Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

1 કરિંથીઓ 14 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)


પવિત્ર આત્માનાં દાનો વિષે વધુ

1 પ્રેમને અનુસરો; અને આત્મિક [દાનો પ્રાપ્ત કરવા] ની અભિલાષા રાખો, પણ વિશેષ તમે પ્રબોધ કરી શકો [એની અભિલાષા રાખો].

2 કેમ કે જે કોઈ [અન્ય] ભાષા બોલે છે, તે માણસની સાથે નહિ, પણ ઈશ્વરની સાથે બોલે છે. કેમ કે કોઈ [તેનું બોલવું] સમજતું નથી. પણ આત્મામાં તે મર્મો બોલે છે.

3 પણ જે પ્રબોધ કરે છે, તે માણસોની ઉન્‍નતિ કરવા તથા સુબોધ અને દિલાસો આપવા માટે બોલે છે.

4 જે [અન્ય] ભાષા બોલે છે તે પોતાની ઉન્‍નતિ કરે છે; પણ જે પ્રબોધ કરે છે તે મંડળીની ઉન્‍નતિ કરે છે.

5 હવે મારી એવી ઇચ્છા છે કે, તમે સર્વ [અન્ય] ભાષાઓ બોલો, પણ તમે પ્રબોધ કરો એ મારી ખાસ ઇચ્છા છે. વળી ભાષાઓ બોલનાર, જો મંડળીની ઉન્‍નતિ કરવા માટે ભાષાંતર ન કરે, તો તેના કરતાં પ્રબોધ કરનાર ઉત્તમ છે.

6 વળી, ભાઈઓ, જો હું તમારી પાસે આવીને [અન્ય] ભાષાઓ બોલું, અને જો પ્રકટીકરણ, જ્ઞાન, પ્રબોધ કે શિખામણરૂપે તમારી આગળ ન બોલું તો હું તમને શો લાભ આપું?

7 એમ જ અવાજ કાઢનારી નિર્જીવ વસ્તુઓ, પછી તે વાંસળી હોય કે વીણા હોય, પણ જો એમના સૂરમાં ભિન્‍નતા ન હોય, તો વાંસળી કે વીણા શું વગાડે છે તે કેમ માલૂમ પડે?

8 કેમ કે જો રણશિંગડું અનિશ્ચિત અવાજ કાઢે, તો યુદ્ધને માટે કોણ સજ્જ થાય?

9 એમ જ તમે પણ જો જીભ વડે સહજ સમજી શકાય એવા શબ્દો ન બોલો, તો બોલેલી વાત કેવી રીતે સમજાય? કેમ કે એમ કરવાથી તમે હવામાં બોલનારા [જેવા] થશો.

10 જગતમાં ઘણી જાતની ભાષાઓ છે, અને તેઓમાંની કોઈપણ અર્થ વગરની નથી.

11 એથી જો હું અમુક ભાષાનો અર્થ ન જાણું, તો બોલનારની આગળ હું પરદેશી જેવો થઈશ, અને બોલનાર મારી આગળ પરદેશી જેવો થશે.

12 એ પ્રમાણે તમે પણ આત્મિક [દાનો] પ્રાપ્ત કરવાને ઉત્સુક છો, માટે મંડળીની ઉન્‍નતિને અર્થે તમે તેથી ભરપૂર થાઓ એવો પ્રયત્ન કરો.

13 એ માટે [અન્ય] ભાષા બોલનારે એવી પ્રાર્થના કરવી જોઈએ કે તે પોતે તેનો અર્થ પણ સમજાવી શકે.

14 કેમ કે જો હું [અન્ય] ભાષામાં પ્રાર્થના કરું, તો મારો આત્મા પ્રાર્થના કરે છે ખરો, પણ મારી સમજશક્તિ નિષ્ફળ છે.

15 તો શું? હું આત્માથી પ્રાર્થના કરીશ ને સમજશક્તિથી પણ પ્રાર્થના કરીશ, આત્માથી ગાઈશ ને સમજશક્તિથી પણ ગાઈશ.

16 નહિ તો, જો તું આત્માતથી સ્તુતિ કરીશ તો ત્યાં બેઠેલો અભણ માણસ તારી આભારસ્તુતિ સાંભળીને આમીન શી રીતે કહેશે? કેમ કે તું શું કહે છે એ તે સમજતો નથી.

17 કેમ કે તું સારી રીતે આભારસ્તુતિ કરે છે ખરો, પણ તેથી બીજાની ઉન્‍નતિ થતી નથી.

18 તમે સર્વ કરતાં મને વધારે ભાષાઓ બોલતાં આવડે છે, એ માટે હું ઈશ્વરનો આભાર માનું છું.

19 તોપણ મંડળીમાં [અન્ય] ભાષામાં દશ હજાર શબ્દો બોલવા કરતાં બીજાઓને પણ શીખવવાને પાંચ શબ્દ પોતાની સમજશક્તિથી બોલવાનું હું વધારે પસંદ કરું છું.

20 ભાઈઓ, સમજણમાં બાળક ન થાઓ, પણ દુષ્ટતામાં બાળકો થાઓ, અને સમજણમાં પ્રૌઢ થાઓ.

21 નિયમશાસ્‍ત્રમાં લખેલું છે, “અન્ય ભાષા બોલનારા માણસો વડે તથા અજાણી પ્રજાઓના હોઠો વડે હું આ લોકોની સાથે બોલીશ; એમ છતાં તેઓ મારું સાંભળશે નહિ, ” એમ પ્રભુ કહે છે.

22 એ માટે ભાષાઓ વિશ્વાસીઓને નહિ પણ અવિશ્વાસીઓને ચિહ્નરૂપ છે. પણ પ્રબોધ અવિશ્વાસીઓને નહિ પણ વિશ્વાસીઓને [ચિહ્નરૂપ] છે.

23 એ માટે જો આખી મંડળી એકઠી મળેલી હોય, અને સર્વ [અન્ય] ભાષાઓમાં બોલે, અને જો કેટલાક અભણો કે અવિશ્વાસીઓ અંદર આવે, તો તમે ઘેલા છો એમ તેઓ નહિ કહે?

24 પણ જો સર્વ પ્રબોધ કરે, અને કોઈ અવિશ્વાસી કે અભણ અંદર આવે તો બધાથી તેને [હ્રદયભેદક] શિક્ષણ મળે છે, બધાથી તેની પરીક્ષા થાય છે.

25 અને તેના હ્રદયની ગુપ્ત વાતો પ્રગટ થાય છે; અને એ પ્રમાણે ઊંધો પડીને તે ઈશ્વરનું ભજન કરશે, અને ખરેખર તમારામાં ઈશ્વર છે એવું કબૂલ કરશે.


મંડળીમાં વ્યવસ્થા

26 વારુ, ભાઈઓ, જ્યારે તમે એકત્ર થાઓ છો ત્યારે તમારામાંના કોઈ સ્‍તોત્ર ગાય છે, કોઈ બોધ કરે છે, કોઈ પ્રકટીકરણ જાહેર કરે છે, કોઈ [અન્ય] ભાષામાં બોલે છે, અને કોઈ તેનો અર્થ સમજાવે છે. [પણ] બધું ઉન્‍નતિને માટે થવું જોઈએ.

27 જો કોઈ [અન્ય] ભાષા બોલે, તો બે અથવા બહુ તો ત્રણ જણ [બોલે] , અને તે પણ વારાફરતી; અને એકે તેનો અર્થ સમજાવવો.

28 પણ જો અર્થ સમજાવનાર કોઈ ન હોય, તો મંડળીમાં તેણે છાના રહેવું. અને પોતા [ના મન] ની સાથે તથા ઈશ્વરની સાથે બોલવું.

29 બે કે ત્રણ પ્રબોધકો બોલે, અને બીજાઓ તેની તુલના કરે.

30 પણ જો [પાસે] બેઠેલાઓમાંના કોઈને કંઈ પ્રકટીકરણ થાય, તો પહેલાએ છાના રહેવું.

31 કેમ કે સર્વ શીખે તથા સર્વ દિલાસો પામે, એ હેતુથી તમે સર્વ એક પછી એક પ્રબોધ કરી શકો.

32 અને પ્રબોધકોના આત્માઓ પ્રબોધકોને આધીન છે.

33 કેમ કે જેમ સંતોની સર્વ મંડળીઓમાં [ચાલે છે] તેમ, ઈશ્વર અવ્યવસ્થાના નહિ, પણ શાંતિના ઈશ્વર છે.

34 સ્‍ત્રીઓએ મંડળીઓમાં છાના રહેવું, કેમ કે તેઓને બોલવાની પરવાનગી નથી. પણ તેઓએ આધીનતામાં રહેવું જોઈએ, અને એમ નિયમશાસ્‍ત્ર પણ કહે છે.

35 જો તેઓને કંઈ શીખવાની ઇચ્છા હોય, તો તેઓએ ઘરે પોતાના પતિઓને પૂછવું; કેમ કે મંડળીમાં સ્‍ત્રીએ બોલવું એ શરમભરેલું છે.

36 શું ઈશ્વરનું વચન તમારા દ્વારા આવ્યું? કે શું તે એકલા તમને પ્રાપ્ત થયું છે?

37 જો કોઈ પોતાને પ્રબોધક કે આત્મિક ધારે, તો જે વાતો તમાર પર લખું છું તેઓ પ્રભુની આજ્ઞા છે એવું તેણે માનવું.

38 પણ જો કોઈ અજ્ઞા ન હોય તો ભલે તે અજ્ઞાન રહે.

39 એ માટે, મારા ભાઈઓ, પ્રબોધ કરવાની અભિલાષા રાખો, અને [અન્ય] ભાષાઓમાં બોલવાની મના ન કરો.

40 પણ બધું શોભતી રીતે તથા વ્યવસ્થાપૂર્વક કરવામાં આવે.

Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ

Copyright © Bible Society of India, 2016.

Used by permission. All rights reserved worldwide.

Bible Society of India
Lean sinn:



Sanasan