લેવીય 4 - પવિત્ર બાઇબલ C.L.અજાણે કરેલા પાપ માટે પ્રાયશ્ર્વિત્તબલિ 1 પ્રભુએ મોશેને આજ્ઞા આપી: 2 “તું ઇઝરાયલીઓને કહે: જો કોઈ માણસ અજાણતાં પ્રભુની આજ્ઞા તોડી પાપમાં પડે તો તેણે નીચેના નિયમોનું પાલન કરવું. 3 “જો પ્રમુખ યજ્ઞકાર પાપ કરે અને લોકો પર દોષ લાવે તો તેણે પ્રાયશ્ર્વિતબલિ તરીકે ખોડખાંપણ વગરનો આખલો પ્રભુને ચડાવવો. 4 તે તેને મુલાકાતમંડપના પ્રવેશદ્વાર પાસે લાવે, પોતાનો હાથ તેના માથા ઉપર મૂકે અને પ્રભુની સમક્ષ તે કાપે. 5 ત્યાર પછી પ્રમુખ યજ્ઞકાર તેમાંથી થોડુંક રક્ત લઈ મુલાકાતમંડપમાં જાય. 6 તેણે લોહીમાં આંગળી બોળી પવિત્રસ્થાનના પડદાની સામે સાતવાર છાંટવું. 7 ત્યાર પછી તેણે થોડું રક્ત મુલાકાતમંડપની અંદર પ્રભુ સમક્ષ ધૂપવેદીનાં શિંગ પર લગાવવું અને બાકીનું રક્ત મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ આહુતિની યજ્ઞવેદીના પાયામાં રેડી દેવું. 8 પ્રાયશ્ર્વિતબલિના આખલાની બધી ચરબી તેણે અલગ કાઢી લેવી, એટલે આંતરડાં ઉપરની અને તેની આજુબાજુની બધી ચરબી. 9 બન્ને મૂત્રપિંડો અને તેમના ઉપરની બધી ચરબી અને કલેજાનો ચરબીયુક્ત ભાગ કાઢી લેવો. 10 ત્યાર પછી યજ્ઞકારે સંગતબલિમાં ચડાવેલા પ્રાણીની ચરબીની જેમ જ એ બધી ચરબીનું આહુતિની યજ્ઞવેદી પર દહન કરવું. 11 પણ તેણે તે આખલાનું ચામડું, તેનું બધું માંસ, માથું, પગ, આંતરડાં અને છાણ 12 એ બધું છાવણીની બહાર જ્યાં રાખ નાખવામાં આવે છે ત્યાં સ્વચ્છ જગ્યાએ લઈ જવું અને લાકડાં સળગાવી બાળી મૂકવું. 13 “જો ઇઝરાયલનો સમગ્ર સમાજ અજાણતાં પાપ કરે અને પ્રભુની આજ્ઞા તોડી દોષ લાવે, 14 તો તેની જાણ થતાં જ સમાજે પ્રાયશ્ર્વિતબલિ તરીકે ખોડખાંપણ વગરનો યુવાન આખલો ચડાવવો. તે આખલાને મુલાકાતમંડપની આગળ લાવવો. 15 સમાજના આગેવાનોએ તેના માથા ઉપર પોતાનો હાથ મૂકવો અને પ્રભુ સમક્ષ તેને કાપવો. 16 ત્યારપછી પ્રમુખ યજ્ઞકારે તેનું થોડું રક્ત મુલાકાતમંડપમાં લઈ જવું. 17 તેણે તે રક્તમાં આંગળી બોળી પ્રભુ સમક્ષ પડદા ઉપર સાતવાર છાંટવું. 18 ત્યારપછી તેણે થોડું રક્ત મુલાકાતમંડપની અંદર પ્રભુ સમક્ષ ધૂપવેદીનાં શિંગ પર લગાડવું અને બાકીનું બધું રક્ત મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ આહુતિની યજ્ઞવેદીના પાયામાં રેડી દેવું. 19 ત્યારપછી તેણે પ્રાયશ્ર્વિતબલિના આખલાની બધી ચરબી જુદી કાઢી લઇ વેદી પર તેનું દહન કરવું. 20 તેણે પ્રાયશ્ર્વિતના આખલાની માફક જ એ આખલાનું પણ કરવું અને એ રીતે યજ્ઞકાર લોકોનાં પાપને માટે પ્રાયશ્ર્વિત કરશે, એટલે તે તેમને માફ કરવામાં આવશે. 21 ત્યાર પછી પોતાનાં પાપને માટે ચડાવેલા આખલાનું યજ્ઞકારે જેમ કર્યું હતું તેમ તેણે આ આખલાને પણ છાવણી બહાર લઈ જઇ બાળી મૂકવો. સમાજનાં પાપ દૂર કરવાને માટેનો આ પ્રાયશ્ર્વિતબલિ છે. 22 “જો કોઈ આગેવાન અજાણતાં પાપ કરે અને પ્રભુની આજ્ઞા તોડી દોષ લાવે, 23 તો તેની તેને જાણ થતાં જ તેણે ખોડખાંપણ વગરનો બકરો લાવવો. 24 બકરાના માથા પર તેણે પોતાનો હાથ મૂકવો અને પ્રભુ સમક્ષ યજ્ઞવેદીની ઉત્તર બાજુએ જ્યાં દહનબલિ કપાય છે ત્યાં તેને કાપવો. પાપ દૂર કરવા માટેનો આ પ્રાયશ્ર્વિતબલિ છે. 25 ત્યાર પછી યજ્ઞકાર પ્રાયશ્ર્વિતબલિના રક્તમાં પોતાની આંગળી બોળે અને યજ્ઞવેદીના શિંગ પર તે લગાવે અને બાકીનું રક્ત યજ્ઞવેદીના પાયામાં રેડી દે. 26 ત્યાર પછી સંગતબલિની જેમ જ એની બધી ચરબીનું યજ્ઞવેદી પર દહન કરે. આ રીતે યજ્ઞકારે આગેવાનના પાપનું પ્રાયશ્ર્વિત કરવું એટલે તેને માફ કરવામાં આવશે. 27 “જો કોઈ સામાન્ય માણસ અજાણતાં પાપ કરે, 28 અને પ્રભુની આજ્ઞા તોડી દોષ લાવે, તો તેની તેને જાણ થતાં જ તેણે ખોડખાંપણ વગરની બકરીનું અર્પણ ચડાવવું. 29 તેણે તેના માથા ઉપર પોતાનો હાથ મૂકવો અને યજ્ઞવેદીની ઉત્તર બાજુએ જ્યાં દહનબલિ કપાય છે ત્યાં તેને કાપવી. 30 યજ્ઞકારે તેના રક્તમાં આંગળી બોળી યજ્ઞવેદીનાં શિંગ પર તે લગાવવું અને બાકીનું બધું રક્ત યજ્ઞવેદીના પાયામાં રેડી દેવું. 31 ત્યારપછી તેણે સંગતબલિની માફક જ તેની બધી ચરબી કાઢી લઈ યજ્ઞવેદી પર તેનું દહન કરવું. તેની સુવાસ પ્રભુને પ્રસન્ન કરે છે. યજ્ઞકાર આ રીતે માણસના પાપનું પ્રાયશ્ર્વિત કરે એટલે તે માફ કરવામાં આવશે. 32 “જ્યારે કોઈ માણસ પ્રાયશ્ર્વિતબલિ તરીકે ઘેટાંમાંથી અર્પણ ચડાવે તો તે ખોડખાંપણ વગરની ઘેટી હોવી જોઈએ. 33 તેણે તેના માથા ઉપર પોતાનો હાથ મૂકવો અને યજ્ઞવેદીની ઉત્તર બાજુએ જ્યાં દહનબલિ કપાય છે ત્યાં તેને કાપવી. 34 ત્યારપછી યજ્ઞકારે તેના રક્તમાં આંગળી બોળી યજ્ઞવેદીનાં શિંગ પર તે લગાવવું અને બાકીનું બધું રક્ત યજ્ઞવેદીના પાયામાં રેડી દેવું. 35 ત્યારપછી તેણે સંગતબલિની માફક જ તેની બધી ચરબી કાઢી લેવી અને યજ્ઞકારે યજ્ઞવેદી પર પ્રભુ સમક્ષ તે બાળી મૂકવી. આ રીતે યજ્ઞકાર માણસના પાપનું પ્રાયશ્ર્વિત કરે એટલે તેને માફ કરવામાં આવશે.” |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide