પ્રે.કૃ. 2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)પવિત્ર આત્માનું ઊતરવું 1 પચાસમાના પર્વનો દિવસ આવ્યો, તે વખતે તેઓ સર્વ એક સ્થળે એકત્ર થયા હતા. 2 ત્યારે આકાશમાંથી એકાએક ભારે આંધીના ઘુઘવાટ જેવો અવાજ આવ્યો, અને તેઓ જ્યાં બેઠા હતા તે આખું ઘર ગાજી રહ્યું, 3 અગ્નિના જેવી છૂટી છૂટી પડતી જીભો તેઓના જોવામાં આવી; અને તેઓમાંના દરેક ઉપર [એક એક] બેઠી. 4 તેઓ સર્વ પવિત્ર આત્માથી ભરપૂર થયા, અને આત્માએ જેમ તેઓને બોલવાની શક્તિ આપી તેમ તેઓ જુદી જુદી ભાષાઓમાં બોલવા લાગ્યા. 5 હવે આકાશ નીચેના દરેક દેશમાંથી ધાર્મિક યહૂદીઓ યરુશાલેમમાં રહેતા હતા. 6 તે અવાજ સાંભળવામાં આવ્યો ત્યારે ઘણા લોકો ભેગા થયા, અને આશ્ચર્યમાં પડી ગયા, કેમ કે તેઓમાંના દરેકે પોતપોતાની ભાષામાં તેઓને બોલતાં સાંભળ્યા. 7 તેઓ સર્વ વિસ્મિત થયા, અને આશ્ચર્ય પામીને એકબીજાને કહેવા લાગ્યા, “જુઓ, શું આ બધા બોલનારા ગાલીલના નથી? ” 8 તો આપણે આપણી માતૃભાષામાં [તેઓને બોલતાં] કેમ સાંભળીએ છીએ? 9 પાર્થીઓ, માદીઓ, એલામીઓ, મેસોપોટેમિયાના, યહૂદિયાના, કપાદોકિયાના, પોન્તસના, આસિયાના, 10 ફ્રુગિયાના, પામ્ફૂલિયાના, મિસરના તથા કુરેની પાસેના લિબિયાના પ્રાંતોમાંના રહેવાસીઓ તથા રોમન પ્રવાસીઓ, યહૂદીઓ તથા થયેલા યહૂદીઓ પણ, 11 ક્રીતીઓ તથા અરબો, આપણી પોતપોતાની ભાષાઓમાં ઈશ્વરનાં મોટાં કામો વિષે તેઓને બોલતાં સાંભળીએ છીએ.” 12 તેઓ સર્વ વિસ્મય પામ્યા અને ગૂંચવણમાં પડીને એકબીજાને કહેવા લાગ્યા, “આ શું હશે?” 13 પણ બીજાઓએ ઠઠ્ઠામશ્કરી કરીને કહ્યું, “એ માણસોએ નવો દ્રાક્ષારસ પીધેલો છે.” પિતરનો સંદેશો 14 ત્યારે અગિયાર સાથે પિતરે ઊભા થઈ ઊંચે સ્વરે તેઓને કહ્યું, “યહૂદિયાના માણસો તથા યરુશાલેમના રહેવાસીઓ, તમે સર્વ આ જાણી લો, અને મારી વાતોને કાન દો. 15 આ માણસો પીધેલા છે એમ તમે ધારો છો, પણ એમ નથી; કેમ કે [હજી તો] દિવસનો પહેલો જ પહોર છે. 16 પણ એ તો યોએલ પ્રબોધકે જે કહ્યું હતું તે જ છે; એટલે કે, 17 ઈશ્વર કહે છે કે, પાછલા દિવસોમાં એમ થશે કે, હું સર્વ માણસો પર મારો આત્મા રેડી દઈશ અને તમારા દીકરા તથા તમારી દીકરીઓ પ્રબોધ કરશે, તમારા જુવાનોને સંદર્શનો થશે, અને તમારા વૃદ્ધોને સ્વપ્નો આવશે. 18 વળી તે સમયે હું મારા દાસો પર તથા મારી દાસીઓ પર મારો આત્મા રેડી દઈશ, અને તેઓ પ્રબોધ કરશે. 19 વળી હું ઉપર આકાશમાં અદભુત કામ, તથા નીચે પૃથ્વી પર ચમત્કારો દેખાડીશ. લોહી તથા અગ્નિ તથા ધુમાડાના ગોટેગોટા [દેખાડીશ]. 20 પ્રભુનો તે મહાન તથા પ્રસિદ્ધ દિવસ આવ્યા અગાઉ સૂર્ય અંધકારરૂપ, અને ચંદ્ર લોહીરૂપ થઈ જશે. 21 [તે સમયે] એમ થશે કે જે કોઈ પ્રભુને નામે પ્રાર્થના કરશે તે તારણ પામશે. 22 હે ઇઝરાયલી માણસો, તમે આ વાતો સાંભળો:ઈસુ નાઝારી, જેની મારફતે ઈશ્વરે તમારામાં જે પરાક્રમો તથા આશ્ચર્યો તથા ચમત્કારો કરાવ્યાં, જે વિષે તમે પોતે પણ જાણો છો, તેઓ વડે તે માણસ ઈશ્વરને પસંદ પડેલા છે, એવું તમારી આગળ [સાબિત થયું] છતાં, 23 ઈશ્વરના સંકલ્પ તથા પૂર્વજ્ઞાન પ્રમાણે તેમને પરસ્વાધીન કરવામાં આવ્યા. તેમને તમે પકડીને દુષ્ટોની હસ્તક વધસ્તંભે જડાવીને મારી નાખ્યા. 24 તેમને ઈશ્વરે મરણની વેદનાથી છોડાવીને ઉઠાડ્યા; કેમ કે મૃત્યુથી તે બંધાઈ રહે એ અશક્ય હતું. 25 કેમ કે દાઉદ તેમને વિષે કહે છે કે, ‘મેં પોતાની સમક્ષ પ્રભુને નિત્ય જોયા; તે મારે જમણે હાથે છે, તેથી મને ખસેડવામાં આવે નહિ. 26 એથી મારું અંત:કરણ પ્રસન્ન થયું, અને મારી જીભે હર્ષ કર્યો; વળી મારો દેહ પણ આશામાં રહેશે; 27 કેમ કે તમે મારા આત્માને હાદેસમાં રહેવા દેશો નહિ, વળી તમે તમારા પવિત્રને કોહવાણ પણ જોવા દેશો નહિ. 28 તમે મને જીવનના માર્ગ જણાવ્યા છે; તમે તમારા મુખ [ના દર્શન] થી મને આનંદથી ભરપૂર કરશો, ’ 29 ભાઈઓ, [આપણા] પૂર્વજ દાઉદ વિષે હું તમને ખુલ્લી રીતે કહી શકું છું કે, તે મરણ પામ્યો છે, અને દટાયો પણ છે, અને તેની કબર આજ સુધી આપણે ત્યાં છે. 30 તે પ્રબોધક હતો, અને તે જાણતો હતો કે ઈશ્વરે સમ ખાઈને મને કહ્યું છે કે, તારાં સંતાનમાંના એકને હું તારા રાજ્યાસન પર બેસાડીશ, 31 અને એવું અગાઉથી જાણીને તેણે ખ્રિસ્તના પુનરુત્થાન વિષે કહ્યું કે, ‘તેમને હાદેસમાં રહેવા દેવામાં આવ્યા નહિ, અને તેમના દેહે કોહવાણ પણ જોયું નહિ.’ 32 એ ઈસુને ઈશ્વરે ઉઠાડ્યા છે, અને તે વિષે અમે સર્વ સાક્ષી છીએ. 33 માટે ઈશ્વરને જમણે હાથે તેમને ઉપર લઈ લેવામાં આવ્યા, અને પિતા પાસેથી પવિત્ર આત્માનું વચન પામીને, આ જે તમે જુઓ છો તથા સાંભળો છો, તે તેમણે રેડ્યું છે. 34 કેમ કે દાઉદ તો આકાશમાં ચઢ્યો નહોતો; પણ તે પોતે કહે છે, 35 ‘પ્રભુએ મારા પ્રભુને કહ્યું કે, હું તારા શત્રુઓને તારું પાદાસન કરું ત્યાં સુધી તું મારે જમણે હાથે બેસ.’ 36 એ માટે ઇઝરાયેલના તમામ લોકોએ નિશ્ચે જાણવું કે, જે ઈસુને તમે વધસ્તંભ પર મારી નાખ્યા, તેમને ઈશ્વરે પ્રભુ તથા ખ્રિસ્ત બનાવ્યા છે.” 37 હવે આ સાંભળીને તેઓનાં મન વીંધાઈ ગયાં, અને તેઓએ પિતરને તથા બીજા પ્રેરિતોને કહ્યું, “ભાઈઓ, અમે શું કરીએ?” 38 ત્યારે પિતરે તેઓને [કહ્યું,] “પસ્તાવો કરો, અને ઈસુ ખ્રિસ્તને નામે તમારામાંનો દરેક બાપ્તિસ્મા પામો કે, તમારાં પાપનું નિવારણ થાય, અને તમને પવિત્ર આત્માનું દાન મળશે. 39 કેમ કે તે વચન તમારે માટે, તમારાં છોકરાંને માટે, તથા જેઓ દૂર છે તેઓને માટે, એટલે આપણા ઈશ્વર પ્રભુ જેટલાંને પોતાની પાસે બોલાવશે તેઓ સર્વને માટે છે.” 40 તેણે બીજી ઘણી વાતો કહીને સાક્ષી આપી, તથા બોધ કર્યો, “તમે આ જમાનાના આડા લોકથી બચી જાઓ.” 41 ત્યારે જેઓએ તેની વાત સ્વીકારી તેઓ બાપ્તિસ્મા પામ્યાં, અને તે જ દિવસે ત્રણેક હજાર માણસ ઉમેરાયાં. 42 તેઓ પ્રેરિતોના બોધમાં, સંગતમાં, રોટલી ભાંગવામાં તથા પ્રાર્થનામાં દઢતાથી લાગુ રહ્યાં. વિશ્વાસ કરનારાઓનું જીવન 43 બધાં ભયભીત થયાં, અને પ્રેરિતોથી ઘણાં અદભુત કૃત્યો, તથા ચમત્કારો થયાં. 44 સર્વ વિશ્વાસ કરનારાઓ ભેગા રહેતા હતા, અને તેઓની બધી [મિલકત] સામાન્ય હતી. 45 તેઓ પોતાની મિલકત તથા સરસામાન વેચી નાખતા, અને દરેકની અગત્ય પ્રમાણે સર્વને વહેંચી આપતા. 46 તેઓ નિત્ય મંદિરમાં એકચિત્તે [હાજર] રહેતા તથા ઘેરઘેર રોટલી ભાંગીને ઉમંગથી તથા નિખાલસ મનથી ભોજન કરતા હતા. 47 અને તેઓ ઈશ્વરની સ્તુતિ કરતા હતા, અને સર્વ લોકો તેમના પર પ્રસન્ન હતા. વળી પ્રભુ રોજરોજ તારણ પામનારાઓ તેઓની મંડળીમાં ઉમેરતા હતા. |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India