસ કે દારૂ તે પીશે નહિ. તે પોતાની માના પેટથી પવિત્ર આત્માએ ભરપૂર હશે.

16 તે ઇઝરાયલના ઘણા વંશજોને તેઓના ઈશ્વર પ્રભુ તરફ ફેરવશે.

17 તે એલિયાના આત્માએ તથા પરાક્રમે પ્રભુની આગળ ચાલશે, એ માટે કે તે પિતાઓનાં મન છોકરાં તરફ તથા ન માનનારાઓને ન્યાયીઓના જ્ઞાન પ્રમાણે [ચાલવાને] ફેરવે, અને પ્રભુને માટે સિદ્ધ થયેલી પ્રજા તૈયાર કરે.”

18 ઝખાર્યાએ દૂતને પૂછ્યું, “એ મને શાથી જણાય? કેમ કે હું ઘરડો છું, ને મારી પત્ની ઘણાં વરસની થઈ છે.”

19 દૂતે તેને ઉત્તર આપ્યો, “ઈશ્વરની આગળ ઊભો રહેનાર ગાબ્રીએલ હું છું. અને તારી સાથે બોલવા તથા તને આ શુભ સંદેશો કહેવા માટે મને મોકલવામાં આવ્યો છે.

20 અને જો, એ વાત બનશે તે દિવસ સુધી તું મૂંગો રહેશે ને બોલી શકશે નહિ, કેમ કે મારી વાતો જે ઠરાવેલે સમયે પૂરી થશે તેઓનો વિશ્વાસ તેં કર્યો નહિ.”

21 લોકો ઝખાર્યાની રાહ જોતા હતા, ને તેને મંદિરમાં વાર લાગી, એથી તેમને નવાઈ લાગતી હતી.

22 તે બહાર આવ્યો ત્યારે તેઓની સાથે તે બોલી શક્યો નહિ. મંદિરમાં તેને કંઈ દર્શન થયું હશે એવું તેઓ સમજ્યા. તે તેઓને ઇશારો કરતો હતો, ને મૂંગો રહ્યો.

23 તેના સેવા કરવાના દિવસો પૂરા થયા પછી તે પોતાને ઘેર ગયો.

24 તે દિવસો પછી તેની પત્ની એલિસાબેતને ગર્ભ રહ્યો; અને પાંચ મહિના સુધી તે ગુપ્ત રહી, ને કહ્યું,

25 માણસોમાં મારું મહેણું ટાળવા માટે મારા પર પ્રભુએ પોતાની [કૃપા] દષ્ટિ કરવાના સમયમાં મને આવું કર્યું છે.”


ઈસુના જન્મની જાહેરાત

26 છઠ્ઠે મહિને ગાબ્રીએલ દૂતને નાસરેથ નામે ગાલીલના એક શહેરમાં એક કુમારિકાની પાસે ઈશ્વર તરફથી મોકલવામાં આવ્યો.

27 દાઉદના વંશના, યૂસફ નામે, એક પુરુષ સાથે તેની સગાઈ થઈ હતી; તે કુમારિકાનું નામ મરિયમ હતું.

28 દૂતે તેની પાસે આવીને કહ્યું, “હે કૃપા પામેલી, સુખી રહે, પ્રભુ તારી સાથે છે.”

29 પણ એ વાત સાંભળીને તે ઘણી ગભરાઈ ને વિચાર કરવા લાગી, “આ તે કઈ જાતની સલામ હશે!”

30 દૂતે તેને કહ્યું, “હે મરિયમ, ગભરાઈશ નહિ! કેમ કે તું ઈશ્વરથી કૃપા પામી છે.

31 જો, તને ગર્ભ રહેશે, ને દીકરો થશે, ને તું તેનું નામ ઈસુ પાડશે.

32 તે મોટો થશે, ને પરાત્પરનો દીકરો કહેવાશે; અને પ્રભુ પરમેશ્વર તેને તેના પિતા દાઉદનું રાજ્યાસન આપશે.

33 તે યાકૂબના ઘર પર સર્વકાળ રાજ કરશે, ને તેના રાજ્યનો અંત આવશે નહિ.”

34 મરિયમે દૂતને કહ્યું, “એ કેમ કરીને થશે? કેમ કે મેં કોઈ પુરુષને જાણ્યો નથી.”

35 દૂતે તેને ઉત્તર આપ્યો, “પવિત્ર આત્મા તારા પર આવશે, ને પરાત્પરનું પરાક્રમ તારા પર આચ્છાદાન કરશે; માટે જે [તારાથી] જનમશે તે પવિત્ર, ઈશ્વરનો દીકરો, કહેવાશે

36 જો, તારી સગી એલિસાબેતે પણ ઘડપણમાં દીકરાનો ગર્ભ ધર્યો છે. અને જે વાંઝણી કહેવાતી હતી, તેને આ છઠ્ઠો મહિનો જાય છે.

37 કેમ કે ઈશ્વર પાસેથી [આવેલું] કોઈ પણ વચન પરાક્રમ વગરનું નહિ થશે.”

38 મરિયમે તેને કહ્યું, “જુઓ, હું પ્રભુની દાસી છું; તમારા કહ્યા પ્રમાણે મને થાઓ.” ત્યારે દૂત તેની પાસેથી ગયો.


મરિયમ એલિસાબેતને મળવા જાય છે

39 તે દિવસોમાં મરિયમ ઊઠીને પહાડી પ્રદેશમાં યહૂદિયાના એક શહેરમાં ઉતાવળથી ગઈ.

40 તેણે ઝખાર્યાને ઘેર જઈને એલિસાબેતને સલામ કહી.

41 એલિસાબેતે મરિયમની સલામ સાંભળી ત્યારે બાળક તેના પેટમાં કૂદ્યું; અને એલિસાબેતે પવિત્ર આત્માથી ભરપૂર થઈને

42 મોટા સ્વરે કહ્યું, “સ્‍ત્રીઓમાં તને ધન્ય છે, ને તારા પેટના ફળને ધન્ય છે!

43 એ [કૃપા] મને ક્યાંથી કે, મારા પ્રભુની મા મારી પાસે આવે છે?

44 કેમ કે જો તારી સલામનો અવાજ મારા કાને પડતાં બાળક મારા પેટમાં આનંદથી કૂદ્યું.

45 જેણે વિશ્વાસ કર્યો તેને ધન્ય છે, કેમ કે પ્રભુ તરફથી જે વાતો તેને કહેવામાં આવી છે તેઓ પૂરી થશે.”


મરિયમનું સ્તુતિગાન

46 મરિયમે કહ્યું, “મારો જીવ પ્રભુને મોટો માને છે,

47 અને ઈશ્વર મારા તારનારમાં મારો આત્મા આનંદ પામ્યો છે.

48 કારણ કે તેમણે પોતાની દાસીની દીનાવસ્થા પર દષ્ટિ કરી છે; કેમ કે, જો હવેથી બધી પેઢીઓ મને ધન્ય કહેશે.

49 કેમ કે, પરાક્રમીએ મારે માટે મહાન કૃત્યો કર્યાં છે; તેમનું નામ પવિત્ર છે.

50 જેઓ તેમનું ભય રાખે છે તેઓ પર પેઢી દરપેઢી તેમની દયા રહે છે.

51 તેમણે પોતાના હાથે બળ દેખાડ્યું છે; અને ગર્વિષ્ડોને તેઓનાં હ્રદયની કલ્પનામાં તેમણે વિખેરી નાખ્યા છે.

52 તેમણે સરદારોને રાજ્યાસન પરથી ઉતારી નાખ્યા છે, અને તેમણે દીન જનોને ઊંચા કર્યા છે.

53 અને તેમણે ભૂખ્યાંઓને સારાં વાનાંથી તૃપ્ત કર્યાં છે; અને શ્રીમંતોને ખાલી હાથે પાછા કાઢ્યા છે.

54 આપણા બાપદાદાઓને તેમના કહ્યા પ્રમાણે, ઇબ્રાહિમ પર તથા તેના વંશ પર

55 સદા દયા રાખવાનું સંભારીને, તેમણે પોતાના સેવક ઇઝરાયલને સહાય કરી.”

56 મરિયમ આશરે ત્રણ મહિના સુધી તેની સાથે રહી, ને પછી પોતાને ઘેર ગઈ.


યોહાન બાપ્તિસ્તનો જન્મ

57 હવે એલિસાબેતના દિવસ પૂરા થયા, એટલે તેને દીકરો થયો.

58 તેના પાડોશીઓએ તથા સગાંઓએ સાંભળ્યું કે, પ્રભુએ તેના પર મોટી દયા કરી છે, ત્યારે તેઓ તેની સાથે હર્ષ પામ્યાં.

59 આઠમે દિવસે તેઓ છોકરાંની સુન્‍નત કરવા આવ્યાં, ત્યારે તેઓ તેના પિતાના નામ ઉપરથી તેનું નામ ઝખાર્યા પાડત.

60 પણ તેની માએ તેઓને કહ્યું, “એમ નહિ; પણ તેનું નામ યોહાન પાડવું.”

61 તેઓએ તેને કહ્યું, “તારા સગાંમાંના કોઈનું એવું નામ પાડેલું નથી.”

62 તેઓએ ઇશારો કરીને તેના પિતાને પૂછ્યું, “તું તેનું નામ શું પાડવા ચાહે છે?”

63 ત્યારે તેણે પાટી માગીને તેના પર લખ્યું, “તેનું નામ યોહાન છે.”

64 એથી તેઓ સર્વ નવાઈ પામ્યા. તરત તેનું મોં ઊઘડી ગયું, ને તેની જીભ [છૂટી થઈ] , ને તે ઈશ્વરની સ્તુતિ કરતો બોલવા લાગ્યો.

65 તેઓની આસપાસના સર્વ રહેવાસીઓને બીક લાગી, ને યહૂદિયાના આખા પહાડી પ્રદેશમાં એ સર્વ વાતોની ચર્ચા ચાલી.

66 વળી જેઓએ તે વાતો સાંભળી તે બધાએ તે પોતાના મનમાં રાખીને કહ્યું, “ત્યારે આ છોકરો કેવો થશે?” કેમ કે પ્રભુનો હાથ તેના પર હતો.


ઝખાર્યાનું ભવિષ્યકથન

67 તેના પિતા ઝખાર્યાએ પવિત્ર આત્માથી ભરપૂર થઈને એવો પ્રબોધ કર્યો:

68 “ઇઝરાયલના ઈશ્વર પ્રભુ સ્તુતિમાન થાઓ; કેમ કે તેમણે પોતાના લોકોની મુલાકાત લઈને તેઓનો ઉદ્ધાર કર્યો છે.

69 જગતના આરંભથી થતા આવેલા પવિત્ર પ્રબોધકોનાં મોંથી તેમણે જે કહ્યું હતું તે પ્રમાણે,

70 તેમણે પોતાના સેવક દાઉદના કુળમાં, આપણે માટે તારણનું શિંગ ઊભું કર્યું છે કે,

71 તે આપણા શત્રુઓથી તથા આપણા પર દ્વેષ રાખનારા સર્વના હાથમાંથી આપણને બચાવે;

72 એ માટે કે તે આપણા બાપદાદાઓ પ્રત્યે દયા દર્શાવે, તથા પોતાનો પવિત્ર કરાર સંભારે;

73 એટલે તેમણે આપણા પિતા ઇબ્રાહિમની આગળ જે સમ ખાધા તે.

74 એ માટે કે તે આપણા માટે એવું કરે કે, આપણે પોતાના શત્રુઓના હાથમાંથી છૂટકો પામીને નિર્ભયતાથી આપણા આખા આયુષ્યભર તેમની આગળ

75 શુદ્ધતાથી તથા ન્યાયીપણાથી તેમની સેવા કરીએ.

76 અને, ઓ છોકરા, તું પરાત્પરનો પ્રબોધક કહેવાશે; કેમ કે તું પ્રભુની આગળ ચાલશે, એ માટે કે તું પ્રભુના માર્ગો તૈયાર કરે;

77 તથા તેમના લોકનાં પાપની માફી મળવાથી જે તારણ છે, તેનું જ્ઞાન તું તેઓને આપે.

78 આપણા ઈશ્વરની ઘણી દયાથી અરુણોદય ઉપરથી આપણા પર આવશે,

79 જેથી અંધારામાં તથા મરણની છાયામાં જેઓ બેઠેલા છે તેઓને તે પ્રકાશ પમાડે. તથા આપણા પગને શાંતિના માર્ગમાં દોરી જાય.”

80 છોકરો મોટો થયો, અને આત્મામાં બળવાન થતો ગયો, અને ઇઝરાયલમાં તેના પ્રગટ થવાના દિવસ સુધી તે રાનમાં રહ્યો.

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan