Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

યોહાન 9 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


જન્મથી આંધળો દેખતો થયો

1 તે રસ્તે જતા હતા એવામાં તેમણે એક જન્મથી આંધળા માણસને જોયો.

2 તેમના શિષ્યોએ તેમને પૂછયું, “રાબ્બી, જે પાપને લીધે એ માણસ આંધળો જનમ્યો, તે [પાપ] કોણે કર્યું? એણે કે એનાં માતાપિતાએ?”

3 ઈસુએ ઉત્તર આપ્યો, “એણે કે એનાં માતાપિતાએ પાપ કર્યું, તેથી નહિ; પણ ઈશ્વરનાં કામ તેનામાં પ્રગટ થાય માટે [એમ થયું].

4 જ્યાં સુધી દિવસ છે, ત્યાં સુધી જેમણે મને મોકલ્યો છે તેમનાં કામ આપણે કરવાં જોઈએ; રાત આવે છે કે, જ્યારે કોઈથી કામ કરી શકાતું નથી.

5 જ્યારે હું જગતમાં છું ત્યારે હું જગતનો પ્રકાશ છું.”

6 એમ કહીને તે જમીન પર થૂંક્યા, અને તે થૂંકથી કાદવ બનાવીને, તેમણે તે કાદવ તે [આંધળા] ની આંખો પર ચોપડયો.

7 અને તેને કહ્યું કે, તું જઈને શિલોઆહ [અર્થાત મોકલેલા] ના કુંડમાં ધો.” ત્યારે તે ગયો, અને ધોઈને દેખતો થઈને [ઘેર] આવ્યો.

8 તે ઉપરથી તેના પડોશીઓએ તથા જેઓએ તેને અગાઉ ભિખારી જોયો હતો તેઓએ કહ્યું, “જે બેસીને ભીખ માગતો હતો, તે શું એ જ નથી?”

9 કેટલાકે કહ્યું, “ [હા,] એ તે જ છે.” બીજાઓએ કહ્યું, “ના, પણ તે તેના જેવો છે.” તેણે પોતે કહ્યું. “હું તે જ છું.”

10 તેથી તેઓએ તેને પૂછયું, “ત્યારે તારી આંખો શી રીતે ઊઘડી ગઈ?”

11 તેણે ક્હ્યું, “જે માણસ ઈસુ કહેવાય છે તેમણે કાદવ કર્યો, અને મારી આંખો પર ચોપડીને મને કહ્યું કે, તું શિલોઆહ [ના કુંડ] માં જઈને ધો; માટે હું ગયો અને ધોઈને દેખતો થયો.”

12 ત્યારે તેઓએ તેને પૂછયું, “તે ક્યાં છે?” તેણે કહ્યું, હું જાણતો નથી.”


આ ચમત્કાર વિષે ફરોશીઓએ કરેલી તપાસ

13 જે અગાઉ આંધળો હતો, તેને તેઓ ફરોશીઓની પાસે લઈ આવ્યા.

14 હવે જે દિવસે ઈસુએ કાદવ કરીને તેની આંખો ઉઘાડી હતી, તે દિવસે વિશ્રામવાર હતો.

15 તે માટે ફરોશીઓએ પણ ફરીથી તેને પૂછયું, “તું શી રીતે દેખતો થયો?” તેણે તેઓને કહ્યું, “તેણે મારી આંખો પર કાદવ ચોપડયો, અને હું ધોઈને દેખતો થયો છું.”

16 તેથી ફરોશીઓમાંના કેટલાકે કહ્યું, “તે માણસ ઈશ્વરની પાસેથી [આવ્યો] નથી, કેમ કે તે વિશ્રામવાર પાળતો નથી.” પણ બીજાઓએ કહ્યું, “પાપી માણસ એવા ચમત્કાર શી રીતે કરી શકે?” એમ તેઓમાં બે પક્ષ પડયા.

17 તેથી તેઓ ફરીથી તે આંધળાને પૂછે છે, “તેણે તારી આંખો ઉઘાડી, માટે તેને વિષે તું શું કહે છે?” ત્યારે તેણે કહ્યું, “તે પ્રબોધક છે.”

18 પણ યહૂદીઓએ તે દેખતાં થયેલાનાં માતાપિતાને તેડાવ્યાં ત્યાં સુધી તે આંધળો હતો, અને દેખતો થયો છે એમ તેઓએ માન્યું નહિ.

19 તેઓએ તેમને પૂછયું, “શું એ તમારો દીકરો છે કે, જેને વિષે તમે કહો છો કે, એ જન્મથી આંધળો હતો? તો હવે એ શી રીતે દેખતો થયો છે?”

20 તેનાં માતાપિતાએ ઉત્તર આપ્યો, “એ અમારો દીકરો છે, અને એ જન્મથી આંધળો હતો એ અમે જાણીએ છીએ.

21 પણ હમણાં એ શી‍ રીતે દેખતો થયો છે, તે અમે જાણતાં નથી, તેમ જ એની આંખો કોણે ઉઘાડી તે પણ અમે જાણતાં નથી. એ પુખ્ત ઉંમરનો છે. એને પૂછો, એ પોતે કહેશે.”

22 તેનાં માતપિતા યહૂદીઓથી બીતાં હતાં માટે તેઓએ એમ કહ્યું, કેમ કે યહૂદીઓએ અગાઉથી એવો ઠરાવ કર્યો હતો કે, ‘તે ખ્રિસ્ત છે’ એવું જો કોઈ કબૂલ કરે, તો તેને સભાસ્થાનમાંથી કાઢી મૂકવો.

23 તે માટે તેનાં માતાપિતાએ કહ્યું હતું, “એ પુખ્ત ઉંમરનો છે; એને પોતાને પૂછો.”

24 તેથી જે આંધળો હતો, તે માણસને તેઓએ બીજી વાર બોલાવીને કહ્યું, “ઈશ્વરની સ્તુતિ કર; અમે જાણીએ છીએ કે એ માણસ તો પાપી છે.”

25 ત્યારે તેણે ઉત્તર આપ્યો, “તે પાપી છે કે નહિ, એ હું જાણતો નથી. એક વાત હું જાણું છું કે, હું આંધળો હતો અને હવે હું દેખતો થયો છું.”

26 ત્યારે તેઓએ તેને પૂછયું, “તેણે તને શું કર્યું? તારી આંખો તેણે શી રીતે ઉઘાડી?”

27 તેણે તેઓને ઉત્તર આપ્યો, “મેં હમણાં જ તમને કહ્યું, પણ તમે સાંભળ્યું નહિ. તમે શા માટે ફરીથી સાંભળવા માગો છો? શું તમે પણ તેના શિષ્યો થવા ચાહો છો?”

28 ત્યારે તેઓએ તેની નિંદા કરીને કહ્યું, “તું તેનો શિષ્ય છે; પણ અમે તો મૂસાના શિષ્યો છીએ.

29 ઈશ્વર મૂસાની સાથે બોલ્યા, એ અમે જાણીએ છીએ. પણ એ માણસ ક્યાંનો છે, તે અમે જાણતા નથી.”

30 તે માણસે ઉત્તર આપ્યો, “એ તો અજાયબ જેવું છે કે, તેણે મારી આંખો ઉઘાડી તે છતાં પણ તે ક્યાંનો છે, એ તમે જાણતા નથી.

31 આપણે જાણીએ છીએ કે, ઈશ્વર પાપીઓનું સાંભળતા નથી. પણ જો કોઈ ઈશ્વરનો ભક્ત હોય, અને તેમની ઇચ્છા પ્રમાણે કરતો હોય, તો તેનું તે સાંભળે છે.

32 જગતના આરંભથી એવું કદી પણ સાંભળવામાં આવ્યું નથી કે, જન્મથી આંધળા માણસની આંખો કોઈએ ઉઘાડી હોય.

33 જો એ માણસ ઈશ્વરની પાસેથી આવ્યો ન હોત, તો તે કંઈ પણ કરી શક્ત નહિ.”

34 તેઓએ તેને ઉત્તર આપ્યો, “તું તો તદ્દન પાપોમાં જનમ્યો છે, અને શું તું અમને બોધ કરે છે?” પછી તેઓએ તેને કાઢી મૂક્યો.


આત્મિક અંધાપો

35 તેઓએ તેને કાઢી મૂક્યો છે, એવું ઈસુએ સાંભળ્યું ત્યારે તેમણે તેને શોધી કાઢીને પૂછયું, “શું તું ઈશ્વરના પુત્ર પર વિશ્વાસ કરે છે?”

36 તેણે ઉત્તર આપ્યો, “હે પ્રભુ, તે કોણ છે કે હું તેમના પર વિશ્વાસ કરું?”

37 ઈસુએ તેને કહ્યું, “તેં તેમને જોયા છે, અને જે તારી સાથે વાત કરે છે, તે જ તે છે.”

38 તેણે કહ્યું, “પ્રભુ, હું વિશ્વાસ કરું છું.” પછી તેણે તેમનું ભજન કર્યું.

39 ત્યારે ઈસુએ કહ્યું, “જેઓ દેખતા નથી તેઓ દેખતા થાય, અને જેઓ દેખતા છે તેઓ આંધળા થાય, માટે ન્યાયને માટે હું આ જગતમાં આવ્યો છું.”

40 જે ફરોશીઓ તેમની પાસે હતા તેઓએ એ વાતો સાંભળીને તેમને પૂછયું, “તો શું અમે પણ આંધળા છીએ?”

41 ઈસુએ તેઓને કહ્યું, “જો તમે આંધળા હોત તો તમને પાપ ન લાગત, પણ હવે તમે કહો છો કે, ‘અમે દેખતા છીએ, ’ માટે તમારું પાપ કાયમ રહે છે.”

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan