લેવીય 9 - પવિત્ર બાઇબલ C.L.આરોન બલિ ચડાવે છે 1 પદપ્રતિષ્ઠાવિધિ પૂર્ણ થયો ત્યાર પછી એટલે આઠમે દિવસે મોશેએ આરોન, તેના પુત્રો અને ઇઝરાયલના આગેવાનોને બોલાવ્યા. 2 તેણે આરોનને કહ્યું, “તું ખોડખાંપણ વગરના એક વાછરડાનું પ્રાયશ્ર્વિતબલિ તરીકે અને ખોડખાંપણ વગરના એક ઘેટાનું દહનબલિ તરીકે પ્રભુને બલિદાન કર. 3 ત્યાર પછી તું ઇઝરાયલી લોકોને પ્રાયશ્ર્વિતબલિ તરીકે એક બકરો અને દહનબલિ તરીકે ખોડખાંપણ વગરનો એક વર્ષનો વાછરડો અને તેવું જ એક ઘેટાનું બચ્ચું; 4 તથા સંગતબલિ તરીકે એક આખલો અને ઘેટો પ્રભુને ચડાવવાનું કહે. તેમણે આ બલિદાનને તેલથી મોયેલા ધાન્ય અર્પણ સાથે પ્રભુને ચડાવવાનાં છે. કારણ, પ્રભુ આજે તેમને દર્શન દેવાના છે.” 5 તેઓ એ બધું મોશેની આજ્ઞા પ્રમાણે મુલાકાતમંડપના પ્રવેશદ્વાર પાસે લાવ્યા. પ્રભુનું ભજન કરવા માટે સમગ્ર ઇઝરાયલી સમાજ ત્યાં એકત્ર થયો. 6 મોશેએ કહ્યું, “પ્રભુએ તમને આ બધું કરવાની આજ્ઞા આપેલી છે; એ માટે કે તમને પ્રભુના ગૌરવનાં દર્શન થાય.” 7 ત્યાર પછી તેણે આરોનને કહ્યું, “યજ્ઞવેદી પાસે જા અને તારા તથા લોકોનાં પાપને માટે પ્રભુને પ્રાયશ્ર્વિત બલિ અને દહનબલિ ચડાવ અને લોકોનાં પાપના નિવારણ માટે પ્રભુની આજ્ઞા પ્રમાણે આ યજ્ઞ કર.” 8 આરોન યજ્ઞવેદી પાસે ગયો અને પોતાના પ્રાયશ્ર્વિતબલિ તરીકે વાછરડાનો બલિ ચડાવ્યો. 9 તેના પુત્રો તેની પાસે તેમાંથી રક્ત લાવ્યા. તેણે પોતાની આંગળી બોળીને થોડું રક્ત યજ્ઞવેદીનાં શિંગ પર લગાડયું; બાકીનું રક્ત તેણે વેદીના પાયામાં રેડી દીધું. 10 ત્યાર પછી પ્રભુની આજ્ઞા પ્રમાણે તેણે પ્રાયશ્ર્વિતબલિની બધી ચરબી, મૂત્રપિંડો અને કલેજાના ચરબીયુક્ત ભાગનું યજ્ઞવેદી પર દહન કર્યું. 11 પણ તેણે માંસ તથા ચામડું છાવણી બહાર લઈ જઈને અગ્નિમાં બાળી નાખ્યાં. 12 પછી તેણે પોતાના દહનબલિ માટેનું પ્રાણી પ્રભુને ચડાવ્યું. તેના પુત્રો તેની પાસે તેમાંથી રક્ત લાવ્યા. તેણે તે રક્ત યજ્ઞવેદીની ચારે બાજુએ છાંટયું. 13 તેમણે તેને પ્રાણીનું માથું અને દહનબલિના ટુકડાઓ આપ્યાં અને તેણે તેમનું યજ્ઞવેદી પર દહન કર્યું. 14 ત્યાર પછી તેણે આંતરડાં અને પાછલા પગ ધોઈ નાખ્યા અને દહનબલિની ઉપર મૂકીને તેમનું દહન કર્યું. 15 ત્યાર પછી તેણે લોકોને માટે બલિદાન ચડાવ્યું. તેણે લોકોનાં પાપ માટેનો બકરો લીધો, તેને કાપ્યો અને તેણે પોતાના પ્રાયશ્ર્વિતબલિનું કર્યું હતું તે જ પ્રમાણે આ પ્રાયશ્ર્વિતબલિ પણ ચડાવ્યો. 16 પછી તેણે વિધિના નિયમો પ્રમાણે દહનબલિ પણ ચડાવ્યો. 17 પછી તેણે ધાન્યઅર્પણ ચડાવ્યું. મુઠીભર લોટ લઈને તેણે તેનું યજ્ઞવેદી પર દહન કર્યું. (આ અર્પણ તો દરરોજના દહનબલિ ઉપરાંતનું હતું.) 18 લોકો માટેના સંગતબલિ તરીકે તેણે આખલા અને ઘેટાનો બલિ ચડાવ્યો. તેના પુત્રો તેની પાસે તેમાંથી રક્ત લાવ્યા અને તેણે તે વેદીની ચારે બાજુએ છાંટયું. 19 પછી આખલા અને ઘેટાનાં પૂંછ, આંતરડાં અને કલેજા પરની બધી ચરબી લીધી. 20 તેઓ તે બધી ચરબી તે પ્રાણીઓના છાતીના ભાગ ઉપર મૂકીને યજ્ઞવેદીએ લઈ ગયા. ચરબીનું તેણે યજ્ઞવેદી પર દહન કર્યું, 21 અને પ્રભુની આજ્ઞા પ્રમાણે પ્રાણીઓની છાતીના ભાગ અને જમણા પગ યજ્ઞકારોને પ્રભુ તરફથી ખાસ ભેટ તરીકે આપ્યા. 22 આ બધા પ્રાયશ્ર્વિતબલિ, દહનબલિ અને સંગતબલિ ચડાવ્યા પછી આરોને પોતાના હાથ ઊંચા કરીને લોકોને આશિષ આપી. પછી તે નીચે ઊતરી આવ્યો. 23 ત્યાર પછી મોશે અને આરોન મુલાકાતમંડપમાં ગયા. પછી બહાર આવીને તેમણે લોકોને આશિષ આપી અને બધા લોકોને પ્રભુનાં ગૌરવનાં દર્શન થયાં. 24 એકાએક પ્રભુનો અગ્નિ પ્રગટયો અને યજ્ઞવેદી પરનાં દહનબલિ અને બધી ચરબીને ભસ્મ કરી નાખ્યાં. આ બધું જોઈને લોકોએ હર્ષનાદ કર્યો અને ભૂમિ પર શિર ટેકવીને પ્રભુનું ભજન કર્યું. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide