યશાયા 37 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)રાજા યશાયાની સલાહ શોધે છે ( ૨ રા. ૧૯:૧-૭ ) 1 જ્યારે હિઝકિયા રાજાએ એ સાંભળ્યું ત્યારે તેણે પોતાનાં વસ્ત્ર ફાડયાં, ને શરીર પર ટાટ ઓઢીને યહોવાના મંદિરમાં ગયો. 2 તેણે મહેલના કારભારી એલિયાકીમને, શેબના ચિટનીસને તથા યાજકોના વડીલોને ટાટ ઓઢાવીને તેમને આમોસના દીકરા યશાયા પ્રબોધક પાસે મોકલ્યા. 3 તેઓએ તેને કહ્યું, “હિઝકિયા એવું કહે છે કે, આ તો સંકટનો, ઠપકાનો તથા ફજેતીનો દિવસ છે; કેમ કે છોકરાંનો પ્રસવ થવાની તૈયારી છે, ને જન્મ આપવાની શક્તિ નથી. 4 આશૂરના રાજાએ પોતાના સેવક રાબશાકેને જીવતા ઈશ્વરની નિંદા કરવા માટે મોકલ્યો છે. કદાચ તેના સર્વ શબ્દો તમારા ઈશ્વર યહોવા સાંભળશે, ને તે સાંભળીને [તેને માટે] તે તેઓને ધમકાવે; માટે બચી ગયેલાઓને માટે તમે પ્રાર્થના કરો.” 5 પછી હિઝકિયા રાજાના સેવકો યશાયા પાસે ગયા. 6 યશાયાએ તેમને કહ્યું, “તમારા ધણીને કહેજો કે, યહોવા કહે છે કે, ‘જે શબ્દો તેં સાંભળ્યા છે, એટલે જે વડે આશૂરના રાજાના સેવકોએ મારી વિરુદ્ધ દુર્ભાષણ કર્યું છે, તેથી તારે બીવું નહિ. 7 જુઓ, હું તેનામાં એક આત્મા મૂકીશ, ને તે અફવા સાંભળીને પોતાના દેશમાં પાછો જશે; અને ત્યાં હું તેને તરવારથી મારી નંખાવીશ.’” આશૂરીઓની બીજી ધમકી ( ૨ રા. ૧૯:૮-૧૯ ) 8 જ્યારે રાબશાકે પાછો ગયો, ત્યારે તેને માલૂમ પડયું કે આશૂરનો રાજા લિબ્નાની વિરુદ્ધ યુદ્ધ કરે છે. વળી તેણે સાંભળ્યું હતું કે તે લાખીશથી ઊપડયો છે. 9 જ્યારે તેણે કૂશના રાજા તિર્હાકા વિષે સાંભળ્યું કે તે મારી સામે યુદ્ધ કરવા ચઢી આવ્યો છે, ત્યારે તેણે ફરીથી યહૂદિયાના રાજા હિઝકિયાની પાસે માણસ મોકલીને કહાવ્યું, 10 “જે દેવ પર તું ભરોસો રાખે છે, તે એવું કહીને તમને ન છેતરે કે, ‘યરુશાલેમ આશૂરના રાજાના હાથમાં નહિ પડશે.’ 11 આશૂરના રાજાઓએ સર્વ દેશોનો નાશ કરીને તેઓના કેવા હાલ કર્યા છે તે તો તેં સાંભળ્યું છે; અને શું તારો બચાવ થશે? 12 જે પ્રજાઓનો, એટલે ગોઝાન, હારાન, રેસેફ તથા તલાસારમાં રહેનાર એદેનપુત્રોનો મારા પૂર્વજોએ નાશ કર્યો છે, તેઓના દેવોએ તેઓને બચાવ્યા છે શું? 13 હમાથનો, આર્પાદનો, સફાર્વાઈમ નગરનો, હેનાનો તથા ઈવાનો રાજા ક્યાં છે?” 14 પછી હિઝકિયાએ સંદેશીયાઓના હાથમાંથી પત્ર લઈને વાંચ્યો; અને યહોવાના મંદિરમાં ચઢી જઈને તેણે તે પત્ર યહોવાની આગળ ખુલ્લો કર્યો. 15 અને તેણે પ્રાર્થના કરી, 16 “હે કરૂબો પર બિરાજમાન, સૈન્યોના [ઈશ્વર] યહોવા, ઇઝરાયલના ઈશ્વર, પૃથ્વીનાં સર્વ રાજ્યોના તમે જ એકલા ઈશ્વર છો; તમે આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યં છે. 17 હે યહોવા, કાન દઈને સાંભળો; હે યહોવા આંખ ઉઘાડીને જુઓ; જીવતા ઈશ્વરની નિંદા કરનારા આ સાનહેરિબના શબ્દો તમે સાંભળો. 18 હે યહોવા, ખરેખર આશૂરના રાજાઓએ બીજી પ્રજાઓનો તથા તેઓના દેશનો નાશ કર્યો છે, 19 ને તેઓના દેવોને બાળી નાખ્યા છે; કેમ કે તેઓ દેવો નહોતા, માત્ર માણસના હાથની કૃતિ-લાકડાં તથા પથ્થર-હતા; માટે તેઓએ તેમનો નાશ કર્યો છે. 20 હવે, હે અમારા ઈશ્વર યહોવા, તેના હાથમાંથી અમારો બચાવ કરજો કે, પૃથ્વીનાં સર્વ રાજ્યો જાણે કે તમે જ એકલા યહોવા છો.” રાજાને યશાયાનો જવાબ ( ૨ રા. ૧૯:૨૦-૩૭ ) 21 ત્યારે આમોસના દીકરા યશાયાએ હિઝકિયાની પાસે [માણસ] મોકલીને કહેવડાવ્યું, “ઇઝરાયલના ઈશ્વર યહોવા કહે છે, ‘તેં આશૂરના રાજા સાનહેરિબ વિષે મારી પ્રાર્થના કરલી છે, ’ 22 તે માટે યહોવા સાનહેરિબ વિષે જે વચન બોલ્યા છે તે આ છે; ‘સિયોનની કુંવારી દીકરીએ તને તુચ્છ ગણ્યો છે, અને હસી કાઢયો ચે; યરુશાલેમની દીકરીએ તારી તરફ ડોકું ધુણાવ્યું છે. 23 તેં કોની નિંદા તથા કોના વિષે દુર્ભાષણ કર્યાં છે? તેં કોની વિરુદ્ધ તારો અવાજ ઉઠાવ્યો છે ને તારી આંખો ઊંચી કરી છે? ઇઝરાયલના પવિત્ર ઈશ્વરની વિરુદ્ધ જ. 24 તારા સંદેશીયા દ્વારા તેં પ્રભુની નિંદા કરી છે, તેં કહ્યું છે કે, મારા રથોના જૂથ સાથે હું પર્વતોના શિખર પર, લબાનોનના સૌથી અંદરના ભાગોમાં હું ચઢી આવ્યો છું; તેનાં ઊંચા એરેજવૃક્ષોને તથા ઉત્તમ દેવદારવૃક્ષોને હું કાપી નાખીશ; હું તેના સૌથી છોવાડા ભાગમાં, તથા તેના ફળદ્રુપ ખેતરના વનમાં પ્રવેશ કરીશ. 25 મેં ખોદીને પરદેશના પાણી પીધાં છે, મારા પગના પળિયાથી હું મિસરની બધી નદીઓને સૂકવી નાખીશ. 26 [યહોવા કહે છે,] શું તેં નથી સાંભળ્યું કે, મેં પુરાતન કાળથી તે [ઠરાવ] કર્યો ચે, ને પ્રાચીન કાળથી તે ઘાટ ઘડયો છે? અને હવે હું એવું કરું છું કે કોટવાળાં નગરોને વેરાન કરી નાખીને તેમને ખંડિયેરના ઢગલા તું કરી નાખનાર થાય. 27 તે કારણથી તેઓના રહેવાસીઓ કમજોર થઈ ગયા, તેઓ ગભરાઈને બાવરા બની ગયા; તેઓ ખેતરના ઘાસ, લીલોતરી, ધાબા પરના ઘાસ તથા પકવ થયા પહેલાં ચીમળાયેલા કર્ષણના જેવા થઈ ગયા. 28 પરંતુ તારું ઊઠવું તથા નીચે બેસવું, તારું બહાર જવું તથા તારું અંદર આવવું, તથા મારા પર તારું કોપાયમાન થવું, એ સર્વ હું જાણું છું. 29 મારા પર તારા ક્રોધાયમાન થયાને લીધે તથા તારી ઉદ્ધતાઈ મારા સાંભળવામાં આવ્યાને લીધે હું તારા નાકમાં મારી કડી તથા તારા હોઠોની વચ્ચે મારી લગામ નાખીને જે માર્ગે તું આવ્યો છે તે માર્ગે થઈને હું તને પાછો ફેરવીશ.’ 30 તારે માટે આ ચિહ્ન થશે:આ વર્ષે પોતાની મેળે નીપજેલું [ધાન્ય] તમે ખાશો, અને બીજા વર્ષે એના પીલામાંથી નીપજેલું [ધાન્ય] તમે ખાશો; અને ત્રીજા વર્ષે તમે વાવશો ને લણશો, ને દ્રાક્ષાવાડીઓ રોપશો ને તેઓની ઊપજ ખાશો. 31 યહૂદિયાના કુળનો બચેલો ભાગ ફરીથી નીચે પોતાની જડ નાખશે, ને તેને ફળ આવશે. 32 યરુશાલેમમાંથી તથા સિયોન પર્વતમાંથી બચેલા લોકો નીકળી આવશે; સૈન્યોના યહોવાની આતુરતાથી તે થશે. 33 તે માટે આશૂરના રાજા વિષે યહોવા કહે છે, ‘તે આ નગર પાસે આવશે નહિ, ત્યાં બાણ પણ મારશે નહિ, ને ઢાલ લઈને તેની આગળ આવશે નહિ, ને તેની સામે મોરચા બાંધશે નહિ. 34 જે માર્ગે તે આવ્યો તે જ માર્ગે તે પાછો જશે, અને તે આ નગર પાસે આવશે નહિ, એમ હું યહોવા બોલું છું. 35 વળી હું મારી પોતાની ખાતર તથા મારા સેવક દાઉદની ખાતર આ નગરનું રક્ષણ કરીને તેને બચાવીશ.’” 36 યહોવાના દૂતે આવીને આશૂરોની છાવણીમાંના એક લાખ પંચાસી હજાર માણસોને મારી નાખ્યા; પરોઢિયે લોકો ઊઠયા, ત્યારે તે સર્વ મરણ પામ્યા હતા, ને તેઓની લાશો ત્યાં પડી હતી. 37 તેથી આશૂરનો રાજા સાનહેરિબ પાછો નિનવે જતો રહ્યો. 38 તે પોતાના દેવ નિસ્રોખના મંદિરમાં પૂજા કરતો હતો, ત્યારે તેના દીકરા આદ્રામેલેખે તથા શારેસેરે તેને તરવારથી મારી નાખ્યો; અને તેઓ અરારાટ દેશમાં નાસી ગયા. તેના દીકરા એસાર-હાદોને તેની જગ્યાએ રાજ કર્યું. |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India