૨ કાળવૃત્તાંત 25 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)યહૂદિયાની ગાદી પર અમાસ્યા ( ૨ રા. ૧૪:૨-૬ ) 1 અમસ્યા રાજા થયો ત્યારે તે પચીસ વર્ષનો હતો. તેણે યરુશાલેમમાં ઓગણ ત્રીસ વર્ષ સુધી રાજ કર્યુ. તેની માનું નામ યહોઆદાન હતું, તે યરુશાલેમની હતી. 2 તેણે યહોવાની ર્દષ્ટિમાં જે સારું હતું તે કર્યું, પણ ખરા અંત:કરણથી નહિ. 3 જ્યારે રાજ્ય તેના હાથમાં સ્થિર થયું, ત્યારે તેના જે ચાકરોએ તેના પિતાને મારી નાખ્યો હતો તેઓને તેણે મારી નાખ્યા. 4 પણ તેણે તેઓનાં છોકરાંને મારી નાખ્યાં નહિ; પણ મૂસાના નિયમશાસ્ત્રમાં જેમ લખેલું છે તેમ કર્યું. એમાં યહોવાએ એવી આજ્ઞા આપી હતી કે, “છોકરાંને લીધે પિતાઓને મારી નાખવા નહિ; તેમ જ પિતાઓને લીધે છોકરાંને મારી નાખવાં નહિ; પણ દરેક માણસ પોતાના જ પાપને લીધે માર્યો જાય.” અદોમ સામે યુદ્ધ ( ૨ રા. ૧૪:૭ ) 5 પછી અમસ્યાએ યહૂદિયાના લોકોને એકત્ર કર્યા, ને તેઓના પિતૃઓનાં કુટુંબો પ્રમાણે તેઓને, એટલે સર્વ યહૂદિયા તથા બિન્યામીનને સહસ્રાધિપતિઓ તથા શતાધિપતિઓના હાથ નીચે નમ્યા. તણે તેઓની, એટલે વીસ વર્ષના તથા તેથી ઉપરનાઓની, ગણતરી કરી, તો ભાલા તથા ઢાલ વાપરી શકે એવા તથા યુદ્ધમાં જઈ શકે એવા ચૂંટી કાઢેલા ત્રણ લાખ માણસો નીકળ્યા. 6 વળી તેણે એકસો તાલંત રૂપું આપવાનું કહીને ઇઝરાયલમાંથી એક લાખ પરાક્રમી શૂરવીરોને રાખ્યા. 7 પણ એક ઈશ્વરભક્તે તેની પાસે આવીને કહ્યુ, “હે રાજા, તમારે ઇઝરાયલના સૈન્યને તમારી સાથે લઈ જવું નહિ; કેમ કે ઇઝરાયલીઓની સાથે, એટલે સર્વ એફ્રાઈમીઓની સાથે, યહોવા નથી. 8 તમે તમારે એકલા જ જાઓ, રણમાં ઝઝૂમીને સુરાતન બતાવો, ઈશ્વર તમને તમારા શત્રુઓની આગળ પાડી નાખશે નહિ; કેમ કે સહાય કરવાને તથા પાડી નાખવાને ઈશ્વર સમર્થ છે.” 9 અમાસ્યાએ ઈશ્વરભક્તને કહ્યું, “પણ ઇઝરાયલની સેવાને માટે જે સો તાલંત મેં આપ્યા છે તેનું આપણે કેમ કરવું?” ઈશ્વરભક્તે તેને ઉત્તર આપ્યો, “તમને એ કરતાં પણ વિશેષ આપવાને યહોવા સમર્થ છે.” 10 પણ અમાસ્યાએ જે સૈન્ય એફ્રાઈમમાંથી આવ્યું હતું તેને પોતાના સૈન્યથી જુદું પાડીને ઘેર મોકલી દીધું. તેથી તેઓ યહૂદિયા પર બહું ગુસ્સે થયા, ને ક્રોધાયમાન થઈને પોતાને ઘેર ચાલ્યા ગયા. 11 અમાસ્યાએ હિમ્મત રાખીને પોતાના સૈનિકોને મીઠાના મેદાન સુધી લઈ જઈને સેઈરના દશ હજાર માણસોનો સંહાર કર્યો., 12 વળી યહૂદિયાના માણસોએ બીજા દશ હજારને પકડીને તેઓને ખડકની ટોચ ઉપર લઈ જઈને ત્યાંથી તેમને નીચે ફેંકી દીધા, ને તેઓ સર્વના ટુકડે ટુકડા થઈ ગયા. 13 પણ તે દરમ્યાન સૈન્યના જે માણસોને અમાસ્યાએ પોતાની સાથે યુદ્ધમાં આવવા દીધા નહોતા તેઓએ સમરુનથી બેથ-હોરોન સુધી યહૂદિયાના નગરો પર તૂટી પડીને તેઓમાંના ત્રણ હજાર માણસોને મારી નાખ્યા, ને ઘણી લૂટ ચલાવી 14 અમાસ્યા અદોમીઓને કતલ કરીને પાછો લાવ્યો, ત્યાર પછી તેણે સેઈરના લોકોના દેવોને લાવીને પોતાના દેવો તરીકે તેઓને ઊભા કર્યા, ને તેઓની ઉપાસના કરીને તેઓની આગળ ધૂપ બાળ્યો. 15 માટે યહોવાનો કોપ અમાસ્યા ઉપર સળગી ઊઠ્યો, ને તેમણે તેની પાસે એક પ્રબોધકને મોકલ્યો. પ્રબોધકે તેને કહ્યું, “જે લોકોના દેવોએ પોતાના લોકોને તારા હાથમાંથી બચાવ્યા નથી તેઓની ઉપાસના તેં શા માટે કરી છે?” 16 પ્રબોધક અમાસ્યા સાથે વાત કરતો હતો એટલામાં રજાએ તેને કહ્યું, “શું અમે તેને અમારો મંત્રી ઠરાવ્યો છે? બસ કર; તું શા માટે હાથે કરીને મોત માગે છે?” ત્યારે પ્રબોધકે અમાસ્યાને કહ્યું, “હું જાણું છું કે ઈશ્વરે તમારો નાશ કરવાનો નિશ્ચય કર્યો છે; કેમ કે તમે આ પ્રમાણે વર્ત્યા છો. ને મારી શિખામણ સાંભળતા નથી.” એમ બોલીને તે છાનો રહ્યો. ઇઝરાયલ સામે યુદ્ધ ( ૨ રા. ૧૪:૮-૨૦ ) 17 ત્યારે યહૂદિયાના રાજા અમાસ્યાએ સલાહ લઈને ઇઝરાયલના રાજા યેહૂના પુત્ર યહોઆહાઝના પુત્ર યોઆશની પાસે ખેપિયા મોકલી કહાવ્યું, “આવો આપણે સામસામા આવીને લડીએ.” 18 પછી ઇઝરાયલના રાજા યોઆશે યહૂદિયાના રાજા અમાસ્યાની પાસે સંદેશિયા મોકલીને કહાવ્યું, “લબાનોન પરના ઉટકંટાએ લબાનોનમાંના એરેજવૃક્ષ પર સંદેશો મોકલીને કહાવ્યું કે, ‘તારી દીકરી મારા દીકરાની સાથે પરણાવ, ’ એવામાં લબાનોનનું એક વનપશુ ત્યાં થઈને જતું હતું તેણે પેલા ઉટકંટાને ખૂંદી નાખ્યો. 19 તું કહે છે કે, ‘જો મેં અદોમને માર્યો છે.’ અને એથી તું તારા મનમાં ફુલાઈ ગયો છે. તું તારે ઘેર જ રહે. પંચાત ઊભી કરીને તારે પોતાનું નુકસાન શા માટે વહોરી લેવું જોઈએ કે, જેથી તું તથા તારી સાથે યહૂદિયા પણ માર્યા જાઓ?” 20 પણ અમાસ્યા તેનું સાંભળવા ચાહતો નહતો. તેઓએ અદોમના દેવોની ઉપાસના કરી હતી, તથી તેઓને તેઓના શત્રુઓના હાથમાં સોંપી દેવાનું ઈશ્વર તરફથી નિર્માણ થયું હતું. 21 માટે ઇઝરાયલના રાજા યોઆશે ચઢાઈ કરી. અને તે તથા યહૂદિયાનો રાજા અમાસ્યા યહૂદિયાના બેથ-શેમેશમાં એકબીજાની સામસામે મળ્યાં. 22 ઇઝરાયલીઓની આગળ યહૂદિયાએ હાર ખાધી; અને તેઓ સર્વ પોતપોતાના ઘેર નાસી ગયા. 23 ઇઝરાયલનો રાજા યોઆશ યહોઆહાઝના પુત્ર યોઆશના પુત્ર યહૂદિયાના રાજા અમાસ્યાને બેથ-શેમેશમાં પકડીને યરુશાલેમ લાવ્યો, ને એફ્રાઈમના દરવાજાથી તે ખૂણાના દરવાજા સુધી ચારસો હાથ જેટલો યરુશાલેમનો કોટ તોડી પાડ્યો. 24 વળી ઈશ્વરના મંદિરમાં જે બધું સોનુંરૂપું તથા જે સર્વ પાત્રો મળી આવ્યાં તે, તથા રાજાના મહેલની દોલત, મળી ઓબેદ-અદોમનાં કુટુંબને તથા બીજા કેદીઓને લઈને તે સમરુનમાં પાછો ગયો. 25 ઇઝરાયલના રાજા યહોઆહાઝના પુત્ર યોઆશના મરણ પછી યહૂદિયાના રાજા યોઆશનો પુત્ર અમાસ્યા પંદર વર્ષ સુધી જીવ્યો. 26 અમાસ્યાના બાકીનાં કૃત્યો પહેલેથી તે છેલ્લે સુધી, યહૂદિયાના તથા ઇઝરાયલના રાજાઓના પુસ્તકમાં લખેલાં છે. 27 અમાસ્યા યહોવાનું અનુકરણ ન કરતાં અવળે માર્ગે ચાલવા લાગ્યો તે સમયથી યરુશાલેમમાં તેની વિરુદ્ધ લોકોએ બંડ મચાવ્યું; તથી તે લાખીશ નાસી ગયો; પણ તેની પાછળ લાખીશમાં માણસ મોકલીને તેઓએ તેને ત્યાં મારી નંખાવ્યો. 28 તેઓ તેને ઘોડા પર નાખીને લાવ્યા, ને યહૂદિયાના નગરમાં તેના પિતૃઓની સાથે તેઓએ તેને દાટ્યો. |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India