Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

માથ્થી 24 - પવિત્ર બાઇબલ C.L.


મંદિરના નાશની આગાહી
( માર્ક. 13:1-13 ; લૂક. 21:5-19 )

1 ઈસુ ત્યાંથી નીકળીને બહાર જતા હતા ત્યારે તેમના શિષ્યો મંદિરનાં બાંધકામો બતાવવા તેમની પાસે આવ્યા.

2 ઈસુએ તેમને કહ્યું, દેખાવમાં તે ઘણાં ભવ્ય છે. પણ હું તમને સાચે જ કહું છું કે આ જગ્યાએ એક પથ્થર પર બીજો પથ્થર રહેવા પામશે નહિ. એકેએક પથ્થર તોડી નાખવામાં આવશે.

3 ઈસુ ઓલિવ પર્વત પર ગયા ત્યારે શિષ્યોએ તેમને ખાનગીમાં પૂછયું, આ બધી બાબતો ક્યારે બનશે તે અમને જણાવો. તમારા આગમનની અને દુનિયાના અંતની નિશાની તરીકે શું બનશે?

4 ઈસુએ જવાબ આપ્યો, સાવધ રહો કે કોઈ તમને છેતરે નહિ.

5 કારણ, ’હું મસીહ છું,’ એમ કહેતા મારું નામ લઈને ઘણા આવશે અને ઘણાઓને ભમાવશે.

6 તમે નજીક ચાલતા યુદ્ધનો કોલાહલ અને દૂર ચાલતા યુદ્ધના સમાચાર સાંભળશો. પણ તેથી ગભરાશો નહિ. આ બધું બનવાની જરૂર છે. પણ તેનો અર્થ એવો નથી કે અંત આવી ચૂક્યો છે.

7 દેશો અરસપરસ યુદ્ધમાં ઊતરશે. રાજ્યો એકબીજા પર હુમલો કરશે. ઠેર ઠેર દુકાળો પડશે અને ધરતીકંપો થશે.

8 આ બધું તો સૂતિ પહેલાં થતા કષ્ટ જેવું છે.

9 ત્યાર પછી તમારી ધરપકડ કરવામાં આવશે અને સજા પામવા માટે તમે સત્તાધારીઓને સોંપી દેવાશો અને તમને મોતની સજા થશે. મારા નામને લીધે બધી જાઓ તમને ધિક્કારશે.

10 આ સમયે ઘણા પોતાના વિશ્વાસનો ત્યાગ કરશે. તેઓ એકબીજાને દગો દેશે અને ધિક્કારશે.

11 વળી, ઘણા જુઠ્ઠા સંદેશવાહકો જાહેરમાં આવશે અને ઘણાને ભરમાવશે.

12 દુષ્ટતા એટલી બધી વધી જશે કે એથી ઘણા લોકોનો પ્રેમ ઠંડો પડી જશે.

13 પણ અંત સુધી જે ટકી રહેશે તેનો ઉદ્ધાર થશે.

14 ઈશ્વરના રાજનો આ શુભસંદેશ સમગ્ર દુનિયામાં બધી પ્રજાઓને સાક્ષી તરીકે પ્રગટ કરવામાં આવે તે પછી જ અંત આવશે.


ભયંકર વિનાશક
( માર્ક. 13:14-23 ; લૂક. 21:20-24 )

15 સંદેશવાહક દાનિયેલે જે ઘૃણાસ્પદ વિનાશક વિષે જણાવ્યું છે તેને તમે પવિત્ર જગ્યાએ ઊભો રહેલો જોશો. [વાચકે તેનો અર્થ સમજી લેવો] .

16 ત્યારે જેઓ યહૂદિયામાં હોય, તેમણે પહાડોમાં નાસી જવું.

17 ઘરના ધાબા પર હોય તેમણે ઘરનો સામાન લેવા નીચે ન ઊતરવું.

18 ખેતરમાં હોય તેમણે તેમનાં વસ્ત્રો લેવા પાછા જવું નહિ.

19 ગર્ભવતી અને ધાવણાં બાળકોની માતાઓની તે દિવસોમાં કેવી ભયંકર દશા થશે!

20 આ નાસભાગ શિષ્યાળામાં કે વિશ્રામવારને દિવસે ન બને તે માટે ઈશ્વરને પ્રાર્થના કરો.

21 કારણ, પૃથ્વીના આરંભથી આજ દિન સુધીમાં કદી ન પડી હોય એવી ભયંકર એ વિપત્તિ હશે અને એવી વિપત્તિ ફરી કદી આવશે પણ નહિ.

22 ઈશ્વરે એ વિપત્તિના દિવસોની સંખ્યા ઘટાડી ન હોત તો કોઈ ઊગરી શક્ત નહિ; પણ પોતાના પસંદ કરેલા લોકોને લીધે ઈશ્વર એ દિવસોની સંખ્યા ઘટાડશે.

23 ત્યારે જો કોઈ તમને કહે કે, મસીહ અહીં અથવા ત્યાં છે તો તેનું માનતા નહિ.

24 કારણ, જુઠ્ઠા મસીહો અને જુઠ્ઠા સંદેશવાહકો આવશે. શકાય હોય તો ઈશ્વરના પસંદ કરેલા લોકને પણ છેતરવાને માટે તેઓ મહાન ચિહ્નો અને અદ્‌ભૂત કાર્યો કરી બતાવશે.

25 આ બધું મેં તમને પ્રથમથી જ જણાવી દીધું છે.

26 કદાચ, કોઈ આવીને તમને કહે, ’તે ત્યાં વેરાન દેશમાં છે,’ તો ત્યાં જતા નહિ. અથવા એમ કહે, ’તે ત્યાં સંતાઈ રહ્યા છે,’ તો તે માનતા નહિ.

27 કારણ, જેમ વીજળી આકાશમાં પૂર્વથી પશ્ચિમમાં ઝબકારો મારે છે તેમ માનવપુત્રનું આગમન થશે.

28 જ્યાં મડદું હોય ત્યાં જ ગીધડાં ભેગાં થવાનાં.


માનવપુત્રનું આગમન
( માર્ક. 13:24-27 ; લૂક. 21:25-28 )

29 આ દિવસોની વિપત્તિઓ પછી તરત જ સૂર્ય પોતાનું તેજ ગુમાવશે અને ચંદ્ર પ્રકાશશે નહિ. આકાશમાંથી તારાઓ ખરશે અને આકાશનાં નક્ષત્રો તેમના માર્ગમાંથી હટાવાશે.

30 ત્યાર પછી માનવપુત્રના આગમનની નિશાની આકાશમાં દેખાશે. તે વખતે પૃથ્વીની બધી પ્રજાઓ વિલાપ કરશે અને તેઓ માનવપુત્રને સામર્થ્ય અને મહાન ગૌરવસહિત આકાશનાં વાદળો મધ્યે આવતા નિહાળશે.

31 મોટું રણશિંગડું વગાડવામાં આવશે અને પૃથ્વીની ચારે દિશામાં તે પોતાના દૂતોને મોકલશે. તેઓ ક્ષિતિજના એક છેડેથી શરૂ કરીને બીજા છેડા સુધી જઈને ઈશ્વરના પસંદ કરેલા લોકોને એકત્ર કરશે.


અંજીરી પરથી બોધપાઠ
( માર્ક. 13:28-31 ; લૂક. 21:29-33 )

32 અંજીરી પરથી બોધપાઠ શીખો. જ્યારે તેની ડાળીઓ લીલી અને કુમળી બને છે અને પછી પાન ફૂટવા લો છે ત્યારે તમને ખબર પડી જાય છે કે હવે ઉનાળો આવી પહોંચ્યો છે.

33 એ જ પ્રમાણે જ્યારે તમે આ બધા બનાવો બનતા જુઓ, ત્યારે તમને ખબર પડી જશે કે તે સમય એકદમ નજીક આવી પહોંચ્યો છે.

34 હું તમને સાચે જ કહું છું: પ્રવર્તમાન પેઢી જતી રહે તે પહેલાં આ બધા બનાવો બનશે.

35 આકાશ અને પૃથ્વી જતાં રહેશે, પણ મારાં વચનો નિષ્ફળ જશે નહિ.


જાગતા રહેજો
( માર્ક. 13:32-37 ; લૂક. 17:26-30 , 34-36 )

36 તે દિવસ કે તે ઘડી ક્યારે આવશે તે એં કોઈને જાણ નથી. આકાશના દૂતો કે માનવપુત્રને પણ તેની ખબર નથી. પણ ફક્ત ઈશ્વરપિતા જ તે જાણે છે.

37 નૂહના સમયમાં જે બન્યું તેવું જ માનવપુત્રના આગમનને સમયે પણ થશે.

38 જળપ્રલય પહેલાં નૂહ વહાણમાં ગયો તે દિવસ સુધી લોકો ખાતા અને પીતા હતા, તથા લગ્ન કરતા અને કરાવતા હતા.

39 જળપ્રલય આવીને તે બધાંને ઘસડી ન ગયો ત્યાં સુધી શું બની રહ્યું હતું તેની તેમને ખબર પડી નહિ. જ્યારે માનવપુત્ર આવશે ત્યારે પણ એવું જ બનશે.

40 તે સમયે બે પુરુષો ખેતરમાં કામ કરતા હશે. એક લેવાશે અને બીજો પડતો મુકાશે.

41 બે સ્ત્રીઓ ઘંટીએ દળતી હશે. એક લેવાશે અને બીજી પડતી મુકાશે.

42 સાવધ રહો. કારણ, તમારા પ્રભુ કયે દિવસે આવશે તેની તમને ખબર નથી.

43 તમે એટલું સમજી લો કે, જો ઘરના માલિકને ખબર પડી જાય કે ચોર ક્યારે આવવાનો છે તો તે જાતો રહેશે અને ચોરને તેના ઘરમાં ચોરી કરવા દેશે નહિ.

44 તેથી તમારે પણ હંમેશાં તૈયાર રહેવું જોઈએ. કારણ, તમે ધારતા નહિ હો તેવે સમયે માનવપુત્ર આવશે.


વિશ્વાસુ અને બુદ્ધિશાળી નોકર
( લૂક. 12:41-48 )

45 પોતાના શેઠે બીજા નોકરોને યોગ્ય સમયે ખોરાક આપવા તેમનો ઉપરી ઠરાવ્યો હોય એવો વિશ્વાસુ અને બુદ્ધિશાળી નોકર કોણ છે?

46 શેઠ જ્યારે ઘેર આવે ત્યારે એવા નોકરને તેનું કાર્ય કરતો જુએ તો તેને ધન્ય છે!

47 હું તમને સાચે જ કહું છું: આવા નોકરને તો શેઠ પોતાની સમગ્ર સંપત્તિનો કારભાર સોંપશે.

48 પણ જો તે નોકર મૂર્ખ હોય અને એમ વિચારે કે, ’મારો શેઠ લાંબા સમય સુધી પાછો આવવાનો નથી,’

49 અને તેથી તે તેના સાથી નોકરોને માર મારે અને દારૂડિયાઓની સાથે ખાયપીએ,

50 તો તે ધારતો નથી તેવી ઘડીએ તેનો શેઠ પાછો આવશે.

51 એ નોકરના કાપીને ટુકડેટુકડા કરી નાખશે અને દંભીઓના જેવા તેના હાલ કરશે. ત્યાં રડવાનું અને દાંત કટકટાવાનું થશે.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan