Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

માર્ક 12 - પવિત્ર બાઇબલ C.L.


દ્રાક્ષાવાડીના ખેડૂતોનું ઉદાહરણ
( માથ. 21:33-46 ; લૂક. 20:9-19 )

1 પછી ઈસુએ તેમની સાથે ઉદાહરણો દ્વારા વાત કરી: “એક માણસે દ્રાક્ષવાડી રોપી, તેની આસપાસ વાડ કરી, ખાડો ખોદીને દ્રાક્ષ પીલવાનો કુંડ બનાવ્યો અને ચોકી કરવાનો બુરજ બાંધ્યો. પછી એ દ્રાક્ષવાડી ખેડૂતોને ભાગે આપીને તે પરદેશ મુસાફરીએ ગયો.

2 દ્રાક્ષની મોસમ આવી, ત્યારે ફસલનો પોતાનો ભાગ લેવા માટે તેણે પોતાના એક નોકરને ખેડૂતો પાસે મોકલ્યો.

3 ખેડૂતોએ નોકરને પકડયો, તેને માર માર્યો અને ખાલી હાથે પાછો મોકલ્યો.

4 પછી માલિકે બીજા નોકરને મોકલ્યો, અને ખેડૂતોએ તેનું માથું ફોડી નાખ્યું, અને તેની સાથે ખૂબ શરમજનક વર્તન કર્યું.

5 માલિકે બીજા એક નોકરને મોકલ્યો, અને તેમણે તેનું ખૂન કર્યું. તેમણે બીજા સાથે એવું જ વર્તન દાખવ્યું; કેટલાકને માર્યા, તો કેટલાકનું ખૂન કર્યું.

6 છેલ્લે, માલિકે પોતાનો પ્રિય પુત્ર જ મોકલવાનો બાકી રહ્યો. આખરે, માલિકે પુત્રને મોકલ્યો. તેણે કહ્યું, ‘તેઓ મારા પુત્રનું તો માન રાખશે.’

7 પણ પેલા ખેડૂતોએ એકબીજાને કહ્યું, ‘આ તો વારસદાર છે, ચાલો, આપણે તેને મારી નાખીએ, જેથી તેનો વારસો આપણને મળે.’

8 તેથી તેમણે પુત્રને પકડીને તેનું ખૂન કર્યું, અને તેનું શબ દ્રાક્ષવાડીની બહાર ફેંકી દીધું.”

9 ઈસુએ પૂછયું, “તો હવે દ્રાક્ષવાડીનો માલિક શું કરશે? તે આવીને એ માણસોને મારી નાખશે અને દ્રાક્ષવાડી બીજા ખેડૂતોને સોંપશે.

10 તમે આ શાસ્ત્રભાગ તો વાંચ્યો જ હશે: ‘મકાન બાંધનારાઓએ જે પથ્થરને નકામો ગણીને ફેંકી દીધો હતો, તે જ આધારશિલા બન્યો છે.

11 એ તો પ્રભુએ કર્યું છે; આપણી દૃષ્ટિમાં એ કેવું અદ્‍ભુત છે!”

12 યહૂદી આગેવાનોએ ઈસુની ધરપકડ કરવાનો પ્રયત્ન કર્યો; કારણ, તેમને ખબર પડી ગઈ કે તેમણે તેમની વિરુદ્ધ જ એ ઉદાહરણ કહ્યું હતું. છતાં લોકોથી ડરતા હોવાને લીધે તેઓ તેમને મૂકીને જતા રહ્યા.


કરવેરા ભરી દો
( માથ. 22:15-22 ; લૂક. 20:20-26 )

13 પછી તેમણે કેટલાક ફરોશીઓ અને હેરોદના પક્ષના સભ્યોને ઈસુને પ્રશ્ર્નો પૂછી ફસાવવા મોકલ્યા.

14 તેમણે તેમની પાસે આવીને કહ્યું, “ગુરુજી, અમે જાણીએ છીએ કે લોકો તમારે વિષે શું ધારશે તેની પરવા કર્યા વિના તમે સત્ય જ બોલો છો. તમે માણસના દરજ્જાને ગણકાર્યા વિના તેને માટેની ઈશ્વરની ઇચ્છાનું સત્ય શીખવો છો. તો અમને કહો કે પરદેશી રોમન સમ્રાટને કરવેરા ભરવા તે નિયમશાસ્ત્ર પ્રમાણે ઉચિત છે કે નહિ? આપણે કરવેરા ભરવા જોઈએ કે નહિ?”

15 પણ ઈસુ તેમની ચાલાકી સમજી ગયા, એટલે તેમણે જવાબ આપ્યો, “તમે મને ફસાવવા માગો છો? ચાંદીનો એક સિક્કો લાવો, અને મને તે જોવા દો.”

16 તેઓ તેમની પાસે એક સિક્કો લાવ્યા. એટલે તેમણે પૂછયું, “આમાં કોની છાપ અને કોનું નામ છે?” તેમણે જવાબ આપ્યો, “પરદેશી રોમન સમ્રાટનાં.”

17 તેથી ઈસુએ કહ્યું, “જે રોમન સમ્રાટનું છે, તે રોમન સમ્રાટને ભરી દો, અને જે કંઈ ઈશ્વરનું છે, તે ઈશ્વરને ભરી દો.” એ સાંભળીને તેઓ આભા જ બની ગયા.


મરણમાંથી સજીવન થવા અંગેનો પ્રશ્ર્ન
( માથ. 22:23-33 ; લૂક. 20:27-40 )

18 લોકો મરણમાંથી સજીવન થવાના નથી એવું માનનારા સાદૂકીઓ ઈસુ પાસે આવ્યા.

19 તેમણે કહ્યું, “ગુરુજી, મોશેએ આપણે માટે આવો નિયમ લખેલો છે: ‘જો કોઈ માણસ નિ:સંતાન ગુજરી જાય, તો તે માણસના ભાઈએ મરનારની વિધવા સાથે લગ્ન કરવું; જેથી મરી ગયેલા માણસનો વંશવેલો ચાલુ રહે.’

20 હવે સાત ભાઈઓ હતા. સૌથી મોટા ભાઈનું લગ્ન થયું, પણ તે નિ:સંતાન મરી ગયો.

21 પછી બીજા ભાઈએ પેલી સ્ત્રી સાથે લગ્ન કર્યું, અને તે નિ:સંતાન મરી ગયો. ત્રીજાના સંબંધમાં પણ એવું જ થયું.

22 અને બાકીના બધાના સંબંધમાં એમ જ બન્યું. પેલી સ્ત્રી સાતેય ભાઈઓની પત્ની બની અને તેઓ બધા નિ:સંતાન મરી ગયા. છેલ્લે એ સ્ત્રી પણ મરી ગઈ.

23 હવે, પુનરુત્થાનને દિવસે જ્યારે બધાં મરેલાં સજીવન થશે, ત્યારે તે કોની પત્ની ગણાશે? કારણ કે, તે સાતેય ભાઈઓની પત્ની બની હતી!”

24 ઈસુએ તેમને જવાબ આપ્યો, “તમે કેવી ભૂલ કરો છો! શા માટે ભૂલ કરો છો તે જાણો છો? એટલા જ માટે કે ધર્મશાસ્ત્ર તથા ઈશ્વરનું સામર્થ્ય તમે જાણતા નથી.

25 જ્યારે મરેલાં સજીવન થશે, ત્યારે તેઓ આકાશમાંના દૂતો જેવાં હશે; તેમને માટે પરણવા-પરણાવવાનું નહિ હોય.

26 હવે મરેલાંને સજીવન કરવા સંબંધી તો મોશેના પુસ્તકમાં બળતા ઝાડવા અંગેનો બનાવ તમે નથી વાંચ્યો? ત્યાં લખેલું છે: ‘ઈશ્વર મોશેને કહે છે, હું અબ્રાહામનો ઈશ્વર છું, ઇસ્હાકનો ઈશ્વર છું, અને યાકોબનો ઈશ્વર છું.’

27 એનો અર્થ એ થયો કે જેમને તમે મરેલાં ગણો છો, તે તો ખરેખર જીવંત છે, અને તે તેમના ઈશ્વર છે. તમે મોટી ભૂલ કરો છો!”


સર્વશ્રેષ્ઠ આજ્ઞા
( માથ. 22:34-40 ; લૂક. 10:25-28 )

28 નિયમશાસ્ત્રનો એક શિક્ષક એ ચર્ચા સાંભળતો હતો. તેણે જોયું કે ઈસુએ સાદુકીઓને યોગ્ય જવાબ આપ્યો, તેથી તે તેમની પાસે બીજો એક પ્રશ્ર્ન લઈ આવ્યો, “બધી આજ્ઞાઓમાં સૌથી અગત્યની કઈ?”

29 ઈસુએ કહ્યું, “સૌથી વધુ અગત્યની આજ્ઞા આ છે: ‘હે ઇઝરાયલ, સાંભળ! પ્રભુ આપણા ઈશ્વર એકમાત્ર પ્રભુ છે.

30 તારે ઈશ્વર તારા પ્રભુ પર તારા પૂરા દયથી, તારા પૂરા જીવથી, તારા પૂરા મનથી અને તારા પૂરા સામર્થ્યથી, એટલે કે તારા પૂરા વ્યક્તિત્વથી પ્રેમ રાખવો.’

31 બીજી સૌથી અગત્યની આજ્ઞા આ છે: ‘જેવો પોતા પર તેવો જ બીજા પર પ્રેમ રાખ.’ આ બે આજ્ઞાઓ કરતાં વિશેષ અગત્યની બીજી કોઈ આજ્ઞા નથી.”

32 નિયમશાસ્ત્રના શિક્ષકે ઈસુને કહ્યું, “વાહ, ગુરુજી, તમે કહો છો એ સાચું છે કે, એકમાત્ર પ્રભુ જ ઈશ્વર છે અને તેમના સિવાય બીજો કોઈ ઈશ્વર નથી.

33 માણસે ઈશ્વર પર પોતાના પૂરા દયથી, પૂરા મનથી અને પૂરા સામર્થ્યથી પ્રેમ કરવો જોઈએ; તેમ જ જેવો પોતા પર તેવો જ બીજા પર પ્રેમ રાખવો. યજ્ઞવેદી પર પ્રાણીઓ અને બીજાં અર્પણો ચઢાવવા કરતાં આ બે આજ્ઞાઓને આધીન થવું વધારે મહત્ત્વનું છે.”

34 ઈસુએ જોયું કે તેણે સમજણપૂર્વક જવાબ આપ્યો છે તેથી તેમણે તેને કહ્યું, “તું ઈશ્વરના રાજથી દૂર નથી.” એ પછી કોઈએ ઈસુને વધારે પ્રશ્ર્નો પૂછવાની હિંમત કરી નહિ.


મસીહ વિષે પ્રશ્ર્ન
( માથ. 22:41-46 ; લૂક. 20:41-44 )

35 મંદિરમાં બોધ કરતી વખતે ઈસુએ પ્રશ્ર્ન પૂછયો, “મસીહ દાવિદનો પુત્ર હશે એવું નિયમશાસ્ત્રના શિક્ષકો કેમ શીખવે છે?

36 કારણ, પવિત્ર આત્માએ તો દાવિદને આવું કહેવાની પ્રેરણા કરી; ‘પ્રભુએ મારા પ્રભુને કહ્યું: તારા શત્રુઓને તારા પગ તળે મૂકું, ત્યાં સુધી તું મારે જમણે હાથે બેસ.’

37 દાવિદ પોતે તેને પ્રભુ કહે છે; તો પછી મસીહ દાવિદનો પુત્ર કેવી રીતે હોઈ શકે?” વિશાળ જનસમુદાય ઈસુને રસપૂર્વક સાંભળતો હતો.


ચેતવણીનો સૂર
( માથ. 23:1-36 ; લૂક. 20:45-47 )

38 તેમને શીખવતાં તેમણે કહ્યું, “લાંબો ઝભ્ભો પહેરીને ફરનારા નિયમશાસ્ત્રના શિક્ષકોથી સાવધ રહો. તેમને બજારમાં લોકોનાં વંદન ઝીલવાનું ગમે છે.

39 તેઓ ભજનસ્થાનમાં મુખ્ય ખુરશીઓ અને મિજબાનીઓમાં ઉત્તમ જગ્યાઓ પસંદ કરે છે.

40 તેઓ વિધવાઓની માલમિલક્ત લૂંટી લે છે, અને પાછા ઢોંગપૂર્વક લાંબી લાંબી પ્રાર્થનાઓ કરે છે. તેમને વધારેમાં વધારે સજા થશે.”


વિધવાનું દાન
( લૂક. 22:1-4 )

41 ઈસુ મંદિરના ભંડારની સામે બેસીને ભંડારમાં પૈસા નાખતા લોકોને જોતા હતા. ધનવાન માણસો તેમાં ઘણા પૈસા નાખતા હતા.

42 પછી એક ગરીબ વિધવા આવી અને તેણે તાંબાના બે નાના સિક્કા નાખ્યા.

43 તેમણે પોતાના શિષ્યોને પાસે બોલાવીને કહ્યું, “હું તમને સાચે જ કહું છું કે આ ગરીબ વિધવાએ ભંડારમાં બીજા બધાના કરતાં વધારેમાં વધારે નાખ્યું છે.

44 કારણ, બીજાઓએ તો પોતાની સમૃદ્ધિમાંથી જે વધારાનું હતું તે નાખ્યું; પણ તેણે તો ગરીબ હોવા છતાં તેની પાસે જે કંઈ હતું તે બધું નાખ્યું, એટલે પોતાની સર્વ આજીવિકા નાખી છે!”

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan