ઉત્પત્તિ 50 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 અને યૂસફ તેના પિતાના મુખ પર પડીને રડયો, ને તેને ચૂમ્યો. 2 અને યૂસફે તેના દાસમાંના જે વૈદો હતા તેઓને પોતાના પિતાના દેહમાં સુગંધીઓ ભરવાની આજ્ઞા આપી; અને વૈદોએ ઇઝરાયલના દેહમાં સુગંધીઓ ભરી. 3 અને તેને માટે ચાળીસ દિવસ પૂરા કર્યા; કેમ કે સુગંધીઓ ભરવાના દિવસો એ પ્રમાણે પૂરા કરવાની રીત છે. અને તેને માટે મિસરીઓને સિત્તેર દિવસ શોક પાળ્યો. 4 અને તેના શોકના દિવસ પૂરા થયા ત્યાર પછી યૂસફે ફારુનના ઘરનાંને કહ્યું, “હવે જો તમારી દષ્ટિમાં હું કૃપા પામ્યો હોઉં, તો ફારુનના કાનમાં એમ કહો, 5 મારા પિતાએ મને સમ ખવડાવીને કહ્યું હતું, ‘જુઓ હું મરવા પડયો છું. મેં મારે માટે કનાન દેશમાં જે કબર ખોદાવી છે, ત્યાં મને દાટજે.’ માટે હવે મારા પિતાને દાટવાને મને જવા દો, ને હું પાછો આવીશ.” 6 અને ફારુને કહ્યું, “જા, ને જેમ તારા પિતાએ તને સમ ખવડાવ્યા હતા તેમ તેને દફનાવ.” 7 અને યૂસફ તેના પિતાને દાટવા ગયો; અને ફારુનના સર્વ દાસ, ને તેના ઘરના વડીલ, તથા મિસર દેશના વડીલ તેની સાથે ગયા, 8 અને યૂસફના ઘરનાં સર્વ તથા તેના ભાઈઓ, તથા તેના પિતાના ઘરનાં સર્વ, તેની સાથે ગયાં. કેવળ તેઓનાં છોકરાં તથા તેઓનાં ટોળાં તથા તેઓનાં ઢોર ગોશેન દેશમાં તેઓ મૂકી ગયા. 9 અને તેની સાથે રથો તથા સવારો ગયા; અને તે બહુ મોટો સમુદાય હતો. 10 અને યર્દન પાર આટાદની ખળી છે ત્યાં તેઓ આવી પહોંચ્યાં, ને ત્યાં તેઓએ મોટા ને ભારે વિલાપથી રુદન કર્યું; અને યૂસફે તેના પિતાને માટે સાત દિવસ શોક કર્યો. 11 અને તે દેશના કનાની રહેવાસીઓએ આટાદની ખળીમાં તે વિલાપ જોયો, ત્યારે તેઓ બોલ્યા, “આ તો મિસરીઓનો મોટો વિલાપ છે.” એ માટે તેનું નામ આબેલ-મિસરાઇમ કહેવાય છે, ને તે યર્દનને પેલે પાર છે. 12 અને યાકૂબે તેના દિકરાઓને જેમ આજ્ઞા આપી હતી તેમ તેઓએ તેને માટે કર્યું: 13 અને તેના દિકરા તેને કનાન દેશમાં લઈ ગયા, ને ઇબ્રાહિમે વતનનું કબરસ્તાન કરવા માટે એફ્રોન હિત્તીની પાસેથી મામરેની સામેની જે ગુફા ખેતર સાથે વેચાતી લીધી હતી, તે માખ્પેલાના ખતરમાંની ગુફામાં તેઓએ તેને દાટયો. 14 અને યૂસફ તથા તેના ભાઈઓ, ને જેઓ તેના પિતાને દાટવા તેની સાથે ગયા હતા, તેઓ સર્વ તેના પિતાને દાટીને મિસરમાં પાછા આવ્યા. યૂસફે પોતાના ભાઈઓને આપેલી ખાતરી 15 અને યૂસફના ભાઈઓએ જોયું કે અમારો પિતા મરી ગયો છે ને તેઓએ કહ્યું, “કદાચ યૂસફ અમારા પર દ્વેષ કરશે, ને અમે તેનું જે ભૂંડું કર્યું હતું તે સર્વનું વેર તે નકકી વાળશે.” 16 અને તેઓએ યૂસફને કહેવડાવી મોકલ્યું, “તારા પિતાએ મરણ પામ્યા અગાઉ આજ્ઞા આપીને કહ્યું હતું કે, 17 ‘તમે આ પ્રમાણે યૂસફને કહેજો, તારા ભાઈઓએ તારો અપરાધ કર્યો છે. હવે તું તેઓના તે પાપની ક્ષમા કરજે, કેમ કે તેઓએ તારું ભુંડું કર્યું હતું.’ તે માટે હવે તારા પિતાના ઈશ્વરના દાસોનો અપરાધ તું માફ કરજે.” યૂસફને તે વાત કહેવમાં આવી ત્યારે તે રડી પડયો. 18 અને તેના ભાઈઓ પણ આવીને તેની આગળ નમી પડયા. અને બોલ્યા, “જો, અમે તારા દાસ છીએ.” 19 અને યૂસફે તેઓને કહ્યું, “બીહો નહિ; કેમ કે શું હું ઈશ્વરને ઠેકાણે છું? 20 તમે તો મારું ભૂંડું કરવા ચાહ્યું હતું; પણ ઈશ્વરે તેમાં ભલું કરવાનું ધાર્યું કે, જેમ આજે થયું છે તેમ, તે ઘણા લોકના જાન બચાવે. 21 એ માટે હવે બીહો નહિ. હું તમને તથા તમારાં છોકરાંને પાળીશ.” એમ તેણે તેઓને દિલાસો આપીને તેઓની સાથે હેતથી વાત કરી. યૂસફનું મૃત્યુ 22 અને યૂસફ તથા તેના પિતાના ઘરનાં મિસરમાં રહ્યાં; અને યૂસફ એકસો દશ વર્ષ જીવ્યો. 23 અને યૂસફે ત્રીજી પેઢી સુધીનાં એફ્રાઇમનાં છોકરાં જોયાં; અને મનાશ્શાના દિકરા માખીરના દિકરાઓ યૂસફના ખોળામાં ઊછર્યા. 24 અને યૂસફે તેના ભાઈઓને કહ્યું, “હું તો મરવઅ પડયો છું; પણ ઇશ્વર તમારી ખબર ખચીત લેશે, ને તેમણે જે દેશ સંબંધી ઇબ્રાહિમ તથા ઇસહાક તથા યાકૂબની આગળ સમ ખાધા હતા, તે દેશમાં તે તમને આ દેશમાંથી લઈ જશે.” 25 અને યૂસફે ઇઝરાયલપુત્રોને સમ ખવડાવીને કહ્યું, “ઈશ્વર તમારી ખબર ખચીત લેશે, ને તમે મારાં હાડકાં અહીંથી લઈ જજો.” 26 અને યૂસફ એકસો દશ વર્ષનો થઈને મરી ગયો; અને તેઓએ તેના દેહમાં સુંગંધીઓ ભરીને તેને મિસરમાં શબકોશમાં મૂક્યો. |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India