ગીતશાસ્ત્ર 14 - પવિત્ર બાઇબલ C.L.પીડિતોનો પોકાર (સંગીત સંચાલક માટે સૂચના: દાવિદનું ગીત) 1 મૂર્ખ પોતાના મનમાં વિચારે છે: “ઈશ્વરનું અસ્તિત્વ જ નથી.” તેઓ ભ્રષ્ટ છે અને તેમણે અધમ કૃત્યો કર્યાં છે, અને સર્ત્ક્ય કરનાર એક પણ નથી. 2 કોઈ સમજુ કે ઈશ્વરની ઝંખના સેવનાર છે કે કેમ તે જોવાને પ્રભુ સ્વર્ગમાંથી માનવજાત પર દષ્ટિ કરે છે. 3 પરંતુ સઘળા અવળે માર્ગે ચઢી ગયા છે; તેઓ સૌ એક્સરખા ભ્રષ્ટ થયા છે; અને સર્ત્ક્ય કરનાર કોઈ નથી, ના, એક પણ નથી! 4 આ ભ્રષ્ટાચારીઓને પ્રભુ સાથે કોઈ સંબંધ નથી, અને તેઓ કદી પ્રભુને પ્રાર્થના પણ કરતા નથી; જાણે રોટલી ખાતા હોય તેમ તેઓ મારા લોકને ખાઈ જાય છે. 5 પરંતુ જુઓ, તેઓ મહાભયથી કંપી ઊઠશે; કારણ, ઈશ્વર તેમના ભક્તજનોના પક્ષમાં છે. 6 ઓ દુરાચારીઓ, તમે દીનજનોની આકાંક્ષાઓ તોડી પાડો છો, પરંતુ પ્રભુ તેમનો આશ્રય છે. 7 સિયોનમાંથી ઇઝરાયલનો ઉદ્ધાર પ્રગટ થાય તો કેવું સારું! ત્યારે તો પ્રભુ, ઇઝરાયલને પુન: આબાદ કરશે; ત્યારે યાકોબના વંશજો આનંદ કરશે અને ઇઝરાયલના લોકો હર્ષ પામશે. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide