લૂકની લખેલી સુવાર્તા 1 - પવિત્ર બાઇબલ C.L.પ્રસ્તાવના 1-4 માનનીય થિયોફિલ: આપણી મયે બનેલા બનાવોનું વૃત્તાંત તૈયાર કરવાનું ઘણાએ હાથમાં લીધું છે. તે કાર્ય તો શરૂઆતથી નજરે જોનાર સાક્ષીઓ અને ઈશ્વરીય સંદેશના સેવકોએ કહેલી અને પરંપરાગત વાતો પર આધારિત છે. મેં પણ થોડા સમયથી એ બનાવોનું ખૂબ જ ચોક્સાઈથી સંશોધન કર્યું છે. એટલે આપને માટે, આપ શીખ્યા છો એ બાબતો પ્રમાણભૂત હોવાની આપને ખાતરી થાય એટલા માટે, એનું વ્યવસ્થિત વૃત્તાંત લખવાનું મને યોગ્ય લાગ્યું છે. બાપ્તિસ્મા કરનાર યોહાનના જન્મની જાહેરાત 5 હેરોદ યહૂદિયા પ્રદેશનો રાજા હતો તે વખતે ઝખાર્યા નામે એક યજ્ઞકાર હતો; તે યજ્ઞકારોના અબિયા નામના વર્ગમાંનો હતો. તેની પત્નીનું નામ એલીસાબેત હતું; તે પણ આરોનવંશની હતી. 6 તેઓ બન્ને ઈશ્વરપરાયણ જીવન જીવતાં હતાં અને તેમની બધી આજ્ઞાઓ તથા નીતિનિયમો પાળતાં હતાં. 7 તેઓ નિ:સંતાન હતાં; કારણ, એલીસાબેત વંધ્યા હતી, અને તે તથા ઝખાર્યા બન્ને ઘણી મોટી ઉંમરનાં હતાં. 8 એક દિવસ રોજિંદી સેવામાં પોતાના વર્ગના વારા પ્રમાણે ઝખાર્યા ઈશ્વર સમક્ષ યજ્ઞકાર તરીકેનું સેવાકાર્ય બજાવતો હતો. 9 યજ્ઞકારોના રિવાજ પ્રમાણે વેદી પર ધૂપ બાળવા માટે ચિઠ્ઠી નાખતાં તેની પસંદગી કરવામાં આવી હતી. 10 તેથી તે ઈશ્વરના મંદિરમાં ગયો. ધૂપ બાળવાના સમય દરમ્યાન જનસમુદાય બહાર પ્રાર્થના કરતો હતો. 11 ત્યાં ધૂપવેદીની જમણી તરફ તેણે પ્રભુના એક દૂતને ઊભેલો જોયો. 12 ઝખાર્યા તેને જોઈને ચોંકી ઊઠયો અને ગભરાઈ ગયો. 13 પણ દૂતે તેને કહ્યું, “ઝખાર્યા, ગભરાઈશ નહિ, ઈશ્વરે તારી પ્રાર્થના સાંભળી છે, અને તારી પત્ની એલીસાબેતને પુત્ર થશે. તારે તેનું નામ યોહાન પાડવું. 14 તને પુષ્કળ આનંદ તથા હર્ષ થશે. બીજા ઘણા લોકો પણ તેના જન્મથી આનંદ પામશે. 15 ઈશ્વરની દૃષ્ટિમાં તે મહાન વ્યક્તિ બનશે. તે કોઈ પણ પ્રકારનો દ્રાક્ષાસવ કે જલદ પીણું પીશે નહિ. હજુ તો તે પોતાની માના ગર્ભમાં હશે, ત્યારથી જ તે પવિત્ર આત્માથી ભરપૂર થશે. 16 તે ઘણા ઇઝરાયલીઓને પ્રભુ તરફ પાછા ફેરવશે. 17 તે સંદેશવાહક એલિયાના જેવા જુસ્સામાં અને સામર્થ્યમાં પ્રભુની આગળ જશે. તે પિતાઓનાં મન પુત્રો તરફ વાળશે, બંડખોરોને ઈશ્વરના માર્ગ તરફ વાળશે અને ઈશ્વરને માટે બધી રીતે લાયક એવી એક પ્રજાને તૈયાર કરશે.” 18 ઝખાર્યાએ દૂતને પૂછયું, “એવું થશે એ હું શી રીતે જાણી શકું? હું વૃદ્ધ થયો છું, અને મારી પત્નીની ઉંમર પણ વધારે છે.” 19 દૂતે જવાબ આપ્યો, “હું ગાબ્રીએલ છું. હું ઈશ્વરની સમક્ષ ઊભો રહું છું, અને તેમણે મને તારી સાથે વાત કરવા તેમજ આ ખુશખબર જણાવવા મોકલ્યો છે. 20 મારો સંદેશો તો ઠરાવેલે સમયે સાચો પડશે, પણ તેં તે પર વિશ્વાસ કર્યો નથી, અને તેથી તું બોલી શકશે નહિ; મારો સંદેશ સાચો ઠરે તે દિવસ લગી તું મૂંગો રહેશે.” 21 આ સમય દરમિયાન લોકો ઝખાર્યાની રાહ જોતા હતા, અને તે આટલો લાંબો સમય મંદિરમાં કેમ રોક્યો તેની તેમને નવાઈ લાગતી હતી. 22 બહાર આવીને તે લોકોની સાથે કંઈ બોલી શક્યો નહિ; તેથી તેમને ખબર પડી કે તેને મંદિરમાં કંઈક દર્શન થયું છે. કારણ, તેણે પોતાના હાથથી તેમને ઈશારા કર્યા. 23 મંદિરમાં તે સેવા કરવાના તેના દિવસો પૂરા થયા એટલે ઝખાર્યા પોતાને ઘેર પાછો ગયો. 24 થોડા સમય પછી તેની પત્ની એલીસાબેત ગર્ભવતી થઈ, અને પાંચ માસ સુધી તે પોતાનું ઘર છોડી બહાર ગઈ નહિ. 25 તેણે કહ્યું, “આખરે ઈશ્વરે મને મદદ કરી છે. તેમણે મારું વંધ્યા હોવાનું મહેણું ટાળ્યું છે!” ઈસુના જન્મની જાહેરાત 26 એલીસાબેતને છઠ્ઠો મહિનો જતો હતો, ત્યારે ઈશ્વરે ગાલીલ પ્રાંતના નાઝારેથ નામે એક ગામમાં ગાબ્રીએલ દૂતને એક કુંવારી કન્યા પાસે સંદેશો લઈને મોકલ્યો. 27 તે કન્યાની સગાઈ દાવિદ રાજાના વંશના યોસેફ નામના માણસ સાથે કરવામાં આવી હતી. તેનું નામ મિર્યામ હતું. 28 દૂતે તેની પાસે આવીને કહ્યું, “તને શાંતિ હો! ઈશ્વર તારી સાથે છે. અને તેમણે તને ઘણી જ આશિષ આપી છે!” 29 દૂતની વાત સાંભળીને મિર્યામ ઘણી ગભરાઈ ગઈ, અને વિચારવા લાગી કે આનો અર્થ શો! 30 દૂતે તેને કહ્યું, “મિર્યામ, ગભરાઈશ નહિ; 31 કારણ, ઈશ્વર તારા પ્રત્યે દયાળુ છે. તું ગર્ભવતી થશે અને પુત્રને જન્મ આપશે, અને તું તેનું નામ ઈસુ પાડશે. 32 તે મહાન થશે અને સર્વોચ્ચ ઈશ્વરનો પુત્ર કહેવાશે. પ્રભુ પરમેશ્વર તેને તેના પૂર્વજ દાવિદની જેમ રાજા બનાવશે. 33 અને તે યાકોબના વંશજોનો સાર્વકાલિક રાજા બનશે; તેના રાજ્યનો કદી પણ અંત આવશે નહિ!” 34 મિર્યામે દૂતને કહ્યું, “હું તો કુંવારી છું, તો પછી એમ કેવી રીતે બને?” 35 દૂતે જવાબ આપ્યો, “પવિત્ર આત્મા તારા પર આવશે, અને સર્વોચ્ચ ઈશ્વરનું પરાક્રમ તારા પર ઊતરશે. આ જ કારણને લીધે એ પવિત્ર બાળક ઈશ્વરપુત્ર કહેવાશે. 36 જો, તારી સગી એલીસાબેત, જે વંધ્યા અને વૃદ્ધ છે તેને પણ અત્યારે છઠ્ઠો મહિનો જાય છે. 37 કારણ, ઈશ્વર માટે કશું જ અશક્ય નથી!” 38 મિર્યામે કહ્યું, “હું તો ઈશ્વરની સેવિકા છું, તમારા કહ્યા પ્રમાણે મને થાઓ.” પછી દૂત તેની પાસેથી જતો રહ્યો. મિર્યામ અને એલીસાબેતની મુલાકાત 39 થોડા સમય પછી મિર્યામ તૈયાર થઈને યહૂદિયાના પહાડી પ્રદેશના એક ગામમાં જવા ઉતાવળે ચાલી નીકળી. 40 ઝખાર્યાના ઘરમાં પ્રવેશતાં જ તેણે એલીસાબેતને શુભેચ્છા પાઠવી. 41 એલીસાબેતે મિર્યામની શુભેચ્છા સાંભળી કે તરત જ બાળક તેના પેટમાં કૂદયું. એલીસાબેતે પવિત્ર આત્માથી ભરપૂર થઈને મોટે સાદે કહ્યું, 42 “સૌ સ્ત્રીઓમાં તને ધન્ય છે, અને જે બાળકને તું જન્મ આપશે તેને પણ ધન્ય છે. 43 મારા પ્રભુની માતા મને મળવા આવે એ મારે માટે કેવી મહાન બાબત છે! 44 કારણ, મેં શુભેચ્છા સાંભળી કે તરત જ મારા પેટમાંનું બાળક આનંદથી કૂદ્યું. 45 ઈશ્વર તરફથી તને મળેલો સંદેશો સાચો ઠરશે એવા તારા વિશ્વાસને લીધે તને ધન્ય છે!” મિર્યામનું સ્તુતિગાન 46 મિર્યામે કહ્યું, “મારું હૃદય ઈશ્વરની પ્રશંસા કરે છે; 47 ઈશ્વર મારા તારનારને લીધે મારો આત્મા આનંદ કરે છે. 48 કારણ, તેમણે તેમની આ દીન સેવિકાને સંભારી છે! 49 હવે બધી પેઢીના લોકો મને ધન્ય કહેશે, કારણ, પરાક્રમી ઈશ્વરે મારે માટે મહાન કાર્યો કર્યાં છે. તેમનું નામ પવિત્ર છે; 50 જેઓ તેમની બીક રાખે છે તેમના પર તેઓ પેઢી દરપેઢી સુધી દયા દર્શાવે છે. 51 પોતાનો સામર્થ્યવાન હાથ લંબાવીને તે ગર્વિષ્ઠોની યોજનાઓને છિન્નભિન્ન કરી નાખે છે. 52 તેમણે પરાક્રમી રાજાઓને રાજ્યાસન પરથી ઉતારી પાડયા છે; અને જુલમપીડિતોને ઊંચા કર્યા છે. 53 તેમણે ભૂખ્યાઓને સારાં વાનાંથી સભર કર્યા છે, અને શ્રીમંતોને ખાલી હાથે પાછા કાઢયા છે. 54 આપણા પૂર્વજોને આપેલું વચન તેમણે પાળ્યું છે, અને પોતાના સેવક ઇઝરાયલની મદદે આવ્યા છે. 55 અબ્રાહામ અને તેના વંશજો પ્રત્યે હંમેશા દયા દર્શાવવાનું તેમણે યાદ રાખ્યું છે!” 56 મિર્યામ એલીસાબેત સાથે લગભગ ત્રણ મહિના રહી, અને પછી પોતાને ઘેર પાછી ફરી. બાપ્તિસ્મા કરનાર યોહાનનો જન્મ 57 એલીસાબેતનો પ્રસૂતિકાળ નજીક આવ્યો, અને તેને પુત્ર જન્મ્યો. 58 તેનાં પડોશીઓ તથા સગાસંબંધીઓએ સાંભળ્યું કે ઈશ્વરે તેના પ્રત્યે મહાન દયા દર્શાવી છે, અને તેઓ બધાં તેની સાથે હર્ષ પામ્યાં. 59 આઠમે દિવસે તેઓ છોકરાની સુન્નત કરાવવા આવ્યાં. તેઓ તેનું નામ તેના પિતાના નામ પરથી ઝખાર્યા પાડવાના હતા, 60 પણ તેની માએ કહ્યું, “ના, એનું નામ તો યોહાન પાડવાનું છે!” 61 તેમણે તેને કહ્યું, “પણ તારાં સગાંવહાલામાં એવું નામ તો કોઈનું નથી!” 62 પછી તેમણે તેના પિતાને ઈશારો કરીને પૂછયું, “તમારે તેનું નામ શું રાખવું છે?” 63 ઝખાર્યાએ લેખનપાટી મંગાવીને તે પર લખ્યું, “તેનું નામ યોહાન છે.” તેઓ બધા અચંબો પામ્યા. 64 ઝખાર્યા તરત જ ફરીથી બોલતો થયો અને ઈશ્વરની સ્તુતિ કરવા લાગ્યો. 65 બધા પડોશીઓ ગભરાઈ ગયા, અને યહૂદિયાના આખા પહાડી પ્રદેશમાં આ સમાચાર ફેલાઈ ગયા. 66 જેમણે સાંભળ્યું તેઓ વિચારમાં પડી ગયા અને પૂછવા લાગ્યા, “આ છોકરો કેવો બનશે?” કારણ, તેની સાથે ઈશ્વરનું સામર્થ્ય હતું. ઝખાર્યાનું સ્તુતિગાન 67 યોહાનના પિતા ઝખાર્યાએ પવિત્ર આત્માથી ભરપૂર થઈને ઈશ્વરનો સંદેશો કહ્યો, 68 “ઇઝરાયલના ઈશ્વર પ્રભુની સ્તુતિ થાઓ! કારણ, તેમણે પોતાના લોકોની મદદે આવીને તેમનો ઉદ્ધાર કર્યો છે. 69 તેમણે આપણે માટે સમર્થ ઉદ્ધારક ઊભો કર્યો છે; તે તો તેમના સેવક દાવિદના વંશજ છે. 70 આ વાત તો તેમણે પોતાના પવિત્ર સંદેશવાહકો દ્વારા પ્રાચીનકાળથી જણાવી હતી. 71 તેમણે આપણને આપણા દુશ્મનોથી અને આપણને ધિક્કારનાર સર્વની સત્તા નીચેથી બચાવવાનું વચન આપ્યું હતું. 72 આપણા પૂર્વજો પ્રત્યે દયા દર્શાવવાનું અને પોતાનો પવિત્ર કરાર પોતે યાદ રાખશે એમ તેમણે કહ્યું હતું. 73 એ માટે આપણા પૂર્વજ અબ્રાહામ આગળ સમ ખાઈને વચન પણ આપ્યું હતું; 74 જેથી આપણા સમગ્ર જીવન દરમ્યાન આપણે તેમની સમક્ષ પવિત્ર અને સદાચારી રહીએ, 75 અને નિર્ભયપણે તેમની સેવા કરીએ. 76 “મારા પુત્ર, તું તો સર્વોચ્ચ ઈશ્વરનો સંદેશવાહક કહેવાશે. 77 પ્રભુની આગળ જઈને તું તેમને માટે માર્ગ તૈયાર કરશે. તેમજ તેમના લોકોને તેમનાં પાપોની ક્ષમા મળવાથી થનાર બચાવ વિષે તું કહેશે. 78 “આપણા ઈશ્વર દયાળુ તથા મમતાળુ છે. આપણા ઉપર તે ઉદ્ધારનું તેજસ્વી પ્રભાત પ્રગટાવશે. 79 મૃત્યુની ઘેરી છાયા હેઠળ વસનારાઓ પર પ્રકાશ પાડશે, અને આપણા પગને તે શાંતિને માર્ગે દોરી જશે.” 80 છોકરો મોટો થયો અને આત્મામાં વૃદ્ધિ પામ્યો. ઇઝરાયલ પ્રજા સમક્ષ જાહેર થવાના દિવસ સુધી તે વેરાન પ્રદેશમાં રહ્યો. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide