પ્રે.કૃ. 1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 ઈસુએ પોતાના પસંદ કરેલા પ્રેરિતોને પવિત્ર આત્માથી આજ્ઞા આપી, 2 અને તેમને ઉપર લઈ લેવામાં આવ્યા, તે દિવસ સુધી પોતે જે જે કરવા તથા શીખવવા માંડ્યું, તે સર્વ બાબત વિશે, ઓ થિયોફિલ, મેં પહેલું પુસ્તક લખ્યું છે. 3 મરણ સહ્યા પછી તેમણે પોતે સજીવન થયાની ઘણી સાબિતી આપી, અને ચાળીસ દિવસ દરમિયાન તે તેઓને દર્શન આપતા, અને ઈશ્વરના રાજ્ય વિષેની વાતો કહેતા રહ્યા; 4 તેમણે તેઓની સાથે ભેગા થઈને તેઓને આજ્ઞા કરી, “યરુશાલેમથી જતા ના, પણ પિતાનું જે વચન તમે મારા મુખથી સાંભળ્યું છે તેની રાહ જોતા રહેજો; 5 કેમ કે યોહાને પાણીથી બાપ્તિસ્મા કર્યું ખરું, પણ થોડા દિવસ પછી તમે પવિત્ર આત્માથી બાપ્તિસ્મા પામશો.” ઈસુ ખ્રિસ્ત સ્વર્ગમાં લઈ લેવાયા 6 હવે તેઓ એકત્ર થયા ત્યારે તેઓએ તેમને પૂછયું, “પ્રભુ, શું તમે આ સમયે ઇઝરાયેલનું રાજ્ય ફરીથી સ્થાપન કરો છો?” 7 તેમણે તેઓને કહ્યું, “જે કાળ તથા સમય પિતાએ પોતાના અધિકારમાં રાખ્યા છે, તે જાણવાનું તમારું કામ નથી. 8 પણ પવિત્ર આત્મા તમારા પર આવશે ત્યારે તમે સામર્થ્ય પામશો; અને યરુશાલેમમાં, આખા યહૂદિયામાં, સમરૂનમાં તથા પૃથ્વીના છેડા સુધી તમે મારા સાક્ષી થશો.” 9 એ વાતો કહી રહ્યા પછી તેઓના જોતાં તેમને ઉપર લઈ જવામાં આવ્યા; અને વાદળોએ તેઓની દષ્ટિથી તેમને ઢાંકી દીધા. 10 તે જતા હતા ત્યારે તેઓ આકાશ તરફ એકી નજરે જોઈ રહેતા હતા, એવામાં શ્વેત વસ્ત્ર પહેરેલા બે પુરુષ તેઓની પાસ ઊભા રહેલા હતા; 11 તેઓએ કહ્યું, “ગાલીલના માણસો, તમે આકાશ તરફ જોતા કેમ ઊભા રહ્યા છો? એ જ ઈસુ, જેમને તમારી પાસેથી આકાશમાં લઈ લેવામાં આવ્યા છે તે, જેમ તમે તેમને આકાશમાં જતા જોયા તેમ જ [પાછા] આવશે. યહૂદાનો અનુગામી 12 વિશ્રામવારની મુસાફરી જેટલે છેટે યરુશાલેમની પાસે જૈતુન નામે પહાડ છે, ત્યાંથી તેઓ યરુશાલેમ પાછા આવ્યા. 13 ત્યાં આવ્યા પછી જે મેડી [પર] તેઓ રહેતા, ત્યાં તેઓ ઉપર ગયા; એટલે પિતર, યોહાન, યાકૂબ, આન્દ્રિયા, ફિલિપ તથા થોમા, બાર્થોલ્મી તથા માથ્થી, અલ્ફીનો [દીકરો] યાકૂબ તથા સિમોન ઝલોતસ, તથા યાકૂબનો ભાઈ યહૂદા ત્યાં ગયા. 14 એ સર્વ સ્ત્રીઓ સહિત, તથા ઈસુની મા મરિયમ અને તેમના ભાઈઓ એકચિત્તે પ્રાર્થનામાં લાગુ રહેતાં હતાં. 15 તે દિવસોમાં ભાઈઓની વચમાં (તે વખતે આશરે એકસો વીસ માણસો ભેગાં હતાં) પિતરે ઊભા થઈને કહ્યું, 16 “ભાઈઓ, જેઓએ ઈસુને પકડ્યા તેઓને રસ્તો બતાવનાર યહૂદા વિષે દાઉદના મુખદ્વારા પવિત્ર આત્માએ અગાઉથી જે કહ્યું હતું તે શાસ્ત્રવચન પૂર્ણ થવાની અગત્ય હતી. 17 કેમ કે આપણામાં તે ગણાયો હતો, અને આ સેવામાં તેને ભાગ મળ્યો હતો. 18 (હવે એ માણસે પોતાની દુષ્ટતાના [બદલામાં મળેલા] દ્રવ્યથી એક ખેતર વેચાતું લીધું. અને ઊંધો પડીને તે વચમાંથી ફાટી ગયો, ને તેનાં બધાં આંતરડાં નીકળી પડયાં. 19 યરુશાલેમના સર્વ રહેવાસીઓએ તે જાણ્યું, તેથી તે ખેતરનું નામ તેઓની ભાષામાં ‘હકેલ્દમા’ એટલે લોહીનું ખેતર, એવું પાડવામાં આવ્યું.) 20 કેમ કે ગીતશાસ્ત્રમાં લખેલું છે, “તેની રહેવાની જગા ઉજ્જડ થાય અને તેમાં કોઈ ન વસે, ” અને “તેનું અધ્યક્ષપદ બીજો લે.” 21 માટે યોહાનના બાપ્તિસ્માથી માંડીને પ્રભુ ઈસુને આપણી પાસેથી ઉપર લઈ લેવામાં આવ્યા તે દિવસ સુધી તેણે આપણામાં આવજા કરી, 22 તે સર્વ વખતમાં જે માણસો આપણી સાથે ફરતા હતા તેઓમાંથી એક જણે આપણી સાથે તેમના પુનરુત્થાનના સાક્ષી થવું જોઈએ. 23 ત્યારે યૂસફ જે બાર્સાબાસ કહેવાય છે, જેની અટક યુસ્તસ હતી તે, તથા માથ્થીયસ, એ બેને તેઓએ રજૂ કર્યા. 24 તેઓએ પ્રાર્થના કરી, “હે અંતર્યામી પ્રભુ, 25 જે સેવા તથા પ્રેરિતપદમાંથી યહૂદા પતિત થઈને પોતાને ઠેકાણે ગયો, તેની જગા પૂરવાને આ બેમાંથી કોને તમે પસંદ કર્યો છે તે અમને બતાવો.” 26 પછી તેઓએ તેઓને માટે ચિઠ્ઠીઓ નાખી, એટલે માથ્થીયસના [નામની] ચિઠ્ઠી નીકળી; પછી અગિયાર પ્રેરિતોની સાથે તે પણ પ્રેરિત તરીકે ગણાયો. |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India