1 પિતર 3 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)પતિ-પત્નીના સંબંધો 1 એ જ પ્રમાણે સ્ત્રીઓ, તમે તમારા પતિઓને આધીન રહો. જેથી જો કોઈ [પતિ સુવાર્તાનાં] વચન માનનાર ન હોય, તો તેઓ પોતાની સ્ત્રીઓનાં આચરણથી, 2 એટલે તમારાં મર્યાદાયુક્ત નિર્મળ આચરણ જોઈને [સુવાર્તાનાં] વચન વગર મેળવી લેવાય. 3 તમારો શણગાર બહારનો ન હોય, એટલે ગૂંથેલી વેણીનો તથા સોનાનાં ઘરેણાંનો અથવા [જાતજાતનાં] વસ્ત્ર પહેરવાનો એવો ન હોય. 4 પણ અંત:કરણમાં રહેલા ગુપ્ત મનુષ્યત્વનો, એટલે દીન તથા નમ્ર આત્માનો, જે ઈશ્વરની નજરમાં બહુ મૂલ્યવાન છે, તેના અવિનાશી અલંકારનો થાય. 5 કેમ કે પ્રાચીન સમયમાં જે પવિત્ર સ્ત્રીઓ ઈશ્વર પર આશા રાખતી હતી, તેઓ પોતપોતાના પતિને આધીન રહીને, તે જ પ્રમાણે પોતાને શણગારતી હતી: 6 જેમ સારા ઇબ્રાહિમને સ્વામી કહીને તેને આધીન રહેતી હતી તેમ; જો તમે સારું કરો છો, અને કંઈ પણ ભયથી ગભરાતી નથી, તો તમે પ્રભુની દીકરીઓ છો. 7 એ જ પ્રમાણે પતિઓ, સ્ત્રી નબળું પાત્ર છે એમ જાણીને, તેની સાથે સમજણપૂર્વક રહો, અને તમે તેઓની સાથે જીવનની કૃપાના સહવારસ છો એમ ગણીને, તેને માન આપો; જેથી તમારી પ્રાર્થનાઓ અટકાવવામાં ન આવે. સારું કરતાં સહન કરો 8 છેવટે તમે સર્વ એક મનનાં, બીજાના સુખદુ:ખમાં ભાગ લેનારાં, ભાઈઓ પર પ્રેમ રાખનારાં, કરુણાળુ તથા નમ્ર થાઓ. 9 ભૂંડાઈને બદલે ભૂંડાઈ ને નિંદાને બદલે નિંદા ન કરો. પણ તેથી ઊલટું આશીર્વાદ આપો; કેમ કે તમે આશીર્વાદના વારસ થાઓ, એ માટે તમને તેડવામાં આવ્યા છે. 10 કેમ કે, “જે માણસ દીર્ઘાયુષ્ય ચાહે છે, અને સારા દિવસો જોવાને ઇચ્છે છે, તેણે પોતાની જીભને દુષ્ટતાથી, અને પોતાના હોઠને કપટી વાતો બોલવાથી અટકાવવા. 11 તેણે દુષ્ટતાથી દૂર રહેવું, ને ભલું કરવું. તેણે સલાહશાંતિ શોધવી, અને તેની પાછળ મંડયા રહેવું. 12 કેમ કે ન્યાયીઓ પર પ્રભુની નજર છે; અને તેઓની પ્રાર્થનાઓ તેમને કાને પડે છે. પણ પ્રભુ દુષ્ટતા કરનારાઓથી વિમુખ છે.” 13 જે ભલું છે તેને જો તમે અનુસરનારા થયા, તો તમારું ભૂંડું કરનાર કોણ છે? 14 પણ જો તમે, ન્યાયીપણાને માટે સહન કરો છો, તો તમને ધન્ય છે. તેઓની ધમકીથી બીહો નહિ, અને ગભરાઓ પણ નહિ. 15 પણ ખ્રિસ્તને તમારા પ્રભુ તરીકે તમારાં અંત:કરણમાં પવિત્ર માનો. અને જે આશા તમે રાખો છો તેનો ખુલાસો જો કોઈ માગે તો તેને નમ્રતાથી તથા સત્યતાથી પ્રત્યુત્તર આપવાને સદા તૈયાર રહો. 16 શુદ્ધ અંત:કરણ રાખો કે, જેથી જે બાબત વિષે તમારું ભૂંડું બોલાય છે તે વિષે જેઓ ખ્રિસ્તમાંની તમારી સારી ચાલની નિંદા કરે છે તેઓ શરમાઈ જાય. 17 કેમ કે જો ઈશ્વરની ઇચ્છા એવી હોય, તો ભૂંડું કરવાને લીધે દુ:ખ સહેવું એ કરતાં સારું કરવાને લીધે દુ:ખ સહેવું વધારે સારું છે. 18 કેમ કે ખ્રિસ્તે પણ એક સમયે પાપોને માટે, એટલે ન્યાયીએ અન્યાયીઓને બદલે દુ:ખ સહ્યું કે, જેથી તે આપણને ઈશ્વરની પાસે પહોંચાડે’. તેમને દેહમાં મારી નાખવામાં આવ્યા, પણ આત્મામાં સજીવન કરવામાં આવ્યા. 19 તે [આત્મા] માં પણ તેમણે જઈને બંદીખાનામાં પડેલા આત્માઓને ઉપદેશ કર્યો. 20 પ્રાચીન સમયમાં, એટલે નૂહના સમયમાં, જ્યારે વહાણ તૈયાર થતું હતું, અને ઈશ્વર સહન કરીને ધીરજ રાખતા હતા, અને જ્યારે વહાણમાં થોડાં, એટલે આઠ જણ પાણીથી બચી ગયાં, ત્યારે તેઓ અનાજ્ઞાંકિત હતા. 21 એ દ્દષ્ટાંત પ્રમાણે બાપ્તિસ્માનું પાણી, જે શરીરનો મેલ દૂર કરવાથી નહિ, પણ ઈશ્વર પ્રત્યે શુદ્ધ હ્રદયની માંગણીથી ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાન વડે હમણાં તમને પણ તારે છે. 22 દૂતો, અધિકારીઓ તથા પરાક્રમીઓને પોતાને સ્વાધીન કર્યા પછી તે તો આકાશમાં ગયા છે, અને ઈશ્વરની જમણી તરફ [બેઠેલા] છે. |
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.
Bible Society of India