માર્ક 1 - પવિત્ર બાઇબલ C.L.બાપ્તિસ્મા કરનાર યોહાનનો સંદેશ ( માથ. 3:1-12 ; લૂક. 3:1-18 ; યોહા. 1:19-28 ) 1 ઈશ્વરપુત્ર ઈસુ ખ્રિસ્ત વિષેનો આ શુભસંદેશ છે. 2 યશાયાએ લખેલું હતું તે પ્રમાણે તેની શરૂઆત થઈ: “પ્રભુ કહે છે, ‘તારે માટે માર્ગ તૈયાર કરવા હું મારા દૂતને તારી આગળ મોકલીશ.’ 3 વેરાન પ્રદેશમાં કોઈ પોકારે છે: ‘પ્રભુને માટે રાજમાર્ગ તૈયાર કરો; તેમને જવાનો માર્ગ સરખો કરો.” 4 એમ યોહાન વેરાન પ્રદેશમાં પ્રગટ થયો. તે લોકોને બાપ્તિસ્મા આપતો અને ઉપદેશ કરતો. તેણે લોકોને કહ્યું, “તમારાં પાપથી પાછા ફરો અને બાપ્તિસ્મા લો, અને ઈશ્વર તમારાં પાપની ક્ષમા આપશે.” 5 યોહાનને સાંભળવા માટે યહૂદિયાના પ્રદેશમાંથી અને યરુશાલેમ શહેરમાંથી ઘણા લોકો તેની પાસે આવતા. તેઓ પોતાનાં પાપ કબૂલ કરતા અને તે તેમને યર્દન નદીમાં બાપ્તિસ્મા આપતો. 6 યોહાન ઊંટના વાળમાંથી બનાવેલાં વસ્ત્રો પહેરતો, કમરે ચામડાનો પટ્ટો બાંધતો અને તીડ તથા જંગલી મધ ખાતો. 7 તેણે લોકો આગળ જાહેર કર્યું: “મારા પછીથી આવનાર માણસ મારા કરતાં પણ મહાન છે; હું તો નીચો નમીને વાધરી છોડીને તેમનાં ચંપલ ઉતારવા જેવોય યોગ્ય નથી. 8 હું પાણીથી તમારું બાપ્તિસ્મા કરું છું; પણ તે તો પવિત્ર આત્માથી તમારું બાપ્તિસ્મા કરશે.” ઈસુનું બાપ્તિસ્મા અને પ્રલોભન ( માથ. 3:13—4:11 ; લૂક. 3:21-22 ; 4:1-13 ) 9 થોડા સમય પછી ઈસુ ગાલીલના પ્રદેશમાં આવેલા નાઝારેથથી આવ્યા, અને યોહાને યર્દન નદીમાં તેમનું બાપ્તિસ્મા કર્યું. 10 ઈસુ પાણીમાંથી બહાર આવ્યા કે તરત જ તેમણે આકાશને ઊઘડતું જોયું અને પવિત્ર આત્માને પોતા પર કબૂતરની જેમ ઊતરતો જોયો. 11 આકાશમાંથી વાણી સંભળાઈ: “તું મારો પ્રિય પુત્ર છે; હું તારા પર પ્રસન્ન છું.” 12 પછી તરત જ પવિત્ર આત્મા તેમને વેરાન પ્રદેશમાં લઈ ગયો. 13 એ વેરાન પ્રદેશમાં જંગલી પ્રાણીઓ હતાં. ઈસુ ત્યાં ચાળીસ દિવસ સુધી રહ્યા. શેતાનથી તેમનું પ્રલોભન થતું, પણ દૂતો આવીને તેમની સેવા કરતા. પ્રથમ શિષ્યોને આમંત્રણ ( માથ. 4:12-22 ; લૂક. 4:14-15 ; 5:1-11 ) 14 યોહાનને કેદમાં પૂરવામાં આવ્યા પછી ઈસુ ગાલીલમાં ગયા અને ઈશ્વરના શુભસંદેશનો ઉપદેશ કર્યો. 15 તેમણે કહ્યું, “સમય પાકી ચૂક્યો છે અને ઈશ્વરનું રાજ આવી પહોંચ્યું છે. તમારાં પાપથી પાછા ફરો અને શુભસંદેશ પર વિશ્વાસ કરો.” 16 ગાલીલ સરોવરને કિનારે ચાલતાં ચાલતાં ઈસુએ માછી સિમોન અને તેના ભાઈ આંદ્રિયાને જોયા. તેઓ જાળ વડે સરોવરમાંથી માછલાં પકડતા હતા. 17 ઈસુએ તેમને કહ્યું, “મને અનુસરો, અને હું તમને માણસોને મારા અનુયાયી બનાવતાં શીખવીશ.” 18 તરત જ તેઓ પોતાની જાળો મૂકી દઈને તેમની પાછળ ગયા. 19 તેઓ થોડેક દૂર ગયા, અને ઝબદીના દીકરા યાકોબ અને તેના ભાઈ યોહાનને જોયા. તેઓ પોતાની હોડીમાં પોતાની જાળો સાંધી રહ્યા હતા. ઈસુએ તેમને જોતાંની સાથે જ બોલાવ્યા. 20 તેઓ તેમના પિતા ઝબદીને અન્ય મજૂરો સાથે હોડીમાં જ મૂકી દઈને ઈસુની પાછળ ગયા. ઈસુનો અધિકાર ( લૂક. 4:31-37 ) 21 તે કાપરનાહુમ નગરમાં આવ્યા, અને પછીના વિશ્રામવારે ઈસુ યહૂદીઓના ભજનસ્થાનમાં ગયા અને શિક્ષણ આપવા લાગ્યા. 22 તેમની શીખવવાની રીતથી તેમને સાંભળનારા લોકો આશ્ર્વર્ય પામ્યા. તે નિયમશાસ્ત્રના શિક્ષકો જેવા ન હતા; એને બદલે, તે તો અધિકારથી શિક્ષણ આપતા હતા. 23 એ જ સમયે અશુદ્ધ આત્મા વળગેલો એક માણસ ભજનસ્થાનમાં આવી પહોંચ્યો. તેણે બૂમ પાડી, 24 “નાઝારેથના ઈસુ, તમારે અમારું શું ક્મ છે? શું તમે અમારો નાશ કરવા અહીં આવ્યા છો? તમે કોણ છો તે હું જાણું છું. તમે ઈશ્વર પાસેથી આવેલ પવિત્ર વ્યક્તિ છો!” 25 ઈસુએ તેને સખત આજ્ઞા કરી, “ચૂપ રહે, અને એ માણસમાંથી બહાર નીકળી જા.” 26 દુષ્ટાત્માએ તે માણસને સખત રીતે મરડી નાખ્યો અને મોટી બૂમ પાડતો તેનામાંથી નીકળી ગયો. 27 લોકો અચંબો પામી ગયા અને એકબીજાને પૂછવા લાગ્યા, “આ શું? અધિકારયુક્ત નવું જ શિક્ષણ! આ માણસ દુષ્ટાત્માઓને હુકમ કરે છે, અને તેઓ તેનું માને છે પણ ખરા!” 28 આમ, ગાલીલના સમગ્ર પ્રદેશમાં ઈસુની ખ્યાતિ ઝડપથી ફેલાઈ ગઈ. ઘણા લોકો સાજા થયા ( માથ. 8:14-17 ; લૂક. 4:38-41 ) 29 તેઓ તરત જ ભજનસ્થાનમાંથી નીકળીને સિમોન તથા આંદ્રિયાને ઘેર ગયા; અને યાકોબ તથા યોહાન પણ તેમની સાથે ગયા. 30 સિમોનની સાસુ તાવથી પથારીવશ હતી. ઈસુ ત્યાં ગયા એટલે તરત જ લોકોએ તેને વિષે ઈસુને વાત કરી. 31 ઈસુ તેની પાસે ગયા અને તેનો હાથ પકડીને તેને બેઠી કરી. તેનો તાવ ઊતરી ગયો, અને તે તેમની સરભરા કરવા લાગી. 32 સાંજ પડતાં લોકો બીમાર અને દુષ્ટાત્મા વળગેલા માણસોને ઈસુની પાસે લાવ્યા. 33 નગરના બધા લોકો ઘરના આંગણામાં એકઠા થયા હતા. 34 જાતજાતના રોગથી પીડાતા ઘણા માણસોને ઈસુએ સાજા કર્યા અને ઘણા દુષ્ટાત્માઓને કાઢયા. તેમણે દુષ્ટાત્માઓને કંઈ બોલવા દીાા નહિ; કારણ, ઈસુ કોણ છે તે દુષ્ટાત્માઓ જાણતા હતા. ગાલીલમાં ઈસુનો ઉપદેશ ( લૂક. 4:42-44 ) 35 બીજે દિવસે અજવાળું થયા પહેલાં વહેલી સવારે ઈસુ ઊઠયા અને ઘરમાંથી બહાર ગયા. નગર બહાર એક્ંત સ્થળે જઈને તેમણે પ્રાર્થના કરી. 36 પણ સિમોન તથા તેના સાથીદારોએ તેમની શોધ કરી. 37 તેઓ તેમને મળ્યા એટલે કહ્યું, “બધા તમને શોધે છે.” 38 પણ ઈસુએ જવાબ આપ્યો, “આપણે આસપાસનાં અન્ય ગામોમાં પણ જઈએ. મારે ત્યાંના લોકોને પણ ઉપદેશ આપવાનો છે; કારણ, તે માટે હું આવ્યો છું.” 39 તેથી આખા ગાલીલ પ્રાંતમાં ફરીને તેમનાં ભજનસ્થાનોમાં તેમણે ઉપદેશ કર્યો અને દુષ્ટાત્માઓ કાઢયા. રક્તપિત્તિયો શુદ્ધ કરાયો ( માથ. 8:1-4 ; લૂક. 5:12-16 ) 40 એક રક્તપિતિયો ઈસુની પાસે આવી નમી પડયો, અને તેણે આજીજીપૂર્વક સહાય માગતાં કહ્યું, “તમે ચાહો તો મને શુદ્ધ કરી શકો તેમ છો.” 41 ઈસુનું હૈયું કરુણાથી ભરાઈ આવ્યું અને તેની નજીક જઈને તેમણે તેને સ્પર્શ કર્યો. તેમણે કહ્યું, “હા, હું ઇચ્છું છું; તું શુદ્ધ થા!” 42 તત્કાળ તે માણસમાંથી રક્તપિત્ત દૂર થયો અને તે શુદ્ધ થયો. 43 પછી ઈસુએ તેને વિદાય આપતાં સખત શબ્દોમાં કહ્યું, 44 “જો જે, આ અંગે કોઈને કહીશ નહિ, પણ સીધેસીધો યજ્ઞકાર પાસે જા, અને તેને તારી તપાસ કરવા દે. પછી તું શુદ્ધ થયો છે તે બધાની સમક્ષ સાબિત કરવા મોશેએ ઠરાવેલા બલિદાનનું અર્પણ કર.” 45 પછી એ માણસે જઈને એ વાત બધે ફેલાવી. તેણે એટલી બધી જાહેરાત કરી કે ઈસુ કોઈ નગરમાં જાહેર રીતે જઈ શક્યા નહિ; એને બદલે, તેમને બહાર એક્ંત જગ્યાઓમાં જવું પડયું. ચોમેરથી લોકો તેમની પાસે આવતા હતા. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide