પુનર્નિયમ 23 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)પ્રભુની મંડળી અંગે કેટલાક પ્રતિબંધ 1 જેની ખસી કરવામાં આવી હોય, અથવા જેની ગહ્યેન્દ્રિય કાપી નાખવામાં આવી હોય તે યહોવાની મંડળીમાં પ્રવેશ ન કરે. 2 વ્યભિચારથી જન્મેલો યહોવાની મંડળીમાં ન પેસે. તેની છેક દશમી પેઢી સુધી તેનું કોઈ પણ યહોવાની મંડળીમાં પેસે નહિ. 3 આમ્મોની કે મોઆબી યહોવાની મંડળીમાં પ્રવેશ ન કરે. તેમની છેક દસમી પેઢી સુધી તેમનું કોઈ પણ યહોવાની મંડળીમાં કદી પ્રવેશ કરે નહિ. 4 કારણ કે જ્યારે તમે મિસરમાંથી નીકળ્યા, ત્યારે તેઓ માર્ગમાં રોટલી તથા પાણી લઈને તમારી સામે આવ્યા નહિ. અને એને લીધે કે તેઓએ અરામ-નાહરઈમના પથોરથી બેઓરના દીકરા બલામની સાથે કરાર કરીને તને શાપ આપવા તેને બોલાવ્યો. 5 તોપણ યહોવા તારા ઈશ્વરે બલામનું સાંભળવા ચાહ્યું નહિ; પણ યહોવા તારા ઈશ્વરે તારે માટે શાપને બદલીને આશીર્વાદ આપ્યો, કેમ કે યહોવા તારા ઈશ્વર તારા પર પ્રેમ રાખતા હતા. 6 તું તારા આખા આયુષ્યભર કદી તેઓની શાંતિ કે આબાદી ન શોધ. 7 તું કોઈ અદોમીનો તિરસ્કાર ન કર, કેમ કે તે તારો ભાઈ છે. તું કોઈ મિસરીનો તિરસ્કાર ન કર, કેમ કે તું તેના દેશમાં પ્રવાસી હતો. 8 તેઓની ત્રીજી પેઢીનાં છોકરાં યહોવાની મંડળીમાં પ્રવેશ કરી શકે. લશ્કરી છાવણીની શુદ્ધતાના નિયમો 9 જ્યારે તું તારા શત્રુઓની સામે છાવણીમાં જાય, ત્યારે તારે પોતાને સર્વ દુષ્ટતાથી અલગ રાખવો. 10 જો તારામાં કોઈ માણસ રાતના અચાનક બનાવથી અશુદ્ધ થયો હોય તો તે છાવણીની બહાર જાય, છાવણીની અંદર ન આવે. 11 પરંતુ એમ થાય કે સાંજ પડતાં તે નાહી નાખે; અને જ્યારે સૂર્ય અસ્ત થાય ત્યારે તે છાવણીમાં પાછો આવે. 12 વળી હાજતે જવાને માટે છાવણીની બહાર તારે એક જગા રાખવી, ને ત્યાં તઅરે હાજતે જવું. 13 તારાં હથિયારમાં તારી પાસે પાવડો રહે. અને જ્યારે તું હાજતે જાય ત્યારે તેનાથી તારે ખોદીને તારામાંથી નીકળેલો [મળ] ઢાંકી દેવો. 14 કેમ કે યહોવા તારા ઈશ્વર તને ઉગારવાને ને તારી સામે તારા શત્રુઓને તારા હાથમાં સોંપવને, તારી છાવણી મધ્યે ચાલે છે. માટે તારી છાવણી શુદ્ધ રહે. એ માટે કે તારા ઈશ્વર તને ઉગારવાને ને તારી સામે તારા શત્રુઓને તારા હાથમાં સોંપવાને, તારી છાવણી મધ્યે ચાલે છે. માટે તારી છાવણી શુદ્ધ રહે. એ માટે કે તારામાં કોઈ અશુદ્ધ વસ્તુ જોઈને તે તારાથી દૂર ન જાય. અન્ય કેટલાક નિયમો 15 જે દાસ તેના માલિક પાસેથી તારી પાસે નાસી આવ્યો હોય તેને તું પાછો તેના માલિકને ન સોંપ. 16 તે તારી મધ્યે, તારી પાસે તારાં કોઈ પણ ગામોમાંથી જે સ્થળ તે પસંદ કરે, એટલે જ્યાં તેને ફાવે ત્યાં રહે. તું તેના પર જુલમ ન કર. 17 ઇઝરાયલની દીકરીઓમાં, કોઈ દેવદાસી ન હોય, અને ઇઝરાયલ પ્રજામાં કોઈ પુંમૈથુની ન હોય. 18 વેશ્યાની કે કૂતરાંની કમાણી કોઈ માનતા ઉતારવા માટે તારે યહોવા તારા ઈશ્વરના ઘરમાં લાવવી નહિ; કેમ કે એ બન્ને કમાણી યહોવા તારા ઈશ્વરને અમંગળ લાગે છે. 19 તું તારા ભાઈને કંઈ પણ વ્યાજે ન ધીર. નાણાંનું વ્યાજ કે અનાજનું વ્યાજ કે વ્યાજે ધીરાતી કોઈ પણ વસ્તુનું વ્યાજ ન લે. 20 પરદેશીને વ્યાજ આપવાની તને છૂટ છે, પણ તારા ભાઈને વ્યાજે ન ધીર. એ માટે કે જે દેશનું વતન પામવા તું જાય છે તેમાં જે કશાને તું હાથ લગાડે તેમાં યહોવા તારા ઈશ્વર તને આશીર્વાદ દે. 21 જ્યારે તું યહોવા તારા ઈશ્વર પ્રત્યે માનતા લે ત્યારે તે ઉતારતાં ઢીલ ન કર કેમ કે યહોવા તારા ઈશ્વર નક્કી તેનો જવાબ તારી પાસે લેશે. કેમ કે એ તો તારો દોષ ગણાય. 22 પણ જો તું માનતા લેવા માગતો ન હોય, તો તેથી તું દોષિત નહિ ઠરે. 23 જે કંઈ તારા મોંમાંથી નીકળ્યું હોય તે તું પાળ ને અમલમાં મૂક. યહોવા તારા ઈશ્વરની પ્રત્યે જે માનતા તેં લીધી હોય, એટલે જે ઐચ્છિકાર્પણનું વચન તેં તારા મુખથી આપ્યું હોય, તે પ્રમાણે કર. 24 તું તારા પડોશીની દ્રાક્ષાવાડીમાં જાય ત્યારે તારી મરજી પ્રમાણે ધરાતાં સુધી દ્રાક્ષો ખા; પણ તાર વાસણમાં કંઈ પણ ન નાખ. 25 તું તારા પડોશીના પાકેલા અનાજમાં પેસે ત્યારે તને કણસલાં તોડવાની છૂટ છે; પણ તારા પડોશીનઅ પાકેલા અનાજને દાતરડું ન લગાડ. |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India