Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

યોહાન 2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


કાના ગામમાં લગ્ન

1 ત્રીજે દિવસે ગાલીલના કાનામાં લગ્ન હતું. ત્યાં ઈસુનાં મા હતાં.

2 ઈસુને તથા તેમના શિષ્યોને પણ તે લગ્નમાં નોતર્યા હતા.

3 દ્રાક્ષારસ ખૂટયો ત્યારે ઈસુનાં મા તેમને કહે છે, “તેઓની પાસે દ્રાક્ષારસ નથી.”

4 ઈસુ તેમને કહે છે, “બાઈ, મારે ને તમારે શું? મારો સમય હજી આવ્યો નથી.”

5 તેમની માતા ચાકરોને કહે છે, “જે કંઈ તે તમને કહે તે કરો.”

6 હવે યહૂદીઓની શુદ્ધ કરવાની રીત પ્રમાણે દરેકમાં બબ્બે કે ત્રણ ત્રણ મણ પાણી માય એવાં પથ્થરનાં છ કુંડાં ત્યાં મૂકેલાં હતાં.

7 ઈસુ તેઓને કહે છે, “તે કુંડાંમાં પાણી ભરો.” એટલે તેઓએ તેઓને છલાછલ ભર્યાં.

8 પછી તે તેઓને કહે છે, “હવે કાઢીને જમણના કારભારી પાસે લઈ જાઓ.” તેઓ તે લઈ ગયા.

9 જયારે જમણના કારભારીએ પાણીનો બનેલો દ્રાક્ષારસ ચાખ્યો, અને તે કયાંથી આવ્યો એ તે જાણતો નહોતો (પણ જે ચાકરોએ પાણી કાઢયું હતું તેઓ જાણતા હતા), ત્યારે જમણનો કારભારી વરને બોલાવીને

10 કહે છે, “દરેક માણસ પહેલા સારો દ્રાક્ષારસ મૂકે છે. અને માણસોએ સારીપેઠે પીધા પછી હલકો. ૫ણ તમે અત્યાર સુધી સારો દ્રાક્ષારસ રાખ્યો છે.”

11 ઈસુએ પોતાના ચમત્કારોનો આ આરંભ ગાલીલના કાનામાં કરીને પોતાનો મહિમા બતાવ્યો; અને તેમના શિષ્યોએ તેમના પર વિશ્વાસ કર્યો.

12 એ પછી તે, તેમની મા, તેમના ભાઈઓ તથા તેમના શિષ્યો કપર-નાહૂમમાં ઊતરી આવ્યાં પણ ત્યાં તેઓ ઘણા દિવસ રહ્યાં નહિ.


મંદિરનું શુદ્ધિકરણ
( માથ. ૨૧:૧૨ , ૧૩ ; માર્ક ૧૧:૧૫-૧૭ ; લૂ. ૧૯:૪૫-૪૬ )

13 યહૂદીઓનું પાસ્ખાપર્વ પાસે આવ્યું હતું, તેથી ઈસુ યરુશાલેમ ગયા.

14 મંદિરમાં ગોધા, ઘેટાં તથા કબૂતર વેચનારાઓને તથા નાણાવટીઓને બેઠેલા તેમણે જોયા.

15 ત્યારે તેમણે ઝીણી દોરીઓનો કોરડો બનાવીને તે સર્વને, ઘેટાં તથા ગોધા સહિત, મંદિરમાંથી કાઢી મૂકયાં. નાણાવટીઓનાં નાણાં વેરી નાખ્યાં અને બાજઠો ઊંધા વાળ્યા.

16 અને કબૂતર વેચનારાઓને પણ તેમણે કહ્યું, “એ બધું અહીંથી લઈ જાઓ; મારા પિતાના ઘરને વેપારનું ઘર ન કરો.”

17 તેમના શિષ્યોને યાદ આવ્યું કે એમ લખેલું છે કે, “તારા ઘરની આસ્થા મને ખાઈ નાખે છે.”

18 એ માટે યહૂદીઓએ તેમને પૂછયું, “તમે એ કામો કરો છો, તો અમને શી નિશાની બતાવો છો?”

19 ઈસુએ તેઓને ઉત્તર આપ્યો, “આ મંદિરને પાડી નાખો, તો હું એને ત્રણ દિવસમાં ઊભું કરીશ.”

20 ત્યારે યહૂદીઓએ કહ્યું, “આ મંદિરને બાંધતાં છેંતાળીસ વર્ષ લાગ્યાં છે, અને શું તમે એને ત્રણ દિવસમાં ઊભું કરશો?”

21 પણ તે તો પોતાના શરીરરૂપી મંદિર વિષે બોલ્યા હતા.

22 તે માટે જ્યારે તેમને મરી ગયેલાંઓમાંથી ઉઠાડવામાં આવ્યા ત્યારે તેમના શિષ્યોને યાદ આવ્યું કે, તેમણે તેઓને એ કહ્યું હતું. અને તેઓએ લેખ પર તથા ઈસુના બોલેલા વચન પર વિશ્વાસ કર્યો.


લોકો વિષે ઈસુનું જ્ઞાન

23 હવે પાસ્ખાપર્વને વખતે તે યરુશાલેમમાં હતા, ત્યારે જે ચમત્કારો તે કરતા હતા તે જોઈને ઘણાએ તેમના નામ પર વિશ્વાસ કર્યો,

24 પણ ઈસુએ તેમનો વિશ્વાસ ન કર્યો, કેમ કે તે સર્વને જાણતા હતા,

25 અને માણસ વિષે કોઈ સાક્ષી આપે એવી તેમને અગત્ય ન હતી; કેમ કે માણસમાં શું છે એ તે પોતે જાણતા હતા.

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan