નિર્ગમન 8 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)દેડકાં 1 અને યહોવાએ મૂસાને કહ્યું, “ફારુનની પાસે જઈને તેને કહે, કે યહોવા એમ કહે છે, ‘મારા લોકોને મારી સેવા કરવા માટે જવા દે, 2 અને જો તું તેમને જવા દેવાની ના પાડશે તો જો, હું તારા દેશની સર્વ સીમોમાં દેડકાંનો માર લાવીશ. 3 અને નદી દેડકાંથી ખદબદશે, ને તેઓ ચઢી આવીને તારા ઘરમાં તથા તારી સુવાની ઓરડીમાં તથા તારા ચૂલાઓમાં તથા તારી પ્રજા ઉપર તથા તારા ચૂલાઓમાં તથા તારી કથરોટમાં આવશે. 4 અને તે દેડકાં તારા ઉપર તથા પ્રજા ઉપર તથા તારા સર્વ સવકો ઉપર ચઢી આવશે.” 5 અને યહોવાએ મૂસાને કહ્યું, “હારુનને કહે કે, તારી લાકડી લઈને તારો હાથ નદીઓ ઉપર તથા નાળાં ઉપર તથા તળાવો ઉપર લાંબો કરીને મિસર દેશ ઉપર દેડકાં લાવ.” 6 અને હારુને પોતાનો હાથ મિસરનાં પાણી ઉપર લાંબો કર્યો. અને દેડકાંએ નીકળી આવીને મિસર દેશને ઢાંકી દીધો. 7 અને જાદુગરો પણ તેમના મંત્રતંત્ર વડે તે પ્રમાણે કરીને મિસર ઉપર દેડકાં લાવ્યાં. 8 ત્યારે ફારુને મૂસાને તથા હારુનને બોલાવીને કહ્યું, “તમે યહોવાની વિનંતી કરો કે તે મારી પાસેથી તથા મારી પ્રજા પાસેથી દેડકાંને દૂર કરે. અને હું લોકોને યહોવા માટે યજ્ઞ કરવાને જવા દઈશ.” 9 અને મૂસાએ ફારુણે કહ્યું, “ભલે તમારી મરજી. હવે દેડકાં તમારી પાસેથી તથા તમારાં ઘરોમાંથી જતાં રહીને નદીમાં જ રહે એવી વિનંતી હું તમારે માટે તથા તમારા સેવકોને માટે તથા તમારી પ્રજાને માટે ક્યારે કરું?” 10 અને ફારુને કહ્યું, “કાલે કરજે.” અને મૂસાએ કહ્યું, “તમારા કહેવા પ્રમાણે થાઓ. એ માટે કે તમે જાણો કે અમારા ઈશ્વર યહોવાના જેવો કોઈ નથી. 11 અને દેડકાં તમારી પાસેથી તથા તમારાં ઘરોમાંથી તથા તમારા સેવકો પાસેથી તથા તમારી પ્રજા પાસેથી દૂર થઈને નદીમાં જ રહેશે.” 12 નઅએ મૂસા તથા હારુન ફારુનની પાસેથી બહાર ગયા, અને જે દેડકાં તેણે ફારુન સામે આણ્યાં હતાં તે વિષે મૂસાએ યહોવાની વિનંતી કરી. 13 અને યહોવાએ મૂસાના કહેવા પ્રમાણે કર્યું; અને દેડકાં ઘરોમાં, વાડાઓમાં તથા ખેતરોમાં મરી ગયાં. 14 અને તેઓએ તેમના ઢગલા કર્યા અને દેશમાં દુર્ગંધ ઊડી. 15 પણ ફારુને જોયું કે છૂટકો મળ્યો છે, ત્યારે યહોવાના કહ્યા પ્રમાણે ફારુને પોતાનું હ્રદય હઠીલું કરીને તેઓનું માન્યું નહિ. 3. જૂઓ 16 અને યહોવાએ મૂસાને કહ્યું, “હારુનને કહે કે, તું તારી લાકડી લંબાવીને ભૂમિની ધૂળ પર માર કે, આખા મિસર દેશમાં તેની જૂઓ થઈ જાય.” 17 અને તેઓએ તે પ્રમાણે કર્યું. અને હારુને લાકડી લઈને પોતાનો હાથ લાંબો કરીને ભૂમિની ધૂળ પર મારી, એટલે માણસોને તથા ઢોરઢાંકને જૂઓ પડી; આખા મિસર દેશમાં ભૂમિની તમામ ધૂળની જૂઓ થઈ ગઈ. 18 અને જાદુગરોએ પણ તેઓના મંત્રતંત્ર વડે જુઓ પેદા કરવાનું કર્યું, પણ તેઓ કરી શક્યા નહિ. અને માણસોને તથા ઢોરઢાંકને જુઓ પડી. 19 ત્યારે જાદુગરોએ ફારુનને કહ્યું, “એમાં તો ઈશ્વરની આંગળી છે.” અને યહોવાના કહ્યા પ્રમાણે ફારુનને હ્રદય હઠીલું થયું, ને તેણે તેમનું માન્યું નહિ. 4. માખીઓ 20 અને યહોવાએ મૂસાને કહ્યું, “સવારે વહેલો ઊઠીને ફારુનની આગળ ઊભો રહેજે. જો, તે ઘાટ ઉપર જવાનો છે. અને તેને કહે, ‘યહોવા એમ કહે છે કે, મારા લોકોને મારી સેવા કરવા માટે જવા દે. 21 કેમ કે જો તું મારા લોકને જવા નહિ દે તો જો, હું તારા ઉપર તથા તારા સેવકો ઉપર તથા તારી પ્રજા ઉપર તથા તારાં ઘરોમાં માખીઓ મોકલીશ; અને મિસરીઓનાં ઘર તથા જે જમીન પર તેઓ ચાલે છે તે પણ માખીઓનાં ટોળાંથી ભરાઈ જશે. 22 અને તે દિવસે ગોશેન દેશ કે જેમાં મારા લોક રહે છે, તેને હું એવી રીતે અલાહિદો રાખીશ કે તેમાં માખીઓનાં ટોળાં આવે નહિ; એ માટે તું જાણે કે પૃથ્વી મધ્યે હું યહોવા છું. 23 અને મારા લોક તથા તારા લોકની વચ્ચે હું ભેદ રાખીશ. કાલ સુધીમાં તે ચિહ્ન થશે.” તે ચિહ્ન થશે.’” 24 અને યહોવાએ એ પ્રમાણે કર્યું. અને ફારુનના ઘરમાં તથા તેના સેવકોના ઘરમાં માખીઓનાં ટોળે ટોળાં આવ્યાં; અને આખા મિસર દેશમાં માખીઓનાં ટોળાંથી દેશ હેરાન થયો. 25 અને ફારુને મૂસા તથા હારુનને બોલાવીને કહ્યું, “તમે જાઓ, અને આ દેશમાં તમારા ઈશ્વરને માટે યજ્ઞ કરો.” 26 અને મૂસાએ કહ્યું, “એમ કરવું અમારે માટે યોગ્ય નથી. કેમ કે એથી તો અમારા ઈશ્વરે યહોવા આગળ મિસરીઓને અમંગળ લાગે એવા યજ્ઞ થાય. જો અમે મિસરીઓના જોતાં તેમને અમંગળ લાગે એવા યજ્ઞ કરીએ તો શું તેઓ અમને પથ્થરે નહિ મારે? 27 અમે તો ત્રણ દિવસની મજલ જેટલે અરણ્યમાં જઈશું, ને જેમ અમારા ઈશ્વર યહોવા અમને આજ્ઞા કરશે તેમ તેમની આગળ યજ્ઞ કરીશું” 28 અને ફારુને કહ્યું, “હું તમને તમારા ઈશ્વર યહોવાની આગળ અરણ્યમાં યજ્ઞ કરવા માટે જવા દઈશ. ફકત તમારે ઘણે દૂર જવું નહિ; મારે માટે વિનંતી કરો.” 29 અને મૂસાએ કહ્યું, “જુઓ, હું હવે તમારી પાસેથી બહાર જાઉં છું, અને હું યહોવાને વિનંતી કરીશ કે ફારુન પાસેથી તથા તેમના સેવકો પાસેથી તથા તેમની પ્રજા પાસેથી કાલે માખીઓ દૂર થાય. કેવળ ફારુને ફરીથી કપટ કરીને યહોવાની આગળ યજ્ઞ કરવા માટે લોકોને જવા દેવાની મના કરવી નહિ.” 30 અને ફારુનની પાસેથી બહાર જઈને મૂસાને યહોવાની વિનંતી કરી. 31 અને યહોવાએ મૂસાના કહ્યા પ્રમાણે કરીને ફારુન પાસેથી તથા તેના સેવકો પાસેથી તથા તેની પ્રજા પાસેથી માખીઓ દૂર કરી; એક પણ રહી નહિ. 32 અને આ વખતે પણ ફારુને પોતાનું હ્રદય હઠીલું કરીને લોકોને જવા દીધા નહિ. |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India