લૂકની લખેલી સુવાર્તા 20 - પવિત્ર બાઇબલ C.L.ઈસુના અધિકારનો પ્રશ્ર્ન ( માથ. 21:23-27 ; માર્ક. 11:27-33 ) 1 એક દિવસે ઈસુ મંદિરમાં લોકોને શીખવતા હતા અને શુભસંદેશનો પ્રચાર કરતા હતા, ત્યારે મુખ્ય યજ્ઞકારો અને નિયમશાસ્ત્રના શિક્ષકો, આગેવાનો સહિત તેમની પાસે આવ્યા. 2 અને તેમણે કહ્યું, “કયા અધિકારથી તમે આ બધું કરો છો? તમને એ અધિકાર કોણે આપ્યો?” 3 ઈસુએ જવાબ આપ્યો, “હું પણ તમને એક પ્રશ્ર્ન પૂછીશ; કહો જોઈએ, 4 બાપ્તિસ્મા કરવાનો અધિકાર યોહાનને ઈશ્વર તરફથી મળ્યો હતો કે માણસો તરફથી?” 5 તેઓ અંદરોઅંદર ચર્ચા કરવા લાગ્યા. “આપણે કેવો જવાબ આપીએ? જો આપણે કહીએ, ‘ઈશ્વર તરફથી’ તો તે કહેશે, ‘તો પછી તમે યોહાનનું કેમ ન માન્યું?’ 6 પણ જો આપણે કહીએ, ‘માણસો તરફથી,’ તો આ આખું ટોળું આપણને પથ્થરે મારશે.” કારણ, યોહાન ઈશ્વરનો સંદેશવાહક હતો એવી લોકોને ખાતરી થઈ ચૂકી હતી. 7 તેથી તેમણે જવાબ આપ્યો, “તેને એ અધિકાર કોના તરફથી મળ્યો તેની અમને ખબર નથી.” 8 અને ઈસુએ તેમને કહ્યું, “ત્યારે હું પણ કયા અધિકારથી એ કાર્યો કરું છું તે તમને કહેવાનો નથી.” દ્રાક્ષવાડીના ખેડૂતોનું ઉદાહરણ ( માથ. 21:33-46 ; માર્ક. 12:1-12 ) 9 ઈસુએ લોકોને આ ઉદાહરણ કહી સંભળાવ્યું: “એક માણસે દ્રાક્ષવાડી બનાવી, ખેડૂતોને ભાગે આપી અને પછી લાંબા સમય માટે દૂર દેશમાં જતો રહ્યો. 10 દ્રાક્ષ ઉતારવાનો સમય આવ્યો એટલે તેણે કમાણીનો પોતાનો હિસ્સો મેળવવા માટે એક નોકરને પેલા ખેડૂતો પાસે મોકલ્યો. પણ ખેડૂતોએ નોકરને માર્યો અને ખાલી હાથે પાછો મોકલ્યો. 11 તેથી તેણે બીજા એક નોકરને મોકલ્યો; પણ ખેડૂતોએ તેને પણ માર્યો અને અપમાન કરીને ખાલી હાથે પાછો મોકલ્યો. 12 પછી તેણે ત્રીજા નોકરને મોકલ્યો; ખેડૂતોએ તેને પણ ઘાયલ કર્યો અને બહાર ફેંકી દીધો. 13 પછી દ્રાક્ષવાડીના માલિકે કહ્યું, ‘હવે શું કરવું? હું મારા પોતાના પ્રિય પુત્રને મોકલીશ; 14 તેઓ તેનું માન તો જરૂર રાખશે!’ પણ ખેડૂતોએ તેને જોઈને એકબીજાને કહ્યું, ‘આ તો માલિકનો પુત્ર છે. ચાલો, તેને મારી નાખીએ, એટલે બધી મિલક્ત આપણી થઈ જાય!’ 15 તેથી તેમણે તેને દ્રાક્ષવાડીની બહાર ફેંકી દીધો અને મારી નાખ્યો.” ઈસુએ પૂછયું, “તો પછી દ્રાક્ષવાડીનો માલિક ઇજારદારોને શું કરશે! 16 તે આવીને એ માણસોને મારી નાખશે, અને દ્રાક્ષવાડી બીજા ખેડૂતોને સોંપશે.” લોકોએ એ સાંભળીને કહ્યું, “એવું તો ન થવું જોઈએ.” 17 ઈસુએ તેમની તરફ તાકીને પૂછયું, “તો પછી આ શાસ્ત્રવચનનો શો અર્થ થાય છે? ‘બાંધક્મ કરનારાઓએ જે પથ્થરને નકામો ગણીને ફેંકી દીધો હતો તે જ મથાળાની આધારશિલા બન્યો છે. 18 જે કોઈ તે પથ્થર પર પડશે તેના ટુકડેટુકડા થઈ જશે; અને એ પથ્થર જો કોઈની ઉપર પડે, તો પથ્થર તેમનો ભૂકો કરી નાખશે.” કરવેરા ભરી દો ( માથ. 22:15-22 ; માર્ક. 12:13-17 ) 19 નિયમશાસ્ત્રના શિક્ષકો અને મુખ્ય યજ્ઞકારોને ખબર પડી ગઈ કે ઈસુએ એ ઉદાહરણ તેમની વિરુદ્ધમાં કહ્યું હતું. તેથી તેમણે તે જ સ્થળે ઈસુની ધરપકડ કરવાનો પ્રયત્ન કર્યો; પણ તેઓ લોકોથી ડરતા હતા. 20 તેથી તેઓ લાગ શોધતા હતા અને ઈસુને તેમના શબ્દોમાં પકડી પાડીને રાજ્યપાલને સોંપી દેવાના ઇરાદાથી તેમણે નિખાલસ હોવાનો ઢોંગ કરતા કેટલાક જાસૂસોને મોકલી આપ્યા. 21 આ જાસૂસોએ ઈસુને કહ્યું, “ગુરુજી, અમે જાણીએ છીએ કે તમે જે કહો છો અને શીખવો છો તે સાચું હોય છે. અમે જાણીએ છીએ કે તમે પક્ષપાત રાખ્યા વગર માણસ માટેની ઈશ્વરની ઇચ્છાનું સત્ય શીખવો છો. 22 આપણે પરદેશી રોમન સમ્રાટને કરવેરા ભરવા તે યોગ્ય છે કે નહિ?” 23 પણ ઈસુ તેમની ચાલાકી સમજી ગયા, અને તેમને કહ્યું, “મને ચાંદીનો એક સિક્કો બતાવો. 24 એના પર કોની છાપ અને કોનું નામ છે?” તેમણે જવાબ આપ્યો, “પરદેશી રોમન સમ્રાટનાં.” 25 તેથી ઈસુએ કહ્યું, “તો પછી જે રોમન સમ્રાટનું હોય તે રોમન સમ્રાટને અને જે ઈશ્વરનું હોય તે ઈશ્વરને ભરી દો.” 26 લોકો સમક્ષ તેઓ તેમને એક પણ બાબતમાં પકડી શક્યા નહિ. તેઓ ઈસુના જવાબથી અવાકા બની ગયા. મરણમાંથી સજીવન થવા અંગેનો પ્રશ્ર્ન ( માથ. 22:23-33 ; માર્ક. 12:18-27 ) 27 કેટલાક સાદૂકીપંથીઓ ઈસુ પાસે આવ્યા. તેઓ એવું માનતા હતા કે લોકો મરણમાંથી સજીવન થવાના નથી. 28 તેમણે તેમને પૂછયું, “ગુરુજી, આપણે માટે મોશેએ આવો નિયમ લખેલો છે: ‘જો કોઈ માણસ મરી જાય અને તેની પત્ની હોય, પણ બાળકો ન હોય, તો એ માણસના ભાઈએ એ વિધવાની સાથે લગ્ન કરવું; જેથી મરી ગયેલા માણસનો વંશવેલો ચાલુ રહે.’ 29 એકવાર સાત ભાઈઓ હતા; સૌથી મોટા ભાઈનું લગ્ન થયું અને તે નિ:સંતાન મરી ગયો. પછી બીજા ભાઈએ તે સ્ત્રી સાથે લગ્ન કર્યું. 30 અને પછી ત્રીજાએ પણ. 31 સાતેયના સંબંધમાં એવું જ બન્યું એટલે તેઓ બધા નિ:સંતાન મરી ગયા. 32 છેલ્લે, એ સ્ત્રી પણ મરી ગઈ. 33 હવે, મરી ગયેલાંઓના સજીવન થવાના દિવસે તે કોની પત્ની થશે? કારણ, તે સાતેય જણની પત્ની થઈ હતી!” 34 ઈસુએ તેમને જવાબ આપ્યો, “આ યુગનાં સ્ત્રીપુરુષો લગ્ન કરે છે. 35 મરી ગયેલાંઓમાંથી સજીવન થઈને આવનાર યુગમાં જીવનારાં સ્ત્રીપુરુષો લગ્ન કરશે નહિ. 36 તેઓ તો દૂતો જેવાં છે અને ફરીથી મરનાર નથી. મરણમાંથી સજીવન થતાં હોવાથી તેઓ ઈશ્વરનાં સંતાન છે. 37 અને મોશે પણ સ્પષ્ટ સાબિત કરે છે કે મૂએલાંઓને સજીવન કરવામાં આવે છે. બળતા ઝાડવાના પ્રસંગવાળા શાસ્ત્રભાગમાં ઈશ્વરને અબ્રાહામના ઈશ્વર, ઇસ્હાકના ઈશ્વર અને યાકોબના ઈશ્વર તરીકે સંબોધન કરેલું છે. 38 આનો અર્થ એ છે કે, ઈશ્વર કંઈ મરેલાંઓના ઈશ્વર નથી, પણ જીવતાંઓના ઈશ્વર છે; કારણ, તેમને માટે તો બધા જીવતાં જ છે.” 39 નિયમશાસ્ત્રના કેટલાક શિક્ષકો બોલી ઊઠયા, “ગુરુજી, ખરો જવાબ આપ્યો!” 40 કારણ, ત્યાર પછી તેમને વધુ પ્રશ્ર્નો પૂછવાની તેમની હિંમત ચાલી નહિ. મસીહ વિષે પ્રશ્ર્ન ( માથ. 22:41-46 ; માર્ક. 12:35-37 ) 41 ઈસુએ તેમને કહ્યું, “મસીહ દાવિદનો પુત્ર છે એવું કેવી રીતે બની શકે? 42 કારણ, દાવિદ પોતે ગીતશાસ્ત્રના પુસ્તકમાં કહે છે, ‘પ્રભુએ મારા પ્રભુને કહ્યું, 43 તારા શત્રુઓને તારા પગ નીચે આસનરૂપ કરી દઉં ત્યાં સુધી તું મારે જમણે હાથે બેસ.’ 44 આમ, દાવિદ પોતે તેને ‘પ્રભુ’ કહે છે, તો પછી મસીહ દાવિદનો પુત્ર કેવી રીતે હોઈ શકે?” ચેતવણીનો સૂર ( માથ. 23:1-36 ; માર્ક. 12:38-40 ) 45 બધા લોકો ઈસુને સાંભળતા હતા ત્યારે તેમણે પોતાના શિષ્યોને કહ્યું, 46 “નિયમશાસ્ત્રના શિક્ષકોથી સાવધ રહો; તેમને લાંબા ઝભ્ભા પહેરી ફરવાનું ગમે છે અને જાહેરસ્થાનોનાં વંદન ઝીલવાનું ગમે છે; તેઓ ભજનસ્થાનોમાં શ્રેષ્ઠ બેઠકો અને ભોજન સમારંભોમાં અગત્યનાં સ્થાનો પસંદ કરે છે; 47 તેઓ વિધવાઓનાં ઘર લૂંટે છે, અને પછી ઢોંગ કરીને લાંબી લાંબી પ્રાર્થનાઓ કરે છે! તેમને વધારેમાં વધારે સજા થશે.” |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide