લૂકની લખેલી સુવાર્તા 22 - પવિત્ર બાઇબલ C.L.ઈસુની વિરુદ્ધ કાવતરું ( માથ. 26:1-5 ; માર્ક. 14:1-2 ; યોહા. 11:45-53 ) 1 પાસ્ખાપર્વ નામે ઓળખાતું ખમીર વગરની રોટલીનું પર્વ નજીક આવ્યું હતું. 2 મુખ્ય યજ્ઞકારો અને નિયમશાસ્ત્રના શિક્ષકો ઈસુને મારી નાખવા માટેનો કોઈક ઉપાય શોધતા હતા; કારણ, તેઓ લોકોથી ડરતા હતા. ઈસુને પકડાવી દેવા યહૂદાની સંમતિ ( માથ. 26:14-16 ; માર્ક. 14:10-11 ) 3 ઈસુના બાર શિષ્યો હતા, તેમાં ઈશ્કારિયોત તરીકે ઓળખાતો યહૂદા પણ હતો. તેનામાં શેતાન પ્રવેશ્યો. 4 તેથી તેણે જઈને મુખ્ય યજ્ઞકારો અને મંદિરના સંરક્ષકો સાથે ઈસુને કેવી રીતે પકડી શકાય તે અંગે મંત્રણા કરી. 5 તેઓ ખુશ થઈ ગયા અને તેને પૈસા આપવા કબૂલ થયા. 6 તેથી યહૂદા સંમત થયો અને લોકો ન જાણે તેમ ઈસુને તેમના હાથમાં પકડાવી દેવાની તે તક શોધવા લાગ્યો. પાસ્ખાપર્વના ભોજનની તૈયારી ( માથ. 26:17-25 ; માર્ક. 14:12-21 ; યોહા. 13:21-30 ) 7 ખમીર વગરની રોટલી ખાવાના પર્વ દરમિયાન પાસ્ખાપર્વના ભોજન માટે ઘેટો કાપવાનો દિવસ આવ્યો. 8 ઈસુએ પિતર અને યોહાનને સૂચના આપી મોકલ્યા, “જાઓ, જઈને આપણે માટે પાસ્ખાપર્વનું ભોજન તૈયાર કરો.” 9 તેમણે પૂછયું, “અમે તે ક્યાં તૈયાર કરીએ?” 10 તેમણે કહ્યું, “તમે શહેરમાં જશો એટલે પાણીનો ઘડો ઊંચકીને જતો એક માણસ તમને મળશે. 11 જે ઘરમાં તે જાય ત્યાં તેની પાછળ પાછળ જજો, અને ઘરધણીને કહેજો, “ગુરુજીએ તમને એમ પુછાવ્યું છે કે, મારે અને મારા શિષ્યોને પાસ્ખાપર્વનું ભોજન લેવા માટેનો ઓરડો ક્યાં છે? 12 એટલે તે તમને એક મોટો ઓરડો બતાવશે. ત્યાં તમે બધી તૈયારી કરજો.” 13 તેઓ ચાલી નીકળ્યા, અને ઈસુએ જેવું કહ્યું હતું બરાબર તેવું જ તેમને મળ્યું; અને તેમણે પાસ્ખાપર્વનું ભોજન તૈયાર કર્યું. પ્રભુભોજન ( માથ. 26:26-30 ; માર્ક. 14:22-26 ; ૧ કોરીં. 11:23-25 ) 14 સમય થયો એટલે ઈસુ પોતાની જગ્યાએ પ્રેષિતો સાથે જમવા બેઠા. 15 તેમણે તેમને કહ્યું, “હું દુ:ખ વેઠું તે પહેલાં તમારી સાથે પાસ્ખાપર્વનું આ ભોજન ખાવાની મને બહુ ઇચ્છા હતી. 16 કારણ, હું તમને કહું છું કે ઈશ્વરના રાજમાં એનો અર્થ પરિપૂર્ણ થાય ત્યાં સુધી હું તે ફરી કદી ખાવાનો નથી.” 17 પછી ઈસુએ પ્યાલો લીધો, ઈશ્વરની આભારસ્તુતિ કરી, અને કહ્યું, “લો,તમે સૌ એમાંથી પીઓ. 18 કારણ, હું તમને કહું છું કે હવેથી હું ઈશ્વરનું રાજ આવે ત્યાં સુધી દ્રાક્ષનું પીણું પીવાનો નથી.” 19 પછી તેમણે રોટલી લીધી, ઈશ્વરની આભારસ્તુતિ કરી, અને શિષ્યોને તે આપતાં કહ્યું, “આ મારું શરીર છે જે તમારે માટે આપવામાં આવે છે. મારી યાદગીરીને માટે આ કરો.” 20 એ જ પ્રમાણે ભોજન કરી રહ્યા પછી તેમણે પ્યાલો આપતાં કહ્યું, “આ પ્યાલો તમારે માટે રેડાનાર મારા રક્તથી મંજૂર કરાયેલો ઈશ્વરનો નવો કરાર છે. 21 “પણ જુઓ, મને દગાથી પકડાવી દેનાર તો મારી સાથે અહીં જમવા બેઠો છે! 22 ઈશ્વરે નિર્માણ કર્યા મુજબ માનવપુત્ર તો જશે, પણ તેને પકડાવી દેનાર માણસની કેવી દુર્દશા થશે!” 23 પછી, તેમનામાંથી કોણ એ કાર્ય કરવાનો છે તે અંગે તેઓ એક બીજાને પૂછવા લાગ્યા. સૌથી મોટું કોણ? 24 શિષ્યોમાં સૌથી મોટું કોણ ગણાય એ અંગે વાદવિવાદ થયો. 25 ઈસુએ તેમને કહ્યું, “આ દુનિયાના રાજવીઓ તેમની પ્રજા પર અધિકાર ભોગવે છે, અને રાજ્યર્ક્તાઓ તો પોતાને પ્રજાના ‘સેવકો’ કહેવડાવે છે! 26 પણ તમારા સંબંધમાં એવું ન થવું જોઈએ. એથી ઊલટું, તમારામાં જે સૌથી મોટો હોય તેણે તો સૌથી નાના જેવા થવું, અને આગેવાનોએ નોકર જેવા બનવાનું છે. 27 જમવા બેસનાર અને પીરસનાર એ બેમાંથી મોટું કોણ? અલબત્ત, જે જમવા બેસે છે તે જ. પણ હું તમારામાં પીરસનારના જેવો છું. 28 “મારાં સંકટોમાં તમે સતત મારી સાથે રહ્યા છો; 29 અને મારા પિતાએ જેમ મને રાજ્યાધિકાર આપ્યો છે, તેમ હું પણ તમને આપું છું. 30 મારા રાજમાં તમે મારી સાથે ખાશો અને પીશો અને તમે ઇઝરાયલનાં બાર કુળોનો ન્યાય કરવા માટે રાજ્યાસન પર બેસશો. પિતરના નકારની આગાહી ( માથ. 26:31-35 ; માર્ક. 14:27-31 ; યોહા. 13:36-38 ) 31 “સિમોન! સિમોન! સાંભળ! જેમ ઘઉંને ચાળવામાં આવે છે તેમ તમારી ક્સોટી કરવાની શેતાને માગણી કરી છે. 32 પણ તારો વિશ્વાસ ડગી ન જાય તે માટે મેં તારે માટે પ્રાર્થના કરી છે. જ્યારે તું મારી તરફ પાછો ફરે, ત્યારે તારા સાથી ભાઈઓને દઢ કરજે.” 33 પિતરે જવાબ આપ્યો, “પ્રભુ, હું તમારી સાથે જેલમાં જવા અને મરવા પણ તૈયાર છું.” 34 ઈસુએ જવાબ આપ્યો, “પિતર, હું તને કહું છું કે તું મને ઓળખતો નથી, એવું કૂકડો બોલે તે પહેલાં તું ત્રણવાર કહીશ.” પૈસાનું પાકીટ, થેલી અને તલવાર 35 પછી ઈસુએ તેમને કહ્યું, “મેં તમને પૈસાનું પાકીટ, થેલી અથવા પગરખાં વિના મોકલ્યા ત્યારે તમને કશાની તંગી પડી હતી?” તેમણે જવાબ આપ્યો, “ના, કશાની નહિ.” 36 ઈસુએ કહ્યું, “પણ હવે તો જેની પાસે પૈસાનું પાકીટ કે થેલી હોય, તે પોતાની સાથે લઈ લે; અને જેની પાસે તલવાર ન હોય, તે પોતાનો ઝભ્ભો વેચીને પણ એક ખરીદે. 37 કારણ, હું તમને કહું છું કે, ‘ગુનેગારોમાં તેની ગણના થઈ’ એવું જે ધર્મશાસ્ત્રમાં લખેલું છે, તે સાચું પડવું જોઈએ. કારણ કે મારા વિષે જે લખવામાં આવ્યું હતું તે સાચું પડી રહ્યું છે.” 38 શિષ્યોએ કહ્યું, “પ્રભુ, જુઓ આ રહી બે તલવાર!” તેમણે જવાબ આપ્યો, “બસ, એટલી તો પૂરતી છે.” ઓલિવ પર્વત પર પ્રાર્થના ( માથ. 26:36-46 ; માર્ક. 14:32-42 ) 39 હંમેશની જેમ ઈસુ શહેર બહાર ઓલિવ પર્વત પર ગયા; અને શિષ્યો પણ તેમની સાથે ગયા. 40 ત્યાં પહોંચ્યા એટલે તેમણે તેમને કહ્યું, “તમારું પ્રલોભન ન થાય તે માટે પ્રાર્થના કરો.” 41 પછી પથ્થર ફેંક્ય તેટલે અંતરે તે તેમનાથી દૂર ગયા, અને ધૂંટણિયે પડીને પ્રાર્થના કરી; 42 તેમણે કહ્યું, “હે પિતા, તમારી ઇચ્છા હોય તો આ પ્યાલો મારાથી દૂર કરો. છતાં મારી નહિ, પણ તમારી ઇચ્છા પ્રમાણે થાઓ.” 43 [આકાશમાંથી આવેલો એક દૂત તેમને દેખાયો અને તેણે તેમને પ્રબળ કર્યા]. 44 ભારે વેદનામાં તેમણે એથી પણ વિશેષ આગ્રહથી પ્રાર્થના કરી; લોહીનાં ટીપાં જેવો તેમનો પરસેવો જમીન પર ટપકવા લાગ્યો. 45 પ્રાર્થનામાંથી ઊભા થઈને તે શિષ્યો પાસે પાછા ગયા અને દુ:ખને કારણે થાકી ગયા હોવાથી તેમને ઊંઘતા જોયા. 46 તેમણે કહ્યું, “તમે કેમ ઊંઘો છો? ઊઠો, તમારી ક્સોટી ન થાય તે માટે પ્રાર્થના કરો.” ઈસુની ધરપકડ ( માથ. 26:47-56 ; માર્ક. 14:43-50 ; યોહા. 18:3-11 ) 47 ઈસુ હજુ તો બોલતા હતા તેવામાં એક ટોળું આવ્યું. બાર શિષ્યોમાંનો એક એટલે યહૂદા તેમનો આગેવાન હતો. તેણે પાસે આવીને ઈસુને ચુંબન કર્યું. 48 પણ ઈસુએ કહ્યું, “યહૂદા, શું તું માનવપુત્રને ચુંબન કરીને પકડાવી દે છે?” 49 જે થવાનું હતું તે જોઈને ઈસુની સાથેના શિષ્યોએ કહ્યું, “પ્રભુ, અમે અમારી તલવાર ચલાવીએ?” 50 અને એમાંના એકે તો મુખ્ય યજ્ઞકારના નોકર પર ઘા કર્યો અને તેનો જમણો કાન કાપી નાખ્યો. 51 પણ ઈસુએ કહ્યું, “બસ!” પછી તેમણે એ માણસના કાનને સ્પર્શ કરીને તેને સાજો કર્યો. 52 પછી ઈસુએ પોતાને પકડવા આવેલા મુખ્ય યજ્ઞકારો, મંદિરના સંરક્ષકોના અધિકારીઓ અને આગેવાનોને કહ્યું, “હું જાણે કે ચોરડાકુ હોઉં તેમ મને પકડવા માટે તમારે તલવારો અને લાકડીઓ લઈને કેમ આવવું પડયું? 53 હું રોજ મંદિરમાં તમારી સાથે હતો, પણ તમે મને પકડયો નહિ. પણ અત્યારે અંધકારનો અધિકાર જામ્યો છે, અને તમારે માટે કાર્ય કરવાનો સમય આવી પહોંચ્યો છે.” પિતરનો નકાર ( માથ. 26:57-58 , 69-75 ; માર્ક. 14:53-54 , 66-72 ; યોહા. 18:12-18 , 25-27 ) 54 તેઓ ઈસુની ધરપકડ કરીને તેમને મુખ્ય યજ્ઞકારને ઘેર લઈ ગયા. પિતર થોડે અંતરે રહી પાછળ પાછળ ગયો. 55 આંગણાની મધ્યમાં અગ્નિ પેટાવ્યો હતો અને ત્યાં તેની આસપાસ બેઠેલા લોકો સાથે પિતર પણ બેસી ગયો. 56 એક નોકરડીએ તેને તાપણે બેઠેલો જોયો, અને તેણે તેની સામે ધારીધારીને જોઈને કહ્યું, “આ માણસ પણ ઈસુની સાથે હતો.” 57 પણ પિતરે ઇન્કાર કરતાં કહ્યું, “બહેન, હું તો તેને ઓળખતો પણ નથી!” 58 થોડીવાર પછી એક માણસે તેને જોઈને કહ્યું, “તું પણ તેમનામાંનો જ છે!” પણ પિતરે ઇનકાર કરતાં કહ્યું, “ના, ભાઈ, ના! હું નથી!” 59 એકાદ કલાક પછી બીજા એક માણસે ભારપૂર્વક કહ્યું, “બેશક, આ માણસ તેની સાથે હતો; કારણ, તે પણ ગાલીલવાસી છે!” 60 પણ પિતરે જવાબ આપ્યો, “ભાઈ, હું તો તમે શું કહો છો તે પણ સમજી શક્તો નથી!” 61 તે બોલતો હતો એવામાં તરત જ કૂકડો બોલ્યો. પ્રભુએ પાછા ફરીને પિતર તરફ નજર ઠેરવી, એટલે પિતરને પ્રભુના શબ્દો સાંભર્યા કે, “આજે કૂકડો બોલ્યા પહેલાં તું ત્રણવાર કહીશ કે તું મને ઓળખતો નથી.” 62 પિતર બહાર જઈને હૈયાફાટ રડયો. ઈસુની ઠઠ્ઠામશ્કરી અને મારપીટ ( માથ. 26:67-68 ; માર્ક. 14:65 ) 63 ઈસુની ચોકી કરતા સૈનિકોએ તેમની મશ્કરી કરી અને તેમને માર માર્યો. 64 તેમણે તેમની આંખો ઉપર પાટો બાંધ્યો અને તેમને પૂછયું, “કહે જોઈએ, તને કોણે માર્યો?” 65 અને તેમણે ઈસુને બીજી ઘણી અપમાનજનક વાતો કહી. ન્યાયસભા સમક્ષ ઈસુ ( માથ. 26:59-66 ; માર્ક. 14:55-64 ; યોહા. 18:19-24 ) 66 સવાર થતાં જ યહૂદીઓના આગેવાનો, મુખ્ય યજ્ઞકારો, અને નિયમશાસ્ત્રના શિક્ષકો એકઠા થયા, અને તેમની વરિષ્ઠ સભા સમક્ષ ઈસુને લાવવામાં આવ્યા. 67 તેમણે પૂછયું, “શું તું મસીહ છે? જો હોય, તો અમને જણાવ.” તેમણે જવાબ આપ્યો, “જો હું તમને કહું તોપણ તમે મારું માનવાના નથી. 68 તેમ જ જો હું તમને પ્રશ્ર્ન પૂછું તો તેનો તમે જવાબ પણ આપવાના નથી. 69 પણ હવેથી માનવપુત્ર સર્વસમર્થ ઈશ્વરની જમણી બાજુએ બેસશે.” 70 બધાએ પૂછયું, “તો શું તું ઈશ્વરપુત્ર છે?” તેમણે તેમને જવાબ આપ્યો, “હું એ છું એવું તમે જ કહો છો.” 71 અને તેમણે કહ્યું, “આપણે કોઈ સાક્ષીઓની જરૂર નથી. આપણે પોતે જ તેના શબ્દો સાંભળ્યા છે!” |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide