Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

1 કરિંથીઓ 8 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


મૂર્તિઓને ધરેલા નૈવેદ વિષે

1 હવે મૂર્તિઓને ધરેલા નૈવેદ વિષે:આપણ સર્વને [એ બાબતનું] જ્ઞાન છે તે આપણે જાણીએ છીએ. જ્ઞાન [માણસને] ગર્વિષ્ઠ કરે છે, પણ પ્રેમ [તેની] ઉન્‍નતિ કરે છે.

2 જો કોઈ એમ ધારતો હોય કે હું પોતે કંઈ જાણું છું, તો સાચી રીતે જેમ જાણવું જોઈએ તેમ તે હજી જાણતો નથી.

3 પણ જો કોઈ ઈશ્વર પર પ્રેમ રાખે છે, તો તેમને તે ઓળખે છે.

4 મૂર્તિઓનાં નૈવેદ ખાવા વિષે તો આપણે જાણીએ છીએ કે મૂર્તિ જગતમાં [કંઈ જ] નથી, અને એક વિના બીજો કોઈ ઈશ્વર નથી.

5 કેમ કે આકાશમાં કે પૃથ્વી પર જોકે કહેવાતા દેવો છે (અને એવા તો ઘણા દેવો તથા ઘણા પ્રભુઓ છે);

6 તોપણ આપણા તો એક જ ઈશ્વર એટલે પિતા છે, જેનાથી સર્વ છે, અને આપણે તેમને અર્થે છીએ, અને એક જ પ્રભુ એટલે ઈસુ ખ્રિસ્ત છે, જેને આશરે સર્વ છે, અને આપણે તેમને આશરે છીએ.

7 પણ સર્વ માણસોમાં એવું જ્ઞાન નથી. કેટલાકને હજુ સુધી મૂર્તિનો પરિચય હોવાથી મૂર્તિના નૈવેદ તરીકે તે ખાય છે. અને તેઓનું અંત:કરણ નિર્બળ હોવાથી ભ્રષ્ટ થાય છે.

8 પંણ ખોરાકથી આપણે ઈશ્વરને માન્ય થતા નથી:જો ન ખાઈએ તો આપણે વધારે ખરાબ થતા નથી; અને જો ખાઈએ તો વધારે સારા થતા નથી.

9 પણ સાવધ રહો, રખેને આ તમારી છૂટ નિર્બળોને કોઈ પણ રીતે ઠોકરનું કારણ થાય.

10 કેમ કે તારા જેવા જ્ઞાનીને જો કોઈ નિર્બળ [અંત:કરણવાળો] માણસ મૂર્તિના મંદિરમાં બેસીને ખાતો જુએ, તો શું તેનું અંત:કરણ મૂર્તિઓનું નૈવેદ ખાવાની હિંમત ન કરે?

11 એવી રીતે તારા જ્ઞાનથી તારો નિર્બળ ભાઈ જેને લીધે ખ્રિસ્ત મર્યા તેનો નાશ થાય.

12 અને એમ ભાઈઓની વિરુદ્ધ પાપ કરીને તથા તેઓનાં નિર્બળ અંત:કરણોમાં આઘાત કરીને, તમે ખ્રિસ્તની વિરુદ્ધ પાપ કરો છો.

13 તેથી જો ખાવા [ની વસ્તુ] થી મારો ભાઈ ઠોકર ખાય, તો મારો ભાઈ ઠોકર ન ખાય એ માટે હું કદી પણ માંસ નહિ ખાઉં.

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan