યાકૂબનો પત્ર 1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 વિખેરાઈ ગયેલાં બારે કુળને, ઈશ્વરના તથા પ્રભુ ઈસુ ખ્રિસ્તના સેવક યાકૂબની સલામ. વિશ્વાસ અને ડહાપણ 2 મારા ભાઈઓ, જયારે તમને જાત જાતનાં પરીક્ષણો થાય છે ત્યારે તેમાં પૂરો આનંદ માનો, 3 કેમ કે તમે જાણો છો કે તમારા વિશ્વાસની પરીક્ષા [માં પાર ઊતર્યા] થી ધીરજ ઉત્પન્ન થાય છે. 4 તમે પરિપકવ તથા સંપૂર્ણ થાઓ, અને કશામાં અપૂર્ણ રહો નહિ, માટે ધીરજને પોતાનું કામ પૂરેપૂરું કરવા દો. 5 તમારામાંનો જો કોઈ જ્ઞાનમાં અપૂર્ણ હોય, તો ઈશ્વર જે સર્વને ઉદારતાથી આપે છે, ને ઠપકો આપતા નથી, તેમની પાસેથી તે માગે, એટલે તેને તે આપવામાં આવશે. 6 પરંતુ કંઈ પણ શંકા રાખ્યા વગર વિશ્વાસથી માંગવું, કેમ કે જે કોઈ શંકા રાખે છે તે પવનથી ઊછળતા તથા અફળાતા સમુદ્રના મોજાના જેવો છે. 7 એવા માણસે પ્રભુ તરફથી તેને કંઈ મળશે એવું ન ધારવું. 8 બે મનવાળું માણસ પોતાના સર્વ કાર્યમાં અસ્થિર છે. ગરીબ અને ધનવાન 9 જે ભાઈ હલકા દરજ્જાનો છે તે પોતાના ઉચ્ચપદમાં અભિમાન કરે. 10 અને જે શ્રીમંત છે, તે પોતાના નીચપદમાં [અભિમાન કરે] ; કેમ કે ઘાસના ફૂલની જેમ તે જતો રહેશે. 11 કેમ કે સૂર્ય ઊગે છે, અને લૂ વાય છે ત્યારે ઘાસ ચીમળાય છે. તેનું ફૂલ ખરી પડે છે, અને તેના સૌંદર્યની શોભા નાશ પામે છે: તેમ શ્રીમંત પણ તેના વ્યવહારમાં ચીમળાઈ જશે. કસોટી અને પરીક્ષણ 12 જે માણસ પરીક્ષણમાં પાર ઊતરે છે તેને ધન્ય છે, કેમ કે પાર ઊતર્યા પછી, જીવનનો જે મુગટ પ્રભુએ પોતાના પર પ્રેમ રાખનારાઓને આપવાને કબૂલ કર્યું છે તે તેને મળશે. 13 કોઈનું પરીક્ષણ થયું હોય તો ઈશ્વરે મારું પરીક્ષણ કર્યું છે, એમ તેણે ન કહેવું, કેમ કે દુષ્ટતાથી ઈશ્વરનું પરીક્ષણ થતું નથી, અને તે કોઈને પરીક્ષણમાં નાખતા પણ નથી. 14 પણ દરેક માણસ પોતાની દુર્વાસનાથી ખેંચાઈને તથા લલચાઈને પરીક્ષણમાં પડે છે. 15 પછી દુર્વાસના ગર્ભ ધરીને પાપને જન્મ આપે છે, અને પાપ પરિપકવ થઈને મોતને ઉપજાવે છે. 16 મારા વહાલા ભાઈઓ, તમે છેતરાતા નહિ. 17 દરેક ઉત્તમ દાન તથા દરેક સંપૂર્ણ દાન ઉપરથી હોય છે, અને પ્રકાશોના પિતા જેમનામાં વિકાર થતો નથી, તેમ જ જેમનામાં ફરવાથી પડતો પડછાયો પણ નથી, તેમની પાસેથી ઊતરે છે. 18 તેમણે પોતાની ઇચ્છાથી સત્યના વચનદ્વારા આપણને જન્મ આપ્યો છે, જેથી આપણે તેમનાં ઉત્પન્ન કરેલાંઓમાં પ્રથમફળ જેવા થઈએ. સાંભળવું અને પાળવું 19 મારા વહાલા ભાઈઓ, તમે એ જાણો છો. દરેક માણસ સાંભળવામાં ચપળ, બોલવામાં ધીમો, તથા ક્રોધમાં ધીરો થાય. 20 કેમ કે માણસના ક્રોધથી ઈશ્વરનું ન્યાયીપણું પાર પડતું નથી. 21 માટે તમે સર્વ મલિનતા તથા દુષ્ટતાની અધિકતા નાખી દો, અને [તમારા હ્રદયમાં] રોપેલું જે વચન તમારા આત્માઓને તારવાને શક્તિમાન છે તેને નમ્રતાથી ગ્રહણ કરો. 22 પણ તમે વચનના પાળનારા થાઓ, પોતાને છેતરીને માત્ર સાંભળનારા જ નહિ. 23 કેમ કે જે કોઈ માણસ વચન પાળનાર નથી, પણ માત્ર સાંભળનાર છે, તે પોતાનું સ્વાભાવિક મોં આરસીમાં જોનાર માણસના જેવો છે. 24 કેમ કે તે પોતાને જુએ છે, પછી ત્યાંથી ખસી જાય છે, એટલે તે પોતે કેવો હતો, એ તે તરત ભૂલી જાય છે. 25 પણ જે છૂટાપણાના સંપૂર્ણ નિયમમાં નિહાળીને જુએ છે, અને તેમાં રહે છે, જે સાંભળીને ભૂલી જનાર નહિ, પણ કામ કરનાર થાય છે, તે જ માણસ પોતાના વ્યવહારમાં ધન્ય થશે. 26 જો તમારામાંનો કોઈ માને કે હું પોતે ધાર્મિક છું, પણ પોતાની જીભને વશ કરતો નથી, તે પોતાના મનને છેતરે છે, અને એવા માણસની ધાર્મિકતા વ્યર્થ છે. 27 વિધવાઓની અને અનાથોની તેઓનાં દુ:ખની વખતે મુલાકાત લેવી અને જગતથી પોતાને નિષ્કલંક રાખવો એ જ ઈશ્વરની, એટલે પિતાની, આગળ શુદ્ધ તથા નિર્મળ ધાર્મિકતા છે. |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India