Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

રોમનોને પત્ર 14 - પવિત્ર બાઇબલ C.L.


તારા ભાઈનો ન્યાય ન કર

1 તમારામાં જે વિશ્વાસમાં નબળો હોય, તેનો સ્વીકાર કરો. તેના અંગત અભિપ્રાયો અંગે તેની સાથે વાદવિવાદ ન કરો.

2 કોઈનો વિશ્વાસ તેને બધું ખાવાનું કહે છે, પણ વિશ્વાસમાં જે નબળો છે, તે માત્ર શાકભાજી ખાય છે.

3 જે બધું ખાય છે, તેણે બધું ન ખાનારનો તુચ્છકાર ન કરવો; કારણ, ઈશ્વરે તેનો સ્વીકાર કરેલો છે.

4 કોઈના નોકરનો ન્યાય કરવાનો તને શો અધિકાર છે? તેને ચાલુ રાખવો કે તેને કાઢી મૂકવો એ બાબત તેના શેઠે જોવાની છે. પ્રભુ તેમ કરવાને શક્તિમાન છે, માટે તે ટકી રહેશે.

5 કોઈને મન અમુક દિવસ બીજા દિવસો કરતાં વધુ અગત્યનો છે. વળી, બીજા કેટલાકને મન બધા જ દિવસો સરખા છે. દરેકે પોતાના મનમાં સંપૂર્ણ ખાતરી કરી લેવી.

6 જે અમુક દિવસને જ અગત્યનો ગણે છે, તે પ્રભુના મહિમાને અર્થે ગણે છે. જે બધું ખાય છે, તે પ્રભુના મહિમાને અર્થે ખાય છે. કારણ, ખોરાકને માટે તે ઈશ્વરનો આભાર માને છે. જે અમુક ખોરાક ખાવાની ના પાડે છે, તે પ્રભુના મહિમાને અર્થે એમ કરે છે, અને તે ઈશ્વરનો આભાર માને છે.

7 આપણામાંનો કોઈ પોતાને માટે જીવતો નથી કે પોતાને માટે મરતો નથી.

8 આપણે જીવીએ છીએ, તો પ્રભુને માટે જીવીએ છીએ; અને મરીએ છીએ, તો પ્રભુને માટે મરીએ છીએ. માટે, આપણે જીવીએ કે મરીએ પણ આપણે પ્રભુનાં જ છીએ.

9 મરેલાં તથા જીવતાંઓના પ્રભુ થવા માટે ખ્રિસ્ત મરણ પામ્યા, અને ફરીથી સજીવન થયા.

10 તો તારા ભાઈનો ન્યાય તું શું કરવા કરે છે? અથવા, તું તારા ભાઈનો તિરસ્કાર કેમ કરે છે? આપણે સૌએ ઈશ્વરના ન્યાયાસન આગળ ઊભા રહેવાનું છે.

11 શાસ્ત્રમાં લખેલું છે: “પ્રભુ કહે છે, મારા જીવના સમ, એકેએક ધૂંટણ મારી આગળ નમશે, અને એકેએક જીભ કબૂલ કરશે કે હું ઈશ્વર છું.”

12 આમ, આપણે સૌએ ઈશ્વરની આગળ પોતાનો હિસાબ આપવાનો છે.


તમારા ભાઈનું પતન થવા ન દો

13 આપણે એકબીજાનો ન્યાય કરવાનો બંધ કરીએ. એને બદલે, એવો નિર્ણય કરીએ કે આપણે આપણા ભાઈને ઠોકરરૂપ થઈએ નહિ, અને તે પાપમાં પડે એવું કંઈ કાર્ય કરીએ નહિ.

14 હું જાણું છું અને પ્રભુ ઈસુ તરફથી મને પૂરી ખાતરી થઈ છે કે કોઈપણ ખાદ્ય પદાર્થ જાતે અશુદ્ધ નથી. જો કોઈ માણસ એમ માને કે અમુક ખાદ્યપદાર્થ અશુદ્ધ છે, તો તે ખાદ્યપદાર્થ તેને માટે અશુદ્ધ બની જાય છે.

15 જો તમે કોઈ ખોરાક ખાવાને લીધે તમારા ભાઈની લાગણી દુભાવો છો, તો તમે પ્રેમથી વર્તતા નથી. જેને માટે ખ્રિસ્ત મરણ પામ્યા, તેનો તમે તમારા ખોરાકને લીધે નાશ ન કરો.

16 તમે જેને સારું ગણો છો, તેનું ભૂંડું બોલાય એવું થવા ન દો.

17 ઈશ્વરનું રાજ્ય ખાવાપીવામાં નથી, પણ પવિત્ર આત્માથી મળતાં સદાચાર, શાંતિ અને આનંદમાં છે.

18 આ રીતે ખ્રિસ્તની સેવા કરનાર ઈશ્વરને પસંદ પડે છે, અને માણસોને માન્ય થાય છે.

19 આપણે હંમેશા શાંતિકારક અને એકબીજાની ઉન્‍નતિ કરનારી બાબતો કરવાનું યેય રાખવું જોઈએ.

20 ખોરાકની બાબતોમાં ઈશ્વરના કાર્યનો નાશ કરો નહિ. દરેક ખોરાક ખાવાલાયક છે. પણ આપણે જે ખાઈએ છીએ તેથી કોઈ માણસ પાપમાં પડતો હોય, તો તે બાબત ખરાબ છે.

21 ખરી બાબત તો એ છે કે માંસ ખાવાથી, દારૂ પીવાથી અથવા બીજું કંઈપણ કરવાથી આપણા ભાઈનું પતન થતું હોય તો તેમ ન કરીએ.

22 આ બાબત વિષે તું શું માને છે, તે તારી અને ઈશ્વરની વચ્ચે જ રાખ. પોતાને યોગ્ય લાગતું કાર્ય કરનાર વ્યક્તિ પોતાને દોષિત ન ઠરાવે તો તેને ધન્ય છે.

23 તે જે ખાય છે તે સંબંધી તેના મનમાં શંકા હોય, તો ઈશ્વર તેને દોષિત ઠરાવે છે; કારણ, તેનું કાર્ય વિશ્વાસ ઉપર આધારિત નથી. જેનો આધાર વિશ્વાસ ઉપર નથી તે પાપ છે.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan